Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૪
સળંગ અંક ૨૮૨
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૨૮૨
સ્વાનુભૂતિનું સુખ
અનાદિકાળથી સ્વરૂપને ભૂલીને,
સમ્યગ્દર્શન વગર સંસારમાં રખડતો જીવ સમસ્ત
પરભાવોને ફરીફરીને ભોગવી ચૂક્યો છે,
સંસારસંબંધી બધાય દુઃખ–સુખ એ ભોગવી ચૂક્યો
છે, પોતાના સ્વરૂપનું વાસ્તવિક સુખ એક
ક્ષણમાત્ર તેણે ભોગવ્યું નથી...કે જે સુખની પાસે
જગતના બધા ઈન્દ્રિયસુખો અત્યન્ત નીરસ છે.
ઈન્દ્રિયસુખોથી આત્મિકસુખની જાત જ જુદી છે,–
જેમ ઈન્દ્રિયો અને આત્મા જુદા છે તેમ.–હે જીવ!
જ્ઞાનસ્વભાવના અવલંબનથી સમ્યગ્દર્શનનો
પ્રયત્ન કરીને સ્વાનુભૂતિમાં તારા આ સુખને તું
ભોગવ.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ ચૈત્ર (લવાજમ : ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ : અંક ૬

PDF/HTML Page 3 of 41
single page version

background image
શાશ્વત તીર્થધામ શ્રી સમ્મેદ શિખરજી
[જેની પાવન યાત્રા પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ
સંઘસહિત સંવત્ ૨૦૨૩ ના ફાગણ સુદ ૧પ રવિવારના રોજ
બીજીવાર અત્યન્ત ભક્તિ–ઉલ્લાસ સહિત કરી.
]

PDF/HTML Page 4 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :

વાર્ષિક લવાજમ
વીર સં.૨૪૯૩
ત્રણ રૂપિયા ચૈત્ર
વર્ષ ૨૪ : અંક ૬
ગુરુદેવની સાથે સાથે
(ગતાંકથી ચાલુ)
જયપુરથી સમ્મેદશિખર........
જયપુર શહેરમાં પં. ટોડરમલ–સ્મારકભવનનું ઉદ્ઘાટન, તેમાં સીમંધરપ્રભુની
પ્રતિષ્ઠા અને દ્વિશતાબ્દિ મહોત્સવ કરીને, પૂ. ગુરુદેવ ફા. સુદ છઠ્ઠે જયપુરથી મહાવીરજી
પધાર્યા. મહાવીર પ્રભુની પ્રશાંત મૂર્તિના દર્શન કર્યા. થોડા વર્ષો પહેલાં આ પ્રતિમા
જમીનમાંથી નીકળી છે; તે સંબંધી ટૂંકી કથા એમ છે કે એક ગોવાળની ગાયનું દૂધ
હંમેશા દોવાઈ જતું હતું; ગોવાળે તપાસ કરી, તો ગાય હંમેશ એક સ્થળે જઈને ભાવથી
ઊભી રહેતી ને તેના દૂધની ધારા છૂટતી; આ દેખીને ગોવાળને આશ્ચર્ય થયું, ને તે
જગ્યાએ તપાસ કરતાં જમીનમાંથી મહાવીર પ્રભુની આ પ્રતિમાજી મળી આવ્યા.
પ્રતિમાજી ઘણા મનોજ્ઞ છે. વિશાળ જિનાલયોનાં દર્શન કર્યા. મૂળ મંદિર ઉપરાંત
આશ્રમના બીજા મંદિરોમાં પણ મહાવીર પ્રભુના વિશાળ પ્રતિમા બિરાજે છે, ત્યાં પણ
દર્શન કર્યા. શાંતિ–વીરઆશ્રમમાં પણ શાંતિનાથપ્રભુ વગેરે મનોજ્ઞ ખડ્ગાસન
જિનબિંબો બિરાજે છે, ત્યાં પણ દર્શન કર્યા. જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. પ્રવચનમાં
જૈનગઝટના સંપાદક શ્રી અજિતકુમારજી શાસ્ત્રી વગેરે ઉપસ્થિત હતા, તેમજ ગુરુદેવ
સાથેની સીધી મુલાકાતથી તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આમ મહાવીરજી ક્ષેત્રનો
એક દિવસનો કાર્યક્રમ આનંદપૂર્વક પૂર્ણ કરીને બીજે દિવસે બયાના શહેર તરફ પ્રસ્થાન
કર્યું.

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
બયાના શહેરમાં સીમંધર ભગવાનના પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે, તેમના
દર્શન કરીને ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા; અત્યંત આનંદપૂર્વક સીમંધરનાથ સાથેના
પૂર્વભવના સંબંધની પ્રસિદ્ધિ કરી; માત્ર સાત કલાકમાં સીમંધરપ્રભુની છાયામાં
અતિશય ઉલ્લાસથી દર્શન–પૂજન–ભક્તિ–અભિષેક અને આનંદકારી જાહેરાતથી ભવ્ય
ઉત્સવ થયો. તેની સંપૂર્ણ વિગત અને ગુરુદેવના ઉદ્ગારો આ અંકમાં જુદા આપ્યા છે.
બયાનાથી પ્રસ્થાન કરીને ઈટાવા શહેર આવ્યા. ઈટાવાનું બીજું નામ
‘ઈષ્ટપુરી’ ગુરુદેવ પધારતાં ઉત્સાહ પૂર્વક સ્વાગત થયું. આસપાસથી પણ મોટી
સંખ્યામાં જિજ્ઞાસુઓ આવ્યા હતા, ને વિશાળ મંડપ ચિક્કાર ભરાઈ ગયો હતો.
જિનમંદિરમાં પ્રાચીન પ્રતિમાઓના પણ દર્શન કર્યા. ત્રણ–ચાર જિનમંદિરો છે. ગામથી
દૂર જમના નદીના કિનારે એક જૂનું જિનાલય છે, ત્યાં ગુરુદેવ સાંજે પધાર્યા હતા ને
શાંત વાતાવરણમાં એક કલાક રહ્યા હતા. જમુના નદી આ ગામ સુધી આવે છે ને જે
દિશામાંથી આવે છે તે જ દિશામાં અહીંથી પાછી વળે છે. આ શહેરમાં અનેક પ્રાચીન
ઈતિહાસ છે. રાત્રે અહીંના જૈનસમાજ તરફથી ગુરુદેવને અભિનંદન–પત્ર આપવામાં
આવ્યું હતું અને તત્ત્વચર્ચા થઈ હતી.
યાત્રાસંઘ ઈટાવાથી સાંજે પ્રસ્થાન કરીને કાનપુર પહોંચી ગયો હતો ને ગુરુદેવ
તા. ૨૦ ના રોજ સવારે પધાર્યા હતા; સ્વાગત બાદ બડા જિનમંદિરમાં મંગલપ્રવચન
થયું હતું. બપોરે ટાઉનહોલમાં પ્રવચન થયું હતું. સાંજે જૈન કલબના ઉત્સાહી
ભાઈઓએ ગુરુદેવના સત્સંગમાં તત્ત્વચર્ચાનો લાભ લીધો હતો. ચૈત્યાલયની બાજુમાં
જ ગુરુદેવનો ઉતારો હતો. રાત્રે બડા મંદિરમાં ભક્તિનો કાર્યક્રમ હતો.
તા. ૨૧ ના રોજ અલ્લાહાબાદ આવ્યા. ડાકબંગલામાં ઉતારો હતો. ગંગા–
જમનાનો સંગમ થાય છે તે ત્રિવેણીસંગમના સ્થાનને ‘પ્રયાગ’ કહેવાય છે–“પ્રયાગ”
એ મૂળ તો ભગવાન આદિનાથ પ્રભુના કેવળજ્ઞાનની તીર્થભૂમિ છે, અહીં એક વડવૃક્ષ
નીચે ભગવાનને કેવળજ્ઞાન થયું હતું ને ઈન્દ્રો દ્વારા મહાપૂજા થઈ હતી. ‘યાગ’ નો
અર્થ પૂજા થાય છે ને ઈન્દ્રો દ્વારા થતા વિશેષ પૂજનને ‘પ્ર–યાગ’ કહેવાય છે; આદિનાથ
ઋષભદેવને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ અહીં મહાપૂજા કરી તેથી આ સ્થાન પ્રયાગતીર્થ
તરીકે જગતમાં પ્રસિદ્ધ થયું. તે સ્થાનનું અવલોકન કરવા ગુરુદેવ પધાર્યા હતા ને કહેતા
હતા કે ભગવાન ઋષભદેવની સ્મૃતિ તરીકે આ સ્થાન

PDF/HTML Page 6 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
જોવા આવ્યા છીએ. ગંગા–જમના કિનારે કિલ્લામાં એક સ્થાને ભગવાન ઋષભદેવના
ચરણકમલની સ્થાપના છે, પણ હમણાં તે સ્થાન મિલિટરી લશ્કરની વ્યવસ્થા નીચે
હોવાથી દર્શન થઈ શકતા નથી. બપોરે સ્વાગતપૂર્વક ગુરુદેવે શહેરના જિનમંદિરોના
દર્શન કર્યા હતા. પાસે પાસે જ ચાર જિનમંદિરો છે. એક વિશાળ જિનમંદિરમાં ગુરુદેવનું
પ્રવચન થયું. પ્રવચન પછી તરત યાત્રિકોએ બનારસ તરફ પ્રસ્થાન કર્યું.
ફાગણ સુદ ૧૧ ચાર તીર્થંકર જન્મધામની યાત્રા
આજના શુભદિને ગુરુદેવે પાર્શ્વ–સુપાર્શ્વપ્રભુના જન્મધામમાં પધારતાં ઉમંગભર્યું
સ્વાગત થયું. પં. કૈલાસચંદજી, પં. ફૂલચંદજી, વગેરે બનારસના વિદ્વાનોએ તેમ જ
આગેવાનોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું ને જૈનસમાજ તરફથી અભિનંદનપત્ર
આપવામાં આવ્યું હતું. શહેરમાં ૧૪૪ મી કલમ હોવા છતાં ખાસ પરવાનગીથી સ્વાગત
અને પ્રવચનાદિ કાર્યક્રમો ઉલ્લાસથી થયા હતા. કાશી નગરી એટલે કે વારાણસી
(બનારસ) નગરી, –ત્યાં ગંગા કિનારે સુપાર્શ્વપ્રભુનું જન્મધામ છે ને ગામમાં
ભેલુપુરમાં પાર્શ્વપ્રભુનું જન્મધામ છે, ત્યાં ગુરુદેવ સાથે આનંદથી દર્શન કર્યા. બપોરે
ગુરુદેવ સાથે ચંદ્રનાથ–જન્મધામ ચંદ્રપુરીની યાત્રા કરી; મંદિરને સ્પર્શીને ગંગાનદી ચાલી
જાય છે; ચંદ્રપ્રભુ ભગવાનને યાદ કરીને અને તેમના દર્શન કરીને ગંગાજળ પીધું. પછી
સારનાથ–સિંહપુરીમાં ભગવાન શ્રેયાંસનાથના જન્મધામમાં શ્રેયાંસપ્રભુની યાત્રા કરી.
ફાગળ સુદ અગિયારસના આજના મંગલદિને અગિયારમા તીર્થંકરદેવની સન્તો સાથે
યાત્રા થતાં સૌને આનંદ થયો. પ્રવચન પછી વિદ્વાનોના ભાષણ થયા ને ગુરુદેવને
અભિનંદન–પત્ર અપાયું. રાત્રે વરસાદ આવ્યો હતો.
બીજે દિવસે સવારમાં કાશીથી પ્રસ્થાન કરીને વચ્ચે સોનનદીના વિશાળ પુલ
ઉપરથી પસાર થઈને ડાલમિયા નગર આવ્યા. જિનાલયમાં વીરજિનના દર્શન કર્યા.
અહીં શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહુ તરફથી સંઘની સારી આગતાસ્વાગતા કરવામાં આવી
હતી. અહીંથી પ્રસ્થાન કરીને રાત સુધીમાં યાત્રાસંઘ સમ્મેદશિખરજી પહોંચી ગયો હતો.
ગુરુદેવ શિરપુર રાત રોકાઈને ફાગણ સુદ ૧૩ ની સવારમાં સમ્મેદશિખરજી તરફ
પધાર્યા.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
સમ્મેદશિખર–તીર્થધામમાં
ફાગણ સુદ ૧૩ (તા. ૨૪ માર્ચ) : ગુરુદેવ સાથે ઘણા દિવસથી જેના દર્શનની
પ્રતીક્ષા કરતા હતા તે પવિત્ર સમ્મેદશિખરધામના દર્શન થતાં આજે સૌને ઘણો હર્ષ
થયો. હજી તો અનેક માઈલ દૂર હતા, આકાશમાં પણ વાદળા ઘેરાયેલા હતા, છતાં પણ
જેમ ઘનઘોર કર્મવાદળને ભેદીને પણ સાધક પોતાના સાધ્યરૂપ સિદ્ધસ્વરૂપને દેખી લ્યે છે
તેમ વાદળને વીંધીને પણ ભક્તોની દ્રષ્ટિ શિખરજી તીર્થધામને દેખી લેતી હતી.
મધુવનની ઝાડીના મધુર દ્રશ્યો નીહાળતાં નીહાળતાં શિખરજી તીર્થની તળેટીમાં આવી
પહોંચ્યા. ગુરુદેવ તીર્થમાં પધારતાં ભક્તોએ હોંશથી સ્વાગત કર્યું. તીર્થધામમાં
બિરાજમાન ભગવંતોને ગુરુદેવ ભાવભીનાં હૃદયે ભેટ્યા, દર્શન કરીને અર્ધ ચડાવ્યો.
તીર્થધામમાં ગુરુદેવ સાથે દર્શન કરતાં પૂ. બેનશ્રી–બેન વગેરે સૌને ઘણો હર્ષ થયો. એ
પુષ્પદંત સ્વામી ને પાર્શ્વનાથ સ્વામી, એ મહાવીરાદિ ૨૪ ભગવંતો ને નંદીશ્વરધામ,
ચંદ્રપ્રભ ભગવાન અને માનસ્તંભ, તેમજ બાહુબલી ભગવાન વગેરેના આનંદપૂર્વક
દર્શન કર્યા. સ્વાગત પછીના મંગલાચરણમાં ગુરુદેવે કહ્યું કે આ સમ્મેદશિખરજી તીર્થ તે
મંગળ છે. દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ એ ચાર પ્રકારે મંગળ છે. ભગવંતોએ મંગળ ભાવવડે
જ્યાં સિદ્ધપદને સાધ્યું તે ક્ષેત્ર પણ મંગળ છે. આ સમ્મેદશિખરજી ધામથી અનંતા જીવો
સિદ્ધ થયા છે ને ઉપર લોકાગ્રે સમશ્રેણીએ બિરાજે છે. તે સિદ્ધભગવંતોના સ્મરણમાં
નિમિત્તરૂપ આ ક્ષેત્ર પણ મંગળ છે ને સિદ્ધસ્વરૂપના સ્મરણનો પોતાનો ભાવ તે પણ
મંગળ છે. આ રીતે તીર્થધામમાં મંગળ કર્યું. બપોરે સમયસાર–કર્તાકર્મ અધિકાર (ગા.
૭૨) ઉપર પ્રવચન થયું. સાત બસ તથા વીસ જેટલી મોટર દ્વારા પ૦૦ જેટલા યાત્રિકો
સંઘમાં હતા, તે ઉપરાંત ઘણા યાત્રિકો સીધા ટ્રેઈન દ્વારા શિખરજી પહોંચ્યા હતા. ત્રણ
હજાર ઉપરાંત શ્રોતાજનોથી સભામાં ગુરુદેવે પ્રથમ તો સીમંધરનાથને યાદ કર્યા, અને
કુંદકુંદઆચાર્યદેવ વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા–તેનો ઈતિહાસ કહ્યો. પછી ૭૨ મી ગાથા શરૂ
કરતાં કહ્યું કે અહો! આત્મા અને આસ્રવોની ભિન્નતાનું આવું ભેદજ્ઞાન કરીને અંતરમાં
રાગથી ભિન્ન ચૈતન્યના અનુભવમાં ઝુલતા ઝુલતા આચાર્યદેવ જ્યારે આ ગાથા
લખતા હશે, –ત્યારે કેવો કાળ હશે!! અહો, ધન્ય એમની દશા!! સમ્મેદશિખર ઉપર
બિરાજમાન અનંત સિદ્ધભગવંતો પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને ગુરુદેવે કહ્યું: પ્રભો! અહીંથી

PDF/HTML Page 8 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : પ :
પૂર્ણાનંદમય મોક્ષપદ સાધીને ઉપર લોકાગ્રે શિરછત્રરૂપે આપ બિરાજી રહ્યા છો.–એમ
સિદ્ધ ભગવાનના સ્મરણ માટે આ જાત્રા છે.
પ્રવચન પછી શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી,–જેમાં રથના સારથી
તરીકે ગુરુદેવ બેઠા હતા; ઉલ્લાસપૂર્વક રથયાત્રા પાંડુકશિલાએ પહોંચી હતી.
પાંડુકશિલાના સ્થાનેથી સમ્મેદશિખર તીર્થનું દ્રશ્ય ઘણું સુંદર દેખાય છે. એકબાજુ
ચંદ્રપ્રભુની ટૂંક ને બીજે છેડે પારસપ્રભુની ટૂંક–તથા વચ્ચેની અનેક ટૂંકોનું રળિયામણું
દ્રશ્ય જોતાં એ અનંતા સાધક–સન્તોની સ્મૃતિ થાય છે કે જેઓએ અહીંથી સિદ્ધિ પ્રાપ્ત
કરી.–ને આપણે પણ એ જ ધ્યેયે પહોંચવાનું છે.
રાત્રે મંદિરજીમાં પૂ. બેનશ્રી–બેને ભક્તિ કરાવી હતી; તીર્થભક્તિ દ્વારા પૂ.
ગુરુદેવ સાથેની તીર્થયાત્રાનો પ્રમોદ વ્યક્ત થતો હતો. ફાગણ સુદ ૧૪ ની સવારમાં શ્રી
જિનેન્દ્રમહાપૂજનનો ખાસ કાર્યક્રમ રાખ્યો હતો. ઘણા લોકોએ સવારે પ્રવચનની માંગણી
કરી ત્યારે ગુરુદેવે કહ્યું કે આ મોટું તીર્થ છે અને અષ્ટાહ્નિકાની ચૌદસનો મોટો દિવસ છે
એટલે આજે પૂજા કરવાના ભાવ છે. સવારમાં ગુરુદેવ સહિત આખા સંઘના હજાર
ઉપરાંત યાત્રિકો પ્રભુપૂજા કરવા ઉમટ્યા ને જિનાલય આનંદભર્યા કોલાહલથી ઉભરાઈ
ગયું. પૂ. બેનશ્રી–બેને ઘણા ભક્તિભાવથી પૂજા ભણાવી. ચોવીસ ભગવાનની પૂજા,
નંદીશ્વર પૂજા, શિખરજી–પૂજા વગેરે પૂજાઓ થઈ. એક હજાર જેટલા યાત્રિકો પૂજનમાં
ઉત્સાહથી ભાગ લેતા હતા. બપોરે પ્રવચન પછી વીસપંથી કોઠી સામે પહાડ ઉપર
બિરાજમાન બાહુબલી ભગવાનનો મહાઅભિષેક થયો; ભક્તિ–પૂજન બાદ અભિષેકનો
પ્રારંભ ગુરુદેવના સુહસ્તે થયો; વિશ્વપ્રસિદ્ધ બાહુબલી ભગવાનના મહાઅભિષેકને યાદ
કરી કરીને ભક્તો અભિષેક કરતા હતા. પર્વતની તળેટીમાં બાહુબલી ભગવાનનું
વીતરાગી દ્રશ્ય મુમુક્ષુના ચિત્તને આકર્ષે છે. હવે આવતીકાલે શિખરજી તીર્થની વંદના
કરવા પર્વત ઉપર જવાનું હોવાથી યાત્રિકો યાત્રા માટેની તૈયારીમાં લાગી ગયા હતા. બે
દિવસથી નજર સામે જ દેખાતા તીર્થરાજ ઉપર જલ્દી જલ્દી પહોંચી જઈએ–એમ યાત્રા
માટે ભક્તોનું હૃદય થનગની રહ્યું હતું. રાતના બે વાગ્યા ત્યાં તો ગુરુદેવ તૈયાર થઈ
ગયા ને અઢી વાગે સિદ્ધ ભગવાનના જયજયકારપૂર્વક આનંદથી સમ્મેદશિખરજી
મહાતીર્થની યાત્રા શરૂ કરી. ઘણા યાત્રિકોએ તો એક વાગ્યાથી જ પર્વત ઉપર ચડવાનું
શરૂ કરી દીધું હતું ને ઉપર જઈને ગુરુદેવના પધારવાની રાહ જોતા હતા; આ તરફ
ગુરુદેવની સાથે ભક્તિ

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધમ" : ચૈત્ર : ૨૪૯૩
કરતાં કરતાં ઉમંગથી યાત્રિકો પર્વત ચડી રહ્યા હતા; ગુરુદેવના પગલે પગલે યાત્રા કરી
રહેલા પૂ. બેનશ્રી–બેન વિધવિધ ભક્તિપૂર્વક આનંદ કરાવતા હતા...એટલે કઠિન માર્ગ
પણ સુગમ બની જતો હતો. જાણે ભક્તિના બળથી જ પર્વતારોહણ થઈ જતું હતું;
યાત્રિક જરાક થાકે ત્યાં સન્તોનો સાથે એના થાકને ઉતારી દેતો હતો ને સિદ્ધિધામમાં
પહોંચવાનું બળ આપતો હતો. કુદરત પણ યાત્રામાં સાથ આપતી હોય તેમ આકાશમાં
પૂર્ણચન્દ્ર પ્રકાશીને માર્ગને પ્રકાશિત કરતો હતો, હવામાન પણ ખુશનુમા હતું; વચ્ચે વચ્ચે
ગુરુદેવ તીર્થંકરોનું ને સિદ્ધોનું સ્મરણ કરીને ઉદ્ગાર કાઢતા; ખાડા–ટેકરાવાળો માર્ગ
દેખીને તેઓ કહેતા કે ભગવાન તીર્થંકરદેવ તો આકાશમાં પાંચહજાર ધનુષ ઊંચે
વિચરતા હતા. ભગવંતો અહીં વિચરતાં હતા; મુનિઓ અહીં બિરાજતા હતા; ને ઉપર
અનંત સિદ્ધભગવંતો અત્યારે બિરાજી રહ્યા છે.–સાદિઅનંત કાળ એમ ને એમ
બિરાજમાન રહેશે. તેમની સ્મૃતિ માટે આ યાત્રા છે.
આમ ગુરુદેવ સાથે સિદ્ધોને યાદ કરતા હતા ને ભક્તિ કરતા કરતા સમ્મેદશિખર
પાવનતીર્થની યાત્રા કરતા હતા. વનઝાડીના રમણીય અને શાંત વાતાવરણ વચ્ચે
મોક્ષમાર્ગની વીતરાગી ભાવનાઓ સ્ફૂરતી હતી. પગલે પગલે સન્તોના સાથમાં આવા
મહાન તીર્થની યાત્રા કરતા ભક્તોને ઘણો જ હર્ષોલ્લાસ થતો હતો. અઢી કલાક બાદ
શીતલનાલા ને ગંધર્વનાલા વટાવીને લગભગ પાંચ વાગે દૂર દૂર દેખાતી પારસપ્રભુની
સુવર્ણભદ્ર ટૂંકના દર્શન થયા. ઊંચી ઊંચી ટૂંક દેખતાં, આપણે અહીં સુધી પહોંચવાનું છે’
એમ પોતાના ધ્યેયના લક્ષે યાત્રિકના પગમાં નવું જ જોર આવે છે ને પારસપ્રભુના
જયજયકાર કરતા આગળ વધે છે. થોડીવારમાં ચંદ્રપ્રભુની ટૂંક પણ દેખાય છે.
શિખરજીના બંને છેડાની ઊંચી ઊંચી બે ટૂંક એકસાથે જોતાં આખા શિખરજીતીર્થને જાણે
નયનોમાં સમાવી દઈએ...ને બધાય સિદ્ધભગવંતોને જ્ઞાનમાં સમાવી દઈએ–એવી
ભક્તિભીની ઊર્મિ જાગે છે; ને આ પાવન તીર્થરાજની વિશાળતા પાસે યાત્રિકનું શિર
ઝૂકી જાય છે. થોડીવારમાં પહેલી ટૂંક આવી ને સૌ યાત્રિકોમાં આનંદ વ્યાપી ગયો.
જયજયકાર કરતા ભીડને ભેદીને કુંથુનાથ પ્રભુના ચરણોને ભેટ્યા. બેનશ્રી–બેન
પૂજનમંત્ર બોલ્યા ને ગુરુદેવ સાથે સૌએ ‘અર્ઘં–...સ્વાહા’ કર્યું. દર્શન કરીને ગુરુદેવ તો
ઝડપભેર બીજી ટૂંકે પહોંચ્યા. નવ ટૂંકના દર્શન બાદ ચંદ્રપ્રભુની ટૂંક આવી. બધી ટૂંકોથી
જુદી દૂર આવેલી આ લલિત ટૂંક જાણે કે સંસારથી દૂર એવા ચંદ્રપ્રભુની એકત્વભાવનાને
પ્રસિદ્ધ કરી રહી છે...દૂર કે નજીક અમારે અમારા

PDF/HTML Page 10 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
યાત્રાના ધ્યેયે પહોંચવુંં જ છે–એવા દ્રઢ નિશ્ચયના બળે યાત્રિક આગળ વધે છે, ને ‘દ્રઢ
નિશ્ચયી’ મુમુક્ષુની જેમ પોતાના ઈષ્ટ ધ્યેયે પહોંચી જાય છે...આનંદથી ગુરુદેવ સાથે
યાત્રા કરીને બીજી ટૂંકો તરફ પ્રસ્થાન કર્યું. ભગવાન આદિનાથ સ્વામી, અભિનંદન
સ્વામી વગેરે ટૂંકોની યાત્રા કરી, જલમંદિરને વટાવીને થોડીવારમાં ફરીને પહેલી ટૂંકની
પાસે આવી પહોંચ્યા. અહીં સુધીની સોળ ટૂંકની યાત્રા પ્રદક્ષિણાઆકારે થાય છે,
લગભગ પાંચ માઈલ ઉપરાંત પ્રદક્ષિણા ફરીને થાકેલ યાત્રિક જ્યાં સામે નજર ઊંચી કરે
છે ત્યાં તો પાર્શ્વપ્રભુની ટૂંક દેખાય છે ને એના હૈયામાં એવો હર્ષ જાગે છે કે એ થાકને
ઘડીભર ભૂલી જાય છે. પાછલા ભાગમાં નજર કરીને જોતાં ખ્યાલ આવે છે કે કેટલી
બધી ઊંચી ઊંચી ટૂંકોની યાત્રા કરી આવ્યા! સિદ્ધિધામની આવી મહાન વિશાળતા
દેખીને દ્રષ્ટિ તૃપ્ત થાય છે, ને હૈયામાં યાત્રાનો સંતોષ અનુભવાય છે. ફરીને ઉપરના
સિદ્ધ ભગવંતો સન્મુખ દ્રષ્ટિ કરીને, અને સંતોનું સ્મરણ કરીને ગુરુદેવના પગલે પગલે
વચ્ચે સુપાર્શ્વનાથ, નેમનાથ વગેરે ટૂંકોની યાત્રા કરીને ધીરે ધીરે પાર્શ્વનાથપ્રભુની ટૂંકે
આવી પહોંચ્યા...પ્રભુજીના ચરણના દર્શન કરીને અર્ઘ ચડાવ્યો. મંદિર સેંકડો યાત્રિકોથી
ખીચોખીચ ભરાઈ ગયું. તીર્થધામની આજની યાત્રાથી ગુરુદેવ પણ બહુ આનંદિત હતા
ને વારંવાર કહેતા હતા કે યાત્રા બહુ સરસ થઈ. યાત્રા પ્રસંગે પૂ. બેનશ્રી–બેને
તીર્થમહિમાનું એક ખાસ ભાવભીનું સ્તવન બનાવ્યું હતું તે પૂ. ગુરુદેવનું આપ્યું ને
ગુરુદેવે સમ્મેદશિખરજી મહાતીર્થના સૌથી ઊંચા શિખર ઉપર (સુવર્ણભદ્ર ટૂંક ઉપર) એ
સ્તવન ગવડાવ્યું–
અનંત જિનેશ્વરદેવ પ્રભુજીને લાખો પ્રણામ,
શાશ્વત તીરથધામ પ્રભુજીને લાખો પ્રણામ.
અનંત જિનેશ્વર મુક્તિ પધાર્યા, સમશ્રેણીએ સિદ્ધિ બિરાજ્યા,
ચૈતન્યમંદિરે નિત્ય વિચરતા, સિદ્ધાનંદની લહેરે વસતા;
અશરીરી ભગવાન પ્રભુજીને લાખો પ્રણામ.
જ્ઞાનશરીરી ભગવાન પ્રભુજીને લાખો પ્રણામ.
વિચર્યા અનંત તીર્થંકર દેવા, કણકણ પાવન થયા શિખરના,
અનંત તીર્થંકર સ્મરણે આવે, અનંત મુનિના ધ્યાનો સ્ફૂરે,
પાવન સમ્મેદાધામ પ્રભુજીને લાખો પ્રણામ.

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધમ" : ચૈત્ર : ૨૪૯૩
અહા, એ વખતના ગુરુદેવના ભાવો અદ્ભુત હતા. યાત્રા વખતે જેવા ભાવો ગુરુદેવના
હૃદયમાં ઘોળાતા હતા, એવા જ ભાવો પૂ. બેનશ્રીબેને આ સ્તવનમાં ભરી દીધા હતા.
(પૂરું સ્તવન આ અંકમાં આપ્યું છે.)
આમ આનંદપૂર્વક યાત્રા પૂરી થઈ; આ યાત્રાની આનંદકારી સ્મૃતિરૂપે
શિખરજીની સૌથી ઊંચી ટૂંક ઉપર બેઠાબેઠા ગુરુદેવે હસ્તાક્ષરમાં લખ્યું કે ‘સમ્મેદશિખર
કી જય હો...જય હો!
સેંકડો યાત્રિકો પણ ગુરુદેવ સાથે આનંદકારી યાત્રા પૂરી કરીને જયજયકાર
ગજાવતા પહાડ ઉપરથી ઉતરવા માંડ્યા...પૂ. બેનશ્રીબેન પણ સાથે ને સાથે જ હતા.
આનંદમંગલના ગીત ગાતાં ગાતાં દોઢ વાગે નીચે આવી પહોંચ્યા...ને મહાનસિદ્ધિધામની
યાત્રા કરાવનાર કહાન ગુરુના જયજયકારથી તીર્થધામ ગૂંજી ઊઠ્યું.
તીર્થધામમાં યાત્રિકોનો આનંદકારી મેળો હતો ને યાત્રિકો જિનેન્દ્રવૈભવના
દર્શન–પૂજન ઉમંગથી કરતા હતા, તીર્થમાં ફરતા હતા ને તીર્થમહિમાની ચર્ચા કરતા હતા.
ફાગણ વદ બીજના રોજ તીર્થયાત્રાની ખુશાલીમાં જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી
હતી, જિનરથના સારથિ તરીકે કહાનગુરુ શોભતા હતા, ને પાંડુકશિલા પર
જિનેન્દ્રદેવનો પ્રથમ અભિષેક ગુરુદેવના સુહસ્તે થયો હતો. રાત્રે જિનેન્દ્રભક્તિ થઈ
હતી, ફાગણ વદ ત્રીજ (તા. ૨૮ ના રોજ) બસના યાત્રિકો ચંપાપુરી–મંદારગિરિ
તીર્થની યાત્રાએ ગયા હતા. મંદારગિરિ–ચંપાપુરીમાં વાસુપૂજ્ય ભગવાનના પાંચ
કલ્યાણક થયા છે. દશ વર્ષ પહેલાંની તીર્થયાત્રામાં ફાગણ સુદ ૧૧ ના દિવસે ચંપાપુરીમાં
ગુરુદેવે વાસુપૂજ્ય પ્રભુનો અભિષેક કર્યો હતો ને ઘણા હર્ષોલ્લાસથી યાત્રા કરી હતી.
તા. ૨૮ ની બપોરે ગુરુદેવ વગેરે ઈસરી–આશ્રમમાં પધાર્યા હતા, ત્યાં દર્શન–ભક્તિ કર્યા
હતા. ફાગણ વદ (તા. ૨૯) ના રોજ ગિરડીહના સમાજની વિનંતિથી ગુરુદેવનું પ્રવચન
ગિરડીહમાં થયું હતું. ગિરડીહ જતાં વચ્ચે રસ્તામાં જાૃંભિકાગામની ઋજુવાલિકા નદી
આવે છે (જેને અત્યારે બરાકર નદી તરીકે ઓળખવામાં આવે છે)–તે નદી કિનારે
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું, તે મંગલ ક્ષેત્રનું અવલોકન કર્યું. તથા
પાર્શ્વનાથ ભગવાનના કેવળજ્ઞાનનો આજે મંગળ દિવસ હતો. આમ ક્ષેત્રમંગળ ને
કાળમંગળ ઉપરાંત ભાવમંગળનું સ્વરૂપ (એટલે કે સર્વજ્ઞદેવની પરમાર્થ સ્તુતિનું
સ્વરૂપ) સમયસારની ૩૧ મી ગાથા દ્વારા ગુરુદેવે સમજાવ્યું.

PDF/HTML Page 12 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
હતું. આ રીતે જાણે સિદ્ધધામમાં કેવળજ્ઞાનનો ઉત્સવ ઉજવાયો હતો. બપોરે પ્રવચન
પછી કેવળજ્ઞાન–કલ્યાણકને અનુલક્ષીને પાંડુક શિલાના સ્થાનેથી સમ્મેદશિખરજી
મહાતીર્થનું પૂજન થયું હતું. જાણે ફરીથી સિદ્ધિધામની યાત્રા જ કરતા હોઈએ એવા
ઉમંગથી ગુરુદેવ સાથે પૂજન કર્યું હતું. તીર્થ–પૂજન કરતાં ગુરુદેવને પણ ઘણી પ્રસન્નતા
થતી હતી. પૂ. બેનશ્રી–બેન વિધવિધ પ્રકારના પૂજન–ભક્તિવડે યાત્રિકોના ઉલ્લાસમાં
અનેરો રંગ પૂરતા હતા. અહીંથી શિખરજીનું પાવન દ્રશ્ય ઘણું જ મનોહર દેખાય છે, એક
છેડે ચંદ્રપ્રભુની ટૂંક ને બીજા છેડે પાર્શ્વપ્રભુની ટૂંક, તથા વચ્ચેની અનેક ટૂંક અહીંથી
દેખાય છે. મધુવનમાં સ. ગાથા ૭૨ ઉપર ગુરુદેવના સાત પ્રવચનો થયા; દરેક
પ્રવચનમાં ગુરુદેવ તીર્થરાજને યાદ કરીને કહેતા કે અહીં તો ઉપર અનંતા સિદ્ધભગવાન
બિરાજે છે; ભગવાનના આવા ધામમાં તો આત્માની ઊંચી વાત સમજવી જોઈએ ને!
ભગવાનના ધામમાં વારંવાર ભગવંતોને યાદ કરીને, હાથવડે ઉપરના સિદ્ધાલયનું
દિગ્દર્શન કરીને ગુરુદેવ સિદ્ધિનો પંથ દેખાડતા હતા. –આમ આનંદપૂર્વક છ દિવસ સુધી
ગુરુદેવ સાથે શિખરજી–સિદ્ધિધામમાં રહ્યા; ને ફાગણ વદ પાંચમે શિખરજી ધામના પુન:
પુન: દર્શન કરીને પાવાપુરી તીર્થધામ તરફ પ્રસ્થાન કર્યું.
પાવાપુરી–સિદ્ધિધામ: (ફા. વદ પાંચમ તથા છઠ્ઠ) ચંપાપુરી–મંદારગિરિ તીર્થની
યાત્રાએ ગયેલા યાત્રિકો તીર્થયાત્રા કરીને પાવાપુર પહોંચી ગયા હતા ને ગુરુદેવના
આગમનની રાહ જોતા હતા. સવારમાં ગુરુદેવ પધારતાં ઉમંગથી સ્વાગત કર્યું;
શરૂઆતમાં ગુરુદેવ જલમંદિરમાં પધાર્યા ને ભાવપૂર્વક દર્શન કરીને અર્ધ ચડાવ્યો. પછી
ધર્મશાળાના મંદિરે આવીને મહાવીરપ્રભુના દર્શન કર્યા. પાવાપુરી અતિશય રળિયામણું
સિદ્ધક્ષેત્ર છે. પદ્મસરોવર વચ્ચે જલમંદિરમાં વીરપ્રભુના ચરણો શોભે છે ને ભગવાનના
મોક્ષગમનની સ્મૃતિ તાજી કરાવે છે. આ પદ્મસરોવરના કાંઠે જ ધર્મશાળામાં સંઘનો
ઉતારો હતો. બપોરે પ્રવચનમાં સમયસારનો પહેલો કળશ વાંચ્યો હતો; ગુરુદેવ
સિદ્ધક્ષેત્રમાં સિદ્ધભગવંતોને વારંવાર યાદ કરતા હતા, સિદ્ધિનો માર્ગ દેખાડતા હતા.
પ્રવચન પછી ભવ્ય રથયાત્રા નીકળીને પદ્મસરોવરે ગઈ હતી ને ત્યાં ઉત્સાહપૂર્વક
જિનેન્દ્ર ભગવાનના પૂજન–અભિષેક થયા હતા. રાત્રે વીરપ્રભુજી સન્મુખ પૂ. બેનશ્રી–
બેને ભાવભીની ભક્તિ કરાવી હતી. વીરપ્રભુના મનોજ્ઞ પ્રતિમા જોતાં, જાણે કે
પાવાપુરીમાં મોક્ષગમન માટે મહાવીરપ્રભુ તૈયાર ઊભા હોય–એવું

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
વાતાવરણ સ્મૃતિસમક્ષ તરવરે છે. સંતોની સાથે આવા પવિત્ર તીર્થોની યાત્રા અને
પૂજન–ભક્તિ કરતાં વિશેષ ભાવો જાગે છે.
બીજે દિવસે સવારમાં પાવાપુરીથી વીસેક માઈલ રાજગૃહી તીર્થધામમાં યાત્રા
કરવા ગયા. ભગવાન મહાવીરપ્રભુના દિવ્યધ્વનિના ધોધ જ્યાંથી વહેવા શરૂ થયા એવા
વિપુલાચલધામના દર્શનથી ઘણો આનંદ થયો; એને જોતાં ભગવાનનું સમવસરણ ને
ગૌતમસ્વામીનું ગણધરપદ, બાર અંગની રચના, મુનિસુવ્રત ભગવાનના ચાર કલ્યાણક,
વગેરેનું સ્મરણ થતું હતું. આ રાજગૃહી ૨૩ તીર્થંકર ભગવંતોના સમવસરણથી પાવન
થયેલી છે. ગુરુદેવ સાથે રાજગૃહીના જિનાલયમાં તીર્થપૂજા કરી, પૂ. બેનશ્રી–બેને ભક્તિ
પણ કરાવી; ઘણા યાત્રિકોએ પંચ પહાડીની યાત્રા કરી. પાછા ફરતાં નાલંદાના અને
કુંડલપુર–જિનાલયના દર્શન કર્યા, ફરી પાવાપુર આવીને વીરપ્રભુના મોક્ષધામમાં
ભાવભીનાં ભક્તિ–પૂજન બેનશ્રી–બેને કરાવ્યા, બપોરે પાવાપુરીના બીજા સ્થાનોનું
અવલોકન કર્યું. જલમંદિર સામેના એક મંદિરમાં વીરપ્રભુના પ્રાચીન ચરણકમળ બિરાજે
છે ત્યાં પણ ભાવથી દર્શન કર્યા. બપોરે જલમંદિરમાં વીરચરણના અભિષેકપૂર્વક ભક્તિ
થઈ હતી; અહા! ચૈતન્યરસભીની ભક્તિવડે સાધકસન્તો સિદ્ધાલયમાં આનંદધામમાં
બિરાજમાન સિદ્ધભગવંતોનો સાક્ષાત્કાર કરાવતા હતા, ને વિધવિધ પ્રકારે પરમ મહિમા
કરતા હતા. યાત્રામાં આવા અપૂર્વ ભાવો જોવાનો અવસર મળતાં ભક્તો ધન્યતા
અનુભવતા હતા. રાત્રે પણ જલમંદિરમાં ભક્તિ થઈ હતી. આમ આનંદપૂર્વક પાવાપુરી
તીર્થધામ સિદ્ધક્ષેત્રમાં ગુરુદેવ સાથે બે દિવસ રહીને ભક્તિ–પૂજન કર્યા.
બીજે દિવસે સવારમાં યાત્રાસંઘ પ્રસ્થાન કરીને કોડરમા (ઝૂમરી તલૈયા)
આવ્યા; અહીંના સમાજે પ્રેમથી સ્વાગત કર્યું. અહીં કિંમતી અબરખની ખાણો છે,
રસ્તામાં જ્યાં જુઓ ત્યાં અબરખના ઢગલા નજરે પડે છે. અબરખનો ઉદ્યોગ મોટા
પાયા પર ચાલે છે. બપોરે પ્રવચનમાં અબરખનું દ્રષ્ટાંત આપતાં ગુરુદેવે કહ્યું કે જેમ
અબરખમાં અનેક પડ છે તેમ ચૈતન્યશક્તિમાં કેવળજ્ઞાનના અનંતા પડ ઉખડે એવી
તાકાત છે; અનંત કેવળજ્ઞાન ને આનંદની પર્યાય ખીલે તોપણ આત્માની જ્ઞાન ને
આનંદની શક્તિ કદી ઓછી થાય નહિ. પ્રવચન પછી તુરત પ્રસ્થાન કરીને સંઘ અને
ગુરુદેવ હજારીબાગ આવ્યા. રાત્રે સ્વાગતપૂર્વક ગુરુદેવ જિનાલયમાં પધાર્યા ને ત્યાં
મંગલ–પ્રવચન કર્યું.

PDF/HTML Page 14 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
ફાગણ વદ ૮ (તા. ૨) ની સવારમાં હજારીબાગથી પ્રસ્થાન કરીને ગુરુદેવ રાંચી
શહેર પધાર્યા. ભક્તોએ ઉમંગભર્યું સ્વાગત કર્યું. અહીંના અનુપચંદભાઈ ખારાના
સુપુત્રી બ્ર. કોકિલાબેન સોનગઢ બ્રહ્મચર્યાશ્રમમાં પૂ. બેનશ્રી–બેનની છાયામાં રહે છે,
તેમનું આ ગામ હોવાથી વિશેષ ઉત્સાહ હતો; શેઠશ્રી નરભેરામભાઈ કામાણી વગેરે પણ
આવ્યા હતા. ભવ્ય જિનાલયમાં દર્શન કર્યા બાદ બાજુના જૈન સભાભવનમાં હજારથી
વધુ શ્રોતાજનો વચ્ચે માંગળિક તરીકે ગુરુદેવે “સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:”
એ સૂત્ર ઉપર વિવેચન કરીને વીતરાગી મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવ્યું. બપોરના
પ્રવચનમાં “હે જગતના જીવો! હવે તો જડ–ચેતનની એકત્વબુદ્ધિરૂપ મોહને છોડો!”–એ
શ્લોક ઉપર ગુરુદેવે વિવેચન કરીને ભેદજ્ઞાનની પ્રેરણા આપી હતી. પ્રવચન બાદ
જિનમંદિરમાં ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી. તથા રાત્રે તત્ત્વચર્ચા થઈ હતી. બીજે દિવસે
સવારમાં જિનમંદિરમાં સેંકડો યાત્રિકોએ સમૂહ– પૂજન કર્યું હતું; અને બપોરે પ્રવચન
પછી ભક્તિ થઈ હતી. બંને દિવસ યાત્રાસંઘ ઉપરાંત રાંચીના સેંકડો જિજ્ઞાસુઓએ
પ્રવચનાદિનો લાભ લીધો હતો ને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બે દિવસનો કાર્યક્રમ
આનંદથી પૂર્ણ કરીને ફાગણ વદ દશમના સુદિને સવારમાં જયજયકારપૂર્વક રાંચીથી
ધનબાદ તરફ પ્રસ્થાન કર્યું.
ફાગણ વદ દશમે ગુરુદેવે ધનબાદ પધારતાં ધનબાદ શહેરમાં ગુજરાતી–સમાજના
ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો ને બપોરે પ્રવચનમાં હજારેક શ્રોતાજનોએ ભાગ
લીધો હતો. સાંજે ધનબાદથી પ્રસ્થાન કરી આસનસોલ રાત રહીને, બીજે દિવસે
ચિન્સુરા આવ્યા. ત્યાં જિનમંદિરમાં શાંત વાતાવરણમાં પ્રાચીન જિનબિંબોના દર્શન
કર્યા. જિનમંદિર સાથે જ ધર્મશાળા હતી. સાંજે કલકત્તા પહોંચી ગયા.
તા. ૬ એપ્રીલ સવારમાં કલકત્તામાં ભવ્ય સ્વાગત થયું. પાર્કના ભવ્ય મંડપમાં
પ્રથમ સ્વાગતાધ્યક્ષ શેઠશ્રી ગજરાજજી ગંગવાલે સ્વાગત–પ્રવચન કર્યું, ત્યારબાદ ત્રણ–
ચાર હજાર માણસોની સભામાં ગુરુદેવે મંગલપ્રવચન કર્યું. બંને વખત પ્રવચનોમાં ચાર–
પાંચહજાર શ્રોતાજનો હોંશથી ભાગ લેતા હતા ને ગુજરાતી તથા મારવાડી સાધર્મીઓના
મધુર મિલનનું દ્રશ્ય જોઈ આનંદ થતો હતો. કલકત્તાની ભીડમાં મુમુક્ષુઓને થતું કે ક્યાં
સિદ્ધિધામ સમ્મેદશિખરજીનું ઉપશાંત વાતાવરણ! ને ક્યાં આ નગરીની ભીડ! આમ
ભીડ વચ્ચે ત્રણ દિવસ પસાર કર્યા. તે દરમિયાન નયામંદિરમાં ભક્તિ–પૂજનના કાર્યક્રમો
રાખ્યા હતા. બેલગછિયા પાર્શ્વનાથ જિનમંદિરના દર્શન કર્યા. ચોથે દિવસે સાંજે ગુરુદેવે
કલકત્તાથી પ્રસ્થાન કર્યું.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
બયાના શહેરમાં અપૂર્વ મંગળ સાથે અપૂર્વ જાહેરાત
ગુરુદેવે મહાન ઉલ્લાસપૂર્વક પ્રસિદ્ધ કરેલી પૂર્વ ભવની આનંદકારી વાત
પાંચસો વર્ષ પ્રાચીન સીમંધર પ્રભુની પ્રતિમા સમક્ષ થયેલો ભવ્ય ઉત્સવ
ફાગણ સુદ ૭ બયાના નગરમાં પહોંચ્યા........સીમંધર ભગવાન અહીંના
જિનમંદિરમાં બિરાજે છે, તેમના ખાસ દર્શન કરવા માટે જ ગુરુદેવની ખાસ ભાવનાથી
અહીંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો; એટલે ગુરુદેવ સાથે સીમંધર ભગવાનના દર્શન
કરતાં સૌને ઘણો જ હર્ષ થયો. પ્રથમ ગુરુદેવ પધારતાં સ્વાગત થયું ને ગુરુદેવ
જિનમંદિરમાં દર્શન કરવા પધાર્યા. જિનેન્દ્ર ભગવંતોને અર્ઘ ચડાવતાં ચડાવતાં ને દર્શન
કરતાં કરતાં જ્યાં સીમંધરપ્રભુની સમીપમાં આવ્યા કે તરત ઘણા ભાવથી ગુરુદેવ
પ્રભુજીને દેખી રહ્યા. પાંચસો વર્ષ પ્રાચીન પ્રતિમાજી ઉપરના લેખમાં સીમંધરસ્વામીનું
નામ વાંચ્યું. તેમાં લખ્યું છે કે
पूर्व्वे विदेहके तीर्थकर्त्ता श्री जीवन्तस्वामी श्री
श्रीमंधरस्वामी। ફરી ફરીને ગુરુદેવે એ નામ વાંચ્યું, ને તે લેખની નોંધ કરવાનું કહ્યું.
ભાવભીના ચિત્તે ગુરુદેવ પ્રભુજીની નીકટમાં ઘણીવાર સુધી બેસી રહ્યા, અને પૂ. બેનોને
ભક્તિ કરવાનું કહ્યું. થોડીવાર ભાવભીની ભક્તિ થઈ. ગુરુદેવે કહ્યું કે આ સીમંધર
ભગવાનનાં દર્શન કરવા માટે જ અહીં આવ્યા છીએ. ત્યારબાદ પ્રવચન–સભામાં
ભાવભીનું મંગલ–પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું–
‘મંગળ’ ચાર પ્રકારે છે–નામ, સ્થાપના, દ્રવ્ય, ને ભાવ; આત્માનું સ્વરૂપ જે શુદ્ધ
ભૂતાર્થસ્વભાવ તે મંગળ છે; તે સ્વરૂપને સાધીને જેઓ સર્વજ્ઞ–પરમાત્મા થયા તે મંગળ
છે; એવા પરમાત્મા સીમંધર ભગવાન અત્યારે વિદેહક્ષેત્રમાં બિરાજે છે; અને અહીં પણ
સ્થાપના–નિક્ષેપથી સીમંધર પરમાત્મા બિરાજી રહ્યા છે. અમારે સોનગઢમાં પણ સીમંધર
ભગવાનને પધરાવ્યા છે, પણ અહીં તો પાંચસો વર્ષ પ્રાચીન સીમંધર ભગવાનની
પ્રતિમા છે; તેમના ખાસ દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. કોઈ કહેતું હતું કે
हमारा
गांव छोटा है, ભાઈ! ગાંવ ભલે છોટા હો લેકિન ભગવાન તો બડા હૈ! એવા
સીમંધરાદિ પરમાત્માનું નામ મંગળરૂપ છે; તેઓ જ્યાં બિરાજતા હોય તે ક્ષેત્ર મંગળરૂપ
છે; જે કાળમાં તેઓ જન્મ્યા, દીક્ષા લીધી કે કેવળજ્ઞાનાદિ પામ્યા

PDF/HTML Page 16 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
તે કાળ પણ મંગળ છે; ને જે ભાવથી તેઓ કેવળજ્ઞાનાદિ પામ્યા તે સમ્યક્ત્વાદિ ભાવ
પણ મંગળરૂપ છે. અને ષટ્ખંડાગમમાં તો વીરસેનસ્વામીએ એક વિશેષ વાત કરી છે કે
જે આત્મા તીર્થંકરાદિ થનાર છે ને કેવળજ્ઞાનાદિ પામનાર છે તે આત્મદ્રવ્ય ત્રિકાળ
મંગળરૂપ છે.
અત્યારે સીમંધર ભગવાન પૂર્વવિદેહમાં તીર્થંકરપણે વિચરે છે. બે હજાર વર્ષ
પહેલાં જેમની વાણી સાંભળીને કુંદકુંદાચાર્યદેવે શાસ્ત્રો રચ્યા, તે જ સીમંધરભગવાન
અત્યારે પણ બિરાજી રહ્યા છે. તેમનું આયુષ્ય ક્રોડપૂર્વનું છે. જેમ ૨૪ તીર્થંકરની
સ્થાપના થાય છે, તેમ સીમંધરભગવાન વગેરે વિદ્યમાન તીર્થંકરની પણ સ્થાપના થાય
છે. તેનું અહીં પાંચસો વર્ષ પ્રાચીન પ્રમાણ આ મૂર્તિના શિલાલેખમાં છે, હમારે
સોનગઢમેં તો માનસ્તંભમાં ચાર ઉપર, ચાર નીચે, સમવસરણમાં ચૌમુખી તથા
મંદિરજીમાં બે–એમ સીમંધર ભગવાનની સ્થાપના છે, તેમજ સૌરાષ્ટ્ર વગેરેમાં ઘણે
ઠેકાણે પણ સીમંધર ભગવાન બિરાજે છે; પરંતુ અહીં સીમંધર ભગવાનના પાંચસો વર્ષ
પહેલાંના પ્રાચીન પ્રતિમાના દર્શનથી હમકો બડા પ્રમોદ આવ્યા! જેવા અહીં મહાવીરાદિ
૨૪ તીર્થંકરો થયા તેવા જ સીમંધર ભગવાન પણ તીર્થંકરપણે વિદેહમાં અત્યારે વિચરી
રહ્યા છે. શું કહીએ! બીજી ઘણી વાત છે...
મંગળના શ્લોકમાં મહાવીર ભગવાન અને ગૌતમગણધર પછી ત્રીજું નામ
કુંદકુંદાચાર્યદેવનું (मंगलं कुन्दकुन्दार्यो) આવે છે. તેઓ આ ભરતક્ષેત્રમાં બેહજાર વર્ષ
પહેલાં થયેલા મહાન સંત હતા, આત્માના જ્ઞાન–આનંદના પ્રચુર સંવેદનમાં ઝુલતા હતા,
અતીન્દ્રિય આનંદથી વિલસિત તેઓ મદ્રાસ પાસે (૮૦ માઈલ દૂર)
पोन्नूर પહાડ ઉપર
રહીને આત્મધ્યાન કરતા હતા. એકવાર તેમને ભરતક્ષેત્રમાં તીર્થંકર–કેવળીનો વિરહ
સાલ્યો, ને સીમંધર પરમાત્માનું ધ્યાન કર્યું. તેઓને આકાશમાં ચાલવાની મહાન લબ્ધિ
હતી; અને દેહસહિત તેઓ સીમંધર પરમાત્મા પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. અહા,
એમની પવિત્રતા તો અલૌકિક, ને એમનાં પુણ્ય પણ કેવા અલૌકિક–કે ભરતક્ષેત્રના
માનવીએ દેહસહિત વિદેહક્ષેત્રના તીર્થંકરની યાત્રા કરી ! વિદેહમાં આઠ દિવસ સુધી
સીમંધર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળીને પછી ભરતક્ષેત્રમાં પોન્નૂર પર તેમણે
સમયસારાદિ મહાન શાસ્ત્રો રચ્યા. તે વખતે જે સીમંધર પરમાત્મા બિરાજતા હતા તે જ
અત્યારે પણ બિરાજી રહ્યા છે.
અહીં બયાનામાં પણ પાંચસો વર્ષ પ્રાચીન સીમંધર ભગવાન બિરાજે છે એ
સાંભળ્‌યું ત્યારથી તે પ્રતિમાજીના દર્શન કરવાની ભાવના હતી. જયપુરના ઉત્સવના

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
કારણે આ તરફ આવવાનું થયું, ને અહીંના સીમંધર ભગવાનના દર્શન કર્યા. ખાસ આ
દર્શન કરવા માટે જ અહીં આવ્યા છીએ. ગાંવ છોટા હો યા બડા, પરંતુ ભગવાન તો
મોટા બિરાજી રહ્યા છે. આ સીમંધરભગવાન હમારા પ્રભુ હૈ, હમારા દેવ હૈ, તેમનો
અમારા ઉપર મહાન ઉપકાર છે. આ પહેલાંના ભવમાં અમે તે ભગવાન પાસે હતા. પણ
અમારી ભૂલના કારણે અહીં ભરતમાં આવ્યા છીએ કુંદકુંદાચાર્યદેવ અહીંથી
સીમંધરપરમાત્મા પાસે આવ્યા ને ભગવાનની વાણી સાંભળી ત્યારે હમ ભી વહાં
ઉપસ્થિત થે. આ દોનોં બહેનોંકા આત્મા ભી પુરુષભવમેં વહાં ઉપસ્થિત થે. કુંદકુંદાચાર્ય
કો હમને સાક્ષાત્ દેખે હૈ, વિશેષ ક્યાં કહે? ઔર ભી બહુત ગંભીર બાત હૈ. સીમંધર
પરમાત્માકા યહાં વિરહ હુઆ; યહાંકે ભગવાનની બાત સુનકર ઔર આજ સાક્ષાત્
દર્શન કર હમકો બહુત પ્રમોદ હુઆ.
* * *
મંગલ–પ્રવચન પૂરું થયું...બયાના નગરના એક ભાઈએ સ્વાગત–ગીત પણ
ગાયું... પરંતુ કાર્યક્રમ પૂરો થાય ત્યાર પહેલાં પૂ. ગુરુદેવે અંતરમાં ઘૂંટાઈ રહેલી એક
અત્યંત મહત્વની સોનેરી વાત જાહેર કરી...સીમંધરનાથના દર્શનથી અંતરમાં જાગેલા
વિદેહક્ષેત્રના મધુર સંભારણા આજે ગુરુદેવના હૃદયમાં આનંદની ઉર્મિઓ જગાડતા હતા;
ને હૃદયના ઘણા ઘણા ભાવો ખોલવાનું મન થતું હતું. પૂ. શ્રી ચંપાબેનને પૂર્વના ચાર
ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે અને પૂર્વભવમાં સીમંધર ભગવાન પાસે હતા, તે વાત
પ્રસિદ્ધ કરતાં અત્યંત પ્રમોદ અને પ્રસન્નતાથી ગુરુદેવે કહ્યું કે–
જુઓ, અહીં સીમંધર ભગવાન બિરાજમાન છે; સીમંધર ભગવાનની અહીં
સાક્ષી છે; આ ભગવાનની સાક્ષીમાં અહીં એ વાત પ્રસિદ્ધ કરું છું કે આ ચંપાબેનને
(સામે બેઠેલા છે તેમને) ચાર ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે. આ બંને બહેનો (ચંપાબેન
અને શાન્તાબેન) પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં ભગવાન પાસે હતા, ત્યાંથી અહીં આવ્યા છે.
આ બે બેનો, હું તથા બીજા એક ભાઈ હતા–એમ ચાર જીવો ભગવાનની સમીપમાં હતા,
પણ અમારી ભૂલથી અમે આ ભરતક્ષેત્રમાં આવ્યા. અહીં પ૦૦ વર્ષ પ્રાચીન સીમંધર
પ્રભુ બિરાજી રહ્યા છે, તેમને દેખીને ઘણો પ્રમોદ થયો. આ પરમાત્માની સમીપમાં હું આ
વાત આજે અહીં ખુલ્લી મૂકું છું કે આ બેનો ને અમે પૂર્વે સીમંધર પરમાત્મા પાસે હતા
ને આ ચંપાબેનને ચાર ભવનું જ્ઞાન છે. આત્માના જ્ઞાન ઉપરાંત તેમને તો ચાર ભવનું
જ્ઞાન છે. આ સીમંધર ભગવાનની સાક્ષીએ સમાજમાં આ વાત બહાર પાડી છે. અમારા
ઉપર ભગવાનનો મહા ઉપકાર છે.

PDF/HTML Page 18 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
અહા, સીમંધર ભગવાનની સમીપમાં ગુરુદેવના આવા પરમ ભાવભીનાં
હૃદયઉદ્ગાર સાંભળીને શ્રોતાજનો હર્ષાનંદમાં તરબોળ બન્યા.....યાત્રામાં સૌ ધન્યતા
અનુભવવા લાગ્યા. વિદેહીનાથ સીમંધરપ્રભુની ગુરુદેવે મહાન આનંદપૂર્વક યાત્રા કરાવી.
એકેએક યાત્રિક બીજું બધું ભૂલીને સીમંધરનાથની ચર્ચામાં મશગુલ હતા. બયાના
નગરમાં જ્યાં જુઓ ત્યાં ગુરુદેવના આજના હર્ષોદ્ગારનું વાતાવરણ દેખાતું હતું.
જયપુરના ભવ્ય ઉત્સવ પછી તરત આવો મહાન આનંદકારી પ્રસંગ બન્યો–એ ખરેખર
સીમંધર ભગવાનના પ્રતાપે ગુરુદેવદ્વારા ભરતક્ષેત્રમાં મહાન ધર્મવૃદ્ધિ થવાનું સૂચવે છે.
જય હો સીમંધરનાથનો........................
જય હો સીમંધરનંદન ગુરુદેવનો....................
જય હો વિદેહથી પધારેલા સન્તોનો................
* * *
આમ ઘણા જ પ્રમોદપૂર્વક ગુરુદેવે સીમંધરપ્રભુના ચરણસાન્નિધ્યમાં હૃદયના
ભાવો ખોલ્યા. શ્રોતાજનોના હર્ષનો તો આજે પાર ન હતો. બયાનાની આવી
આનંદકારી યાત્રાની તો કોઈને કલ્પનાય ન હતી. બયાના શહેર જાણે આજ
સીમંધરનગર બની ગયું હતું. આજના આનંદકારી પ્રસંગની જ ચર્ચા ગુરુદેવ વારંવાર
કર્યા કરતા હતા. હજી પણ હૃદયના ઘણા ઘણા ભાવો ખોલવાનું ગુરુદેવનું મન હતું.
પ્રસન્નચિત્તે ફરીફરી તેમણે કહ્યું–કોઈ લોકો કહે છે કે તમે સીમંધરપ્રભુની પ્રતિમા કેમ
પધરાવી? પણ ભાઈ, પ્રતિમા તો ૨૪ તીર્થંકરની તેમજ વિદ્યમાન તીર્થંકરોની પણ હોય
છે. અહીં પાંચસો વર્ષ પહેલાં સીમંધરપ્રભુની સ્થાપના થઈ છે–એ જ એનો મોટો પુરાવો
છે; ને પ્રતિમા ઉપર સીમંધરપ્રભુનો લેખ અત્યંત સ્પષ્ટ છે. તેમને
जीवन्तस्वामी એટલે
વિદ્યમાન તીર્થંકર કહ્યા છે. તેમના દર્શન કરવાનો વિચાર હતો, તે આજે સફળ થયો; ને
ભગવાનની સમીપમાં આ વાત પ્રસિદ્ધ કરી, તે મંગળ છે.
અહીં તો સીમંધર ભગવાનની સ્થાપના છે; ને મહાવિદેહમાં સાક્ષાત્
સીમંધરપરમાત્મા અત્યારે બિરાજે છે. આ ચંપાબેનને ૪ ભવનું જ્ઞાન છે. પૂર્વ ભવમાં
અમે ચાર જીવો ભગવાન પાસે હતા, ને તેમના જ્ઞાનમાં સ્પષ્ટ ભાસ્યું છે; બીજું પણ
ઘણું છે. આત્મજ્ઞાન ઉપરાંત તેમને તો ચાર ભવનું જ્ઞાન છે. ત્રીસ વર્ષે આજે અહીં
સીમંધરભગવાનની સાક્ષીમાં એ વાત જાહેર કરું છું. પૂર્વભવમાં આ બે બેનો તથા મારો
આત્મા (ગુરુદેવનો આત્મા–રાજકુમાર તરીકે) ત્યાં ભગવાનની સમીપમાં હતા. ત્યાંથી અમે

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
ચાર જીવો આ ભરતક્ષેત્રમાં આવ્યા છીએ. અહીં ભગવાનની સમીપમાં આજે સમાજમાં
આ વાત હું જાહેર કરું છું.
ગુરુદેવના શ્રીમુખથી વારંવાર આવી આનંદકારી જાહેરાત સાંભળતાં ભક્તોને
ઘણો જ હર્ષ થતો હતો. આમ તો ગુરુદેવ ઘણા ભક્તોને અવારનવાર એ વાત કરતા,
પણ ભરસભા વચ્ચે, આટલી મહાન પ્રસન્નતા પૂર્વક અને સીમંધર ભગવાનની સાક્ષીમાં
ગુરુદેવે આજે જે પ્રસિદ્ધિ કરી તે ખાસ નવીનતા હતી. ને શ્રોતાજનો એ સાંભળી ધન્યતા
અનુભવતા હતા. વાહ! આજની યાત્રા સફળ થઈ. ગુરુદેવ પણ અહીંના પ્રસંગને ફરી
ફરી સેંકડોવાર આનંદથી યાદ કરે છે.
અહીંના સીમંધર ભગવાનની પ્રતિમાનું ચિત્ર અગાઉ આત્મધર્મમાં પ્રસિદ્ધ થઈ
ગયેલ છે.
આ પ્રતિમાજી પ૦૦ વર્ષ પહેલાંના સ્થાપિત હોવા છતાં અત્યાર સુધી પ્રસિદ્ધ કેમ
ન હતા, ને હમણાં જ કેમ પ્રસિદ્ધિમાં આવ્યા? તે સંબંધી ઈતિહાસ પણ જાણવા જેવો છે.
જિનમંદિરની જે વેદી ઉપર આ ભગવાન બિરાજે છે તે વેદી ઉપર બીજા પણ અનેક
પ્રતિમાજી બિરાજતા હતા; તેમાં આ પ્રતિમાજીના આગલા ભાગમાં બીજા એક પ્રતિમાજી
એવી રીતે હતા કે તેના વડે સીમંધર ભગવાનની મૂર્તિ ઉપરનો લેખ ઢંકાઈ જતો હતો.
ને છેલ્લા બસો વર્ષોથી પરંપરાગત લોકો ચંદાપ્રભુ તરીકે આ ભગવાનની પૂજા કરતા
આવ્યા છે. એવામાં ગુરુદેવનો પ્રભાવ અને પ્રચાર બયાના સુધી પહોંચ્યા. બયાનાના
જિજ્ઞાસુઓએ આત્મધર્મ દ્વારા તથા અભિનંદન–ગ્રંથમાં છપાયેલ સીમંધરપ્રભુની
પ્રતિમાના અનેક ચિત્રો જોયા...તેમની મુદ્રા જાણે કે આ ભગવાનને મળતી આવતી હોય
તેમ તેમને લાગ્યું. (વિશેષમાં આ વેદી ઉપર બિરાજમાન બીજી અનેક પ્રતિમાઓની
નેત્રદ્રષ્ટિ કરતાં આ ભગવાનની નેત્રદ્રષ્ટિમાં એક વિશેષતા છે.) તેથી વચ્ચેના બીજા
પ્રતિમાજીને એક તરફ લઈને આ પ્રતિમા ઉપરનો લેખ વાંચ્યો. લેખ વાંચ્યો અને
પૂજારીને આશ્ચર્ય થયું કે અરે! યહ ચંદાપ્રભુ સીમંધરસ્વામી કૈસે બન ગયે? તેમને માટે
આ એક આશ્ચર્યની વાત હતી, એટલે જૈન પત્રોમાં એ વાત પ્રસિદ્ધ કરી. ને એ રીતે
બયાનાના આ સીમંધર ભગવાન પ્રસિદ્ધ થયા. પછી તો આપણે તેનો ખાસ ફોટો
મંગાવીને આત્મધર્મમાં તે પ્રસિદ્ધ કર્યો. ને આજે ગુરુદેવે તેમની સાક્ષાત્ યાત્રા કરીને આ
સીમંધર ભગવાનને સારા ભારતમાં પ્રસિદ્ધ કરી દીધા. એટલું જ નહિ, એ
સીમંધરભગવાન સાથેના પૂર્વભવના સંબંધને પણ આનંદપૂર્વક પ્રસિદ્ધ કરીને મહાન
મંગલ કર્યું.
સીમંધર ભગવાનનો જય હો!

PDF/HTML Page 20 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
બપોરે પણ ફરીફરીને સીમંધરનાથનું અવલોકન કરવા ગુરુદેવ પધાર્યા હતા, ને
વારંવાર સૂક્ષ્મતાથી અવલોકન કરતાં તેમના અંતરમાં અવનવા ભાવો જાગતા હતા, ને
પૂર્વના ઘણાં મધુર સ્મરણો તાજા થતા હતા. ભક્તોને ત્યારે એમ થતું હતું કે અહીં આ
ભરતક્ષેત્રમાં સં. ૧પ૦૭ માં જ્યારે આ સીમંધર ભગવાન સ્થપાતા હશે ત્યારે ગુરુદેવ
અને પૂ. બેનશ્રી–બેન વગેરે આત્માઓ તો વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધરનાથને સેવતાં
હશે! એ વખતે બયાનામાં કોને કલ્પના હશે કે પ૧૬ વર્ષ પછી સાક્ષાત્ સીમંધર
ભગવાન પાસેથી ભક્તો અહીં આવીને આ સીમંધરનાથનાં દર્શન–પૂજન કરશે! બપોરે
ભક્તોને ભાવના જાગી કે ગુરુદેવ સાથે અહીં આવ્યા છીએ તો ચાલો, ભગવાનનો
અભિષેક પણ કરીએ ને ગુરુદેવ પાસે પણ અભિષેક કરાવીએ. ઉત્સાહથી અભિષેક
માટેની ઊછામણી થઈ, ને ગુરુદેવે સ્વહસ્તે ભાવભીના ચિત્તે પોતાના વહાલા નાથનો
અભિષેક કર્યો. ગુરુદેવના હસ્તે સીમંધરનાથના અભિષેકનું દ્રશ્ય દેખીને યાત્રિકસંઘમાં
તેમજ બયાનાની જનતામાં હર્ષપૂર્વક જયજયકાર છવાઈ ગયો. અને સીમંધરનાથની આ
યાત્રાની ખુશાલીમાં કુલ રૂા. પપપપ (પાંચ હજાર પાંચસો પંચાવન) જિનમંદિર
(બયાના) ને અર્પણ કરવામાં આવ્યા. તે ઉપરાંત બીજી પણ કેટલીક રકમો જાહેર
કરવામાં આવી. બયાના શહેરના સંઘે ઘણો પ્રેમ બતાવ્યો હતો. ને ઉલ્લાસપૂર્વક
આગતા–સ્વાગતા કરી હતી. બપોરના પ્રવચનમાં પણ ગુરુદેવે વારંવાર પોતાનો પ્રમોદ
વ્યક્ત કર્યો હતો. (તે પ્રવચન આ અંકમાં આપ્યું છે.) પ્રવચનનું સ્થાન બરાબર
સીમંધર ભગવાનની સન્મુખ નીકટમાં જ હતું, તેથી ગુરુદેવને વિશેષ ભાવો ઉલ્લસતા
હતા. આજે દિવસ પણ ફાગણ સુદ સાતમ હતો; (દશ વર્ષ પહેલાં આ જ દિવસે
સમ્મેદશિખરજીની યાત્રા કરી હતી, ને અત્યારે પણ તેની જ જાત્રા કરવા જઈ રહ્યા
હતા.) પ્રવચન પછી ફરી એકવાર સીમંધરપ્રભુના દર્શન કરીને તથા બીજા મંદિરમાં
દર્શન કરીને ભગવાનના જયજયકાર પૂર્વક ગુરુદેવે તેમજ યાત્રાસંઘે બયાનાથી ઈટાવા
પ્રસ્થાન કર્યું.
વચ્ચે ફિરોઝાબાદના ભવ્ય જિનમંદિરના દર્શન કરવા યાત્રિકો રાત ત્યાં રોકાયા
હતા. ગુરુદેવ રાત્રે આગ્રા થઈ બીજે દિવસે સવારમાં ફિરોઝાબાદ–જિનમંદિરના દર્શન
કરીને ઈટાવા શહેર પધાર્યા. વચ્ચે જસવંતનગર ગામે મંદિરમાં દર્શન કર્યા હતા, તથા
જૈનસમાજે સ્વાગત કર્યું હતું.