Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 25
single page version

background image
– સારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક – માસિક
વર્ષ ૧૪ મું
અંક ૧૧ મો
ભાદરવો
વી. સં. ૨૪૮૩
: સંપાદક :
રામજી માણેકચંદ દોશી
૧૬૭
સમ્યગ્દ્રષ્ટિ
મુક્ત જ છે;––કેમ?
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની દ્રષ્ટિ અંતરના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર છે,
ક્ષણિક રાગાદિ ઉપર તેની દ્રષ્ટિ નથી. આ રીતે તેની દ્રષ્ટિમાં રાગાદિનો
અભાવ હોવાથી સંસાર ક્યાં રહ્યો? રાગરહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ
હોવાથી તે મુક્ત જ છે, ––તેની દ્રષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની
દ્રષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિ બંધભાવને પોતામાં
સ્વીકારતી નથી, માટે સ્વભાવદ્રષ્ટિવંત સમકિતી મુક્ત જ છે.
शुद्धस्वभावनियतः स हि मुक्त एव
શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો જ્ઞાની ખરેખર મુક્ત જ છે.

PDF/HTML Page 3 of 25
single page version

background image
દસલક્ષણી પર્યુષણપર્વ :– સોનગઢમાં દસલક્ષણીપર્વ આ વખતે વિશેષ ધામધૂમથી ઊજવાયા
હતા. તીર્થયાત્રા પછીના આ પહેલાં જ પર્યુષણ હોવાથી અને શ્રી જિનમંદિર પણ વિશાળ થઈ ગયું
હોવાથી પૂજનાદિ વિધિ બહુ ઉત્સાહથી થયા હતા. દસલક્ષણ ધર્મનું મોટું મંડલ બનાવીને હમેશાં ઉત્તમ
ક્ષમાદિ ધર્મોનું સમૂહપૂજન થયું હતું. તે ઉપરાંત સોળ કારણ–ભાવનાનું પૂજન–
दरशविशुद्धि भावना
भाय... सोलह तीर्थंकर पद पाय... ઈત્યાદિ થયું હતું, તેમાં ભક્તોને ઉલ્લાસ આવતો હતો. આ
સિવાય છેલ્લા દિવસોમાં રત્નત્રયપૂજન વગેરે પણ થયું હતું.
પ્રવચનમાં પહેલાંં “સરસ્વતી–સ્તોત્ર” વંચાયું હતું––તેમાં જ્ઞાનના બહુમાનની અદ્ભુત વાત
આવી હતી. ત્યારબાદ “આલોચના અધિકાર” ઉપર પ્રવચનો થયા હતા, તેમાં પણ રત્નત્રયશુદ્ધિની
ઘણી સરસ ભાવના આવી હતી. આ ઉપરાંત હમેશાંં ઉત્તમ ક્ષમાદિધર્મનું સ્વરૂપ પદ્મનંદીપચીસીમાંથી
વંચાતું હતું. બપોરે સમયસાર સર્વવિશુદ્ધિ અધિકાર વંચાતો હતો. આ ઉપરાંત છેલ્લા દિવસોમાં શ્રી
ષટ્ખંડાગમ પુસ્તક ૮ માંથી તીર્થંકરપ્રકૃતિના કારણરૂપ ૧૬ ભાવનાઓનું વર્ણન પૂ. ગુરુદેવે પ્રવચનમાં
વાંચ્યું હતું.
ભાદરવા સુદ પાંચમે શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી... રથમાં બિરાજમાન શ્રી
જિનેન્દ્ર ભગવાનનું પાવનદ્રશ્ય ખાસ દર્શનીય હતું. ભાદરવા સુદ છઠ્ઠે શ્રી જિનવાણીમાતાની રથયાત્રા
નીકળી હતી... ભાદરવા સુદ ચૌદસના રોજ અભિષેક તથા સ્વાધ્યાય થયા હતા. સુગંધદસમીનો દિવસ
દસપૂજન, દસસ્તોત્ર ઈત્યાદિ વિધિથી વિશેષરૂપે ઊજવાયો હતો. ભાદરવા સુદ પુનમે
જિનવાણીમાતાની રથયાત્રા નીકળી હતી, તથા એક દિવસે જ્ઞાનપૂજન થયું હતું. ભાદરવા વદ એકમના
રોજ ક્ષમાપનાવિધિ તેમજ શ્રી મહાવીર ભગવાનનો ૧૦૮ કલશોથી મહાઅભિષેક થયો હતો.
જિનમંદિરમાં હમેશાં અદ્ભુત જિનેન્દ્રભક્તિ થતી હતી... ક્યારેક ક્યારેક વીતરાગી વનવાસી
મુનિવરોની પણ અદ્ભુત ભક્તિ થતી હતી.
આ રીતે, શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રની અતિશય ભક્તિપૂર્વક તેમજ રત્નત્રય–ધર્મની ભાવનાપૂર્વક
દસલક્ષણીપર્વ આનંદથી ઊજવાયા હતા. સોનગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા અનેક શહેરોમાં પણ
દસલક્ષણીપર્વ ધામધૂમથી ઊજવાયા હતા.
***
જૈન વિદ્યાર્થીગૃહનું ઉદ્ઘાટન:– ભાદરવા સુદ ત્રીજના રોજ સોનગઢના જૈન વિદ્યાર્થીગૃહના નવા
મકાનનું ઉદ્ઘાટન શેઠશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયાના સુહસ્તે થયું હતું. આ પ્રસંગે પૂ. ગુરુદેવશ્રી
બોર્ડિગમાં પધાર્યા હતા... શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ પૂ.
ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું અને ભેદવિજ્ઞાનરૂપ સમ્યગ્વિદ્યાનો મહિમા સમજાવ્યો હતો.
“આત્મધર્મ” નું લવાજમ આવતી સાલથી રૂા. ૩–૦–૦ ને બદલે ૪–૦–૦ કરવામાં આવ્યું છે.
સર્વે ગ્રાહકોને નવા વર્ષનું લવાજમ વહેલાસર મોકલાવી દેવા વિનંતિ કરવામાં આવે છે. આસો
માસનો અંક આસો સુદ દસમે પ્રસિદ્ધ કરવા જણાવેલ, તેને બદલે આસો વદ ચોથના રોજ પ્રસિદ્ધ થશે,
તેની નોંધ લેવા ગ્રાહકોને વિનંતિ છે.
વાર્ષિક લવાજમ રૂપિયા ચાર ::: છૂટક નકલ પાંચ આના

PDF/HTML Page 4 of 25
single page version

background image

વર્ષ ચૌદમું : અંક ૧૧ મો
સમ્પાદક : રામજી માણેકચંદ દોશી ભાદરવો : ૨૪૮૩
આત્મવાત્સલ્ય
અહો! જેણે આત્માનું હિત કરવું હોય, ખરું સુખ જોઈતું
હોય, તેણે આત્માનો પરમપ્રેમ કરવા જેવો છે. શ્રીમદ્
રાજચંદ્ર પણ કહે છે કે :– –
“જગત ઈષ્ટ નહીં આત્મથી”
––એટલે જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે
તેને જગત કરતાં આત્મા વહાલો છે, આત્મા કરતાં જગતમાં
કાંઈ તેને વહાલું નથી. આચાર્ય ભગવાન કહે છે કે: હે
ભવ્ય!
“આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.”
ધર્માત્માને જગતને વિષે પોતાનો રત્નત્રયસ્વરૂપ
આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય
નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને પોતાના
રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી
પરમવાત્સલ્ય હોય છે. પોતાને રત્નત્રયધર્મમાં પરમવાત્સલ્ય
હોવાથી બીજા જે જે જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના
પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઉભરો આવ્યા વિના રહેતો નથી.

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
[૩૧–૩૨]
* એકત્વશક્તિ તથા અનેકત્વશક્તિ *
ધર્માત્માએ નિજ શુદ્ધાત્મદ્રવ્યનો સ્વીકાર કરીને પરિણતિને તે
તરફ વાળી છે એટલે તેને મુક્તિ તરફ જ ક્ષણે ક્ષણે પરિણમન ચાલી
રહ્યું છે, તે મુક્તિપુરીનો પ્રવાસી થયો છે; તેથી “હવે મારે અનંત
સંસાર હશે? ” એવી શંકા તેને ઊઠતી જ નથી. એને ભવનો સંદેહ
ટળ્‌યો છે ને એ મોક્ષના પંથે વળ્‌યો છે. એની શ્રદ્ધાનું જોર સ્વ તરફ
વળ્‌યું છે, એના જ્ઞાને શુદ્ધદ્રવ્યને સ્વજ્ઞેય કર્યું છે, એનો પુરુષાર્થ
સ્વદ્રવ્ય તરફ ઝૂકી ગયો છે; એને કષાયોનું વેદન છૂટીને આત્માના
શાંત રસનું વેદન થયું છે; આ રીતે આખી પરિણતિમાં નવી જાગૃતિ
આવી ગઈ છે.. ને તે જીવ ભગવાનના માર્ગમાં ભળ્‌યો છે. આવી
છે... ધર્મીની અપૂર્વ દશા!
જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનંતશક્તિઓ હોવાથી તે અનેકાન્તસ્વરૂપ છે, તેનું આ વર્ણન ચાલે છે. ત્રીસ
શક્તિઓનું વર્ણન થઈ ગયું છે, હવે એકત્વશક્તિ તથા અનેકત્વશક્તિનું સ્વરૂપ કહે છે.
“અનેક પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ છે.” અને “એક દ્રવ્યથી વ્યાપ્ય જે
અનેક પર્યાયો તે–મય–પણારૂપ અનેકત્વ શક્તિ છે.” જ્ઞાનમાત્ર આત્મા સ્વયમેવ આવી શક્તિવાળો છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા ક્યાંય પરમાં કે વિકારમાં વ્યાપેલો નથી પણ પોતાના અનેક ગુણપર્યાયોમાં એકપણે
વ્યાપેલો છે. ધર્મી જાણે છે કે મારી અનેક પર્યાયોમાં મારો આત્મા જ વ્યાપેલો છે, કર્મ કે વિકાર મારી પર્યાયમાં
વ્યાપેલા નથી. વિકાર તો બીજી ક્ષણે જ નાશ થઈ જાય છે, તેનામાં એવી શક્તિ નથી કે લંબાઈને બધી પર્યાયોમાં
વ્યાપે; આત્મસ્વભાવમાં જ એવી શક્તિ છે કે બધી પર્યાયોમાં વ્યાપે છે. આવું ભાન થતાં વ્યાપક–વ્યાપ્યની
એકતાથી (અર્થાત્ દ્રવ્ય પર્યાય–

PDF/HTML Page 6 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૫ :
ની એકતાથી) નિર્મળ પર્યાયો જ થાય છે. અનેક નિર્મળ પર્યાયોમાં વ્યાપવા છતાં આત્મા પોતે દ્રવ્યપણે તો
એક જ રહે છે, દ્રવ્યપણે કાંઈ પોતે અનેક થઈ જતો નથી એવી તેની એકત્વશક્તિ છે. અને દ્રવ્યપણે એક
હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે–એવી તેની અનેકત્વશક્તિ છે. આ રીતે એકપણું ને
અનેકપણું બંને શક્તિઓ આત્મામાં એક સાથે છે. તેમાં ‘એકત્વ’ તે દ્રવ્યાર્થિકનયથી છે અને તેની સાથે
“અનેક પર્યાયોમાં વ્યાપક” એમ કહીને પર્યાય પણ બતાવી; તથા બીજા બોલમાં ‘અનેકત્વ’ કહ્યું તે
પર્યાયાર્થિકનયનો વિષય છે અને તેની સાથે “એક દ્રવ્યથી વ્યાપ્ય” એમ કહીને દ્રવ્ય પણ સાથે જ રાખ્યું
છે. દ્રવ્યનું લક્ષ છોડીને એકલું અનેકપણું માને તો તે યથાર્થ નથી. તે જ પ્રમાણે નિર્મળ પર્યાયો વિનાનું
એકલું દ્રવ્ય માને તો તે પણ યથાર્થ નથી. દ્રવ્ય અને નિર્મળ પર્યાય એ બંનેને વ્યાપક–વ્યાપ્ય તરીકે સાથે ને
સાથે રાખીને આચાર્યદેવે અદ્ભુત વર્ણન કર્યું છે.
આત્મા પરથી ને વિકારથી તો અતત્ છે એટલે તેમાં તે વ્યાપ્યો નથી–એ વાત પહેલાંં બતાવી, તો
આત્મા ક્યાં રહે છે? કે પોતાની અનેક નિર્મળ પર્યાયોમાં રહે છે. આત્મા ફેલાઈને–વિસ્તાર પામીને પરમાં
ન વ્યાપે પણ પોતાની પર્યાયમાં વ્યાપે. અહીં નિર્મળ પર્યાયોની જ વાત છે. એક પછી એક પર્યાયમાં શુદ્ધતા
વધતી જાય છતાં તે બધી પર્યાયો આત્મામાં જ અભેદ થાય છે, અનેક પર્યાયો થવાથી આત્માની એકતા
તૂટતી નથી. સમ્યગ્દર્શનની શરૂઆત વખતે પણ તે જ છે ને કેવળજ્ઞાન વખતે પણ તે જ છે; એ રીતે અનેક
નિર્મળ પર્યાયપણે થવા છતાં પોતે ચૈતન્યસ્વરૂપે એક જ છે. જ્ઞાનપર્યાયમાં આત્મા, દર્શનમાં આત્મા,
આનંદમાં આત્મા, એમ અનંત ગુણોની પર્યાયમાં રહેલો હોવા છતાં, જ્ઞાનનો આત્મા જુદા, દર્શનનો આત્મા
જુદો ને આનંદનો આત્મા જુદો––એમ કાંઈ આત્માનું ભિન્નપણું નથી, આત્મા તો એક જ છે. “જગતમાં
બધા થઈને એક જ આત્મા (અદ્વૈતબ્રહ્મ) છે” એ વાત જૂઠી છે, તેની અહીં વાત નથી. જગતમાં તો
અનંતાનંત જીવાત્માઓ ભિન્ન ભિન્ન છે, પણ તેમાંથી વ્યક્તિદીઠ એકેક આત્મા પોતપોતાના અનંત
ગુણપર્યાયોમાં એકપણે રહ્યો છે, પરથી તો ભિન્નપણે રહ્યો છે. પરમાં તારો આત્મા નથી માટે પરનું લક્ષ
છોડ; દેહમાં–વાણીમાં–મનમાં ‘આત્મા’ એવા શબ્દમાં–કર્મમાં કે રાગમાં ક્યાંય તારો આત્મા નથી માટે તે
બધાયનું લક્ષ છોડ; તારા અનેક ગુણ–પર્યાયોમાં તારો આત્મા રહેલો હોવા છતાં તે અનેકપણે ખંડિત થઈ
ગયો નથી પણ એકપણે જ રહ્યો છે, માટે અનેકના ભેદનું પણ લક્ષ છોડીને, દ્રવ્યસ્વભાવની એકતાનું
અવલંબન કર. તે એકતાના અવલંબને અનેક નિર્મળ પર્યાયો થઈને તે એકતામાં જ ભળી જશે.
અનાદિથી એકલી વિકારી પર્યાય થઈ તેમાં ખરેખર આત્મા વ્યાપ્યો જ નથી, કેમકે વિકારી પર્યાય
સાથે આત્મસ્વભાવની એકતા નથી. નિર્મળ પર્યાય જ અંતરમાં વળીને સ્વભાવ સાથે એકમેક થાય છે તેથી
તેમાં જ આત્મા વ્યાપક છે. અહો! વિકારી પર્યાયમાં પણ આત્મા નથી રહ્યો તો પછી શરીરાદિ જડમાં તો
આત્મા ક્યાંથી હોય? શરીરમાં આત્મા નથી રહ્યો–એ વાત સાંભળતા અજ્ઞાની તો ભડકે છે કે અરે! શું
આત્મા આ શરીરમાં નથી? તો આત્મા ક્યાં રહ્યો હશે? શું આકાશમાં રહ્યો હશે? ” –અરે ભાઈ! ધીરો
થા, ધીરો થા. શરીર પણ જડ છે ને આકાશ પણ જડ છે, –શું આત્મા જડમાં રહે? કે જડથી ભિન્ન રહે?
આત્મા શરીરમાં નથી ને આકાશમાં પણ નથી, આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણ–પર્યાયોમાં
જ છે. ભાઈ! તારા ગુણ–પર્યાયોથી બહાર બીજે ક્યાંય તારો આત્મા નથી. જડ શરીરાદિમાં આ ચૈતન્યમૂર્તિ
આત્મા કદી રહ્યો જ નથી, તો પછી આત્મા તે શરીરાદિનાં કામ કરે એ વાત ક્યાં રહી? –એ તો ગઈ
અજ્ઞાનીની ભ્રમણામાં! અજ્ઞાનીને ભ્રમ થાય છે કે અમે આ ખાવું–પીવું–બોલવું બધું કરીએ છીએ ને! –પણ
ભાઈ! તું એટલે કોણ? તું જડ કે તું આત્મા? આત્મા આત્મામાં રહે કે જડમાં? ખાવું–પીવું–બોલવું તે
ક્રિયાઓ તો જડ શરીરમાં થાય છે, તે જડના સ્વભાવથી થાય છે, તારો સ્વભાવ તો જ્ઞાન છે, તું તો તેનો
જાણનાર જ છો. જડની વાત તો ક્યાંય ગઈ, પણ અહીં તો કહે છે કે એકલા રાગાદિ વિકારમાં જ આત્મા
રહેલો છે એમ અનુભવનાર પણ મિથ્યાદ્રષ્ટિ જ છે.
જેમ શ્રીફળનો ગોટો બહારના છાલામાં નથી ને અંદરની રાતી છાલમાં પણ નથી, શ્રીફળનો ગોટો
તો સફેદ અને મીઠાશરૂપ પોતાના સ્વભાવમાં જ છે, તેમ

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
આ ચૈતન્યગોળો ભગવાન આત્મા છે તે બહારના છોતા જેવા આ જડ શરીરમાં નથી, અને અંદરની રાતી છાલ
જેવા રાગાદિ વિકારમાં પણ નથી, ચૈતન્યમૂર્તિ આત્મા તો જ્ઞાન ને આનંદરૂપી પોતાના સ્વભાવમાં જ છે. એકલી
રાતી છાલને જ ખાઈને તેને શ્રીફળનો સ્વાદ માને તો ખરેખર તેણે શ્રીફળને જાણ્યું નથી, તેમ એકલા રાગના
અનુભવને જ આત્માનો સ્વાદ જે માને તેણે ખરેખર આનંદમૂર્તિ આત્માને જાણ્યો જ નથી. રાગમાં–પુણ્યમાં
આત્માનો વિસ્તાર નથી, રાગથી તો આત્માના પરિણમનનો સંકોચ થાય છે. આત્માનો વિકાસ અને વિસ્તાર
તો પોતાની નિર્મળ પર્યાયમાં જ છે. એકલું દ્રવ્ય પોતાના અનંત ગુણપર્યાયોના વિસ્તારમાં પહોંચી વળે છતાં
પોતે એકપણું છોડીને ખંડિત ન થાય એવી આત્માની શક્તિ છે. આવી શક્તિવાળા આત્માને જાણવો તે
અપૂર્વધર્મ છે. આવા આત્માની સમજણ વગર જે ધર્મ મનાવે છે–રાગથી ધર્મ મનાવે છે–તે પોતાના ચૈતન્યમૂર્તિ
આત્માનો અનાદર કરે છે, ભગવાનના માર્ગનો અનાદર કરે છે, ને ભવભ્રમણના માર્ગને આદરી રહ્યો છે.
કોઈ મારે કે ગાળ દે છતાં ક્રોધ ન કરવો તે ધર્મ–એમ સામાન્ય મંદકષાયમાં જ મૂઢ જીવો ધર્મ માની લ્યે
છે, પણ તેમાં ચૈતન્યસ્વરૂપ આત્માના અનાદરરૂપ અનંતક્રોધ છે–તેની તેઓને ખબર નથી. ‘અરે, મારા
અશુભકર્મનો ઉદય છે, તેમાં કોઈ બીજાનો વાંક નથી’ એમ એકલા કર્મની ઓથે ક્ષમા રાખે, તો તે પણ ખરેખર
ક્ષમા નથી; તેણે આત્માને યાદ ન કર્યો પણ કર્મને યાદ કર્યું–તે જ ઊંધી દ્રષ્ટિ છે. અહો, હું તો ચૈતન્યસ્વભાવ છું.
ક્રોધ મારા સ્વભાવમાં છે જ નહિ એવું જેને સમ્યગ્ભાન છે તેને અનંતક્રોધનો નાશ થઈ ગયો છે, કદાચિત્ કોઈ
પ્રત્યે તેને ક્રોધ થાય તો પણ તે ક્રોધ અનંતો અલ્પ છે, અને અજ્ઞાની કદાચ ક્રોધ ન કરે તોપણ તેને ઊંધા
અભિપ્રાયમાં જ અનંતા ક્રોધનું જોર ભર્યું છે. ચૈતન્યસ્વરૂપ આત્માના અવલંબન વિના ધર્મ થાય જ નહિ, ને
દોષ ખરેખર ટળે જ નહિ.
શરીરમાં કે રાગમાં તો આત્મા નથી; નિર્મળ પર્યાય થઈ તેમાં આત્મા વ્યાપક છે પરંતુ તે એક જ પર્યાય
જેટલો આખો આત્મા નથી, આત્મામાં તો એવી અનંત પર્યાયોમાં વ્યાપવાની તાકાત છે. –આવા આત્મા ઉપર
ધર્મીની દ્રષ્ટિની મીટ છે, આવા આત્માને શ્રદ્ધામાં લઈને તેમાં જ પર્યાયને એકાગ્ર કરી છે, ને તે જ ધર્મીનો ધર્મ
છે. ધર્મી એટલે આત્મદ્રવ્ય અને ધર્મ એટલે તેની નિર્મળ પર્યાય; ધર્મીનો ધર્મ તેનાથી જુદો નથી, ધર્મ ધર્મી સાથે
એકમેક છે.
ક્યાં રહેવું? –કે દિલ્હીમાં; તેમ અહીં પૂછે છે કે ક્યાં રહેવું? તો ધર્મી કહે છે કે અમારી નિર્મળ
પર્યાયમાં; અમારી નિર્મળ પર્યાય તે જ અમારું પાટનગર છે. રાજા જ્યાં રહે તેને પાટનગર કહેવાય ને તે
નગર ઉપર કોઈ જાતનો કરનો બોજો ન હોય–એમ અગાઉના વખતમાં હતું, તેમ આ ચૈતન્યરાજા પોતાની
નિર્મળ પર્યાયરૂપ પાટનગરમાં રહે છે, ને તે નિર્મળ પર્યાય ઉપર કોઈ જાતનો કર એટલે કે વિકાર કે કર્મનો
બોજો નથી. દેશમાં કે દેહમાં તો આત્મા રહ્યો જ નથી, તો પછી તેની વાત ક્યાં રહી? સ્વભાવમાંથી નિર્મળ
પર્યાય પ્રગટ કરીને તેમાં આત્મા રહે છે. સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની નિર્મળ પર્યાય થઈ તેમાં આત્મા પોતે
વ્યાપ્યો છે. કોઈ રાગનો–વ્યવહારનો વિસ્તાર થઈને સમ્યગ્દર્શન થયું એમ નથી પણ આત્મા પોતે વિસ્તારરૂપ
થઈને સમ્યગ્દર્શનમાં ફેલાયો છે. આત્માની નિર્મળ પર્યાયોમાં રાગાદિ નથી રહેતા, આત્માની નિર્મળપર્યાયમાં
આત્મા પોતે જ રહે છે, આવા આત્મા ઉપર ધર્મીની દ્રષ્ટિ છે. એકલી પર્યાય ઉપર પણ તેની દ્રષ્ટિ નથી, પરંતુ
પર્યાય જેમાંથી આવી એવા શુદ્ધ દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ છે, એટલે તે દ્રષ્ટિ અને દ્રવ્ય બંને એકાકાર થઈ ગયા
છે. સમ્યગ્દર્શનની શરૂઆતથી માંડીને સિદ્ધદશા સુધીની બધી પર્યાયોમાં સળંગપણે એક આત્મા રહેલો છે, તે
એકના આશ્રયે જ અનેક નિર્મળ પર્યાયો થતી જાય છે. બસ! નિર્મળ પર્યાયને આ એકનો જ આશ્રય છે, એ
સિવાય બહારમાં કોઈ બીજાનો–રાગનો, નિમિત્તોનો, કે દેવ–શાસ્ત્ર–ગુરુનો આશ્રય ખરેખર નથી. શુદ્ધ
ચૈતન્યદ્રવ્યના આશ્રયે જ મોક્ષમાર્ગ પ્રગટે છે, ટકે છે ને વધે છે એ સિવાય વ્યવહાર–રાગ કે નિમિત્તોના
આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટતો નથી, ટકતો નથી ને વધતો નથી. અરે! મોક્ષમાર્ગની જે પર્યાય છે તે પર્યાયના
આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી, શુદ્ધદ્રવ્યના જ આશ્રયે મોક્ષમાર્ગ છે. આત્મા દ્રવ્યસ્વરૂપે એકપણે રહેતો હોવા
છતાં, અનેક નિર્મળપર્યાયોરૂપ અનેકપણે પણ પોતે જ થાય છે. એકતારૂપ રહેવું તેમજ અનેકતારૂપે થવું–એ
બંને સ્વભાવ એક આત્મામાં રહેલા છે. સર્વથા એકરૂપ જ રહે તો એક

PDF/HTML Page 8 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૭ :
પર્યાય પલટીને બીજી વિશેષ નિર્મળ પર્યાયરૂપે નિર્મળ કોણ થાય? અને જો સર્વથા અનેકરૂપ જ થઈ જાય તો
પર્યાય કોના આશ્રયે થાય? માટે આત્મામાં એકત્વ તેમજ અનેકત્વ એવી બંને શક્તિઓ છે.
જો એકત્વશક્તિ ન હોય તો અનેક ગુણ–પર્યાયોમાં વસ્તુ પણ અનેક ખંડખંડરૂપ થઈ જાય, અર્થાત્ જેટલા
ગુણો ને જેટલી પર્યાયો તેટલી જ જુદી જુદી વસ્તુઓ થઈ જાય, એટલે અનંતગુણ–પર્યાયરૂપ વસ્તુ સિદ્ધ જ ન
થાય, માટે, અનંતગુણ–પર્યાયોમાં એકપણે વ્યાપીને રહેવારૂપ એકત્વ શક્તિ છે, તે અનંતગુણપર્યાયોમાં દ્રવ્યની
અખંડતા ટકાવી રાખે છે.
એ જ પ્રમાણે જો અનેકત્વશક્તિ ન હોય તો એક વસ્તુમાં અનંતગુણપર્યાયો ક્યાંથી હોય? વસ્તુ એક
હોવા છતાં ગુણ–પર્યાયો અનંત છે. દ્રવ્યરૂપે એક જ રહીને આત્મા પોતે પોતાના અનંતગુણપર્યાયોમાં રહ્યો છે.
એ રીતે અનેકપણું પણ છે.
એકપણું કે અનેકપણું તે બંનેમાં પરથી તો આત્મા જુદો જ છે ને વિકારથી પણ જુદો છે. એકપણું તો
દ્રવ્યથી છે ને અનેકપણું ગુણ–પર્યાયોથી છે. પરને લીધે તે ધર્મ નથી તેથી પરસન્મુખતાથી એકતાની કે
અનેકતાની ઓળખાણ થતી નથી, એકતારૂપે કે અનેકતારૂપે આત્મા પોતે જ છે તેથી આત્મસન્મુખતાથી જ તેની
યથાર્થ ઓળખાણ થાય છે.
એકેક આત્મામાં અનંત ગુણો, ને તે અનંત ગુણોની અનંત પર્યાયો, તેમાં આત્મા વ્યાપક છે, તેથી
આત્મામાં અનેકતા પણ છે. પર્યાય તે વ્યાપ્ય (રહેવા યોગ્ય) છે અને આત્મા તેમાં વ્યાપક (રહેનાર) છે.
આત્માને વ્યાપવા યોગ્ય પર્યાય એક જ નથી પણ અનેક પર્યાયો છે, તે અનેકપણે થતો હોવાથી આત્મા
અનેકરૂપ છે. સ્વભાવના આશ્રયે નિર્મળ ક્રમબદ્ધપર્યાયો એક પછી એક થાય તે જ આત્માનું ખરું વ્યાપ્ય છે;
રાગાદિ તેનું ખરું વ્યાપ્ય નથી, અને દેહાદિમાં તો આત્મા કદી વ્યાપ્યો જ નથી.
આત્માની સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? શું નિમિત્ત તેમાં વ્યાપે છે?
ના; શું રાગ તેમાં વ્યાપે છે? ના; શું પૂર્વની પર્યાય તેમાં વ્યાપે છે? ના; શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મા પોતે જ
પરિણમીને તે સમ્યગ્દર્શનાદિ પર્યાયોમાં વ્યાપે છે, માટે હે જીવ! તારી નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે તારે તારા
શુદ્ધઆત્મામાં જ જોવાનું રહ્યું–તેનું જ અવલંબન કરવાનું રહ્યું; પણ કોઈ નિમિત્તનું, રાગનું કે પર્યાયનું અવલંબન
ન રહ્યું. તારો એક આત્મા જ તારી બધી પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તેની શક્તિ છે, એટલે તારી પર્યાય માટે
તારે બીજા કોઈ દ્રવ્યોની સામે જોવાનું રહેતું નથી; તારા સ્વદ્રવ્યની જ સન્મુખ જોવાનું રહે છે. આત્માનું આવું
સ્વરૂપ જે સમજે તેને પરથી પરાડ્મુખતા અને સ્વની સન્મુખતાવડે નિર્મળ પર્યાયો થાય છે, એ જ ધર્મ છે.
જેમ કડું–હાર–મુગટ વગેરે બધી અવસ્થાઓમાં એક સોનું જ ક્રમસર વ્યાપે છે, પણ તેમાં કાંઈ સોની
એરણ કે હથોડી વ્યાપતા નથી; એ રીતે આત્માની બધી પર્યાયોમાં પણ આત્મા એક જ વ્યાપે છે, અન્ય કોઈ
તેમાં વ્યાપતું નથી. ઉપાદાન અને નિમિત્ત બંને ભેગા થઈને કાર્ય કરે એમ જે માને છે તે એક પર્યાયમાં અનેક
દ્રવ્યોને વ્યાપક માને છે. તેને સ્વ–પરનું ભેદજ્ઞાન નથી. આત્માની પર્યાયમાં પર તો વ્યાપ્યું નથી પણ જે
પર્યાયમાં એકલા ક્રોધાદિ વ્યાપે તેને પણ આત્મા કહેતા નથી. આત્માની પર્યાય તો તેને જ કહેવાય કે જેમાં
આત્માનો સ્વભાવ વ્યાપે. ક્રોધાદિ ભાવો ખરેખર આત્માના સ્વભાવથી વ્યપાયેલા નથી. ––આવા
આત્મસ્વભાવને જેણે નક્કી કર્યો તેની પર્યાયમાં આત્મા વ્યાપ્યો ને ક્રોધાદિ ન વ્યાપ્યા. ક્રોધમાં વ્યાપે તે હું નહિ;
શુદ્ધતામાં વ્યાપું તે જ હું–એમ નક્કી કરતાં ક્રોધ તરફનું જોર તૂટી ગયું ને શુદ્ધસ્વભાવ તરફનું જોર વધી ગયું––
આવી સાધકદશા છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
જુઓ, આત્માની સમ્યક્ પ્રતીતિ આવું ફળ લેતી પ્રગટે છે. જો આવું ફળ ન આવે તો આત્માની ખરી
પ્રતીતિ નથી. સમ્યક્પ્રતીતિ તો એવી છે કે આખા ભગવાન આત્માને પર્યાયમાં પ્રસિદ્ધ કરે છે. જો પર્યાયમાં
ભગવાન આત્માની પ્રસિદ્ધિ ન થાય તો ત્યાં સમ્યક્પ્રતીતિ નથી. મારી બધી શુદ્ધપર્યાયોમાં મારું દ્રવ્ય જ વ્યાપશે,
મારો આત્મા જ અનેક નિર્મળ પર્યાયોરૂપે તન્મય થઈને પરિણમશે–આમ જેણે નિશ્ચય કર્યો તેની શ્રદ્ધાનું જોર
સ્વદ્રવ્ય તરફ વળી ગયું, તેના જ્ઞાને શુદ્ધદ્રવ્યને સ્વજ્ઞેય કર્યું, તેનો પુરુષાર્થ સ્વદ્રવ્ય

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
તરફ ઝૂકી ગયો, કષાયોનું વેદન છૂટીને આત્માના શાંતસ્વભાવનું તેને વેદન થયું, અનાદિથી પર્યાયમાં એકલો વિકાર
વ્યાપતો તેને બદલે હવે અપૂર્વ નિર્મળ પર્યાયોમાં ભગવાન આત્મા વ્યાપ્યો, ––આ રીતે આખી પરિણતિમાં નવી
જાગૃતિ આવી ગઈ–નવું વેદન આવી ગયું;–આવી ધર્મીની અપૂર્વદશા છે. પહેલાંં આવા શુદ્ધદ્રવ્યની ખબર ન હતી ત્યારે
પર્યાય તે તરફ વળતી ન હતી ને તે પર્યાયમાં આત્મા વ્યાપતો ન હતો. હવે શુદ્ધ દ્રવ્યનો નિર્ણય કરીને પર્યાય તે તરફ
વળી ને તે પયાયમાં ભગવાન આત્મા વ્યાપ્યો––ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ, આત્મા કેવો છે તેની ખરી ખબર
પડી. તે જીવ હવે ભગવાનના માર્ગમાં ભળ્‌યો–આવો ભગવાનનો માર્ગ છે.
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કે સર્વજ્ઞનો નિર્ણય પણ આવા શુદ્ધદ્રવ્યના નિર્ણયથી જ થાય છે. જો કે પર્યાય
તો પહેલાંં પણ ક્રમબદ્ધ જ થતી હતી પણ અજ્ઞાનદશામાં તેનો નિર્ણય ન હતો, શુદ્ધદ્રવ્યના નિર્ણયપૂર્વક ક્રમબદ્ધ
પર્યાયની પ્રતીતિ યથાર્થ થઈ અને શુદ્ધતાનો ક્રમ પણ તેને શરૂ થઈ ગયો. શુદ્ધદ્રવ્ય તરફ વળીને જ્યાં ક્રમબદ્ધ
પર્યાયનો યથાર્થ નિર્ણય કરે ત્યાં એકલી અશુદ્ધતાનો ક્રમ રહે–એમ બને નહિ. આ રીતે શુદ્ધદ્રવ્યનો નિર્ણય,
સ્વસન્મુખદ્રષ્ટિ, સર્વજ્ઞનો નિર્ણય, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય, શુદ્ધપર્યાયના ક્રમની શરૂઆત, અપૂર્વ પુરુષાર્થ–એ
બધુંય એક જ સાથે છે.
“મારી પર્યાયોમાં બીજું કોઈ નહિ પણ મારો શુદ્ધ આત્મા જ વ્યાપનાર છે” –અહો! આ નિર્ણયમાં તો
આખો દ્રષ્ટિનો પલટો છે; આવો નિર્ણય કરનાર જીવ હવે ક્યાંય પણ પરાશ્રયબુદ્ધિમાં ન અટકતાં, સ્વદ્રવ્યનું
એકનું જ અવલંબન કરીને શુદ્ધપર્યાયોરૂપે પરિણમ્યા કરે છે. મારી જે જે પર્યાય પ્રગટે છે તે મારા આત્મ
દ્રવ્યમાંથી જ પ્રગટે છે–એમ તેને સમ્યક્ વિશ્વાસ થઈ ગયો હોવાથી પર્યાયે પર્યાયે આત્મદ્રવ્યનું જ અવલંબન તેને
વર્તે છે, અને આત્માનો સ્વભાવ શુદ્ધ હોવાથી તેના અવલંબને પરિણમતી પર્યાય પણ શુદ્ધ જ થાય છે. ધર્મીને
બધી પર્યાયોમાં આત્માનું જ અવલંબન છે. નિયમસારમાં કહ્યું છે કે––
મુજ જ્ઞાનમાં આત્મા ખરે,
દર્શન ચરિતમાં આત્મા,
પચખાણમાં આત્મા જ,
સંવર–યોગમાં પણ આતમા. ૧૦૦
ધર્મી જાણે છે કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે. મારા
પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે, ––આ બધી પર્યાયોની વાત
છે. ધર્મીની બધી પર્યાયો એક શુદ્ધ આત્માને જ ઉપાદેય કરીને પરિણમે છે, તેની પર્યાયમાં બીજું કાંઈ ઉપાદેય
નથી. ચોથા ગુણસ્થાનકવાળા ધર્મીને પણ આવી જ દ્રષ્ટિ હોય છે. આવી દશા વગર સમ્યગ્દર્શન હોતું નથી.
પર્યાયો એક પછી એક ક્રમબદ્ધ થાય છે ને તેમાં મારું શુદ્ધ દ્રવ્ય જ વ્યાપે છે. આમ જેણે નક્કી કર્યું તેના
શ્રદ્ધા–જ્ઞાનનું વલણ પર તરફથી છૂટીને સ્વદ્રવ્ય તરફ વળી ગયું ને તેની પર્યાયના ક્રમમાં નિર્મળતા શરૂ થઈ. જો
આમ ન થાય–રુચિ ન પલટે ને એકલી પર તરફની જ સાવધાની રહે–અને કહે કે ‘પર્યાય તો ક્રમબદ્ધ થયા કરે
છે’ –તો તે માત્ર પરની ઓથે ક્રમબદ્ધ પર્યાયની વાતો કરે છે, ખરેખર તેને ક્રમબદ્ધપર્યાયના સ્વરૂપનો નિર્ણય
થયો નથી; જો ખરો નિર્ણય હોય તો રુચિનું વલણ પલટે જ.
અહો, આચાર્યદેવે આ દરેક શક્તિઓના વર્ણનમાં ત્રિકાળી સ્વભાવ અને તેનું શુદ્ધ પરિણમન–એ બંને
સાથે ને સાથે જ બતાવ્યા છે. પર્યાયમાં શુદ્ધ શક્તિનો સ્વીકાર થતાં પર્યાય પણ તેમાં જ ભળી ગઈ, એટલે તે
પણ શુદ્ધ થઈ. આ રીતે અપૂર્વભાવે આત્માનો સ્વીકાર થતાં અપૂર્વ ધર્મ થયો. સર્વજ્ઞ ભગવાને જેમ કહ્યું તેમ તેણે
કર્યું તેથી તેણે જ ખરેખર સર્વજ્ઞને માન્યા, એ જ રીતે ગુરુને અને શાસ્ત્રને પણ તેણે ખરેખર માન્યા; ભગવાન
જે માર્ગે મુક્તિ પામ્યા તે માર્ગમાં તે ભળ્‌યો, તે સર્વજ્ઞનો નંદન થયો, ––સાધક થયો; એને ભવનો સંદેહ ટળ્‌યો, ને
એ મોક્ષના પંથે ચડયો. અને આવી દશા વગર દેવનો, ગુરુનો, શાસ્ત્રનો ક્રમબદ્ધપર્યાયનો દ્રવ્યનો, ગુણનો વગેરે
કોઈ પણ બાબતનો નિર્ણય ખરેખર સાચો કહેવાય નહીં, ને યથાર્થપણે ભવની શંકા તેને ટળે નહીં. ધર્મીને તો
શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર થયો છે ને પરિણતિ તે તરફ વળી છે એટલે મુક્તિ તરફ જ ક્ષણે ક્ષણે પરિણમન ચાલી રહ્યું
છે, તે મુક્તિપુરીનો

PDF/HTML Page 10 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૯ :
પ્રવાસી થયો છે તેથી ‘હવે મારે અનંત સંસાર હશે’ એવી શંકા તેને હોતી જ નથી, તેને સ્વભાવના જોરે એવી
નિઃશંકતા છે કે હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે, આત્માનો આનંદમય ચૈતન્ય સ્વભાવ છે, તે
સ્વભાવમાં ભવ નથી, સ્વભાવમાં શંકા નથી, સ્વભાવમાં ભય નથી, સ્વભાવમાં વિકાર નથી, ––આવા
સ્વભાવનો નિર્ણય કરીને જ્યાં તેની સન્મુખ પરિણમન થયું ત્યાં ભવ રહેતો નથી, શંકા રહેતી નથી, ભય રહેતો
નથી ને વિકાર રહેતો નથી, તેથી ધર્મી નિઃશંક છે, નિર્ભય છે, વિકારનો ને ભવનો તે નાશક છે, ને શુદ્ધતાનો તે
ઉત્પાદક છે; અલ્પકાળમાં પૂર્ણ વિકારનો નાશ ને શુદ્ધતાની ઉત્પત્તિ કરીને તે મુક્તિ પામે છે.
એક આત્મ દ્રવ્ય અનેક પર્યાયમય થવાની તાકાતવાળું છે, દ્રવ્ય પોતાની અનેક પર્યાયોમાં વ્યાપે એવી
તેની અનેકત્વ શક્તિ છે; એટલે પરના કારણે પર્યાય થાય એ વાત રહેતી નથી. જે વ્યાપે તે કર્તા, પર્યાયમાં દ્રવ્ય
જ વ્યાપે છે તેથી દ્રવ્ય જ પોતાની પર્યાયનું કર્તા છે. અનેક પર્યાયોમાં વ્યાપવારૂપ પોતાની શક્તિને ઓળખે તો
‘મારી પર્યાયનું કારણ પર હશે’ એવી માન્યતા રહે નહિ, પણ દ્રવ્યનો આશ્રય કરીને નિર્મળ પર્યાય થાય. અનેક
પર્યાયો થતી હોવા છતાં મારી બધી પર્યાયો મારા એક આત્માથી જ વ્યાપ્ય છે, બીજા કોઈથી વ્યાપ્ય નથી, એમ
નક્કી કરીને હે જીવ! પર્યાયને વાળ તારા દ્રવ્યમાં.
પર્યાયનો સ્વભાવ એવો છે કે તે દ્રવ્યથી વ્યપાય અને દ્રવ્યનો સ્વભાવ એવો છે કે તે પર્યાયોમાં વ્યાપે.
એ રીતે જ્ઞાનપર્યાય પણ પોતાના દ્રવ્યથી વ્યાપ્ત થાય એવું તેનું સ્વરૂપ છે, છતાં તે જ્ઞાનપર્યાય પોતામાં વ્યાપક
એવા આત્મસ્વભાવને ન દેખતાં એકલા પરજ્ઞેયોને જ દેખે તો તે અજ્ઞાન છે, તેને ખરેખર આત્માની પર્યાય
કહેતા નથી, તેમાં આત્મા વ્યાપ્યો નથી. જ્ઞાનપર્યાય કોની છે? કે આત્મદ્રવ્યની; તે જ્ઞાનપર્યાયે આત્મદ્રવ્ય તરફ
ઝૂકીને તેનો નિર્ણય કરવો જોઈએ, તે ન કરતાં પર તરફ ઝૂકીને ‘રાગાદિ તે જ હું’ એમ માને છે તો તે જ્ઞાને
પોતાનું જ્ઞાન તરીકેનું કામ ન કર્યું, એટલે તે જ્ઞાન મિથ્યા થયું. પોતાની પર્યાયને પોતાના આત્માથી વ્યાપ્ત ન
કરતાં રાગથી જ વ્યાપ્ત કરી તો તેને ખરેખર આત્માની પર્યાય કહેતા નથી. આત્માની પર્યાય તો તેને કહેવાય કે
જેમાં આત્માની વ્યાપ્તિ હોય, આત્માની પ્રસિદ્ધિ હોય. અને જ્યાં સુધી જ્ઞાન અંતર્મુખ થઈને સ્વદ્રવ્યનો નિર્ણય ન
કરે ત્યાં સુધી પરનો પણ સાચો નિર્ણય કરવાની તાકાત તે જ્ઞાનમાં હોતી નથી, એટલે એવા જ્ઞાનને જ્ઞાન કહેતા
નથી, તે તો અજ્ઞાન છે.
મારી પર્યાયમાં મારું અખંડ દ્રવ્ય વ્યાપક છે––એમ નક્કી કરીને પછી જે જે પર્યાય થાય છે તે દરેક પર્યાય
ત્રિકાળી દ્રવ્યને સાથે ને સાથે રાખીને થાય છે, અર્થાત્ પર્યાયે પર્યાયે ત્રિકાળી દ્રવ્યનું અવલંબન વર્તે છે, અને
ત્રિકાળીદ્રવ્યના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે શુદ્ધપર્યાયો થતી જાય છે. ત્રિકાળી તત્ત્વના સ્વીકાર
વિના–આશ્રય વિના–પર્યાયની નિર્મળતા થતી નથી, સમ્યગ્જ્ઞાન થતું નથી, અને સમ્યગ્જ્ઞાન વગર નિમિત્તનું કે
વ્યવહારનું પણ ખરું જ્ઞાન થતું નથી.
અહીં ૩૨ મી શક્તિમાં બતાવવું છે તો અનેકપણું, પરંતુ તેની સાથે સાથે “એક દ્રવ્ય વ્યાપ્ય”... એમ
કહીને દ્રવ્ય દ્રષ્ટિ પણ ભેગી જ રાખી છે. આચાર્યદેવની ગજબ શૈલી છે, ઘણી ગંભીરતા ભરી છે. અનેક પર્યાય
થતી હોવા છતાં દ્રવ્યની એકતાનું અવલંબન છૂટતું નથી એટલે નિર્મળ–નિર્મળ પર્યાયો જ થતી જાય છે. ––એમ
સાધક ભૂમિકાથી વાત કરી છે. સાધકની શ્રદ્ધા ‘એક દ્રવ્ય’ તરફ વળી છે, તેનું જ્ઞાન ‘એક દ્રવ્ય’ તરફ વળેલું છે.
તેની એકાગ્રતા પણ ‘એક દ્રવ્ય’ તરફ જ છે. એ રીતે ‘એક દ્રવ્ય’ ને અવલંબીને જ (–શુધ્ધ આત્મસ્વભાવને
અવલંબીને જ) સાધક દશા વર્તી રહી છે, તેના જ અવલંબને શુધ્ધતા વધતાં વધતાં પૂર્ણ શુદ્ધતારૂપ સિદ્ધદશા
થઈ જશે.
મારી બધી પર્યાયો મારા એક દ્રવ્યથી જ વ્યાપ્ત છે–એમ નક્કી કરનારે કોની સામે જોઈને તે નક્કી કર્યું?
શું પરની સામે, વિકારની સામે કે એકલી પર્યાયની સામે જોઈને તે નક્કી કર્યું? ના, એની સામે જોઈને તે નક્કી
થઈ શકે નહિ; પણ પર્યાયને શુદ્ધ એકરૂપ દ્રવ્ય તરફ વાળીને–દ્રવ્ય સન્મુખ થઈને જ નક્કી કર્યું છે કે અહો! મારી
પર્યાયોમાં તો આવું આત્મદ્રવ્ય જ વ્યાપેલું છે; પરમાં કે વિકારમાં વ્યાપે એવું મારા આત્મદ્રવ્યનું સ્વરૂપ નથી,
પણ નિર્મળ પર્યાયોમાં

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
વ્યાપે એવું જ મારા આત્મદ્રવ્યનું ખરું સ્વરૂપ છે. મારો આત્મા પરમાં રહેલો નથી, મારો આત્મા રાગમાં રહેલો
નથી, મારો આત્મા તો ઉપયોગમાં રહેલો છે. અશુદ્ધ પર્યાયમાં શુદ્ધ દ્રવ્ય કઈ રીતે વ્યાપે? અશુધ્ધતા સાથે શુદ્ધ
દ્રવ્યની એકતા થઈ શકે નહિ; માટે રાગમાં આત્મા નથી આવતો. આત્મા તરફ વળવા માટે રાગ કામ નથી
આવતો, રાગનો તો અભાવ કરીને ઉપયોગ અંર્તમુખ થતાં તેમાં આત્મા આવે છે––આત્માનો અનુભવ થાય
છે. આ રીતે આ એકત્વશક્તિ કે અનેકત્વશક્તિથી આત્માનો નિર્ણય કરતાં પણ પર્યાય સ્વ તરફ જ વળી જાય
છે; ને શક્તિઓનું શુદ્ધ પરિણમન થઈને એક આત્મા પોતાની અનેક નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે. અજ્ઞાનદશામાં
પર્યાયમાં એકલો વિકાર વ્યાપતો તે અશુદ્ધ પરિણમન હતું, ને હવે સ્વાશ્રયે શુદ્ધ પરિણમન થતાં પર્યાયમાં આખો
ભગવાન આત્મા પોતે વ્યાપ્યો છે. આવું અનેકાન્તમૂર્તિ આત્માની ઓળખાણનું ફળ છે.
*
પરમાત્માની
વાણી..
ને... ધર્મનો ક્રમ
પરમાત્માની વાણી પરમાત્મા થવા માટે છે;
વીતરાગની વાણી વીતરાગતાની જ પોષક
હોય; રાગને જે પોષે તે વાણી વીતરાગની નહિ.
દેવ–ગુરુ–શાસ્ત્ર જ જેનાં ખોટા છે તેને
આત્માના જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધ પર્યાયની
સાચી શ્રદ્ધા હોતી નથી.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ–એ
પાંચ બંધના કારણો છે; તે ટાળવાનો ક્રમ એવો છે
કે પહેલાંં મિથ્યાત્વ ટળે; મિથ્યાત્વ ટળ્‌યા પછી જ
અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ અનુકમે ટળે. ––આ
જ ધર્મનો ક્રમ છે. જે જીવ સમ્યગ્દર્શન વગર
મુનિપણું વગેરે માને છે તે ધર્મના ક્રમને જાણતો
નથી.
સર્વજ્ઞની જેને પ્રતીત નથી તેને તો દેવની જ
ઓળખાણ નથી, મોક્ષતત્ત્વને પણ તે જાણતો નથી
ને આત્માના જ્ઞાનસ્વભાવને પણ તે જાણતો નથી;
એવા જીવને સમ્યગ્દર્શન કે મુનિપણું હોતું નથી.
ધર્મના ક્રમમાં સૌથી પહેલું સમ્યગ્દર્શન છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૧ :
જ્ઞાનીનું અંર્ત પરિણમન
[સમયસાર ગા. ૨૧૪ ના પ્રવચનમાંથી:
વીર સં. ૨૪૮૩, જેઠ સુદ ૧૪]
આત્મામાં જે રાગ–દ્વેષાદિ પરિણામો છે તેનું બહિર્મુખપણું છે, અને આત્માનો અંતર્મુખસ્વભાવ તો જ્ઞાન
ને આનંદ છે. ધર્મીને પોતાના અંતર્મુખસ્વભાવની દ્રષ્ટિના પરિણમનમાં રાગાદિ સાથે એકતા નથી, તેને પોતાના
જ્ઞાન–આનંદ સ્વભાવમાં જ એક્તા છે. જ્ઞાન–આનંદ–સ્વભાવનું જ અંર્ત અવલંબન ધર્મીને વર્તે છે, તે સિવાય
પરદ્રવ્ય અને પરભાવોમાં સર્વત્ર તે નિરાલંબન છે; પરભાવોનું અવલંબન ધર્મીની દ્રષ્ટિમાંથી છૂટી ગયું છે તેથી
તે સર્વત્ર નિરાલંબન છે, ને અંતરમાં જ્ઞાયક ભાવનું જ અવલંબન લઈને તે નિશ્ચલ જ્ઞાયક ભાવરૂપે જ રહે છે.
પર્યાયમાં અલ્પ રાગાદિ થાય છે પણ ધર્મી તે રાગ સાથે પોતાના ઉપયોગની એકતા કરતો નથી, ઉપયોગની
એકતા ચૈતન્યભૂમિમાં જ કરે છે. તેના અભિપ્રાયમાં સ્વભાવ અને વિભાવની ભિન્નતા જ વર્તે છે. એટલે
ધર્માત્માને જ્ઞાયકભાવ સાથેની એકતાના પરિણમનમાં રાગાદિ ભાવોની નિર્જરા જ થતી જાય છે ને શુદ્ધતા
વધતી જાય છે, એનું નામ ધર્મ છે.
અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબને સ્થિર રહેતાં આહાર આદિની વૃત્તિ જ છૂટી જાય તેનું નામ
ઉપવાસાદિ તપ છે. આવો તપ તો આનંદ અને શાંતિદાયક છે; પણ અજ્ઞાનીને તપમાં કષ્ટ લાગે છે,
જ્ઞાનસ્વભાવના અવલંબનની તેને ખબર નથી. છહ–ઢાળામાં કહે છે કે––
“आतम हित–हेतु विरागज्ञान,
ते लखें आपकुं कष्टदान।।”
જે જ્ઞાનવૈરાગ્ય આત્માના હિતનું કારણ છે તેને અજ્ઞાની કષ્ટરૂપ માને છે; અને રાગાદિભાવો પ્રગટપણે
દુઃખરૂપ હોવા છતાં અજ્ઞાની તેમાં ચેન માનીને તેનું સેવન કરે છે. તેથી તે અજ્ઞાની બાહ્ય પદાર્થોનું અવલંબન
છોડીને અંર્તસ્વભાવનું અવલંબન કરતો નથી.
ધર્મી શું કરે છે? સર્વત્ર બાહ્ય અવલંબન છોડીને અંતરના જ્ઞાયક સ્વભાવનું અવલંબન કરીને નિર્મળ
જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવે છે અને જ્ઞાયકભાવના અવલંબનમાં લીન રહેતાં, ગમે તેવા અનુકૂળ–પ્રતિકૂળ
પ્રસંગમાં રાગ–દ્વેષની ઉત્પત્તિ જ નથી થતી, તેનું નામ પરિષહજય છે. જ્ઞાનાનંદ સ્વભાવ જ આત્માનું ઈષ્ટ છે, ને
વિભાવ તે અનીષ્ટ છે. સર્વજ્ઞભગવાને ઈષ્ટની પ્રાપ્તિ કરી છે, ને અનીષ્ટનો નાશ કર્યો છે. પરદ્રવ્ય આત્માને કંઈ
ઈષ્ટ કે અનીષ્ટ નથી.
જુઓ, આ અમૃતચંદ્રાચાર્યનાં અમૃત ઘુંટાય છે.
અમૃતપિંડ જ્ઞાયકસ્વભાવ છે, તેમાં અંતર્મુખ થઈને તેની સાથે એકતા કરીને, ધર્મી જીવ એક
જ્ઞાયકભાવપણે જ રહે છે. ભિન્નભિન્ન પર્યાયો થતી હોવા છતાં

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
જ્ઞાયકસ્વભાવ સાથેની એકતા તૂટતી નથી, તેથી તે ‘એક જ્ઞાયકભાવ’ પણે જ રહે છે એમ કહ્યું.
જુઓ ભાઈ! આનંદ અને શાંતિ તો આત્મ વસ્તુમાં છે. આનંદ અને શાંતિ જ્યાં હોય ત્યાંથી
આવે કે બીજેથી? આનંદ અને શાંતિ અંતરમાં છે, તેમાં અંતર્મુખ થવાથી જ આનંદ અને શાંતિનો
અનુભવ થાય છે, બહારમાં કોઈના અવલંબને આનંદ કે શાંતિનું વેદન થતું નથી, અંતરમાં ભાવભાસન
થઈને સ્વભાવનો સ્વીકાર થવો જોઈએ. અનાદિથી બહિર્મુખપણે ક્ષણેક્ષણે રાગાદિ પરભાવની પક્કડ કરી
છે, તેને પલટીને પર્યાયને અંતર્મુખ કરીને જ્ઞાયકસ્વભાવનો જ્યાં સ્વીકાર થયો ત્યાં સ્વભાવના જ્ઞાન–
આનંદનું વેદન થતું. બહિર્મુખપણામાં અશાંતિ અને આકુળતાનું વેદન હતું. અંતર્મુખ થયો ત્યાં ધર્માત્માને
પોતાના જ્ઞાયકભાવ સિવાય બીજા કોઈ પણ પરભાવોની પક્કડ નથી, માટે તેને કોઈપણ પરભાવોનો
પરિગ્રહ નથી, તે એક જ્ઞાયકભાવપણાને લીધે અને સર્વ પરભાવોની પક્કડ છૂટી ગઈ હોવાને લીધે
અત્યંત નિષ્પરિગ્રહી છે. આમ અંતરમાં જ્ઞાયકભાવની પક્કડ થઈ છે, ત્યાં બહારના સમસ્ત પરભાવોની
પક્કડ છૂટી ગઈ છે, એ રીતે જ્ઞાની ને પરભાવોંનો જરાપણ પરિગ્રહ નહિ હોવાથી તેને નિર્જરા જ છે.
જેને જ્ઞાયકભાવની પક્કડ નથી ને રાગાદિ પરભાવોની પક્કડ છે તે અજ્ઞાની છે, ને તેને જ બંધન થાય છે.
જ્ઞાની ધર્માત્માને અંતરમાં જ્ઞાયકભાવ સાથેની એકતામાં રાગનો વિયોગ છે. હજી રાગ વર્તતો
હોવા છતાં તે રાગની ક્ષણે પણ ધર્મીને જ્ઞાયકસ્વભાવમાં જ એકતા છે ને રાગમાં એકતા નથી, માટે તેને
રાગનો વિયોગ છે. અને રાગનો વિયોગ હોવાથી પરદ્રવ્યનો સંયોગ તેને બંધનું કારણ થતો નથી, તેને
નિર્જરા જ થાય છે. જ્ઞાનીની દ્રષ્ટિનો સંબંધ આત્મા સાથે જોડાયો છે ને પરસાથેનો સંબંધ તૂટી ગયો છે,
તેથી પરદ્રવ્યનો પરિગ્રહ જ્ઞાનીને નથી, ને પરિગ્રહ નહિ હોવાથી તેને બંધન પણ થતું નથી, એટલે તેને
નિર્જરા જ થાય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી, ને રાગાદિ સાથે તથા પર સાથે એકતા
માનીને તેનો પરિગ્રહ કરે છે, તેનો એ પરસાથેનો મમત્વભાવ જ તેને બંધનું કારણ છે.
ભાઈ! તારું હિત કેમ થાય તેની આ વાત છે, તે એક વાર તું લક્ષમાં લે. અંતરમાં તારી ચીજ શું
છે તેની ઓળખાણ વગર બહારથી હિત આવે તેમ નથી. તારા હિતનું ધામ તો તારા આત્મામાં જ છે,
મારો આત્મા જ હિતનો ભંડાર છે, મારા આત્મા સિવાય આખા જગતમાં બીજા કોઈના આશ્રયે મારું
હિત નથી–એમ દ્રઢ નિર્ણય તો કર. જો આવો યથાર્થ નિર્ણય હશે તો પરિણતિનો વેગ અંર્તમુખ વળશે;
ને અંતર્મુખ વલણથી જ અપૂર્વ હિતની પ્રાપ્તિ થશે. અનંતઅનંત કાળના બહિર્મુખ વલણથી જે હિત પ્રાપ્ત
નથી થયું, તે અપૂર્વ હિતની પ્રાપ્તિ ક્ષણમાત્રમાં અંતર્મુખ વલણવડે થશે. અંતર્મુખ શોધ કરી કરીને જ
સંતોએ પોતાના પરમ હિતને સાધ્યું છે, ને તેઓ એ અંતર્મુખ થવાનો જ ઉપદેશ આપ્યો છે. આ અંતર્મુખ
થવાનો ઉપદેશ તે જ હિતોપદેશ છે; આ સિવાય બહિર્મુખપણાથી લાભ થવાનું જે કહેતા હોય તે
હિતોપદેશ નથી પણ મિથ્યા ઉપદેશ છે–એમ સમજવું.
ધર્મીને કેવી અંત્ પરિણતિથી નિર્જરા થાય છે, તેની આ વાત છે; નિર્જરા એટલે ક્ષણેક્ષણે શુદ્ધિની
વૃદ્ધિ, અશુધ્ધતાનો નાશ, અને કર્મોનું ઝરી જવું. “હું જ્ઞાન સ્વભાવ છું” એવી અંતરમાં જ્ઞાનસ્વભાવની
પકડને લીધે ક્ષણે ક્ષણે શુધ્ધતા જ થતી જાય છે. રાગ હોવા છતાં એક ક્ષણ પણ જ્ઞાનસ્વભાવની અધિકતા
છૂટીને રાગની અધિકતા ધર્મીને થતી નથી માટે ધર્મીને બંધન હોતું નથી પણ નિર્જરા જ થતી જાય છે.
ધર્મી જાણે છે કે હું તો એક જ્ઞાનભાવ જ છું, જ્ઞાનથી ભિન્ન કંઈ પણ મારું નથી; પરનાં કાર્યો
મારાં નથી. આવા સમ્યગ્જ્ઞાનવંત ધર્મી રાગથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળા છે; જેમ કમળ પાણીમાં
રહ્યું છતાં તે પાણીથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે તેમ જ્ઞાની રાગથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો
છે; રાગથી જ્ઞાન લેપાઈ જતું નથી, પણ રાગના ત્યાગરૂપ સ્વભાવે જ તે વર્તે છે. આ રીતે ભેદજ્ઞાનના
બળે જ્ઞાનીને સહજ વૈરાગ્ય હોય છે અને આવા જ્ઞાન–વૈરાગ્યના બળે તેને નિરંતર નિર્જરા જ થાય છે.

PDF/HTML Page 14 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૩ :
ज्ञानकला जिसके घट जागी
ते जगमाहीं सहज वैरागी।
ज्ञानी मगन विषयसुखमाहीं
यह विपरीत संभवे नाहीं।।
જુઓ, આ જ્ઞાનીની દશા! પંડિત બનારસીદાસજી કહે છે કે, અહો! જેનાં અંતરમાં ભેદજ્ઞાનરૂપ કળા
જાગી છે તે આ જગતમાં સહજ વૈરાગી છે; આવા જ્ઞાન–વૈરાગ્યવંત ધર્માત્મા બાહ્ય વિષયોમાં સુખ માનીને તેમાં
મગ્ન થાય, એવું વિપરીતપણું કદી સંભવતું નથી. જ્ઞાની જ્ઞાનસ્વભાવમાં મગ્ન છે, રાગ કે બાહ્ય વિષયો હોવા છતાં
તેમાં તે મગ્ન નથી, માટે જ્ઞાની કર્મથી લેપાતા નથી, તેને નવાં કર્મો બંધાતા નથી પણ જૂનાં કર્મો નિર્જરતા જ
જાય છે અજ્ઞાનીને તો જ્ઞાનસ્વભાવનું ભાન નથી, તે રાગમાં તથા વિષયોમાં જ લીનપણે વર્તે છે તેથી તે કર્મોથી
બંધાય છે. જ્ઞાનીનો સ્વભાવ, સોનાની જેમ કર્મપંકથી અલિપ્ત રહેવાનો છે, ને અજ્ઞાનીનો સ્વભાવ, લોઢાની જેમ
કર્મપંકથી લેપાવાનો છે.
હવે કહે છે કે, જ્ઞાનીએ પોતાના જ્ઞાનસ્વભાવને રાગથી ને પરથી ભિન્ન જાણ્યો છે, તેમાં તે નિઃશંક છે,
એટલે બાહ્યસંયોગને દેખતાં ‘આનાથી હું બંધાઈશ’ એવી શંકા તેને થતી નથી, નિઃશંકપણે તે પોતાના જ્ઞાનભાવે
જ પરિણમે છે, ને જ્ઞાનભાવનું પરિણમન તો બંધનું કારણ નથી, તેથી ધર્મીને બંધન થતું નથી.
જગતના કોઈ સંયોગમાં એવી તાકાત નથી કે જ્ઞાનીના જ્ઞાનમય ભાવને પલટાવીને અજ્ઞાનરૂપ કરી શકે,
માટે સંયોગ તે બંધનું કારણ નથી; તેમજ જ્ઞાનીનો જ્ઞાનમયભાવ પણ બંધનું કારણ નથી; માટે જ્ઞાનીને બંધન
થતું નથી. કર્મફળના સંયોગમાં ઊભો હોવા છતાં તે સંયોગ દેખીને જ્ઞાનીને શંકા પડતી નથી કે આ મને બંધનું
કારણ થશે... તે તો નિઃશંકપણે પોતાના જ્ઞાનમય ભાવમાં જ વર્તે છે. અનુકૂળતાના ઢગલા હો કે પ્રતિકૂળતાના
ગંજ હો, છતાં જ્ઞાનીનું જ્ઞાન કદી અજ્ઞાનરૂપ થઈ જતું નથી. કેમકે જ્ઞાની પોતાના સ્વભાવથી જ જ્ઞાનભાવરૂપે
પરિણમે છે, કોઈ પરવસ્તુ તેના સ્વભાવને અન્યથા કરી શકતી નથી. પરને લીધે બંધન થાય એવી શંકા જ્ઞાનીને
કદી પડતી નથી. આવી જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને નિઃશંકપણે જ્ઞાનભાવમાં પરિણમવું તે નિર્જરાનો ઉપાય છે,
ને તે જ ધર્મ છે.
અંતર્મુખ થઈને આત્માને શોધ––
અંતર્મુખ થઈને આત્માની જ્ઞાનાદિ શક્તિઓ જ્યાં પરિપૂર્ણ સોળ કળાએ
ખીલી ગઈ, ત્યાં પછી તે કદી ઢંકાતી નથી. આત્મામાં જ પોતાના સ્વભાવનું
સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારના શાસ્ત્રોમાં પણ એવી તાકાત
નથી કે આત્માનું સાધન થાય.
જિજ્ઞાસુ વિચારે છે કે––અરેરે! પૂર્વે મેં અનંતી વાર મોટા મોટા
વ્યાકરણશાસ્ત્રો વાંચ્યા, મોટા શાસ્ત્રોનાં વ્યાખ્યાનો મેં કર્યાં ને સત્સમાગમે
સાંભળ્‌યા; પણ શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી ન જાણ્યો તેથી મારું પરિભ્રમણ
થયું. બહારમાં મેં આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને
ન શોધ્યો.
–પૂ. શ્રી. કાનજીસ્વામી [ખંભાત–પ્રવચન]

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
––પરમ શાંતિ દાતારી––
* અધ્યાત્મ ભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત
‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર
વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
* (૭) *
[વીર સં. ૨૪૮૨, વૈશાખ વદ દસમ. સમાધિશતક ગા. ૭]
આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વગર દેહાદિને પોતાનાં માનીને જીવ અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો
છે, તે દુઃખ કહો કે અસમાધિ કહો; તે ટળીને સુખ અથવા સમાધિ કેમ થાય તેની આ વાત છે.
જુઓ, ભાઈ! દુઃખ તો કોને પ્રિય છે!! જગતમાં કોઈને દુઃખ વહાલું નથી. જ્ઞાનીઓને જગતના દુઃખી
પ્રાણીઓ ઉપર કરુણાબુદ્ધિ વર્તે છે. પોતે જે દુઃખથી છૂટવા માંગે છે તે દુઃખ બીજા પામે એવી ભાવના જ્ઞાનીને
કેમ હોય? જ્ઞાનીને તો એવી સહજ કરુણા આવે છે કે અરેરે! આ જીવો બીચારા પોતાના સ્વરૂપને ભૂલી જઈને
અજ્ઞાનને લીધે મહાન દુઃખમાં ડુબેલાં છે, એનાથી છૂટવાના ઉપાયની પણ તેમને ખબર નથી! હું જે પરિપૂર્ણ
સુખને પ્રાપ્ત કરવા ચાહું છું તે સુખ બીજા જીવો પણ પામે–એમ જ્ઞાનીને તો અનુમોદના છે. ઉપદેશમાં તો જ્ઞાની–
ધર્માત્મા કે વીતરાગી સંતમુનિઓ પણ એમ કહે કે “જે જીવો ધર્મનો તીવ્ર વિરોધ કરશે કે તીવ્ર પાપભાવો કરશે
તે જીવો મિથ્યાત્વના સેવનથી નરક–નિગોદમાં રખડશે ને અનંત દુઃખ પામશે” –આમ કહેવામાં જ્ઞાની–સંતોને
કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી, તેમજ તેમને કાંઈ કોઈ જીવને નરક–નિગોદમાં મોકલવાની ભાવના નથી;
પરંતુ ઉલટી કરુણાબુદ્ધિ છે–હિતબુદ્ધિ છે, એટલે યથાર્થ વસ્તુસ્થિતિ બતાવીને જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે
છે. હે ભાઈ! મિથ્યાત્વનું આવું આકરું ફળ છે, એમ જાણીને તું તે મિથ્યાત્વનું સેવન છોડી દે, ને આત્માનું સ્વરૂપ
સમજ–જેથી તારું હિત થાય! આમ હિત માટે જ જ્ઞાનીનો ઉપદેશ છે–પણ શું થાય!! અરેરે, આ કાળ! જીવો
હિતની વાત સાંભળતાં પણ

PDF/HTML Page 16 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૫ :
ઉલટા વિરોધ કરે છે! શું થાય? કોઈ કોઈના ભાવ બીજો ફેરવી શકે છે!! સંસાર તો એમ ને એમ ચાલ્યા જ
કરવાનો છે. જે જીવો સત્ય સમજે તેની બલિહારી છે... તેના સંસારનો એક બે ભવમાં અંત આવી જશે. બાકી
જગતમાં તો સંસાર ચાલ્યા જ કરવાનો છે... ને સંસારમાં રખડવાનો યોગ્ય પરિણામવાળા જીવો પણ રહ્યા જ
કરવાના છે... જગતના બધાય જીવો સત્ય સમજીને મોક્ષ પામી જાય–એમ કદી બનવાનું નથી, માટે આ તો પોતે
સત્ય સમજીને પોતાનું હિત સાધી લેવા જેવું છે. અજ્ઞાનીઓ પોકાર કરે તો કરો... પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ
તો ફરી નહિ જાય. વસ્તુસ્વરૂપ ન સમજતાં જેઓ વિરોધ કરે છે તેમના ઉપર જ્ઞાનીને કરુણા આવે છે.
જુઓ, કુંદકુંદાચાર્યદેવ જેવા મહાવીતરાગી સંત અષ્ટપ્રાભૃતમાં કહે છે કે વસ્ત્રનો એક તાણો પણ પરિગ્રહ
તરીકે રાખીને પોતાને મુનિદશા મનાવે તો તે જીવ નિગોદે જાય. આમ કહેવામાં આચાર્ય ભગવાનને કાંઈ એવી
ભાવના નથી કે અમારો વિરોધ કરે છે માટે તેને નિગોદમાં મોકલવો, પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે મિથ્યાત્વ
સેવનાર જીવ પોતાના ઊંધા પરિણામને લીધે નિગોદમાં જાય છે... એમ બતાવીને આચાર્યદેવ કરુણાબુદ્ધિથી
જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે છે... અરે જીવ! મુનિદશાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખ અને સાચી શ્રદ્ધા કર,
કે જેથી આ સંસારના દુઃખોથી તારો આત્મા છૂટે ને મોક્ષસુખ પામે.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ કરુણાપૂર્વક આત્મસિદ્ધિમાં કહે છે કે––
‘કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.’
કોઈ અજ્ઞાની જીવો તો શરીરાદિ જડની ક્રિયામાં જ ધર્મ માનીને ‘ક્રિયાજડ’ થઈ રહ્યા છે, ને બીજા કોઈ
અજ્ઞાનીઓ શુષ્કજ્ઞાનમાં એટલે કે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર માત્ર જ્ઞાનની વાતો કરવામાં જ મોક્ષમાર્ગ માની
રહ્યા છે, પરંતુ વાસ્તવિક મોક્ષમાર્ગને ઓળખતા નથી; એવા જીવોને જોઈને કરુણા આવે છે.
જુઓ, આ જ્ઞાનીઓની કરુણા! ઊંધી શ્રદ્ધાના ફળમાં કેવું અપાર દુઃખ છે તે જ્ઞાનીઓ જાણે છે તેથી
જીવોને ઊંધી શ્રદ્ધાના અનંતદુઃખથી બચાવવા જ્ઞાનીઓ બેધડક પણે તે ઊંધી શ્રદ્ધાનો નિષેધ કરે છે. શરીરની
ક્રિયાથી ધર્મ થાય કે રાગથી ધર્મ થાય એવી મિથ્યા શ્રદ્ધાનું ફળ ઘોર સંસાર છે, માટે જેઓ દુઃખથી છૂટવા માંગતા
હોય તેઓ એવી મિથ્યામાન્યતા છોડો ને આત્માનું રાગરહિત–દેહથી ભિન્ન વાસ્તવિક જ્ઞાનાનંદ સ્વરૂપ સમજો,
એમ જ્ઞાનીઓનો ઉપદેશ છે.
+ + +
આત્મા ત્રણ પ્રકારના છે; જો કે શક્તિરૂપ સ્વભાવથી તો બધા આત્મા સરખા છે પણ અવસ્થાભેદે ત્રણ
પ્રકાર પડે છે–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
ચૈતન્યના આનંદને ચૂકીને બહારના વિષયોમાં જે આનંદ માને છે તે બહિરાત્મા છે;
બાહ્ય વિષયોથી રહિત અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જાણીને તેને જે સાધે છે તે અંતરાત્મા છે.
અને આત્માનો પરિપૂર્ણઆનંદ જેમને પ્રગટી ગયો છે તે પરમાત્મા છે. તે પરમાત્મા પરિપૂર્ણ જ્ઞાનસહિત
છે; અનાદિઅનંત કાળને જેમ છે તેમ પોતાના દિવ્યજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણે છે. જેનો ક્યાંય છેડો નથી એવા અનંત
અલોકાકાશને પણ પ્રત્યક્ષપણે પરિપૂર્ણ જાણે છે એવું જ દિવ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાને
અનાદિઅનંત કાળને કે અનંત આકાશને પ્રત્યક્ષ જાણી લીધું માટે જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો–એમ કાંઈ નથી;
જો છેડો આવી જાય તો અનાદિ–અનંતપણું ક્યાં રહ્યું? માટે જ્ઞાને તો અનાદિઅનંતને અનાદિઅનંતરૂપે જ જેમ
છે તેમ જાણ્યું છે. –આ જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમા છે. અજ્ઞાનીને અનાદિઅનંતકાળની મહાનતા ભાસે છે, પણ
જ્ઞાનસામર્થ્યમાં તેના કરતાં અનંતગણી મહાનતા છે તે તેને ભાસતી નથી, અને જ્ઞાનસ્વભાવનો મહિમા
પ્રતીતમાં આવ્યા વગર આ વાતનું કોઈ રીતે સમાધાન થાય તેમ નથી. કાળનું અનાદિઅનંતપણું તેને મોટું લાગે
છે પણ જ્ઞાનનું અનંતસામર્થ્ય તેને મોટું નથી લાગતું, એટલે જ ‘અનાદિઅનંતને જ્ઞાન કઈ રીતે જાણે? ’ એમ
તેને શંકા પડે છે, તેમાં ખરેખર તો જ્ઞાનસામર્થ્યની જ શંકા છે. કાળના અનાદિઅનંતપણા કરતાં જ્ઞાનસામર્થ્ય
મોટું છે,

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
એમ જો વિશ્વાસ આવે તો જ તેને અનાદિઅનંતનું જ્ઞાન કઈ રીતે થાય છે તે ખ્યાલમાં આવે, અહા! અચિંત્ય
જ્ઞાનસામર્થ્યમાં અનાદિઅનંતકાળ તો ક્યાંય સમાઈ જાય છે, ને કાળ કરતાં ય અનંતગણું આકાશ પણ તેમાં
પરિપૂર્ણ જણાઈ જાય છે. આવું જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ જેમને પરિપૂર્ણ પ્રગટી ગયા છે એવા પરમાત્માને
કેવલી કહો, શુદ્ધ કહો, જિન કહો, ઈશ્વર કહો, બુદ્ધ કહો, મહાવીર કહો, સીમંધર કહો, ‘સમયસાર’ કહો–ઈત્યાદિ
અનેક નામોથી કહેવાય છે.
તે પરમાત્મા ક્ષુધા–તૃષા–રોગાદિ દોષોથી રહિત છે તેથી તેમને ‘નિર્દોષ’ પણ કહેવાય છે. ભગવાનને
પરિપૂર્ણ જ્ઞાનપ્રકાશ પ્રગટી ગયો છે તેથી તેમને ‘પરમજ્યોતિ’ અથવા ‘ચૈતન્યસૂર્ય’ પણ કહેવાય છે. વળી
ભગવાનને ‘શાસ્તા’ એટલે કે ‘શાસક’ (શાસન કરનારા) પણ કહેવાય છે, કેમકે મોક્ષમાર્ગરૂપ ઉત્કૃષ્ટ
શાસનના ભગવાન નાયક છે. શાસન એટલે ઉપદેશ–શિખામણ; મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ઉપદેશ દેનારા હોવાથી
ભગવાન શાસક છે. વળી મોક્ષમાર્ગનું વિધાન (પ્રતિપાદન) કરનારા હોવાથી ભગવાનને ‘વિધાતા’ પણ કહે છે.
‘છો મોક્ષમાર્ગ વિધિ ધારણથી જ ધાતા’ એમ ભક્તામરસ્તુતિમાં પણ કહ્યું છે. કોઈ વિધાતા આવીને લેખ લખી
જાય છે, એ વાત તો ખોટી છે. એવો કોઈ આ જગતમાં વિધાતા નથી, પણ સર્વજ્ઞપરમાત્માના જ્ઞાનમાં ક્યારે શું
થયું–શું થાય છે ને શું થશે? તે બધું લખાઈ (જણાઈ) ગયું છે તેથી તેઓ જ વિધાતા છે. પોતે મોક્ષમાર્ગની વિધિ
(અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને) ધારણ કરીને મુક્તિ પામ્યા ને બીજા જીવોને પણ તે મુક્તિમાર્ગનું વિધાન
કર્યું તેથી હે પરમાત્મા! આપ જ અમારા વિધાતા છો.
આ પ્રમાણે, સર્વજ્ઞતા અને પરિપૂર્ણ આનંદને પામેલા પરમાત્માનું સ્વરૂપ ઓળખીને, તેમના જુદા જુદા
અનેક ગુણોની અપેક્ષાથી તેમને જુદા જુદા અનેક નામોથી કહેવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવું કે જેઓ
પરિપૂર્ણ જ્ઞાન ને આનંદને પામેલા હોય એવા પરમાત્માની જ આ વાત છે. બાકી જગતમાં મિથ્યાદ્રષ્ટિ જીવો
પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારે વિપરીતપણે માની રહ્યા છે, તે બધાય સાચા છે એમ ન સમજવું.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ જે ઓળખે છે, તે તો બહિરાત્મપણું છોડીને,
।। ૬।।
હવે બહિરાત્મપણું છોડાવવા માટે આચાર્યદેવ તેનું સ્વરૂપ સ્પષ્ટપણે ઓળખાવે છે; તેમાં પહેલાંં એ
બતાવે છે કે બહિરાત્માને દેહમાં જ આત્મબુદ્ધિ કેમ થઈ ગઈ છે? –
बहिरात्मेन्द्रियद्वारैरात्म ज्ञानपराङ्मुखः।
स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति।।७।।
બહિરાત્મા પોતાના આત્મજ્ઞાનથી પરાંગ્મુખ વર્તતો થકો, ઈન્દ્રિયો દ્વારા શરીરાદિ બાહ્ય પદાર્થોને જ
જાણવામાં તત્પર છે, આત્માને તો તે દેખતો નથી, તેથી તે શરીરને જ આત્મા તરીકે માની લ્યે છે, તેને દેહાધ્યાસ
થઈ ગયો છે, તેથી દેહથી પોતાનું જુદાપણું તેને ભાસતું જ નથી. જ્ઞાનને આમ–બહારમાં જ જોડે છે, ––પણ
અંદરમાં વાળતો નથી. બહારમાં ઈન્દ્રિયોના અવલંબને તો જડ દેખાય, કાંઈ આત્મા ન દેખાય; તેથી તે
બહિરાત્માને શરીરથી પૃથક્ આત્માનું અસ્તિત્વ ભાસતું જ નથી, તે તો શરીરને જ આત્મા માને છે. આહા! કેવી
ભ્રમણા!! કે પોતાનું અસ્તિત્વ જ પોતે ભૂલી ગયો! ને જડમાં જ પોતાનું અસ્તિત્વ માની બેઠો! ––એને સમાધિ
ક્યાંથી થાય?
***

PDF/HTML Page 18 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૭ :
આત્માનો ધર્મ
[શ્રી પદ્મનંદી પચ્ચીસી : એકત્વ અધિકાર]
પાલેજ નગરીમાં માગશર શુદ
પાંચમ ને શુક્રવારના રોજ પૂ. ગુરુદેવનું પ્રવચન
આત્મા દેહથી ભિન્ન શું તત્ત્વ છે તેના ભાનવગર જીવને ધર્મ થતો નથી; અને ધર્મ વગર અનંત–
અનંતકાળથી જીવ ચાર ગતિમાં રઝળી રહ્યો છે. સંતો કરુણાબુધ્ધિથી તેને ધર્મનું સ્વરૂપ સમજાવે છે, પણ આખી
જિંદગી વેપાર–ધંધા અને સંસારની લોહવાટ આડે જીવને ધર્મ સાંભળવાની દરકાર થતી નથી. ધર્મ સમજ્યા
વગર સ્વર્ગ–નરક–તિર્યંચ તેમજ મનુષ્ય ચાર ગતિના અવતાર અનંતવાર જીવે કર્યા છે, તેમાં ધર્મનું શ્રવણ પણ
જીવને બહુ દુર્લભ છે.
સંતો અને મહાપુરુષો આત્માનું હિત થાય એવો ધર્મ કરુણાબુદ્ધિથી સમજાવે છે, પણ મોહને લીધે જીવ તે
માનતો નથી અને સાંભળતો પણ નથી. ભાઈ! તું વિચાર તો કર કે આ દેહ છૂટી જતાં તારું શું થશે? અહીં
જિંદગી સુધીના ૨પ–પ૦ વર્ષ સુધી બધી જાતની અનુકૂળતા રહે ને કાંઈ પ્રતિકૂળતા ન આવે તેનો કેટલો વિચાર
કરે છે? તો હે જીવ! આ દેહ છૂટી જતાં બીજી જ ક્ષણે બીજો નવો દેહ મળશે, આ દેહ અને સંયોગો પલટીને
બીજો જ અવતાર મળશે, તો તે આખા અવતારમાં સુખ થાય ને દુઃખ ન થાય––તેને માટે તેં કાંઈ ઉપાય કર્યો?
જો આ ભવ પછી બીજા ભવનો વિચાર કરે તો કાંઈક હિતનો ઉપાય કરે. ભાઈ, આ દેહ જેટલો જ શું તારો
આત્મા છે? કે આત્મા પછી રહેવાનો છે? આત્મા તો કાયમ રહેવાનો છે. આ દેહ છૂટતાં તરત જ બીજો અવતાર
શરૂ થઈ જશે; તો બીજા અવતારમાં આત્માનું શું થશે? તેનો તો વિચાર કર.
જ્યાં સુધી આત્માની મુક્તિ અને પરમાત્મદશા ન થાય ત્યાં સુધી તેને અવતાર થયા જ કરે છે.
ભૂતકાળમાં નજર નાંખતાં ક્યાંય જેનો આરો નથી એટલા અનંત અનંત અવતાર જીવ અજ્ઞાનભાવથી કરી
ચૂક્યો છે.
આત્મજ્ઞાન વગર તીવ્ર હિંસાદિ પાપ કરનાર, માંસ ખાનાર, શિકાર–ચોરી કરનાર–એવા તીવ્ર પાપ
સેવનારા જીવો નીચે નરકમાં જાય છે. જેઓ તીવ્ર માયા–કપટ, લોહવાટ કરે છે તેઓ તિર્યંચ થાય છે. કંઈક દયા–
દાનાદિના પરિણામ કરીને પુણ્ય બાંધનાર જીવ સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં પણ જીવ અનંતવાર જઈ આવ્યો.
મનુષ્ય અવતાર તો અનંતકાળે બહુ દુર્લભ છે, તેમાં સંતોનો ઉપદેશ છે કે હવે આત્માનું ભાન કરીને
સંસારચક્રમાંથી બહાર નીકળો. જેમ નદીમાં કોઈ રમતો હોય ને પાછળ મોટું ઘોડાપૂર આવતું હોય, ત્યાં કોઈ
શિખામણ આપે કે– ‘ભાઈ, ઝટ બહાર નીકળી જાઓ, નહિ તો પાછળ મોટું પૂર આવે છે તેમાં તણાઈ જશો’...
છતાં જો ન નીકળે તો શું થાય? તણાઈને દરિયા ભેગો થાય ને ડૂબી જાય. તેમ અનંતઅનંતકાળે મનુષ્ય અવતાર
મળ્‌યો, તેમાં પાછળ મૃત્યુરૂપી ઘોડાપૂર ચાલ્યું આવે છે... સંતોનો ઉપદેશ છે કે અરે જીવો! આ અલ્પજીવનમાં
આત્માને ઓળખો. સત્–સમાગમે જો આત્માનું ભાન ન કર્યું ને એમ ને એમ ધંધાવેપારમાં જીવન ગુમાવ્યું તો
આયુષ્ય પૂરું થતાં આત્મા ચાર ગતિના દરિયામાં ડૂબી જશે; માટે સત્સમાગમે આત્માના ધર્મનું શ્રવણ–મનન
કરવું જોઈએ.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાસની તાકાત છે, તે જ પ્રયોગથી પ્રગટે છે. તેમ સર્વજ્ઞપદ અને
સિદ્ધપદ પ્રગટવાની તાકાત આત્મામાં જ છે, તે સાચી સમજણના પ્રયોગવડે પ્રગટે છે. મારો આનંદ મારામાં જ
છે, એમ ઓળખાણ કરતાં આનંદરૂપી મંગળની પ્રાપ્તિ થાય છે અને મમકારરૂપી પાપનો નાશ થાય છે. આ રીતે
ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે. બાકી લૌકિકમાં લગ્ન થાય કે પુત્રજન્મ થાય કે દુકાન માંડે–તેને મંગળ કહેવાય છે, પણ
તે ખરું મંગળ નથી; આત્માનું જ્ઞાન કરતાં અવિનાશી સુખ મળે છે ને દુઃખ ટળે છે–તે જ ખરું માંગલિક છે.
હે જીવો! આ આયુષ્યની શીશી ફૂટી તો પછી ફરીને રેણથી સાંધી શકાશે નહિ; આયુષ્ય અલ્પ છે ને
મનુષ્ય જીવન દુર્લભ છે, માટે તમે પ્રમાદ ન કરો. આત્માનું હિત કેમ થાય? તે ધર્મ સમજવાનો પ્રયત્ન કરો. કયા
ભાવથી સ્વર્ગ–નરક મળે? કયા ભાવથી તિર્યંચ કે મનુષ્ય અવતાર મળે? તેની પણ જેને હજી ખબર ન હોય,
તેને મુક્તિ કયા ભાવે થશે એની તો ક્યાંથી ખબર હોય?
આ આત્મામાં સર્વજ્ઞ પરમાત્મા થવાની તાકાત છે. આ દેહ તો જડ ઢીંગલું છે, તેમાં ક્યાંય આત્માની
શાંતિ કે સુખ નથી. સુખ–શાંતિ અને જ્ઞાન તો આત્મામાં ભર્યાં છે. પણ જીવને પોતાના સ્વભાવનો ભરોસો નથી
આવતો. મારામાં પ્રભુતા ભરી છે–એમ તેને વિશ્વાસ નથી આવતો, ને બહારમાં જ સુખ શોધે છે. સંતો સમજાવે
છે કે ભાઈ! તારા ચૈતન્ય તત્ત્વમાં જ અતીન્દ્રિય આનંદનો રસ પડ્યો છે, તેને એક વાર જાણ તો ખરો! હરડે
વગેરેના ગુણો જાણે છે કે સમ્મેદશિખરની હરડે બહુ ઊંચી! પણ આ ભગવાન આત્મામાં ઊંચી સર્વજ્ઞતાની
તાકાત ભરી છે, તેને ઓળખતો નથી. આત્મામાંથી પરિપૂર્ણ શક્તિ પ્રગટ કરીને જીવો સર્વજ્ઞ પરમાત્મા થયા;
એવા સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં ધર્મનો ઉપદેશ આવે છે, તે ધર્મનું શ્રવણ કરવા માટે સ્વર્ગના દેવો અને ઈન્દ્રો
પણ તલસે છે, ને તેમના સ્વર્ગમાંથી આ મનુષ્યલોકમાં ઊતરીને ભગવાનની વાણીમાં ધર્મનું શ્રવણ કરે છે, તો હે
ભાઈ! દેવો પણ જે ધર્મનું શ્રવણ કરવા માટે સ્વર્ગ છોડીને અહીં આવે છે, એવા ધર્મનું શ્રવણ કરવા માટે તું
નિવૃત્તિ લે ને સત્સમાગમ કર. આ દેહ તો ક્ષણભંગુર છે ભાઈ! એક વાર ઊઠ્યો તે રાતે પાછો નહિ સૂએ; અને
એક વાર સૂતો તે પાછો સવારે નહિ ઊઠે;–આવો ક્ષણભંગુર આ અવતાર છે; તેમાં આત્માના હિતનો ઉપાય કર,
ભાઈ! મોટો રાજા પણ તું અનંતવાર થયો, પરંતુ તે કાંઈ અપૂર્વ નથી. અપૂર્વ તો આત્માનું જ્ઞાન કરીને ભવનો
અંત લાવવો તે જ છે. આત્માનું જ્ઞાન કરે તો અંદરથી પોતાને એવી સાક્ષી આવી જાય કે હવે અલ્પ કાળમાં
મારી મુક્તિ થઈ જશે, હવે આ સંસારમાં ઝાઝા ભવ કરવાના નથી, પણ તે માટે ઘણી પાત્રતા અને ઘણી
ધગશથી સત્સમાગમે આત્માના હિતનો વિચાર કરવો જોઈએ કે––
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું!
કોના સંબંધે વળગણા છે! રાખું કે એ પરિહરું!
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યાં.
(અહીં ઘણી વૈરાગ્યભરેલી વાણીથી ગુરુદેવ કહે છે કે:) અરે! ધર્મ સમજવા માટે ધર્માત્મા કોણ છે?
ધર્મનું શું સ્વરૂપ તેઓ કહે છે? તેનો વિચાર તો કરો. અનંતકાળનું પરિભ્રમણ મટાડવાનો વાત સંતો–જ્ઞાનીઓ
સમજાવે છે–તે શું છે? તેને લક્ષમાં તો લ્યો! વિચાર તો કરો કે–અરેરે! અનંતઅનંતકાળથી મારો આત્મા આ
અવતારમાં રઝળી રહ્યો છે, તો હવે મારું આ રઝળવાનું કેમ ટળે? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે કે જે
સમજવાથી મારું પરિભ્રમણ ટળે ને મને શાંતિ થાય!! –આમ અંતરમાં વિચાર કરીને જો આત્માનું સ્વરૂપ
ઓળખે તો આત્માને એવો આનંદ આવે કે સ્વર્ગમાં પણ જેની ગંધ નથી... અનંતકાળમાં જે આનંદનો સ્વાદ
સ્વર્ગમાં પણ જીવે નહોતો ચાખ્યો એવા અપૂર્વ આનંદનો અનુભવ જીવને ધર્મ સમજતાં જ થાય છે અને તેને
ભવના અંતની તૈયારી થાય છે. આવા ધર્મનું સ્વરૂપ શું છે? તે હવે કહેવાશે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૯ :
સમ્યગ્દ્રષ્ટિ
નિઃશંક અને નિર્ભય હોય છે
[સમયસાર નિર્જરા અધિકાર ઉપરના પ્રવચનોમાંથી
વીર સં. ૨૪૮૩, જેઠ વદ ૮–૯–૧૦]
(ગતાંકથી ચાલુ : લેખાંક બીજો)
સમ્યગ્દર્શન શું સંયોગના અવલંબને થયું છે કે સંયોગ તેનો
નાશ કરે? –નહિ; સમ્યગ્દર્શન તો સ્વભાવના અવલંબને થયું છે, તેથી
જ્ઞાનસ્વભાવના અવલંબને ધર્મી નિઃશંકપણે વર્તે છે, બાહ્ય સંયોગના
ભયથી તે કદી સ્વરૂપમાં શંક્તિ થતા નથી. જ્યાં નિઃશંકતા અને
નિર્ભયતાથી ઝગઝગતો સમ્યક્ત્વરૂપી સૂરજ ઊગ્યો ત્યાં તે સૂરજનો
પ્રતાપ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે. સમકિતી
અલ્પકાળમાં જ સર્વકર્મનો ક્ષય કરીને પરમ સિદ્ધપદને પામે છે તે
તેના સમ્યગ્દર્શનનો પ્રતાપ છે.
હું સહજ જ્ઞાન ને આનંદસ્વરૂપ છું–એવી જેને અંતર્દ્રષ્ટિ થઈ છે–એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિઃશંક
અને નિર્ભય હોય છે;–કેમ? –કારણ કે તેઓ પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ સિવાય સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે અત્યંત
નિરપેક્ષપણે વર્તે છે; રાગાદિ થાય તેની પણ અપેક્ષા નથી એટલે કે આ રાગ મને કાંઈ લાભ કરશે એવી જરાપણ
બુદ્ધિ નથી. હું તો રાગથી પાર જ્ઞાન સ્વરૂપ જ છું, એ સિવાય બીજું કાંઈ મારું છે જ નહિ––આ પ્રમાણે અત્યંત
નિઃશંક દ્રઢ નિશ્ચયવાળા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિર્ભય છે; સાત પ્રકારના ભય તેમને હોતા નથી.
(સાત પ્રકારના ભયમાંથી આ લોક, પરલોક અને વેદના એ ત્રણ ભયના અભાવ સંબંધી વિવેચન પૂર્વે કહેવાઈ
ગયું છે; તે ઉપરાંત અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત–એ ચાર પ્રકારના ભયનો પણ સમ્યગ્દ્રષ્ટિને અભાવ
હોય છે, તેનું આ વિવેચન ચાલે છે.)
(૪) સ્વત: સિદ્ધજ્ઞાનને અનુભવતા જ્ઞાનીને
અરક્ષાનો ભય હોતો નથી
જ્ઞાનને અરક્ષાનો ભય હોતો નથી; પ્રતિકૂળતા આવી પડશે તો મારી રક્ષા કેમ થશે–એવો ભય જ્ઞાનીને
હોતો નથી, કેમ કે તે જાણે છે કે હું તો જ્ઞાનસ્વરૂપ છું; બહારની પ્રતિકૂળતા આવીને મારા જ્ઞાનસ્વરૂપનો નાશ
કરે–એમ નથી, મારું જ્ઞાન તો સ્વત: રક્ષાયેલું છે, તેમાં પ્રતિકૂળતાનો પ્રવેશ જ નથી. આ રીતે નિઃશંકતા હોવાને
લીધે જ્ઞાનીને અરક્ષા ભય હોતો નથી, ––એમ હવે કહે છે––
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति–
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः।
अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।
ધર્માત્મા જાણે છે કે મારું જ્ઞાનસ્વરૂપ સ્વયમેવ સત્ છે, અને જે સત્ છે તે કદી નાશ પામતું નથી,