Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 69
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૩૩
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 69
single page version

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ બારમું : સમ્પાદક : કારતક
અંક પહેલો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
“પ્રભુજી! તારા પગલે પગલે મારે આવું રે.”
“અહો નાથ! અંતરની શક્તિના અવલંબને આપ સર્વજ્ઞ થયા ને અમને એ માર્ગ
બતાવ્યો, હે નાથ! તારી પ્રસન્નતાથી હું પણ તારા જ માર્ગે ચાલ્યો આવું છું.... હે ભગવાન!
આપની પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું આત્મબોધ પામ્યો........હે પ્રભુ! હું પણ તારા પગલે પગલે
ચાલ્યો આવું છું......”
–પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને ભગવાનના ભક્તો કહે છે કે “હે
ભગવાન! આપ તો આત્માના અતીન્દ્રિય–પરમ આનંદના પૂર્ણ ભોક્તા થઈ ગયા, ને
અમારા માટે પણ આપ થોડો પ્રસાદ મૂકતા ગયા છો... હે ભગવાન! આપની પ્રસન્નતાથી
અમને પણ આપના અતીન્દ્રિયઆનંદની પ્રસાદી મળી છે.”
–દીપોત્સવી–પ્રવચનમાંથી
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ∴ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 69
single page version

background image
નૂતન વર્ષના પ્રારંભે.
આ નૂતન વર્ષના પ્રારંભે મંગલરૂપે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોને, પરમ ઉપકારી ગુરુદેવને અને
જિનવાણી–ભગવતી માતાને, અતિશય ભક્તિપૂર્વક અભિવંદના કરીએ છીએ; તેમજ “આત્મધર્મ”ના ગ્રાહકો
તથા પાઠકો સર્વે આત્માર્થી–મુમુક્ષુ સાધર્મીજનોને વાત્સલ્યપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ.
અગિયાર વર્ષ પૂરાં કરીને આપણું ‘આત્મધર્મ’ માસિક નૂતન વર્ષમાં આગળ વધે છે. અમને જણાવતાં
આનંદ થાય છે કે આ નૂતન વર્ષની મંગલબોણીમાં પૂ. ગુરુદેવે “સર્વજ્ઞતા” અને “ક્રમબદ્ધપર્યાય” જેવા અતિશય
અગત્યના વિષય ઉપર એકધારા આઠ અદ્ભુત પ્રવચનોની મહાન ભેટ ‘આત્મધર્મ’ને આપી છે....તે ઉપરાંત
વળી દીપાવલીના મંગલદિને “કેવળીભગવાનનો પ્રસાદ” પણ આપ્યો છે....આ ખરેખર મુમુક્ષુઓનાં મહાન
સદ્ભાગ્ય છે.
ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી, પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાંથી ખાસ ખાસ વિષયો ચૂંટીને
‘આત્મધર્મ’માં આપવામાં આવે છે. આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી પૂ. ગુરુદેવની સુમધુર
વાણી દુનિયાના દુઃખી જીવોને સુખનો માર્ગ દેખાડે છે, મૂંઝાયેલા માનવીને મુક્તિની પ્રેરણા જગાડે છે અને
જૈનશાસનના ઊંડા હાર્દને સ્પષ્ટપણે સમજાવીને મુમુક્ષુ જીવોને નવી જ દ્રષ્ટિ તરફ દોરી જાય છે. પૂ. ગુરુદેવની
આવી ઉપદેશામૃત ધારાના અંશનું પણ વહન કરવું તે આ ‘આત્મધર્મ’ ને માટે ગૌરવનો વિષય છે. આમ છતાં
પણ, તે વાણી પરોક્ષ છે, સંસારથી સંતપ્ત અને મુક્તિના અભિલાષી આત્માર્થી જીવોએ તો પ્રત્યક્ષપણે ગુરુદેવના
સમાગમમાં રહીને સીધેસીધું શ્રવણ કરીને એ અમૃતધારા ઝીલવી–એ ખાસ જરૂરનું છે. જે અપૂર્વ તત્ત્વ પૂ. ગુરુદેવ
સમજાવે છે તે ઝીલીને, તેનું અંતર્મંથન ને નિર્ણય કરીને, તદ્રૂપ આત્મપરિણમન કરવું તે આપણું સૌનું કર્તવ્ય અને
ધ્યેય છે. આ ધ્યેયને પહોંચી વળવા માટે પૂ. ગુરુદેવ અહર્નિશ પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા જે અચિંત્ય ઉપકાર કરી
રહ્યા છે તેને ફરી ફરી યાદ કરીને પરમભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. –સંચાલકો
‘આત્મધર્મ’ના ભેટ પુસ્તક વિષે ચોખવટ
મુંબઈમાં નિવાસ કરતા ‘આત્મધર્મ’ના અધિકાંશ ગ્રાહકોને ભેટ પુસ્તક મળી ગયું છે. ઘણા
ગ્રાહકોને ઉક્ત પુસ્તક કયે સ્થળે મળે છે, તેની જાણ નહિ હોવાથી પુસ્તકો બાકી રહ્યાં છે; તો
માનવંતા ગ્રાહકોને અભ્યર્થના કરવામાં આવે છે કે નીચેના સરનામે રૂબરૂમાં જઈ મળવાથી પુસ્તક
પ્રાપ્ત થઈ શકશે.
પુસ્તકનું પ્રાપ્તિ–સ્થાન :
શ્રી હિમ્મતલાલ છોટાલાલ.
૬૯/૭૧ સુતાર ચાલ,
મુંબઈ, ૨.
નિવેદન
‘આત્મધર્મ’નો પ્રસ્તુત અંક પૂજ્ય ગુરુદેવનાં અતિ મહત્વપૂર્ણ આઠ પ્રવચનો પ્રકાશિત કરવાનાં
હોવાને કારણે, વિલંબથી પ્રકાશિત થઈ ગયો છે. ઉક્તાંકમાં પ્રવચનો ૬૪ પૃષ્ટમાં સમાવી લેવામાં
આવ્યાં છે.
વિશેષસૂચના–
ઉપરોક્ત કારણને વશ થઈ કાર્યની અધિકતાને અનુલક્ષીને માગશર માસનો અંક પણ આઠેક
દિવસ વિલંબથી પ્રકાશિત થશે.
વ્યવસ્થાપક,
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ [સૌરાષ્ટ્ર]


PDF/HTML Page 5 of 69
single page version

background image
“કેવળીભગવાનો પ્રસાદ”
[શ્રી મહાવીર–નિર્વાણ–મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવના અત્યંત ભાવવાહી મંગલ પ્રવચનમાંથી...વીર સં. ૨૪૮૧]
ભગવાન મહાવીર પરમાત્મા આજે મોક્ષદશાને પામ્યા; કેવળજ્ઞાન તો તેમને ઘણાં વર્ષ પહેલા થયું હતું,
ત્યાર પછી ત્રીસ વર્ષ સુધી અરિહંતપદે તીર્થંકરપણે રહ્યા, ને આજે (આસો વદ અમાસના પરોઢિયે)
પાવાપુરીમાં ભગવાન અશરીરી સિદ્ધદશાને પામ્યા. અને ભગવાનના ગણધર શ્રી ગૌતમ સ્વામી પણ આજ
દિવસે કેવળજ્ઞાન પામ્યા.... અરિહંતપદ પામ્યા...
.... પણ, “મહાવીર પરમાત્મા નિર્વાણપદ પામીને સિદ્ધ થયા ને ગૌતમગણધર કેવળજ્ઞાન પ્રગટ કરીને
અરિહંત થયા,–તેમાં આ આત્માને શું?”–તો કહે છે કે, આ વાતનો જેણે નિર્ણય કર્યો એટલે કે આત્માની પૂર્ણ
શુદ્ધ સિદ્ધદશા, તેમજ જ્ઞાનની પૂર્ણદશારૂપ કેવળજ્ઞાન આ જગતમાં છે–એવો જેણે નિર્ણય કર્યો તેણે પોતાના
આત્માના પૂર્ણ શુદ્ધસ્વભાવનો નિર્ણય કર્યો....એટલે સિદ્ધદશાનો ને કેવળજ્ઞાનનો ઉપાય તેને પોતાના આત્મામાં
શરૂ થઈ ગયો...તે ભગવાનનો નંદન થયો, તેને સર્વજ્ઞભગવાનની પ્રસાદી મળી.
અહો, આજે જ મહાવીર ભગવાન સિદ્ધ થયા... આજે જ ગૌતમપ્રભુ અરિહંત થયા..... ભગવાનને જે
સિદ્ધદશા અને અરિહંતદશા પ્રગટી તે પોતાના આત્માના સામર્થ્યમાંથી જ પ્રગટી છે, બહારથી નથી આવી,–આવો
નિર્ણય કરીને,...‘મારા આત્મામાં પણ પૂર્ણદશા પ્રગટવાનું સામર્થ્ય ભર્યું છે, હું રાગ જેટલો કે અધૂરી દશા જેટલો
નથી પણ પરમાત્મદશા પ્રગટવાના સામર્થ્યનો પિંડ છું’ એમ પોતાના સ્વભાવસામર્થ્યનો વિશ્વાસ કરવો તે અપૂર્વ
સમ્યગ્દર્શન છે. ભગવાનને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્ય ખીલી ગયો છે ને આ આત્માને તે કેવળજ્ઞાનપ્રભાત ઊગવા માટેનું
પરોઢિયું થયું. અનાદિના મિથ્યાત્વનું અંધારું ટળીને સમ્યગ્દર્શન થયું ત્યાં કેવળજ્ઞાનપ્રભાતનો પો’ ફાટ્યો... અને
હવે અલ્પકાળમાં તેને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્ય ખીલી જશે.–જુઓ, આ સર્વજ્ઞ ભગવાનની ઓળખાણનું ફળ!
સિદ્ધ થયા પહેલા મહાવીર ભગવાન સર્વજ્ઞતીર્થંકરપણે આ ભરતક્ષેત્રે વિચરતા હતા; ત્યારે તેમના
દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ આવતો કે “આત્મામાં જ મુક્ત થવાની તાકાત ભરી છે....પૂર્ણ પરમાત્મદશા
પ્રગટવાનું સામર્થ્ય આત્માના સ્વભાવમાં જ છે...તેની પ્રતીત કરો...તેની સન્મુખતા કરો...” ભગવાનનો આવો
ઉપદેશ ઝીલીને સુપાત્ર જીવો અંર્તમુખ થઈને સમ્યગ્દર્શનાદિ પામ્યા...ત્યાં તેઓ કહે છે કે અહો!
સર્વજ્ઞભગવાનના પ્રસાદથી અમે આત્મબોધ પામ્યા! હે નાથ! આપની અમારા ઉપર પ્રસન્નતા થઈ...કેવળી
ભગવાનના પ્રસાદથી અમને આત્મબોધ થયો...હે નાથ! મારા ઉપર તારી કરુણા થઈ...મહેરબાની થઈ...કૃપા
થઈ! –‘આમ કોણ કહે છે?’–અંતરના જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ અને પ્રતીત કરીને જેણે પોતાના આત્માની
પ્રસન્નતા મેળવી છે–આત્માના આનંદનો અનુભવ કર્યો છે–એવા જ્ઞાની–ધર્માત્મા પોતાની પ્રસન્નતા જાહેર કરતાં
કહે છે કે અહો! કેવળી ભગવાને અમારા ઉપર પ્રસન્નતા કરી...અમારા ઉપર ભગવાનની મહેરબાની
થઈ...અમને ભગવાનની પ્રસાદી મળી. હે ભગવાન! આજે આપ પ્રસન્ન થયા, આજે આપની કૃપા થઈ...હે
ભગવાન! આપની કૃપાથી આજ અમારા ભવભ્રમણનો અંત આવ્યો. ભગવાન તો વીતરાગ છે, તેમને કોઈ
ઉપર કરુણાનો રાગ હોતો નથી, પણ સમકીતિને ભગવાન પ્રત્યે તેમજ પોતાના ગુરુ પ્રત્યે આવો ભક્તિનો
આહ્લાદ આવ્યા વિના રહેતો નથી. હે નાથ! ‘તારી કૃપાએ અમે આત્મબોધ પામ્યા ને હવે અલ્પકાળે અમારા
ભવનો નાશ થઈને મુક્તદશા થવાની છે–એમ જ આપે કેવળજ્ઞાનમાં જોયું છે’–એ જ આપની અમારા ઉપર
અકષાયી કરુણા છે, એ જ આપની પ્રસન્નતા અને મહેરબાની છે.
આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મુક્તિનો માર્ગ, તેના બોધનું નિમિત્ત સર્વજ્ઞભગવાનની વાણી
છે; તે વાણી યથાર્થપણે ઝીલીને જેમણે અંર્તસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રદશા પ્રગટ કરી,
એવા ધર્માત્માઓ–સાધુ–સજ્જનો–સમકીતિ સંતો કહે છે કે હે નાથ! આપ તો કેવળજ્ઞાન અને મોક્ષ પામીને
પરમાનંદથી તૃપ્ત....તૃપ્ત થયા... ને અમારા ઉપર પણ કરુણા કરીને અમને એ

PDF/HTML Page 6 of 69
single page version

background image
આનંદની પ્રસાદી આપી...આપના પ્રતાપે અમને પણ અમારી સર્વજ્ઞશક્તિની પ્રતીત થઈ... અમને અમારા
આનંદનું ભાન થયું...આ રીતે, આપ વીતરાગ હોવા છતાં હે નાથ! અમારી પ્રસન્નતાનું કારણ છો...
જુઓ, સાધુ પુરુષો એટલે કે સજ્જનો (સત્–જનો)–સમકીતિ ધર્માત્માઓ કૃતજ્ઞ છે, આત્માના
શ્રેયમાર્ગમાં જેમનો ઉપકાર થયો તેને કદી ભૂલતા નથી. ભગવાનના નિમિત્તે પોતાને રત્નત્રયભાવ પ્રગટ્યો ને
આત્માની પ્રસન્નતા પ્રગટી ત્યાં કહે છે કે અહો! અમારા ઉપર ભગવાનની મહેરબાની થઈ. પોતામાં પ્રસન્નતા
થઈ ત્યાં ભગવાનની પ્રસન્નતાનો પણ આરોપ કર્યો કે ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા.
હે મહાવીર ભગવાન! આપ આજે સિદ્ધ થયા, હે ગૌતમ ભગવાન! આપ આજે કેવળજ્ઞાન પામ્યા, હે
ભગવાન! આપની પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું આત્મબોધ પામ્યો.....હે નાથ! હું પણ તારા પગલે પગલે ચાલ્યો
આવું છું.....
જુઓ, આ દીવાળીનો પ્રસાદ વહેંચાય છે! લોકો લક્ષ્મીની પ્રસન્નતા માંગે છે, અહીં તો કહે છે કે
સર્વજ્ઞભગવાન અમારા ઉપર પ્રસન્ન થયા...આજે અમને ભગવાન સામા મળ્‌યા (–દ્રષ્ટિમાં સન્મુખ થયા),
બહાર નીકળતાં જ આજે ભગવાનનો ભેટો થયો–શક્તિમાં તો ભગવાન હતા, પણ વ્યક્તપર્યાયમાં પ્રતીત કરતાં
જ ભગવાનનો ભેટો થયો...ભગવાનનો સાક્ષાત્કાર થયો...“અહો નાથ! અંતરની શક્તિના અવલંબને આપ
સર્વજ્ઞ થયા ને અમને એ માર્ગ બતાવ્યો, હે નાથ! તારી પ્રસન્નતાથી હું પણ તારા જ માર્ગે ચાલ્યો આવું છું.....”
–જુઓ, આ નિઃશંકતાનો માર્ગ!
મહાવીર ભગવાનના મોક્ષને આજે ૨૪૮૧મું વર્ષ બેઠું. પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને ભગવાનના
ભક્તો કહે છે કે હે ભગવાન! આપ તો આત્માના અતીન્દ્રિય–પરમ આનંદના પૂર્ણ ભોક્તા થઈ ગયા ને અમારા
માટે પણ આપ થોડો પ્રસાદ મૂકતા ગયા છો...હે ભગવાન! આપની પ્રસન્નતાથી અમને પણ આપના અતીન્દ્રિય–
આનંદની પ્રસાદી મળી છે...આમ સમકીતિ ભક્તિપૂર્વક ભગવાનના આનંદનો પ્રસાદ માને છે.
–આ છે ભગવાનનો દીવાળીનો પ્રસાદ!
ભગવાન જેવા પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને, સ્વસન્મુખ થઈને જેણે સમ્યગ્દર્શન અને
અતીન્દ્રિયઆનંદના અંશનું વેદન પ્રગટ કર્યું, તેણે જ ખરેખર ભગવાનની મુક્તિનો મહોત્સવ ઊજવ્યો...તેના
ઉપર ભગવાન પ્રસન્ન થયા, અને તેને જ ભગવાનની પ્રસાદી પ્રાપ્ત થઈ. “એ અતીન્દ્રિય–પ્રસાદના દાતાર અને
લેનાર બંનેનો જય હો–જય હો.”

PDF/HTML Page 7 of 69
single page version

background image
વાંચતાં પહેલા.આટલું સુધારજો!
પાનું કોલમ લાઈન અશુદ્ધ શુદ્ધ પાનું કોલમ લાઈન અશુદ્ધ શુદ્ધ
૧૦,૧૧ આ તો....અજ્ઞાનમાં (કાઢી નાંખવું.) ૨૮ ૧૯ છે પ્રકારનું તે પ્રકારનું
હોય ૨૯ ૧ ૨૮ પોતાના ક્ષાયકભાવ પોતાના જ્ઞાયક–
૧૪ જ્ઞાન જ તેને જ્ઞાન જ તેનો વડે ભાવ વડે
પરમસ્વભાવ ૩૦ ૨૫ ન પણ ન થાય ન પણ થાય
૧૭ ત્રિકાળ સત્ને ત્રિકાળ સત્, ને ૩૨ ૧૩ નવા ક્રમબંધનને નવા કર્મબંધનને
૨૧ સિદ્ધને સિદ્ધ, અને ૩૩ કે તેને કે તેના
૧૭ તે બુદ્ધ જ તે બુદ્ધિ જ ૩૩ ૧ ૨૬ નિમિત્તાધીન નિમિત્તનો, કે
૩૪ ‘જ્ઞાયક ‘જ્ઞાપક દ્રષ્ટિનો? નિમિત્તાધીન
૧૦ હોય તે હોય કે
૧૧ ૧૯ એકપણ પર્યાયને એકપણ પર્યાય– દ્રષ્ટિનો?
નો ૩૬ ૩૨ કર્તા બે કાર્ય કર્તાના બે કાર્ય
૧૪ ૩૧ કેવળી ભગવાનને કેવળી ભગવાને ૩૬ એક પર્યાજ એક પર્યાય જ
જાણ્યું ૩૭ ૨ ૧૦ જનશાસનનો જૈનશાસનનો
૧૮ ૩૩ બંનેની અપેક્ષાએ બંનેની અપેક્ષા ૪૩ ૨૧ આપ્યો છે બધા આપ્યો છે તે
૨૧ लौकिकनां लौकिकानां બધા
૨૧ (ગાથા ૩૨૨–૩૨૩ (ગાથા ૩૨૧– ૪૪ ૧૨ કરું, પર કરું, કે પર
ટીકા) ૨૨–૨૩ ટીકા) ૪૫ ૨ ૨૫ સ્વત: પરિણમાવવાવી સ્વત: પરિણ–
૨૧ ૩૩ ક્રમબદ્ધપર્યાયનો જ ક્રમબદ્ધ પર્યાયને જ માવવાની
૨૨ પોતાના ક્રમપણે પોતાના કર્મપણે ૪૮ ૭–૮ જેને આવી વાતનું જેણે આવી
શ્રવણ પણ કર્યું વાતનું શ્રવણ પણ
૨૩ ૨૩ દ્રષ્ટાંત પ્રમાણે ઉપરના દ્રષ્ટાંત નથી ને કર્યું નથી તે
પ્રમાણે ૫૦ ૨૫ ફેરવી શક્તો ફેરવી શક્તો નથી,
૨૬ ૩૫ સર્વ જ્ઞેયોને) જાણ– સર્વ જ્ઞેયોને ૫૭ ૧૫ જે માને છે જે માને છે તે
નારા એવા પોતાને જાણનારા એવા ૫૭ ૨૧ જે પરદ્રવ્ય જો પરદ્રવ્ય
પોતાને)
(વાંચકો પોતાની મેળે સુધારી શકે તેવી સામાન્ય અશુદ્ધિઓ અહીં આપવામાં નથી આવી.)

PDF/HTML Page 8 of 69
single page version

background image
‘આત્મા જ્ઞાયક છે.’
ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ અને
અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ
[સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો]
પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં સળંગપણે એક બાબત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે : જ્ઞાયક સામે
નજર રાખીને જ આ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારની દ્રષ્ટિ
કાળ સામે નથી હોતી, પણ જ્ઞાયકસ્વભાવ ઉપર હોય છે. જ્ઞાયક સન્મુખની દ્રષ્ટિના અપૂર્વ પુરુષાર્થ વગર
ખરેખર ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થતો નથી ને તેને નિર્મળ ક્રમબદ્ધપર્યાય થતી નથી. આ વાત દરેક
મુમુક્ષુએ બરાબર લક્ષમાં રાખવા જેવી છે.
“ભાઈ રે! આ માર્ગ તો છૂટકારાનો છે,–કે બંધાવાનો? આમાં તો જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને
છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય કરતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે છૂટકારાનો માર્ગ છે તેના
બહાને જે સ્વછંદને પોષે છે,–અથવા તો તેને ‘રોગચાળો’ કહે છે, તે જીવને છૂટકારાનો અવસર ક્યારે
આવશે?” –પૂ. ગુરુદેવ
[કુંદકુંદ ભગવાનાં મૂળ સૂત્રો]
दवियं जं उप्पज्जइ गुणोहिं तं तेहिं जाणसु अणण्णं।
जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णंमिह।।
३०८।।
जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते।
तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि ।।
३०९।।
ण कुदोचि वि उप्पणणो जह्मा कज्जं ण तेण सो आदा।
उप्पादेदि णकिंचि वि कारणमवि तेण ण स होइ।।
३१०।।
कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि।
उप्पज्जंति य णियमा सिद्धी दु ण दीसए अणणा।।
३११।।
[અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા]

जीवो हि तावत्क्रमनियमितात्म–
रिणामैरुत्पद्यमानो जीव एव नाजीवः, एवमजीवोऽपि
क्रमनियमितात्परिणामैरुत्मपद्यमानोऽजीव एव न
जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात्
कंकणदिपरिणमैः कांचनवत्। एवं हि
जीवस्यस्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह
कार्यकारणभावो न सिध्यति, सर्व द्रव्याणां द्रव्यांतरेण
सहोत्पाद्योत्पादकभावाभावात्; तदसिद्धौ चाजीवस्य
जीवकर्मत्वं न सिध्यति, तदसिद्धौ च
कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न
सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते।
[ગુજરાતી હરિગીત]
જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે,
જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮
જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં,
તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯
ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે,
ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦
રે! કર્મ–આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧
[ટીકાનો ગુજરાતી અનુવાદ]
પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી
ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ
પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ
છે. જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી
ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે
તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે
તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો
હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો
નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય–
ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ
સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને
તે (–અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા–
કર્મની અન્યનિરપેક્ષપણે (–અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે,
સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું
સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
[–સમયસાર ગુજરાતી બીજી આવૃત્તિ]

PDF/HTML Page 9 of 69
single page version

background image
: ૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
• [૧] •
પ્રવચન પહેલું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૨]
[] અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા
આ અલૌકિક ગાથાઓ છે અને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા પણ એવી જ અલૌકિક કરી છે. ટીકામાં
ક્રમબદ્ધપર્યાયની વાત કરીને તો આચાર્યદેવે જૈનશાસનનો નિયમ અને જૈનદર્શનનું રહસ્ય ગોઠવી દીધું છે.
ભગવાન આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે તો જ્ઞાતા–દ્રષ્ટાપણાનું જ કાર્ય કરે છે. ક્યાંય ફેરફાર કરે એવો તેનો
સ્વભાવ નથી, ને રાગને પણ ફેરવવાનો તેનો સ્વભાવ નથી, રાગનો પણ તે જ્ઞાયક છે. જીવ ને અજીવ બધા
પદાર્થોની ત્રણેકાળની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, આત્મા તેનો જ્ઞાયક છે.–આવો જ્ઞાયક આત્મા તે સમ્યગ્દર્શનનો
વિષય છે.
[] જીવ–અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો જ્ઞાયકસ્વભાવ.
(ટીકા) जीवो हि तावत् क्रमनियमितात्मपरिणामै रुत्पद्यमानो जीव एव नाजीवः, एवमजीवोऽपि
क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव न जीवः,...”
આચાર્યદેવ કહે છે કે “પ્રથમ તો” એટલે કે સૌથી પહેલા એ નિર્ણય કરવો કે જીવ ક્રમબદ્ધ–ક્રમનિયમિત
એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના
પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી. જુઓ આ મહા સિદ્ધાંત! જીવ કે અજીવ દરેક વસ્તુમાં
ક્રમબદ્ધપર્યાય થાય છે, તેમાં આડુંઅવળું થતું જ નથી. અત્યારે ઘણા પંડિતો અને ત્યાગી વગેરે લોકોમાં આની
સામે મોટો વાંધો ઊઠ્યો છે, કેમ કે આ વાતનો નિર્ણય કરવા જાય તો પોતાનું અત્યાર સુધી માનેલું કાંઈ રહેતું
નથી. ૨૦૦૩ ની સાલમાં (પ્રવચન–મંડપના ઉદ્ઘાટન પ્રસંગે) હુકમીચંદજી શેઠની સાથે દેવકીનંદનજી પંડિત
આવેલા, તેમને જ્યારે આ વાત બતાવી ત્યારે તે આશ્ચર્ય પામ્યા હતા કે અહો! આવી વાત છે!! આ વાત
અત્યાર સુધી અમારા લક્ષમાં નહોતી આવી. છએ દ્રવ્યોમાં તેની ત્રણેકાળની દરેક પર્યાયનો સ્વકાળ નિયમિત છે.
જગતમાં અનંત જીવો છે ને જીવ કરતાં અનંતગુણા અજીવ છે, તે બધાય દ્રવ્યો પોતપોતાના ક્રમ નિયમિત
પરિણામે ઊપજે છે. જે સમયે જે પર્યાયનો ક્રમ છે તે એક સમય પણ આગળ પાછળ ન થાય. ૧૦૦ નંબરની જે
પર્યાય હોય તે ૯૯મા નંબરે ન થાય, તેમજ ૧૦૦ નંબરની પર્યાય ૧૦૧મા નંબરે પણ ન થાય. આ રીતે દરેક
પર્યાયનો સ્વકાળ નિયમિત છે, ને બધાંય દ્રવ્યો ક્રમબદ્ધપર્યાયે પરિણમે છે. પોતાના સ્વભાવનો નિર્ણય થયો ત્યાં
ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું, હું કોને ફેરવું? એટલે ધર્મીને પરને ફેરવવાની બુદ્ધિ નથી, રાગને પણ
ફેરવવાની બુદ્ધિ નથી, તે રાગનો પણ જ્ઞાયકપણે જ રહે છે.
[] સર્વજ્ઞભગવાન ‘જ્ઞાપક’ છે, ‘કારક’ નથી.
પહેલા તો એમ નિર્ણય કરવો જોઈએ કે આ જગતમાં એવા સર્વજ્ઞભગવાન છે કે જેમને આત્માનો
જ્ઞાનસ્વભાવ પૂર્ણ ખીલી ગયો છે, અને મારો આત્મા પણ એવો જ જ્ઞાનસ્વભાવી છે. જગતના બધાય પદાર્થો
ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, પદાર્થના ત્રણકાળની પર્યાયનો ક્રમ નિશ્ચિત છે; સર્વજ્ઞદેવે ત્રણકાળ ત્રણલોકની
પર્યાયો જાણી છે. સર્વજ્ઞે જાણ્યું તે ફરે નહિ.–છતાં સર્વજ્ઞદેવે જાણ્યું માટે તેવી અવસ્થા થાય છે–એમ પણ નથી.
સર્વજ્ઞભગવાન તો જ્ઞાપકપ્રમાણ છે, તે કાંઈ પદાર્થોના કારક નથી; કારક–

PDF/HTML Page 10 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૩ :
રૂપે તો પદાર્થ પોતે જ છે, દરેક પદાર્થ પોતે જ પોતાના છ કારકરૂપે થઈને પરિણમે છે.
[] ક્રમબદ્ધપર્યાયના ભણકાર
આચાર્યદેવ પહેલેથી જ ક્રમબદ્ધપર્યાયના ભણકાર મૂકતા આવ્યા છે–
‘જીવ પદાર્થ કેવો છે’ તેનું વર્ણન કરતાં બીજી ગાથામાં કહ્યું હતું કે “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા
અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ–પર્યાયો અંગીકાર કર્યા છે.” પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ
સહવર્તી હોય છે. એમ કહીને ત્યાં જીવની ક્રમબદ્ધપર્યાયની વાત બતાવી દીધી છે.
ત્યાર પછી ૬૨મી ગાથામાં કહ્યું કે “વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી
તે તે વ્યક્તિઓ (અર્થાત્ પર્યાયો) વડે પુદ્ગલદ્રવ્યની સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર
કરે છે.” અહીં ‘અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ’ પામવાનું કહીને અજીવની ક્રમબદ્ધપર્યાય બતાવી દીધી છે.
કર્તાકર્મ અધિકારમાં પણ ગા. ૭૬–૭૭–૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એમ ત્રણ પ્રકારના કર્મની
વાત કરીને ક્રમબદ્ધપર્યાયની વાત ગોઠવી દીધી છે. ‘પ્રાપ્ય’ એટલે, દ્રવ્યમાં જે સમયે જે પર્યાય નિયમિત છે તે
ક્રમબદ્ધપર્યાયને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે–પહોંચી વળે છે, તેથી તેને ‘પ્રાપ્ય કર્મ’ કહેવાય છે.
[] જ્ઞાયક સ્વભાવ સમજે તો જ ક્રમબદ્ધપર્યાય સમજાય.
જુઓ, આમાં જ્ઞાયકસ્વભાવ તરફથી લેવાનું છે. જ્ઞાયક તરફથી લ્યે તો જ આ ક્રમબદ્ધપર્યાયની વાત
યથાર્થ સમજાય તેવી છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્માને માટે સમજવા માંગતો હોય તેને આ વાત યથાર્થ
સમજાય તેવી છે. બીજા ધીઠાઈવાળા જીવો તો આ સમજ્યા વિના ઊંધુંં લ્યે છે ને જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો
પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધપર્યાયના નામે પોતાના સ્વછંદને પોષે છે. જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત
નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વછંદતા છૂટી નથી ને ક્રમબદ્ધપર્યાયનું નામ લ્યે છે–
એવા ધીઠા–સ્વછંદી જીવની અહીં વાત નથી. આ ક્રમબદ્ધપર્યાય સમજે તેને સ્વછંદ રહે જ નહિ, તે તો જ્ઞાયક થઈ
જાય. ભગવાન! ક્રમબદ્ધપર્યાય સમજાવીને અમે તો તને તારા જ્ઞાયક આત્માનો નિર્ણય કરાવવા માંગીએ છીએ,
અને આત્મા પરનો અકર્તા છે એ બતાવવા માંગીએ છીએ. જો તારા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય ન કર તો તું
ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી.
જીવ ને અજીવ બધા પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે,–તે બધાને જાણ્યું કોણે?–સર્વજ્ઞદેવે.
“સર્વજ્ઞદેવે આમ જાણ્યું” એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો?–પોતાની જ્ઞાનપર્યાયે.
વર્તમાન જ્ઞાનપર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો?–
જ્ઞાનસ્વભાવની સામે જોઈને તે નિર્ણય કર્યો છે.
આ રીતે જે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
થાય છે, અને તે જીવ પરનો ને રાગનો અકર્તા થઈને જ્ઞાયક–ભાવનો જ કર્તા થાય છે. આવા જીવને
જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પુરુષાર્થ, સ્વકાળ વગેરે પાંચે સમવાય એક સાથે આવી જાય છે.
[] આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ નિયતવાદ નથી.
પ્રશ્ન:– ગોમટ્ટસારમાં તો નિયતવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે ને?
ઉત્તર:– ગોમટ્ટસારમાં જે નિયતવાદ કહ્યો છે તે તો સ્વછંદીનો છે; જે જીવ સર્વજ્ઞને માનતો નથી,
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતો નથી, અંતરમાં વળીને સમાધાન કર્યું નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા પણ
કર્યા નથી, ને ‘જેમ થવાનું હશે તેમ થશે’ એમ કહીને માત્ર સ્વછંદી થાય છે અને મિથ્યાત્વને પોષે છે એવા
જીવને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. પરંતુ જ્ઞાન સ્વભાવના નિર્ણયપૂર્વક જો આ ક્રમબદ્ધપર્યાયને
સમજે તો તો જ્ઞાયકસ્વભાવ તરફના પુરુષાર્થ વડે મિથ્યાત્વ ને સ્વછંદ છૂટી જાય.
[] ભયનું સ્થાન નહિ પણ ભયના નાશનું કારણ.
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવા જતાં ક્યાંક સ્વછંદી થઈ જવાશે–એવો ભય છે, માટે એવા
ભયસ્થાનમાં શા માટે જવું?

PDF/HTML Page 11 of 69
single page version

background image
: ૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
ઉત્તર:– અરે ભાઈ! ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો એટલે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો, તે કાંઈ
ભયનું કારણ નથી, તે તો સ્વછંદના નાશનું ને નિર્ભયતા થવાનું કારણ છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર, હું
પરને ફેરવી દઉં–એવી કર્તાબુદ્ધિથી સ્વછંદી થઈ રહ્યો છે; તેને બદલે, પદાર્થોની પર્યાય તેના પોતાથી જ ક્રમબદ્ધ
થાય છે, હું તેનો કર્તા કે ફેરવનાર નથી, હું તો જ્ઞાયક છું–એવી પ્રતીત થતાં સ્વછંદ છૂટીને સ્વતંત્રતાનું અપૂર્વ
ભાન થાય છે. આ ક્રમબદ્ધપર્યાયની સમજણ તે ભયનું સ્થાન નથી, ભય તો મૂર્ખાઈ અને અજ્ઞાનમાં હોય, આ
તો ભયના ને સ્વછંદના નાશનું કારણ છે.
[] ‘જ્ઞાયકપણું’ તે જ આત્માનો પરમસ્વભાવ છે.
આત્મા જ્ઞાયક વસ્તુ છે, જ્ઞાન જ તેનો પરમસ્વભાવ ભાવ છે. ‘જ્ઞાયકપણું’ આત્માનો પરમભાવ છે,–તે
સ્વપરના જ્ઞાતાપણા સિવાય બીજું શું કરે? જેમ‘છે’ ને જેમ ‘થાય છે’ તેનો તે જાણનાર છે. દ્રવ્ય અને ગુણ તે
ત્રિકાળ સત્, ને પર્યાય તે એકેક સમયનું સત, તે સતનો આત્મા જાણનાર છે, પણ કોઈ પરનો ઉત્પન્ન કરનાર,
નાશ કરનાર, કે તેમાં ફેરફાર કરનાર નથી. જો ઉત્પન્ન કરવાનું, નાશ કરવાનું કે ફેરફાર કરવાનું માને તો ત્યાં
જ્ઞાયકભાવપણાની પ્રતીત રહેતી નથી. એટલે જ્ઞાનસ્વભાવને જે નથી માનતો ને પરમાં ફેરફાર કરવાનું માને છે
તેને જ્ઞાયકપણું નથી રહેતું પણ મિથ્યાત્વ થઈ જાય છે.
[] ‘રોગચાળો’ નહિ પણ વીતરાગતાનું કારણ.
કેટલાક કહે છે કે ‘અત્યારે ક્રમબદ્ધપર્યાયનો રોગચાળો ફેલાયો છે.’ અરે ભાઈ! આ ક્રમબદ્ધપર્યાયની
પ્રતીત તે તો વીતરાગતાનું કારણ છે. જે વીતરાગતાનું કારણ છે તેને તું રોગચાળો કહે છે? ક્રમબદ્ધપર્યાય ન
માનો તો કાંઈ વસ્તુ જ રહેતી નથી. ક્રમબદ્ધપર્યાયપણું તે તો વસ્તુનું સ્વરૂપ છે તેને રોગચાળો કહેવો એ તો મહા
વિપરીતતા છે. દ્રવ્ય સમયે સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એવો તેનો ધર્મ છે, ક્રમબદ્ધપર્યાયમાં જે
સમયે જે પર્યાયનો સ્વકાળ છે તે સમયે દ્રવ્ય તે જ પર્યાયને દ્રવે છે–પ્રવહે છે એવો જ વસ્તુભાવ છે; ને પોતાનો
જ્ઞાયક સ્વભાવ છે. આવા સ્વભાવને માનવો તે રોગચાળો નથી, પરંતુ આવા વસ્તુસ્વભાવને ન માનતાં ફેરફાર
કરવાનું માનવું તે મિથ્યાત્વ છે ને મિથ્યાત્વ તે જ મોટો રોગચાળો છે.
[૧૦] અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અક્રમે–એમ નથી.
દરેક દ્રવ્યની ત્રણકાળની પર્યાયોમાં ક્રમબદ્ધપણું છે તેને જે ન માને તે સર્વજ્ઞતાને માનતો નથી, આત્માના
જ્ઞાનસ્વભાવને માનતો નથી; કેમ કે આત્માના જ્ઞાનસ્વભાવની જો યથાર્થ પ્રતીતિ કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયની
પ્રતીત પણ જરૂર આવી જાય છે.
અહીં ક્રમબદ્ધપર્યાય કહેવાય છે તેમાં અનાદિ અનંત કાળની બધી પર્યાયો સમજી લેવી. દ્રવ્યની અમુક
પર્યાયો ક્રમબદ્ધ થાય ને અમુક પર્યાયો અક્રમે થાય–એમ બે ભાગલા નથી. કોઈ એમ કહે છે કે– “અબુદ્ધિપૂર્વક
પર્યાયો તો જ્ઞાનમાં પકડાતી નથી એટલે તે તો ક્રમબદ્ધ થાય, પરંતુ બુદ્ધિપૂર્વકની પર્યાયોમાં ક્રમબદ્ધપણું લાગુ ન
પડે, તે તો અક્રમે પણ થાય.”–એ વાત સાચી નથી. અબુદ્ધિપૂર્વકની કે બુદ્ધિપૂર્વકની કોઈ પણ પર્યાય ક્રમબદ્ધ જ
થાય છે. જડ ને ચેતન બધા દ્રવ્યોની બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. વળી કોઈ એમ કહે કે ‘ભૂતકાળની
પર્યાયો તો થઈ ગઈ એટલે તેમાં હવે કાંઈ ફેરફાર ન થઈ શકે, પરંતુ ભવિષ્યની પર્યાયો હજી થઈ નથી એટલે
તેના ક્રમમાં ફેરફાર કરી શકાય.” આમ કહેનારને પણ પર્યાયનો ક્રમ ફેરવવાની બુદ્ધિ છે તે પર્યાયબુદ્ધિ છે.
આત્મા જ્ઞાયક છે એની પ્રતીત કરવાની આ વાત છે. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો ‘મેં આનું આમ કર્યું ને
આનું આમ ન થવા દીધું’ એવી કર્તાબુદ્ધિની બધી વિપરીત માન્યતાઓનો ભૂક્કો ઊડી જાય છે ને એકલું
જ્ઞાયકપણું રહે છે.
[૧૧] આવી સત્ય વાતના શ્રવણની પણ દુર્લભતા.
હજી કેટલાક જીવોએ તો આ વાત સત્સમાગમે યથાર્થપણે સાંભળી પણ નથી. ‘હું જ્ઞાન છું, જગતની દરેક
વસ્તુ પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેનો હું જાણનાર છું, પણ કોઈનો ક્યાંય ફેરવનાર હું નથી’–
આવું યથાર્થ સત્ય સત્સમાગમે સાંભળીને જેણે જાણ્યું પણ નથી, તેને અંતરમાં તેની સાચી ધારણા ક્યાંથી હોય?
અને ધારણા વિના તેની યથાર્થ રુચિ અને

PDF/HTML Page 12 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૫ :
પરિણમન તો ક્યાંથી થાય? અત્યારે આ વાત બીજે સાંભળવા પણ મળતી નથી. આ વાત સમજીને તેનો યથાર્થ
નિર્ણય કરવા જેવો છે.
[૧૨] ક્રમ અને તે પણ નિશ્ચિત.
जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, नाजीवः...” આ મૂળ ટીકા છે, તેના
હિંદી અર્થમાં જયચંદ્રજી પંડિતે એમ લખ્યું છે કે ‘जीव प्रथम ही क्रमकर निश्चित अपने परिणामों कर उत्पन्न
हुआ जीव ही है, अजीव नहीं है’ ક્રમ તો ખરો, અને તે પણ નિયમિત, એટલે કે આ દ્રવ્યમાં આ સમયે
આવી જ પર્યાય થશે–એ પણ નિશ્ચિત છે.
કોઈ એમ કહે કે ‘પર્યાય ક્રમબદ્ધ છે એટલે કે તે એક પછી એક ક્રમસર થાય છે–એ ખરું, પણ ક્યા સમયે
કેવી પર્યાય થશે તે નિશ્ચિત નથી’–તો એ વાત સાચી નથી. ક્રમ અને તે પણ નિશ્ચિત છે, ક્યા સમયની પર્યાય
કેવી થવાની છે તે પણ નિશ્ચિત છે. જો એમ ન હોય તો સર્વજ્ઞે જાણ્યું શું? અહો! આ ક્રમબદ્ધપર્યાયની વાત જેની
પ્રતીતમાં આવે તેને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ થઈને મિથ્યાત્વનો ને અનંતાનુબંધી કષાયનો નાશ થઈ જાય; તેને
સ્વછંદતા ન થાય પણ સ્વતંત્રતા થાય.
[૧૩] જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે પાંચ સમવાય.
અજ્ઞાનીઓ કહે છે કે ‘આ ક્રમબદ્ધપર્યાય માનો તો પુરુષાર્થ ઊડી જાય છે.’–પણ એમ નથી. આ
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં કર્તાબુદ્ધિનું ખોટું અભિમાન ઊડી જાય છે ને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે.
જ્ઞાન–સ્વભાવનો પુરુષાર્થ ન કરે તેને ક્રમબદ્ધપર્યાયનોદ નિર્ણય પણ સાચો નથી. જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વડે
ક્રમબદ્ધ–પર્યાયનો નિર્ણય કરીને પર્યાય સ્વસન્મુખ થઈ ત્યાં એક સમયમાં તે પર્યાયમાં પાંચે સમવાય આવી જાય છે.
નાટક–સમયસારમાં પં. બનારસીદાસજી પણ કહે છે કે–
टेक डारि एकमैं अनेक खोजै सौ सुबुद्धि,
खोजी जीवे वादी मरै सांची कहवति है।। ४५।।
दूराग्रह छोड़कर एकमें अनेक धर्म ढूँढ़ना सम्यग्ज्ञान है। इसलिये संसार में जो कहावत है कि
‘खोजी पावे वादी मरे’ सो सत्य है।।
પુરુષાર્થ, સ્વભાવ, કાળ, નિયત અને કર્મનો અભાવ એ પાંચે સમવાય એક સમયની પર્યાયમાં આવી જાય છે.
[૧૪] કાર્તિકી–અનુપ્રેક્ષા અને ગોમટ્ટસારના કથનની સંધિ.
સ્વામી કાર્તિકીઅનુપ્રેક્ષામાં ગા. ૩૨૧–૨૨–૨૩માં સ્પષ્ટ કહ્યું છે કે જે સમયે જેમ થવાનું સર્વજ્ઞદેવે જોયું છે
તે સમયે તેમ જ થવાનું, તેને ફેરવવા કોઈ સમર્થ નથી.–જે આવું શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે, ને તેમાં જે
શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે, તેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી.
જે જીવ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરતો નથી, ને ક્રમબદ્ધપર્યાયનું ફક્ત નામ લઈને સ્વછંદથી વિષય કષાયને
પોષે છે તેને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાદ્રષ્ટિ ગણ્યો છે; પરંતુ–જ્ઞાન સ્વભાવની પ્રતીત કરીને જે જીવ
ક્રમબદ્ધપર્યાયને માને છે તે જીવને કાંઈ ત્યાં મિથ્યાદ્રષ્ટિ નથી કહ્યો.
[૧પ] એકવાર...આ વાત તો સાંભળ!
અહો, આત્માનો જ્ઞાનસ્વભાવ–જેમાં ભવ નથી, તેનો જેણે નિર્ણય કર્યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો,
તેને ભેદજ્ઞાન થયું, તેણે કેવળીને ખરેખર માન્યા. પ્રભુ! આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવો જ તારો જ્ઞાનસ્વભાવ
છે; એકવાર આગ્રહ છોડીને, તારી પાત્રતા ને સજ્જનતા લાવીને આ વાત તો સાંભળ!
[૧૬] રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી.
પ્રશ્ન:– આપ કહો છો કે ક્રમબદ્ધપર્યાય થાય છે, તો પછી ક્રમબદ્ધપર્યાયમાં રાગ પણ થવાનો હોય તે થાય!
ઉત્તર:– ભાઈ! તારી રુચિ ક્યાં અટકી છે? તને જ્ઞાનની રુચિ છે કે રાગની? જેને જ્ઞાનસ્વભાવની રુચિ
અને દ્રષ્ટિ થઈ છે તે તો પછી અસ્થિરતાના અલ્પ રાગનો પણ જ્ઞાતા જ છે. અને ‘રાગ થવાનો હતો તે થયો’
એમ કહીને જે રાગની રુચિ છોડતો નથી–તે તો સ્વછંદી મિથ્યાદ્રષ્ટિ છે. આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ સમજે એની
તો દ્રષ્ટિ પલટી જાય.
[૧૭] ઊંધો પ્રશ્ન–‘નિમિત્ત ન આવે તો...?’
‘આવું નિમિત્ત આવે તો આમ થાય, ને નિમિત્ત ન આવે તો ન થાય’–આમ જેને નિમિત્તાધીન દ્રષ્ટિ છે
તેને ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. ‘ક્રમબદ્ધપર્યાય

PDF/HTML Page 13 of 69
single page version

background image
: ૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
થવાની હોય પણ નિમિત્ત ન આવે તો! ’ –એ પ્રશ્ન જ ઊંધો છે. ક્રમબદ્ધપર્યાયમાં જે સમયે જે નિમિત્ત છે–તે પણ
નિશ્ચિત જ છે; નિમિત્ત ન હોય એમ બનતું જ નથી.
[૧૮] બે નવી વાત!–સમજે તેનું કલ્યાણ.
એક નિયમસારની ‘શુદ્ધ કારણપર્યાય’ની વાત, ને બીજી આ ‘ક્રમબદ્ધપર્યાય’ની વાત, એ બે વાત
સોનગઢથી નવી કાઢી–એમ કેટલાક કહે છે; લોકોમાં અત્યારે આ વાત ચાલતી નથી તેથી નવી લાગે છે. શુદ્ધ
કારણપર્યાયની વાત સૂક્ષ્મ છે, ને બીજી આ ક્રમબદ્ધપર્યાયની વાત સૂક્ષ્મ છે,–આ વાત જેને બેસે તેનું કલ્યાણ થઈ
જાય! આ એક ક્રમબદ્ધપર્યાયની વાત બરાબર સમજે તો તેમાં નિશ્ચયવ્યવહારના ને ઉપાદાન–નિમિત્તના વગેરે
બધાય ખુલાસા આવી જાય છે; વસ્તુની પર્યાય ક્રમબદ્ધ ને હું તેનો જ્ઞાયક–એ સમજતાં બધા સમાધાન થઈ જાય
છે. ભગવાન! તારા જ્ઞાયકસ્વભાવને ભૂલીને તું પરનું કરવાની માન્યતામાં રોકાઈ ગયો? પરમાં તારી પ્રભુતા કે
પુરુષાર્થ નથી, આ જ્ઞાયક ભાવમાં જ તારી પ્રભુતા છે. તારો પ્રભુ તારા જ્ઞાયક મંદિરમાં બિરાજમાન છે તેની
સન્મુખ થા, ને તેની પ્રતીત કર.
[૧૯] આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે.
જગતમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દરેક જીવ, તેમજ સિદ્ધ, અને અનંતાનંત પરમાણુઓમાં
દરેક પરમાણુ, તે બધાય ક્રમબદ્ધપણે પરિણમી જ રહ્યા છે, હું તેમનું શું ફેરવું? હું તો જ્ઞાયક છું–આવો નિર્ણય કરે
તેને સમ્યગ્દર્શન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે અનાદિ–અનંત જાણવાનું જ કાર્ય કરે છે. આત્મા તો
અનાદિનો જ્ઞાયકભાવ પણે જ રહ્યો છે, પણ અજ્ઞાનીને મોહ વડે તે અન્યથા અધ્યવસિત થયો છે,–એ વાત
પ્રવચનસારની ૨૦૦ મી ગાથામાં કરી છે. આત્મા તો જ્ઞાયક હોવા છતાં અજ્ઞાની તેની પ્રતીત નથી કરતો, ને ‘હું
પરનો કર્તા’ એમ મોહ વડે અન્યથા માને છે.
[૨૦] કંથચિત્ ક્રમ–અક્રમપણું કઈ રીતે છે?
કોઈ એમ કહે છે કે–‘જીવની પર્યાયમાં કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે; તેમજ શરીરાદિ અજીવની
પર્યાયમાં પણ કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે.’–તે બધી વાત વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયથી વિપરીત છે,
જ્ઞાનસ્વભાવથી વિપરીત છે અને કેવળીથી પણ તે વિપરીત છે. વસ્તુમાં એવું ક્રમ–અક્રમપણું નથી, પરંતુ પર્યાય
અપેક્ષાએ ક્રમબદ્ધપણું; ને ગુણો સહવર્તી છે તે અપેક્ષાએ અક્રમપણું–એ રીતે વસ્તુ ક્રમ–અક્રમસ્વરૂપ છે.
[૨૧] કેવળીને માને તે કુદેવને ન માને.
કોઈ એમ કહેતું હતું કે–‘કેવળીએ જેમ દીઠું તેમ થયું છે, માટે જે વાડો (–સંપ્રદાય) મળ્‌યો અને જેવા ગુરુ
મળ્‌યા (–તે ભલે ખોટા હોય તો પણ) તેમાં ફેરફાર કરવાની ઉતાવળ ન કરવી, કેમ કે કુદરતના નિયમમાં એમ
આવ્યું છે માટે તે બદલવું નહીં.’
–પણ ભાઈ તને કેવળજ્ઞાન બેઠું છે? અને કુદરતનો નિયમ એટલે વસ્તુસ્વરૂપ તને બેઠું છે? જેની
પ્રતીતમાં કેવળજ્ઞાન બેઠું અને વસ્તુસ્વરૂપ સમજાયું તેના અંતરમાં ગૃહીતમિથ્યાત્વ રહે જ નહિ, કુધર્મને કે
કુગુરુને માને એવો ક્રમ તેને હોય જ નહિ. માટે સમકીતિ જીવ કુધર્મ–કુગુરુનો ત્યાગ કરે તેથી કાંઈ તેને પર્યાયનું
ક્રમબદ્ધપણું તૂટી જાય છે–એમ નથી. સવળા પુરુષાર્થમાં નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે.
[૨૨] જ્ઞાયકસ્વભાવ.
જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે–એટલે કે જે પર્યાયપણે પરિણમે તેની સાથે તે તન્મય છે. અહો! દ્રવ્ય પોતે તે
તે પર્યાય સાથે તન્મય થઈને પરિણમ્યું છે, ત્યાં બીજો તેને શું કરે? આત્મા તો પરમ પારિણામિક સ્વભાવરૂપ
જ્ઞાયક છે, જ્ઞાયકભાવપણે રહેવું એ જ તેનો સ્વભાવ છે. આવા સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં સ્વભાવ તરફના
પુરુષાર્થથી શુદ્ધપર્યાય થતી જાય છે.
[૨૩] “ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો.”
‘બસ! જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય, અમે ક્રમબદ્ધને માનતા નથી.’–એમ કહેનાર કેવળી
ભગવાનને પણ નથી માનતો, ને ખરેખર આત્માને પણ તે નથી માનતો. ક્રમબદ્ધપર્યાયની ના કહેવી તે જ્ઞાન–
સ્વભાવની જ ના કહેવા જેવું છે. ભાઈ! આ ક્રમબદ્ધપર્યાય તે કાંઈ કોઈના ઘરની કલ્પના નથી પરંતુ તે તો
વસ્તુના ઘરની વાત છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કોઈ ન માને તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય તેમ નથી.
[૨૪] જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળ્‌યા વગર ક્રમબદ્ધપર્યાય સમજાતી નથી.
‘શુભ–અશુભ ભાવ પણ ક્રમબદ્ધ હતા તે આવ્યા,’ એમ કહીને જે જીવ રાગના પુરુષાર્થમાં જ અટકી રહ્યો છે

PDF/HTML Page 14 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૭ :
ને જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળતો નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી, પણ માત્ર વાતો કરે છે.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં રાગની રુચિ છૂટી જાય છે અને ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય થાય છે. ભાઈ!
તું કોની સામે જોઈને ક્રમબદ્ધપર્યાય માને છે? જ્ઞાયકસ્વભાવ સામે જોઈને જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો, તે
રાગનો પણ જ્ઞાતા જ થઈ ગયો, આ રાગ પલટીને આ સમયે આવો જ રાગ લાવું–એમ રાગને ફેરવવાની બુદ્ધિમાંથી
તેનું વીર્ય ખસી ગયું ને જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયું; તેને રાગ ટળવાનો ક્રમ ચાલુ થઈ ગયો છે, વર્તમાન સાધકદશા
થઈ છે, ને એ જ પુરુષાર્થથી ક્રમ બદ્ધપર્યાયના ક્રમમાં અલ્પકાળે કેવળજ્ઞાન પણ આવશે, –તેનો પુરુષાર્થ ચાલુ છે.
જ્ઞાનીને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સ્વભાવની દ્રષ્ટિથી પ્રયત્ન ચાલુ જ છે, તે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે
એટલે કે ભૂતાર્થના આશ્રયે જ પરિણમે છે, તેમાં ઉતાવળ પણ નથી ને પ્રમાદ પણ નથી. પ્રવચનસારની ૨૦૨ મી
ગાથામાં હેમરાજજી પંડિત કહે છે કે–વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને સમ્યગ્દ્રષ્ટિ જીવ આકુળ–વ્યાકુળ પણ થતો
નથી તેમજ સમસ્ત વિભાવ પરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી; ભૂતાર્થ સ્વભાવનો આશ્રય
કરીને વર્તે છે તેમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. એક સાથે પાંચે સમવાય તેમાં આવી જાય છે.
[૨૫] પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે...
પ્રવચનસાર ગા. ૯૯ ‘सदवट्ठिदं सहावे दव्वं...’ ઈત્યાદિમાં આચાર્યદેવે ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત
અલૌકિક રીતે મૂકી દીધો છે. હારના મોતીના દ્રષ્ટાંતે, દ્રવ્યના પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે–એ
વાત સમજાવીને ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ એકદમ ખૂલ્લું કરી દીધું છે. વળી એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ
હોવા છતાં, તે ત્રણેનું ભિન્ન ભિન્ન લક્ષણ છે, નાશ એટલે કે વ્યય તે નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ
ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે.–એ રીતે સમયે–સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ
કહીને તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની જ સાંકળ ગોઠવી દીધી છે. (જુઓ ગાથા ૧૦૧)
[૨૬] ‘સત્’ અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ.
અહો! આચાર્ય ભગવંતોએ જંગલમાં વસીને, પોતાના જ્ઞાનમાં વસ્તુસ્વરૂપને પકડીને આબેહૂબ વર્ણન
કર્યું છે. એક તરફ આખું સત્નું ચોસલું જગતમાં પડ્યું છે ને આ તરફ તેને જાણનારો જ્ઞાનસ્વભાવ છે. મહાસત્તા
સત્, અવાંતરસત્તા સત્, જડચેતન દરેક દ્રવ્ય ત્રિકાળ સત્ ને તેની એકેકે સમયની પર્યાય પણ ક્રમબદ્ધ પ્રવાહમાં
તેના સ્વકાળે સત્, એ બધાને જાણનારી જ્ઞાનપર્યાય પણ સત્.–આમ બધું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત સત્ છે. તેનો
નિર્ણય કર્યો ત્યાં પોતાને જ્ઞાતાપણું જ રહ્યું ને કર્તાપણાની મિથ્યાબુદ્ધિ મટી. સતનો જ્ઞાતા ન રહેતાં તે સત્ને
ફેરવવા માંગે તે મિથ્યાબુદ્ધિ છે.
[૨૭] જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે સમવાય આવી જાય છે.
બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે પણ તેનો નિર્ણય કોણ કરે છે? જ્ઞાતાનું જ્ઞાન જ તેનો નિર્ણય કરે છે. જે
જ્ઞાને આવો નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાનો (જ્ઞાનસ્વભાવનો) નિર્ણય પણ ભેગો જ કર્યો છે. જ્યાં
સ્વભાવસન્મુખ થઈને આવો નિર્ણય કર્યો ત્યાં–
(૧) સ્વભાવ તરફનો સમ્યક્ ‘પુરુષાર્થ’ આવ્યો,
(૨) જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી પ્રગટી છે, તેથી ‘સ્વભાવ’ પણ આવ્યો,
(૩) તે સમયે જે નિર્મળપર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે તેથી ‘નિયત’ પણ આવ્યું,
(૪) જે નિર્મળદશા પ્રગટી છે તે જ તે વખતનો સ્વકાળ છે, એ રીતે ‘સ્વકાળ’ પણ આવી ગયો,
(૫) તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપશમાદિ સ્વયં વર્તે છે, એ રીતે ‘કર્મ’ પણ અભાવરૂપ નિમિત્ત તરીકે
આવી ગયું;
–ઉપર પ્રમાણે સ્વભાવસન્મુખ પુરુષાર્થમાં પાંચે સમવાય એક સાથે આવી જાય છે.
[૨૮] ઉદીરણા–સંક્રમણ વગેરેમાં પણ ક્રમબદ્ધ–પર્યાયનો નિયમ.
કર્મની ઉપશમ, ઉદીરણા, સંક્રમણ વગેરે અવસ્થાઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે તે બધી અવસ્થા પણ
ક્રમબદ્ધ જ છે. શુભભાવથી જીવે અસાતાપ્રકૃતિનું સાતારૂપે સંક્રમણ કર્યું–એમ કથન આવે, પરંતુ ત્યાં, કર્મની તે
અવસ્થા થવાની ન હતી ને જીવે કરી–એમ નથી, પણ તેવી અવસ્થા થવા વખતે જીવના તેવા પરિણામ નિમિત્ત
હોય છે–એમ જણાવ્યું છે. બધે ઠેકાણે એક જ

PDF/HTML Page 15 of 69
single page version

background image
: ૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
અબાધિત નિયમ છે કે પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે ને ને આત્મા જ્ઞાયક છે, ફેરફાર કરનાર નથી. જીવે
શુભભાવ કર્યા અને કર્મમાં અસાતા પલટીને સાતા થઈ, ત્યાં તે કર્મની અવસ્થામાં ફેરફાર તો થયો છે, પરંતુ
તેથી કાંઈ તેની અવસ્થાનો ક્રમ તૂટયો નથી, તેમજ જીવે શુભભાવ કરીને તે અજીવમાં ફેરફાર કર્યો એમ પણ
નથી; અસાતા પલટીને સાતા થઈ ત્યાં એવો જ તે અજીવની અવસ્થાનો ક્રમ હતો.
[૨૯] દ્રવ્ય સત્, પર્યાય પણ સત્.
જીવ બધું છોડીને ચાલ્યો ગયો–એમ લોકો કહે છે, પણ ત્યાં કંઈ જીવપણું તેણે છોડ્યું છે? જીવ જીવપણે
રહીને બીજે ગયો છે ને! જેમ જીવ જીવપણે સત્ રહ્યો છે તેમ જીવની એકેક સમયની પર્યાય પણ તે તે સમયનું
સત્ છે, તે પલટીને બીજા સમયની પર્યાયપણે થઈ જતી નથી.
[૩૦] જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધું છે.
હું જ્ઞાન છું–જ્ઞાયક છું એમ ન માનતાં પરમાં ફેરફાર કરવાનું માને છે તે બુદ્ધિ જ મિથ્યા છે. ભાઈ!
આત્મા જ્ઞાન છે–એ વાતના નિર્ણય વિના તારું બધું ભણતર ઊંધુંં છે, તારા તર્ક અને ન્યાય પણ ઊંધા છે.
જ્ઞાનસ્વભાવની ગમ પડ્યા વગર આગમ પણ અનર્થકારક થઈ પડે છે. શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે ત્યાં
અજ્ઞાની પોતાની ઊંધી દ્રષ્ટિ પ્રમાણે તેનો આશય લઈને ઉલટો મિથ્યાત્વને પોષે છે.
[૩૧] “હું તો જ્ઞાયક છું.”
બધાય જીવોની પર્યાય ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? બધાય અજીવની પર્યાય પણ ક્રમબદ્ધ છે તો હું કોને
ફેરવું?–હું તો જ્ઞાયક છું, જ્ઞાયકપણું જ મારો પરમ સ્વભાવ છે. હું જ્ઞાતા જ છું, કોઈનો ફેરવનાર નથી. કોઈનું
દુઃખ મટાડી દઉં કે સુખ કરી દઉં એ વાત મારામાં નથી–આમ પોતાના જ્ઞાયક આત્માનો નિર્ણય કરવો તે
સમ્યગ્દર્શન છે.
[૩૨] બધું ફેરવીને આ વાત સમજવી પડશે.
સોલાપુરમાં અધિવેશન વખતે વિદ્વત્ પરિષદે આ ક્રમબદ્ધપર્યાય સંબંધમાં ચર્ચા ઉપાડી હતી, પણ તેનો
કાંઈ નિર્ણય બહાર ન આવ્યો, એમ ને એમ ભીનું સંકેલી લીધું; કેમકે જો આ વાતનો નિર્ણય કરવા જાય તો,
નિમિત્તને લીધે ક્યાંય ફેરફાર થાય–એ વાત રહેતી નથી ને અત્યાર સુધી ઘૂંટેલું બધું ફેરવવું પડે છે. પણ તે બધું
ફેરવીને, ક્રમબદ્ધપર્યાય જે રીતે કહેવાય છે તેનો નિર્ણય કર્યા વગર કોઈ રીતે શ્રદ્ધા–જ્ઞાન સાચાં થાય તેમ નથી.
[૩૩] ક્રમબદ્ધ પરિણમતા જ્ઞાયકનું અકર્તાપણું.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમસ્વભાવ છે, ને જ્ઞાન સાથે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય
વગેરે અનંત ગુણો રહેલા છે. દ્રવ્ય પરિણમતાં તે બધા ગુણોનું ક્રમસર પરિણમન થાય છે.
આત્મા જ્ઞાયક છે એટલે તેનો સ્વભાવ સ્વ–પરને જાણવાનો છે; પરને કરે કે રાગ વડે પરનું કારણ થાય
એવો તેનો સ્વભાવ નથી, તેમજ પર તેનું કાંઈ કરે કે પોતે પરને કારણ બનાવે–એવો પણ સ્વભાવ નથી; આ
રીતે અકારણકાર્યસ્વભાવ છે.
અહીં સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકારમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત લઈને આચાર્યદેવે જીવનું અકર્તાપણું સિદ્ધ કર્યું
છે, એટલે કે જીવ જ્ઞાયક જ છે–એમ સમજાવ્યું છે. જ્ઞાનસ્વભાવી જીવ છે તેના અનંત ગુણોની સમય સમયની
પર્યાયો ક્રમબદ્ધ જ ઊપજે છે અને તે જીવની સાથે એકમેક છે. ત્રણકાળની દરેક પર્યાય પોતાના સ્વકાળે જ ઊપજે
છે, કોઈ પણ પર્યાય આડીઅવળી ઊપજતી નથી.
[૩૪] પુરુષાર્થનો મોટો પ્રશ્ન.
આમાં મોટો પ્રશ્ન છે કે ‘તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો?’
તેનું સમાધાન:– આ નિર્ણય કર્યો ત્યાં એકલું જ્ઞાતાપણું જ રહ્યું, એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિથી
ખસીને પુરુષાર્થનું જોર સ્વભાવ તરફ વળી ગયું. આ રીતે જ્ઞાન સાથે વીર્યગુણ (પુરુષાર્થ) પણ ભેગો જ છે.
જ્ઞાનની ક્રમબદ્ધપર્યાય સાથે સ્વભાવ તરફનો પુરુષાર્થ પણ ભેગો જ વર્તે છે, ક્રમબદ્ધપર્યાયમાં પુરુષાર્થ કાંઈ જુદો
નથી રહી જતો. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જ્ઞાન સ્વ–તરફ વળ્‌યું ત્યાં તેની સાથે વીર્ય, સુખ, શ્રદ્ધા, ચારિત્ર,
અસ્તિત્વ વગેરે અનંતા ગુણો એક સાથે જ પરિણમે છે, માટે આમાં પુરુષાર્થ પણ ભેગો જ છે.
[૩૫] ‘જ્ઞાયક’ અને ‘કારક’.
અનાદિ અનંત કાળમાં કયા સમયે ક્યા દ્રવ્યની કેવી પર્યાય છે–તે સર્વજ્ઞદેવે વર્તમાનમાં પ્રત્યક્ષ જાણી
લીધું છે; પરંતુ–સર્વજ્ઞદેવે જાણ્યું માટે તે દ્રવ્યો તેવી ક્રમબદ્ધ–

PDF/HTML Page 16 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૯ :
પર્યાયે પરિણમે છે–એમ નથી. પણ તે તે સમયની નિશ્ચિત ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવાનો દ્રવ્યોનો જ સ્વભાવ
છે. સર્વજ્ઞનું કેવળજ્ઞાન તે તો ‘જ્ઞાપક’ છે એટલે કે જણાવનાર છે, તે કાંઈ પદાર્થોનું કારક નથી. છએ દ્રવ્યો જ
સ્વયં પોતપોતાના છ કારકપણે પરિણમે છે.
• [૨] •
પ્રવચન બીજાું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૩]
પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધપર્યાય કદી થતી નથી. જ્ઞાન–
સ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે.
[૩૬] જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્‌યો તેને જ ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ.
‘અહો! હું જ્ઞાયક છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે, એવા નિર્ણયનો અંતરમાં પ્રયત્ન કરે તેને એમ
નક્કી થઈ જાય કે વસ્તુનો આવો જ સ્વભાવ છે ને સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનથી આમ જ જાણ્યું છે. જે જીવે પોતાના
જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા (એટલે કે નિમિત્તને લીધે કાંઈ ફેરફાર થાય કે રાગથી
ધર્મ થાય એવું મનાવનારા) કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, જ્ઞાનસ્વભાવ તરફ તેનો પુરુષાર્થ
વળ્‌યો છે અને તેને જ સર્વજ્ઞદેવની તથા ક્રમબદ્ધપર્યાયની યથાર્થ શ્રદ્ધા થઈ છે.
[૩૭] સર્વજ્ઞદેવને નહિ માનનાર.
કોઈ એમ કહે કે ‘સર્વજ્ઞદેવ ભવિષ્યની પર્યાયને અત્યારે નથી જાણતા, પરંતુ જ્યારે તે પર્યાય થશે ત્યારે
સર્વજ્ઞદેવ તેને જાણશે!’–તો આમ કહેનારને સર્વજ્ઞની શ્રદ્ધા પણ ન રહી. ભાઈ રે! ભવિષ્યના પરિણામ થશે
ત્યારે સર્વજ્ઞદેવ જાણશે–એમ નથી, સર્વજ્ઞદેવને તો પહેલેથી જ ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન વર્તે છે. તારે જ્ઞાયકપણે
નથી રહેવું પણ નિમિત્ત વડે ક્રમ ફેરવવો છે–એ દ્રષ્ટિ જ તારી ઊંધી છે. જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ કરતાં પર્યાયનો
નિર્મળ ક્રમ શરૂ થઈ જાય છે.
જીવ–અજીવના બધા પરિણામો ક્રમબદ્ધ જેમ છે તેમ સર્વજ્ઞદેવે જાણ્યા છે અને સૂત્રમાં પણ તેમ જ
જણાવ્યા છે; તેથી આચાર્યદેવે ગાથામાં કહ્યું કે “जीवस्साजीवस्स दुजे परिणाम दु देसिया सुत्ते........”
જીવઅજીવના ક્રમબદ્ધપરિણામ જેમ છે તેમ સર્વજ્ઞદેવ તેના જાણનાર છે, પણ તેના કારક નથી.
[૩૮] આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને પણ માનતો નથી.
સમયે સમયે પોતાના ક્રમબદ્ધ પરિણામપણે જીવ ઊપજે છે; જીવમાં અનંતગુણો હોવાથી એક સમયમાં તે
અનંત–ગુણોના અનંત પરિણામો થાય છે; તેમાં દરેક ગુણના પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય
છે. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરતાં જ્ઞાન સ્વસન્મુખ થઈને અકર્તાપણે–સાક્ષીભાવે પરિણમ્યું; ત્યાં,
સાધકદશા હોવાથી હજી અસ્થિરતાનો રાગ પણ થાય છે પરંતુ જ્ઞાન તો તેનુંય સાક્ષી છે. સ્વ–પરપ્રકાશક જ્ઞાન
ખીલ્યું તેની ક્રમબદ્ધ પર્યાય એવી જ છે કે તે સમયે જ્ઞાયકને જાણતાં તેવા રાગને પણ જાણે. આવું જ્ઞાયકપણું જે
ન માને ને પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાનું માને તો તે જીવ આત્માના જ્ઞાનસ્વભાવને માનતો નથી,
કેવળીભગવાનને પણ તે નથી માનતો, કેવળીભગવાને કહેલાં શાસ્ત્રોને પણ તે નથી માનતો અને કેવળજ્ઞાનના
સાધક ગુરુ કેવા હોય તેને પણ તે જાણતો નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જેણે પોતાના જ્ઞાનસ્વભાવને
પ્રતીતમાં લીધો તેને સમ્યગ્દર્શનાદિ થયા છે, અને તેણે જ ખરેખર કેવળીભગવાનને, કેવળીના શાસ્ત્રોને તથા
ગુરુને માન્યા છે.

PDF/HTML Page 17 of 69
single page version

background image
: ૧૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
[૩૯] પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે.
જુઓ, આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ‘ક્રમબદ્ધપર્યાય’નો એવો અર્થ નથી કે
જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય! અથવા ગમે તેવા તીવ્ર વિષયકષાયોમાં
વર્તતો હોય કે એકેન્દ્રિયાદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ
જાય–એમ કદી બનતું નથી. જે કુધર્મને માને છે, તીવ્ર વિષયકષાયમાં વર્તે છે, કે એકેન્દ્રિયાદિમાં પડ્યા છે, તેને
ક્યાં પોતાના જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની ખબર છે? પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ
વિના શુદ્ધપર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ
પર્યાય ક્રમબદ્ધ થાય છે, અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ
અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે
જીવ કુદેવને માને છે, કુગુરુને માને છે, કુધર્મને માને છે, સ્વછંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે–એવા જીવને
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા જ થઈ નથી. ભાઈ! તારા જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધપર્યાયને ક્યાંથી
જાણી? જ્યાં સુધી કુદેવ–કુધર્મ વગેરેને માને ત્યાં સુધી તેની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનની લાયકાત થઈ જાય
એમ બને નહિ. સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ
યોગ્ય જ હોય છે, એકેન્દ્રિયપણું વગેરે પર્યાયમાં તે પ્રકારના જ્ઞાન, પુરુષાર્થ વગેરે હોતાં નથી, એવો જ તે જીવની
પર્યાયનો ક્રમ છે. અહીં તો એ વાત છે કે પુરુષાર્થ વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું,
એટલે પરનો તેમજ રાગાદિનો તે અકર્તા થયો, અને તેણે જ ક્રમબદ્ધપર્યાયને ખરેખર જાણી છે. હજી તો કુદેવ
અને સુદેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે જીવમાં જ્ઞાયકસ્વભાવનો ને અનંત ગુણોની
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો ક્યાંથી હોય? ને યથાર્થ નિર્ણય વગર ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતા
થાય–એમ બનતું નથી.
[૪૦] ‘અનિયતનય’ કે ‘અકાળનય’ સાથે ક્રમબદ્ધપર્યાયને વિરોધ નથી.
પ્રવચનસારના પરિશિષ્ટના ૪૭ નયોમાં ૨૭ મા અનિયતનયથી આત્માને ‘અનિયત’ કહ્યો છે, પરંતુ
અનિયત એટલે અક્રમબદ્ધ એવો તેનો અર્થ નથી. ત્યાં પાણીની ઉષ્ણતાનો દાખલો આપીને સમજાવ્યું છે કે જેમ
ઉષ્ણતા તે પાણીનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તે કાયમી સ્વભાવ નથી માટે અનિયમિત છે, તેમ
વિકાર આત્માનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તેથી તે વિકાર અપેક્ષાએ આત્માને અનિયત કહ્યો
છે. એ જ પ્રમાણે ૩૧મા બોલમાં ત્યાં “અકાળનય” કહ્યો છે, તેમાં પણ આ ક્રમબદ્ધપર્યાયના નિયમથી કાંઈ
વિરુદ્ધ વાત નથી, કાંઈ ક્રમબદ્ધપર્યાય તોડીને તે વાત નથી. (આ અનિયતનય તથા અકાળનય બાબત વિશેષ
સમજણ માટે આત્મધર્મમાં પ્રસિદ્ધ થતાં પૂ. ગુરુદેવનાં પ્રવચનો વાંચો.)
[૪૧] જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય.
મૂળ વસ્તુસ્વભાવ શું છે તેનો પહેલા બરાબર નિર્ણય કરવો જોઈએ. આત્માનો જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવ શું?
અને જ્ઞેય પદાર્થોનો ક્રમબદ્ધ સ્વભાવ શું? તેના નિર્ણયમાં વિશ્વદર્શનરૂપ જૈનદર્શનનો નિર્ણય આવી જાય છે; પણ
અજ્ઞાનીને તેનો નિર્ણય નથી.
જુઓ, આ મૂળવસ્તુ છે, તેનો પહેલા નિર્ણય કરવો જોઈએ, આ મૂળવસ્તુના નિર્ણય વગર ધર્મ થાય તેમ
નથી. જેમ કોઈ માણસ બીજા પાસે પાંચહજાર રૂા. ની ઉઘરાણીએ જાય, ત્યાં સામો માણસ તેને લાડવા જમાડે,
પણ આ તો કહે કે ભાઈ! જમવાની વાત પછી, પહેલા મુદની વાત નક્કી કરો, એટલે કે હું પાંચ હજાર રૂા. લેવા
આવ્યો છું, તેની પહેલા સગવડ કરો–એ રીતે ત્યાં પણ મુદની વાતને મુખ્ય કરે છે; તેમ અહીં મુદની રકમ એ છે
કે આત્મા જ્ઞાનસ્વભાવ છે તેનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાયકસ્વભાવ છે ને પદાર્થોની પર્યાયનો ક્રમબદ્ધસ્વભાવ
છે એનો જે નિર્ણય કરતો નથી, ને ‘આવું નિમિત્ત જોઈએ ને આવો વ્યવહાર જોઈએ’ એમ વ્યવહારની રુચિમાં
રોકાઈ જાય છે તેને જરા પણ હિત થતું નથી. અહો! હું જ્ઞાયક છું–એ મૂળ વાત જેને પ્રતીતમાં આવી તેને
ક્રમબદ્ધપર્યાય બેઠા વગર રહે નહિ; અને જ્યાં આ વાત બેઠી ત્યાં બધા ખુલાસા થઈ જાય છે.

PDF/HTML Page 18 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૧ :
[૪૨] હારના મોતીના દ્રષ્ટાંતે ક્રમબદ્ધપર્યાયની સમજણ; અને જ્ઞાનને સમ્યક કરવાની રીત.
પ્રવચનસારની ૯૯ મી ગાથામાં લટકતા હારનું દ્રષ્ટાંત આપીને ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યા છે, તેમાં પણ
ક્રમબદ્ધપર્યાયની વાત આવી જાય છે. જેમ લટકતા હારમાં દરેક મોતી પોતપોતાનાં સ્થાનમાં પ્રકાશે છે, તેમાં
પછી પછીના સ્થાને પછી પછીનું મોતી પ્રકાશે છે ને પહેલા પહેલાના મોતીઓ પ્રકાશતા નથી; તેમ લટકતા
હારની માફક પરિણમતા દ્રવ્યમાં સમસ્ત પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે; તેમાં પછી પછીના
અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થાય છે ને પહેલા પહેલાના પરિણામો પ્રગટ થતા નથી. (જુઓ ગાથા
૯૯ ની ટીકા) લટકતા હારના દોરામાં તેનું દરેક મોતી યથાસ્થાને ક્રમબદ્ધ ગોઠવાયેલું છે, જો તેમાં આડુંઅવળું
કરવા જાય–પાંચમા નંબરનું મોતી ત્યાંથી ખસેડીને પચીસમા નંબરે મૂકવા જાય –તો હારનો દોરો તૂટી જશે
એટલે હારની સળંગતા તૂટી જશે. તેમ જગતના દરેક દ્રવ્યો ઝૂલતા એટલે કે પરિણમતા છે. અનાદિ અનંત
પર્યાયરૂપ મોતી ક્રમબદ્ધ ગોઠવાયેલા છે, તેને ન માનતાં એકપણ પર્યાયનો ક્રમ તોડવા જાય તો ગુણનો ને
દ્રવ્યનો ક્રમ તૂટી જશે, એટલે કે શ્રદ્ધા જ મિથ્યા થઈ જશે. હું તો જ્ઞાયક છું, હું નિમિત્ત થઈને કોઈની પર્યાયમાં
ફેરફાર કરી દઉં એવું મારું સ્વરૂપ નથી–એમ જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે અકર્તાપણું થઈ જાય છે અર્થાત્
સમ્યગ્જ્ઞાન થાય છે, અને તે જ જીવ સ્વ–પરપ્રકાશક જ્ઞાન વડે આ ક્રમબદ્ધપર્યાયને યથાર્થ પણે જાણે છે. આ રીતે
હજી તો જ્ઞાનને સમ્યક્ કરવાની આ રીત છે; આ સમજ્યા વગર સમ્યગ્જ્ઞાન થાય નહિ.
[૪૩] જ્ઞાયકભાવનું પરિણમન કરે તે જ સાચો શ્રોતા.
આ ક્રમબદ્ધપર્યાયના વિષયમાં અત્યારે ઘણી ગરબડ જાગી છે તેથી અહીં તેનું વિશેષ સ્પષ્ટીકરણ થાય
છે. હજી તો આ વાતના શ્રવણનો પણ જેને પ્રેમ ન આવે તે અંતરમાં પાત્ર થઈને પરિણમાવે ક્યાંથી? અને
એકલા શ્રવણનો પ્રેમ કરે પણ જો સ્વછંદ ટાળીને અંતરમાં જ્ઞાયક ભાવનું પરિણમન ન કરે તો તેણે પણ
ખરેખર આ વાત સાંભળી નથી. એ જ વાત સમયસારની ચોથી ગાથામાં આચાર્યદેવે મૂકી છે, ત્યાં કહ્યું છે કે
એકત્વ–વિભક્ત શુદ્ધાત્માનું શ્રવણ જીવે પૂર્વે કદી કર્યું નથી; અનંતવાર સાક્ષાત્ તીર્થંકર ભગવાનના
સમવસરણમાં જઈને દિવ્યધ્વનિ સાંભળી આવ્યો, છતાં આચાર્યભગવાન કહે છે કે તેણે શુદ્ધાત્માની વાતનું
શ્રવણ કર્યું જ નથી.–કેમ? કારણ કે અંતરમાં ઉપાદાન જાગૃત કરીને તે શુદ્ધાત્માની રુચિ ન કરી તેથી તેને
શ્રવણમાં નિમિત્તપણું પણ ન આવ્યું.
[૪૪] જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી, સાધકને જ ક્રમબદ્ધપર્યાયની ખરી
શ્રદ્ધા છે.
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થાય પણ પર્યાયના ક્રમમાંથી સ્વછંદ ન ટળે તો?
ઉત્તર:– એમ બને જ નહિ, ભાઈ! ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરે તેને પર્યાયમાં સ્વછંદનો ક્રમ રહે જ નહિ,
કેમકે જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેણે તે પ્રતીત કરી છે. જ્ઞાનસ્વભાવની ઓળખાણના પુરુષાર્થ વિના એકલી
ક્રમબદ્ધપર્યાયનું નામ લ્યે, તેની અહીં વાત નથી, કેમકે જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર તે ક્રમબદ્ધપર્યાયને પણ
સમજ્યો નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળીને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરી ત્યાં તો અનંત ગુણોનો અંશ નિર્મળરૂપે
પરિણમવા માંડયો છે; શ્રદ્ધામાં સમ્યગ્દર્શન થયું જ્ઞાનમાં સમ્યગ્જ્ઞાન થયું; આનંદના અંશનું વેદન થયું, વીર્યનો
અંશ સ્વ તરફ વળ્‌યો, એ રીતે બધા ગુણોની અવસ્થાના ક્રમમાં નિર્મળતાની શરૂઆત થઈ ગઈ. હજી જેને
શ્રદ્ધાજ્ઞાન સમ્યક્ થયા નથી, આનંદનું ભાન નથી, વીર્યબળ અંતરસ્વભાવ તરફ વળ્‌યું નથી, તેને
ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીતની સાથે તો સ્વભાવ તરફનો પુરુષાર્થ છે, શ્રદ્ધા–જ્ઞાન
સમ્યક થયા છે, આનંદ અને વીતરાગનો અંશ પ્રગટ થયો છે, એટલે ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. સાધકદશામાં
અસ્થિરતાનો રાગ આવે પણ ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. અને જે રાગ છે તેનો પણ પરમાર્થે તો તે જ્ઞાની
જ્ઞાતા જ છે. આ રીતે આમાં ભેદજ્ઞાનની વાત છે. સમ્યગ્દર્શન કહો, ભેદજ્ઞાન કહો, કે જ્ઞાયકભાવનો પુરુષાર્થ
કહો, કે ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કહો–એ બધું ભેગું જ છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાવાળાને હઠ પણ નથી રહેતી તેમ
જ સ્વછંદ પણ નથી રહેતો. સમ્યક્શ્રદ્ધા થવા ભેગું જ તેણે તે ક્ષણે જ

PDF/HTML Page 19 of 69
single page version

background image
: ૧૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
ચારિત્ર પ્રગટ કરીને મુનિપણું લઈ લેવું જોઈએ–એમ હઠ ન હોય, અને ગમે તેવો રાગ થાય તેનો વાંધો નથી–
એવો સ્વછંદ પણ ન હોય, જ્ઞાયકભાવરૂપ મોક્ષમાર્ગનો ઉદ્યમ તેને ચાલ્યા જ કરે છે.
[૪૫] આ સમજે તો બધા ગોટા નીકળી જાય.
અત્યારે ઉપાદાન–નિમિત્તના ને નિશ્ચય–વ્યવહારના ઘણા ગોટા ચાલે છે, જો આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ
બરાબર સમજે તો તે બધા ગોટા નીકળી જાય તેમ છે. ‘દ્રવ્ય પોતાના ક્રમબદ્ધપરિણામ પણે ઊપજે છે’ એમ કહ્યું
તેમાં તે તે પર્યાયનું ક્ષણિક ઉપાદાન આવી જાય છે. એકેક સમયની પર્યાય પોતપોતાના ક્ષણિક ઉપાદાનથી જ
ક્રમબદ્ધપણે–નિયમિતપણે ઊપજે છે; પોતાના પરિણામોથી જ એટલે કે તે સમયની ક્ષણિક લાયકાતથી જ ઊપજે
છે, નિમિત્તથી ઊપજતાં નથી. દરેક ગુણમાં પોતપોતાના ક્ષણિક ઉપાદાનથી ક્રમબદ્ધપરિણામ ઊપજે છે, એ રીતે
અનંત ગુણોના અનંત પરિણામો એક સમયમાં ઊપજે છે, આ જે ક્રમબદ્ધપણું કહેવામાં આવે છે તે
‘ઉદ્ધર્વતાસામાન્ય’ અપેક્ષાએ એટલે કે કાળપ્રવાહની અપેક્ષાએ કહેવાય છે.
[૪૬] વજ્રભીંત જેવો નિર્ણય.
ભાઈ! તારા જ્ઞાનને અંતરમાં વાળીને એકવાર વજ્રભીંત જેવો યથાર્થ નિર્ણય તો કર. વજ્રભીંત જેવો
નિર્ણય કર્યા વગર મોક્ષમાર્ગ તરફ તારું વીર્ય ઊપડશે નહિ. આ નિર્ણય કરતાં તારી પ્રતીતમાં જ્ઞાનની અધિકતા
થઈ જશે ને રાગ તે જ્ઞાનનું જ્ઞેય થઈ જશે આ સિવાય પરને હું કરું ને પરને હું ફેરવું–એવી બુદ્ધિ તે તો
સંસારભ્રમણના કારણરૂપ છે.
[૪૭] કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે.
આત્મા જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન કોને ફેરવે? જેમ કેવળીભગવાન જગતના જ્ઞાતા–દ્રષ્ટા જ છે, તેમ આ
આત્મા પણ જ્ઞાતા–દ્રષ્ટાપણાનું જ કાર્ય કરી રહ્યો છે. ભગવાન પૂરું એક સમયમાં જાણે છે ને આ જીવ અલ્પ
જાણે છે, એટલો જ ફેર છે. પણ પોતાના જ્ઞાતાદ્રષ્ટાપણાની પ્રતીત ન કરતાં, અન્યથા માનીને જીવ સંસારમાં
રખડે છે. ઓછું ને વધારે એવા ભેદને ગૌણ કરી નાખે તો બધા જીવોમાં જ્ઞાનનો એક જ પ્રકાર છે, બધા ય જીવો
જ્ઞાનસ્વરૂપ છે ને જાણવાનું જ કાર્ય કરે છે; પણ જ્ઞાનપણે પોતાનું અસ્તિત્વ છે તેને પ્રતીતમાં ન લેતાં, જ્ઞાનના
અસ્તિત્વમાં પરનું અસ્તિત્વ ભેગું ભેળવીને પર સાથે એકપણું માને છે, તે જ દુઃખ અને સંસાર છે.
[૪૮] નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અકર્તા છે.
“સર્વજ્ઞભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, તે ભગવાન તો ‘જ્ઞાપક’ છે માટે તે પરમાં કાંઈ
ફેરફાર ન કરે–એ વાત તો બરાબર, પણ આ જીવ તો નિમિત્તપણે કારક થઈને પોતાની ઈચ્છા પ્રમાણે પદાર્થોમાં
ફેરફાર–આડુંઅવળું કરી શકે!”–એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી. જ્ઞાપક હો કે કારક હો, પણ પદાર્થની
ક્રમબદ્ધપર્યાયને ફેરવીને કોઈ આડી–અવળી કરતું નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કારક થઈને ક્રમબદ્ધપર્યાયપણે
ઊપજે છે, નિમિત્તરૂપ બીજું દ્રવ્ય તે ખરેખર કારક નથી પણ અકારક છે, અકારકને કારક કહેવું તે ઉપચારમાત્ર
છે; એ જ પ્રમાણે નિમિત્ત તે અકર્તા છે, તે અકર્તાને કર્તા કહેવો તે ઉપચાર છે–વ્યવહાર છે–અભૂતાર્થ છે.
[૪૯] જ્ઞાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય.
ભગવાન સર્વના જ્ઞાયક છે–એવો નિર્ણય કોણે કર્યો? જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પોતે જ્ઞાયક થયો
ત્યારે જ ભગવાનના જ્ઞાયકપણાનો યથાર્થ નિર્ણય થયો.
[૫૦] પર્યાયમાં અનન્યપણું હોવાથી, પર્યાય પલટતાં દ્રવ્ય પણ પલટે છે, ઘંટીના નીચલા
પડની જેમ તે સર્વથા કૂટસ્થ નથી.
અહીં એમ કહ્યું કે ક્રમબદ્ધ પરિણામપણે દ્રવ્ય ઊપજે છે– ‘दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु
अणण्णं’ દ્રવ્ય પોતાના જે ગુણોથી જે ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે તેમાં તેને અનન્ય જાણ. એટલે, એકલી
પર્યાય જ પલટે છે ને દ્રવ્ય–ગુણ તો ‘ઘંટીના નીચલા પડની જેમ’ સર્વથા કૂટસ્થ જ રહે છે–એમ નથી. પર્યાય
પલટતાં તે તે પર્યાયપણે દ્રવ્ય–ગુણ ઊપજે છે. પહેલા સમયની પર્યાયમાં જે દ્રવ્ય–ગુણ અનન્ય હતા તે બીજા સમયે
પલટીને બીજા સમયની પર્યાયમાં અનન્ય છે. પહેલા સમયે પહેલી પર્યાયનો જે કર્તા હતો તે પલટીને બીજી
પર્યાયનો કર્તા થયો છે. એ જ પ્રમાણે કર્તાની માફક કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ એ બધા
કારકોમાં સમયે સમયે પલટો થાય છે. પહેલા સમયે જેવું કર્તાપણું

PDF/HTML Page 20 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૩ :
હતું તેવું જ કર્તાપણું બીજા સમયે તે રહ્યું નથી, પર્યાય બદલતાં કર્તાપણું વગેરે પણ બદલ્યું છે. કર્તા–કર્મ વગેરે છ
કારકો જેવા સ્વરૂપે પહેલા સમયે હતા તેવા જ સ્વરૂપે બીજા સમયે નથી રહ્યા; પહેલા સમયે પહેલી પર્યાય સાથે
તદ્રૂપ થઈને તેનું કર્તાપણું હતું, ને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રૂપ થઈને તે બીજી પર્યાયનું કર્તાપણું થયું.
આમ પર્યાય અપેક્ષાએ, નવી નવી પર્યાયો સાથે તદ્રૂપ થતું–થતું આખું દ્રવ્ય સમયે સમયે પલટી રહ્યું છે; દ્રવ્ય
અપેક્ષાએ ધુ્રવતા છે. આ જરાક સૂક્ષ્મ વાત છે.
પ્રવચનસારની ૯૩ મી ગાથામાં પણ કહ્યું છે કે ‘तेहिं पुणो पज्जाया....’ એટલે દ્રવ્ય તથા ગુણોથી
પર્યાયો થાય છે. દ્રવ્ય પરિણમતાં તેના અનંત ગુણો પણ ક્રમબદ્ધપર્યાયપણે ભેગા જ પરિણમી જાય છે. પર્યાયમાં
અનન્યપણે દ્રવ્ય ઊપજે છે એમ કહેતાં, પર્યાય પરિણમતાં દ્રવ્ય પણ પરિણમ્યું છે–એ વાત સિદ્ધ થાય છે; કેમકે
જો દ્રવ્ય સર્વથા ન જ પરિણમે તો પહેલી પર્યાયથી છૂટીને બીજી પર્યાય સાથે તે કઈ રીતે તદ્રૂપ થાય? પર્યાય
પલટતાં જો દ્રવ્ય ન પલટે તો તે જુદું પડ્યું રહે! –એટલે બીજી પર્યાય સાથે તેને તદ્રૂપપણું થઈ શકે જ નહિ.
પરંતુ એમ બનતું નથી, પર્યાય પરિણમ્યે જાય ને દ્રવ્ય જુદું રહી જાય–એમ બનતું નથી.
કોઈ એમ કહે કે “પહેલા સમયની જે પર્યાય છે તે પર્યાય પોતે જ બીજા સમયની પર્યાયરૂપ પરિણમી
જાય છે, દ્રવ્ય નથી પરિણમતું”–તો એ વાત જૂઠી છે. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી
પર્યાય આવે એમ માનનારને તો ‘પર્યાયમૂઢ’ કહ્યો છે. પર્યાય પલટતાં તેની સાથે દ્રવ્ય ક્ષેત્ર ને ભાવ પણ
(પર્યાય અપેક્ષાએ) પલટી ગયાં છે. જો એમ ન હોય તો સમય સમયની નવી પર્યાય સાથે દ્રવ્યનું તદ્રૂપપણું સિદ્ધ
થઈ શકે નહિ. ‘સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાત્મ્ય છે’–એમ કહીને આચાર્યદેવે અલૌકિક નિયમ
ગોઠવી દીધો છે. ચિદ્દવિલાસમાં પણ એ વાત લીધી છે.
[જુઓ ગુજરાતી પાનું ૩૦–૩૧]
[૫૧] જીવનું સાચું જીવતર.
જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજતો થકો, તેમાં તન્મયપણે જીવ જ છે, અજીવ નથી. અજીવના કે
રાગના આશ્રયે ઊપજે એવું જીવનું ખરું સ્વરૂપ નથી. વળી ક્રમબદ્ધપરિણામ ન માને તો તેને પણ વસ્તુસ્વરૂપની
ખબર નથી. ‘જીવતો જીવ’ તો પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેને બદલે અજીવ વગેરે નિમિત્તને લીધે
જીવ ઊપજે એમ માને, અથવા તો જીવ નિમિત્ત થઈને અજીવને ઊપજાવે એમ માને, તો તેણે જીવના જીવતરને
જાણ્યું નથી. જીવનું જીવતર તો આવું છે કે પરના કારણકાર્ય વગર જ પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે.
[૫૨] દ્રષ્ટિ અનુસાર ક્રમબદ્ધપર્યાય છે.
આત્મા જ્ઞાયકસ્વરૂપ....સમભાવી સૂર્ય છે, એવા સ્વભાવને જે જાણતો નથી ને સ્વછંદી થઈને મિથ્યાત્વની
વિષમબુદ્ધિથી કર્તાપણું માને છે–પરમાં આડુંઅવળું કરવા માંગે છે–તેણે ખરેખર જીવને માન્યો નથી, જ્ઞાયકસ્વરૂપ
જીવતત્ત્વને તેણે જાણ્યું નથી. કર્તાપણું માનીને ક્યાંય પણ ફેરફાર કરવા ગયો ત્યાં પોતે જ્ઞાતાપણે ન રહ્યો, ને
ક્રમબદ્ધપર્યાય જ્ઞેયપણે છે તેને પણ ન માની; એટલે અકર્તાસાક્ષીસ્વરૂપ જ્ઞાયક જીવતત્ત્વ તેની દ્રષ્ટિમાં ન રહ્યું.
જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તે જ્ઞાતા છે–અકર્તા છે, અને નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે તે ઊપજે છે;
જ્ઞાતાસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી ને પર સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઉપર જ જેની દ્રષ્ટિ છે તેને ઊંધી
દ્રષ્ટિમાં ક્રમબદ્ધપર્યાય અશુદ્ધ થાય છે. આ રીતે દ્રષ્ટિ ફેરવવાની આ વાત છે, પરની દ્રષ્ટિ છોડીને જ્ઞાયક
સ્વભાવની દ્રષ્ટિ કરવાની આ વાત છે; એવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર આ વાત યથાર્થપણે સમજાય તેવી નથી.
[૫૩] ‘જ્ઞાયક’ના લક્ષ વગર એક પણ ન્યાય સાચો ન આવે.
પાણીના લોઢનો જે પ્રવાહ છે તે આડોઅવળો થતો નથી, પહેલાનો પ્રવાહ પાછળ, ને પાછળનો પ્રવાહ
આગળ એમ બનતું નથી, તેમ દ્રવ્ય પોતાના અનાદિ–અનંત પર્યાયોના પ્રવાહક્રમને દ્રવે છે–પ્રવહે છે, તે
પ્રવાહક્રમમાં જે જે પર્યાયને તે દ્રવે છે તે તે પર્યાયની સાથે તે અનન્ય છે. જેમ મકાનના બારીબારણાં નિયત છે,
નાના મોટાં અનેક બારીબારણામાં જે ઠેકાણે જે બારી કે બારણું ગોઠવવાનું હોય તે જ બંધ બેસતું આવે; મોટું
બારણું કાપીને નાના બારણાની જગાએ ગોઠવી દે તો તે મોટા બારણાની જગ્યાએ શું મૂકશે? મોટા બારણાને
ઠેકાણે કાંઈ નાનું બારણું બંધ બેસતું નહીં આવે ત્યાં તો સૂતાર દરેક બારી–