Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૫
સળંગ અંક ૨૯૭
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
રજતજયંતિનું વર્ષ
૨૯૭
તું મોક્ષપંથે આવ
શ્રીગુરુ શિખામણ આપે છે કે હે ભવ્ય! આત્માના
અનુભવ માટે સાવધાન થાજે....શૂરવીર થાજે....જગતની
પ્રતિકૂળતા દેખીને કાયર થઈશ નહિ....પ્રતિકૂળતા સામે ન જોઈશ,
શુદ્ધઆત્માના આનંદ સામે જોજે. શૂરવીર થઈને–ઉદ્યમી થઈને
આનંદનો અનુભવ કરજે. ‘હરિનો મારગ છે શૂરાનો....’ તે
પ્રતિકૂળતામાં કે પુણ્યની મીઠાસમાં કયાંય અટકતા નથી; એને
એક પોતાના આત્માર્થનું જ કામ છે. તે ભેદજ્ઞાનવડે આત્માને
બંધનથી સર્વથા પ્રકારે જુદો અનુભવે છે. આવો અનુભવ
કરવાનો આ અવસર છે–ભાઈ! તેમાં શાંતિથી તારી ચેતનાને
અંતરમાં એકાગ્ર કરીને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન
કર...ને રાગાદિ સમસ્ત બંધભાવોને ચેતનથી જુદા અજ્ઞાનરૂપ
જાણ. આમ સર્વ પ્રકારે ભેદજ્ઞાન કરીને તારા એકરૂપ
શુદ્ધઆત્માને સાધ. મોક્ષને સાધવાનો આ અવસર છે.
અહો, વીતરાગના મારગડા...જગતથી જુદા છે. જગતના
ભાગ્ય છે કે સંતોએ આવો મારગ પ્રસિદ્ધ કર્યો છે. આવો મારગ
પામીને હે જીવ! ભેદજ્ઞાન વડે શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તું
મોક્ષપંથે આવ.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી – સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ અષાડ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક ૯

PDF/HTML Page 3 of 45
single page version

background image
ગુરુદેવના ચરણોમાં
મારા જીવના પચીસ વર્ષ
આ અષાડ સુદ બીજે જ્યારે પૂ.
ગુરુદેવની પવિત્ર છાયામાં આવ્યાને મને
પચીસ વર્ષ પૂરા થાય છે. ત્યારે ગુરુદેવના
પરમ ઉપકારથી ભરેલા સંસ્મરણો ઘણી
ભકિતથી જાગૃત થાય છે...ને પવિત્ર સંતોના
ચરણોમાં વીતેલા મધુરતાભર્યા પચીસ વર્ષ
હૃદયને પુલકિત કરે છે.
પરમપૂજ્ય કહાનગુરુદેવના પવિત્ર ચરણકમળમાં હું સં. ૧૯૯૯ ના અષાડ સુદ
બીજના દિવસે આવ્યો; અવ્યક્તપણે પણ તે મારા જીવનનો અપૂર્વ મંગલ દિવસ હતો.
આ અબુધ બાળકને તે વખતે તો કલ્પના પણ ન હતી કે હવેનું આખુંય જીવન આ
સંતના ચરણમાં જ રહેવાનું મહાભાગ્ય મળશે. તે વખતે તો મારા વડીલ ભાઈજીની સાથે
માત્ર ચાર દિવસ માટે રાજકોટ આવેલો, અને મારા ભાઈજીની પ્રેરણાથી એક
ડાયરીબુકમાં મેં ગુરુદેવના પ્રવચનમાંથી થોડીક નોંધ કરી. તે વખતે પ્રવચનમાં
સમયસારની છઠ્ઠી ગાથાનો છઠ્ઠો દિવસ ચાલતો હતો...ને મેં પહેલું વાકય આ લખ્યું હતું
: ‘દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય જે છે તે જ છે.’
ત્યારબાદ ચાર દિવસ પૂરા થયા ને હું તો રાજકોટથી પાછો મોરબી જવા માટે
રવાના થયો. પરંતુ, જેનું હિત થવાનું હોય તેને આવા સંતના ચરણથી કુદરત કેમ દૂર
થવા દ્યે! અજાણ્યો અજાણ્યો રસ્તો શોધતો હું સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યાં તો
અચાનક વરસાદ આવવા લાગ્યો –જાણે કે એ વરસાદરૂપી મધુરી વાણીદ્વારા આકાશ
મને કહેતું હોય કે ‘તું અહીંથી જા મા...અહીં જ તારું હિત છે.’ છતાં હું તે આકાશવાણી
ન સમજ્યો ને સ્ટેશન તરફ આગળ પહોંચ્યો. સ્ટેશનની નજીક પહોંચતા જ જોયું કે
ટ્રેઈન તો આ ચાલી જાય!!
(–અનુસંધાન પાનું ૩૯)

PDF/HTML Page 4 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા અષાડ
* વર્ષ ૨પ : અંક ૯ *
અવસર આવ્યો આત્મજ્ઞાનો
ગુરુદેવ પરમ વાત્સલ્યભરી પ્રેરણાથી કહે છે કે હે
ભાઈ! અત્યારે આત્મજ્ઞાન માટેનો આ અવસર છે...તું
આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્‌યા
છે...તેમાં કરવાનું તો એક આ જ છે. અંદરમાં જરા
ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી, વિચાર કર તો
તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બંને એક
થઈને રહેવા યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે.
બંનેનો સ્વભાવ જુદો છે તેથી જુદા પડી જાય છે.
ભાઈ! સમય–સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે;
તેમાં જો તું તારા સ્વભાવ–સન્મુખ ન થયો તો તેં શું
કર્યું? જે કરવા જેવું કાર્ય છે તે તો આ જ છે. ગમે
તેટલા પ્રયત્નવડે પણ વિકારથી ભિન્ન ચેતનનો
અનુભવ કરવો–તે જ કરવાનું છે.
(પ્રજ્ઞાછીણીના પ્રવચનમાંથી : પૂરું પ્રવચન અંદર વાંચો)

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષમાર્ગ સાધવાની રીત
ભગવાને પરાશ્રયરૂપ વ્યવહાર બધોય છોડાવ્યો છે
શુદ્ધ વસ્તુરૂપ નિશ્ચયનું એકનું જ આલંબન કરાવ્યું છે
સર્વજ્ઞના માર્ગમાં વીતરાગી સન્તોએ કઈ રીતે મોક્ષમાર્ગ
સાધ્યો? તેની વિધિ બતાવતાં આચાર્યદેવ સ્વાનુભવ સહિત કહે છે કે
પરાશ્રિત એવા સમસ્ત વ્યવહારને છોડીને અને સ્વાશ્રિત એવા સમ્યક્
નિશ્ચયરૂપ શુદ્ધ આત્મામાં એકમાં જ નિષ્કંપ રહીને વીતરાગમાર્ગી
સંતોએ મોક્ષમાર્ગ સાધ્યો છે, અમે પણ એ જ વિધિથી મોક્ષમાર્ગ સાધી
રહ્યા છીએ...ને જગત પણ એ જ એક વિધિથી મોક્ષમાર્ગને સાધો.
(સમયસાર કળશ ૧૭૩ ઉપરના પ્રવચનમાંથી)
મોક્ષમાર્ગમાં વિચરતા સન્તો શું કરે છે? તે વાત છે. મુનિ હો કે સમ્યગ્દ્રષ્ટિ
ગૃહસ્થ હો –તે બધા સન્ત છે, મોક્ષમાર્ગી છે. અસંખ્યાત સમકિતી ને કરોડો મુનિ તે
બધા અંદરમાં કઈ રીતે મોક્ષમાર્ગને સાધે છે તે અહીં બતાવ્યું છે. આમાં જૈનશાસનનો
નીચોડ આવી જાય છે.
પ્રથમ તો, સમ્યગ્દ્રષ્ટિ જીવરાશિ એટલે કે સમ્યગ્દ્રષ્ટિ જીવોનો સમૂહ મહિમાવંત
એવા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થઈને પરમ સુખને અનુભવે છે; શુદ્ધસ્વરૂપમાં
એકાગ્રતા વડે જ સુખ છે; કોઈપણ પરાશ્રયભાવમાં સુખ નથી. પરાશ્રિતભાવ તે તો
દુઃખ છે; માટે બધોય પરાશ્રયભાવ છોડવાનો ભગવાનનો ઉપદેશ છે, ને એકલા શુદ્ધ–

PDF/HTML Page 6 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩ :
સ્વરૂપના અવલંબનનો ભગવાનનો ઉપદેશ છે. આનાથી વિરુદ્ધ માને, વ્યવહારના
આશ્રયથી લાભ માને, તો તેણે ભગવાનના સ્વાલંબી ઉપદેશને જાણ્યો નથી.
ભગવાનનો ઉપદેશ તો સ્વાલંબનનો એટલે કે શુદ્ધાત્માના આશ્રયનો છે; એમ કરે તેણે
જ ભગવાનના ઉપદેશને યથાર્થ ઝીલ્યો કહેવાય.
અહો! સર્વજ્ઞ ભગવાનનો આવો ઉત્તમ ઉપદેશ સાંભળીને સમ્યગ્દ્રષ્ટિજીવો
શુદ્ધાત્મામાં સ્થિર થઈને સુખને કેમ ન અનુભવે? સમ્યગ્દ્રષ્ટિ તો શુદ્ધાત્માનો આશ્રય
કરીને આનંદને અનુભવે છે. –એટલે સમ્યગ્દ્રષ્ટિ થવાની પણ આ જ રીતે છે કે
વ્યવહારનો આશ્રય છોડીને શુદ્ધઆત્માનો આશ્રય કરવો, –એ પણ આમાં આવી ગયું.
ભાઈ! તારે જન્મ–મરણનાં દુઃખોનો અંત લાવવો હોય ને પરમ સુખનો અનુભવ કરવો
હોય તો પરથી અત્યંત ભિન્ન આત્માને જાણીને તેમાં જ સ્થિરતા કર.
ભગવાનનો યથાર્થ ઉપદેશ સાંભળતાં પોતાના શુદ્ધસ્વરૂપનો પરમ મહિમા આવે
છે ને રાગનો મહિમા રહેતો નથી. એટલે ધર્મીજીવ રાગાદિ સાથે એકતાબુદ્ધિ સર્વથા
છોડીને, પોતાના શુદ્ધસ્વરૂપમાં જ એકાગ્ર થઈને તેના અનુભવથી સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કરે છે. આ રીતે શુદ્ધાત્માના આશ્રયે મોક્ષમાર્ગ છે માટે તેનો આશ્રય
કરવા જેવો છે; ને જેટલા પરાશ્રિત વ્યવહારભાવો છે તે બધા મોક્ષમાર્ગ નથી પણ
બંધમાર્ગ છે માટે તે બધાનો આશ્રય છોડવા જેવો છે. અહો, આવો સ્પષ્ટ માર્ગ
ભગવાને દિવ્યધ્વનિ દ્વારા સમવસરણમાં બતાવ્યો ને ગણધર વગેરે સન્તોએ તે ઝીલ્યો,
ને જગતના જીવોને ઉપદેશ્યો. આવા માર્ગનો નિશ્ચય તો કરો!
સ્વાશ્રિત મોક્ષમાર્ગના સાચા નિશ્ચય વડે પરાશ્રયબુદ્ધિ છૂટે છે ને પરિણતિનું
વલણ અંતર્મુખ ઢળે છે. સર્વે અરિહંતોએ શુદ્ધઆત્માના આશ્રયે જ મોક્ષમાર્ગ કહ્યો છે,
રાગના આશ્રયે કે શરીરના આશ્રયે મોક્ષમાર્ગ કહ્યો નથી. મોક્ષ કોણ પામે? કે જે
નિશ્ચયરૂપ શુદ્ધાત્માનો આશ્રય કરે તે; ‘‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે
નિર્વાણની.’’
અહીં તો કહે છે કે : આવા શુદ્ધઆત્માના આશ્રયનો અને વ્યવહારના આશ્રયના
ત્યાગનો ઉપદેશ સાંભળતાંવેંત ધર્મના કામી જીવો પોતાના શુદ્ધસ્વરૂપને ઝડપથી આલંબે
છે, જોરથી પોતાના સ્વભાવનું અવલંબન કરે છે...શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવના મહિમામાં
પોતાના આત્માને એકાગ્ર કરે છે...નિષ્કંપપણે આક્રમીને શુદ્ધસ્વરૂપમાં પહોંચી જાય છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
ધર્મી શુદ્ધસ્વરૂપમાં આક્રમણ કરે છે–ઝડપથી તેમાં પ્રવેશીને તેનો અનુભવ કરે છે;
પરભાવોમાં રોકાતા નથી પણ તેનાથી ભિન્ન થઈને શુદ્ધસ્વરૂપને પહોંચી વળે છે–
અનુભવમાં લ્યે છે. સમ્યક્ નિશ્ચયને એકને જ અનુભવીને શુદ્ધજ્ઞાનઘનના મહિમામાં
જ્ઞાન સ્થિર થયું–તે જ શરણ છે, તે જ શાંતિ છે, તે જ મોક્ષમાર્ગ સાધવાની રીત છે.
‘એક’ એટલે બીજા બધાયથી નિરપેક્ષ, જેમાં નિમિત્તની, રાગની કે ભેદની
અપેક્ષા નથી એવા શુદ્ધજ્ઞાનઘન નિર્વિકલ્પ એક સ્વરૂપનો જ આશ્રય (અનુભવ)
કરવાથી મોક્ષમાર્ગ સધાય છે. આ સિવાય બીજાના આશ્રયે મોક્ષમાર્ગ માને તો તેને
માર્ગની વિપરીતતા છે, એટલે કે મિથ્યાત્વ છે. મોક્ષમાર્ગના જે રત્નત્રય છે તે અન્ય
દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ છે ને એક પોતાના શુદ્ધસ્વરૂપનું જ તેને અવલંબન છે
एकम्
एव એટલે સમ્યક્ નિશ્ચયને એકને જ અનુભવવો–એમ કહીને બીજા સઘળાય વ્યવહાર
ભાવોનો આશ્રય જિનભગવાને છોડાવ્યો છે.
રાગથી તો નિવૃત્ત થવાનું (પાછા વળવાનું) ભગવાને કહ્યું છે; જો રાગમાં
એકતાબુદ્ધિ કરે તો તેનાથી જીવ કેમ પાછો વળે? અને જે જીવ રાગને મોક્ષનું સાધન
માને તે તેમાં એકતાબુદ્ધિ કર્યા વિના રહે નહિ. અહીં સમજાવે છે કે હે ભાઈ! મોક્ષનો
માર્ગ તો એક શુદ્ધ આત્મવસ્તુના જ આશ્રયે છે, અન્ય કોઈના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
માટે બધાય પરનો આશ્રય છોડીને સન્તો માત્ર એક નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુને જ
અનુભવે છે. તેનો જ આશ્રય કરે છે. જેમાં રાગાદિ સમસ્ત પરાશ્રયભાવોનો અભાવ છે
એવી નિર્વિકલ્પ વસ્તુ, તેના અનુભવ વડે સમ્યકત્વાદિ થાય છે ને મિથ્યાત્વ છૂટે છે.
જેટલા બહિર્મુખભાવ તે મોક્ષમાર્ગ નહિ. અંતર્મુખ શુદ્ધઆત્માના આશ્રયરૂપ
વીતરાગભાવ તે જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગરૂપ આત્મઅનુભવ, તેમાં બીજા કોઈની
મદદ–અપેક્ષા નથી. વિકલ્પનીયે અપેક્ષા નથી. આવો પરમ નિરપેક્ષ મોક્ષમાર્ગ છે.
જેમ સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ મિથ્યાભાવ બંધનું કારણ હોવાથી ભગવાને તે
મિથ્યાભાવ છોડાવ્યો છે, તેમ શુભાશુભ જેટલા પરાશ્રય ભાવો છે તે બધાય પણ
બંધનું જ કારણ હોવાથી ભગવાને તે પરાશ્રયભાવો છોડાવ્યા છે; પરાશ્રિત એવો
બધોય વ્યવહાર ભગવાને છોડાવ્યો છે, એટલે કે તેનો આશ્રય છોડીને સમ્યક્
નિશ્ચયરૂપ એક શુદ્ધઆત્માનો જ નિષ્કંપ આશ્રય કરાવ્યો છે; તેના જ આશ્રયે
મોક્ષમાર્ગ છે. જેટલો શુદ્ધાત્માનો આશ્રય છે તેટલો જ મોક્ષમાર્ગ છે; જેટલો
પરાશ્રયભાવ છે તેટલો બંધભાવ છે. જ્ઞાનીને તે પરાશ્રયભાવમાં એકત્વબુદ્ધિ છૂટી ગઈ
છે તેથી તેનાથી તે છૂટો છે–મુક્ત છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૫ :
સમ્યક્નિશ્ચયમાં લીન, ને વ્યવહારથી વિમુક્ત, એવા સમ્યગ્દ્રષ્ટિ સન્તો મોક્ષને
સાધે છે. શુદ્ધઆત્માને દેખવો–અનુભવવો તેને જ જૈન શાસન કહ્યું છે. વ્યવહારનો
આશ્રય કરીને અશુદ્ધતાનો અનુભવ કરે તેને જૈનશાસન નથી કહ્યું, તેને ધર્મ નથી કહ્યો.
શુદ્ધવસ્તુના અનુભવ વગર ધર્મ કેવો? હજી તો શુભરાગ તે જૈનધર્મ છે એમ માને તે
રાગનું સેવન છોડીને શુદ્ધવસ્તુનું સેવન ક્યાંથી કરશે? રાગનું સેવન, રાગથી કંઈ પણ
લાભબુદ્ધિ, તે તો મિથ્યાબુદ્ધિ છે. મોક્ષમાર્ગ તો ભગવાને શુદ્ધાત્માના સેવનથી જ કહ્યો છે.
અંદરના ગુણગુણીભેદ સંબંધી કોઈ સૂક્ષ્મ વિકલ્પ, તે વિકલ્પ અંદરના
અનુભવમાં જવા માટે કાંઈક તો સહાયકારી થશે! –તો કહે છે કે ના; સઘળાય
વિકલ્પરૂપ વ્યવહારનો આશ્રય છોડ, ને શુદ્ધઆત્માનો આશ્રય કર ત્યારે જ તને
અંતરમાં આનંદનો અનુભવ થશે ને ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થશે. આ કળશના રચનાર
અમૃતચંદ્રાચાર્યદેવે જ પુરુષાર્થસિદ્ધિઉપાય શાસ્ત્ર રચ્યું છે; તેમાં પણ કહે છે કે–
‘एवमयं
कर्मकृतैः भावैः असमाहितो अपि युक्त इव प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु
भवबीजम् ।’
(ગા.૧૪) આ ચૈતન્યસ્વરૂપ શુદ્ધઆત્મા છે તે શરીરાદિક અને રાગાદિક
એવા કર્મકૃત ભાવોથી અસંયુક્ત છે–ભિન્ન છે, છતાં બાલિશ એટલે કે અજ્ઞાની જીવોને તે
રાગરૂપ ને શરીરરૂપ હોય એવો પ્રતિભાસ થાય છે; અજ્ઞાનીઓનો તે પ્રતિભાસ ખરેખર
ભવનું બીજ છે.
જુઓ, આ ભવનું બીજ! તેની સામે મોક્ષનું બીજ શું ? –કે ‘નિશ્ચયનયાશ્રિત
મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.’ નિશ્ચયનયવડે દેહથી ને રાગથી ભિન્ન એવા પોતાના
શુદ્ધઆત્માને અનુભવમાં લેવો તે મોક્ષનું બીજ છે. તેમાં ક્યાંય રાગની અપેક્ષા નથી,
રાગથી તો તે અસંયુક્ત છે. શુદ્ધઆત્માનો અનુભવ રાગને સ્પર્શતો નથી.
રાગથી લાભ માનશે તે જીવ રાગ વગરના શુદ્ધઆત્માને કેમ અનુભવશે? જે
સમ્યક્ સ્વભાવમાં વિકલ્પ છે જ નહિ એને અનુભવમાં –શ્રદ્ધામાં લેતાં કોઈ વિકલ્પમાં
લાભબુદ્ધિ રહેતી નથી. વિકલ્પની પરવા વગરનો ખુદ આત્મા પોતે પોતાને
સ્વાનુભૂતિથી અનુભવે છે, –આવો મોક્ષમાર્ગ ભગવાને કહ્યો છે. રાગ–વિકલ્પ કે ભેદરૂપ
વ્યવહારનો જેટલો આશ્રય છે તેટલો તો અશુદ્ધ ભાવબંધ છે, તે મોક્ષનું કારણ થઈ
શકતો નથી.
અહો, આવા સ્વાધીન મોક્ષમાર્ગને કોણ ન સેવે! સમ્યક્ નિશ્ચય એવા
નિજસ્વરૂપના મહિમામાં કોણ લીન ન થાય? ને રાગમાં–વ્યવહારમાં કોણ લીન રહે?
સન્તો એટલે સમ્યગ્દ્રષ્ટિ સાધકજીવો વિકલ્પથી ભિન્ન થઈને, વ્યવહારનો આશ્રય
છોડીને, એક

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
સમ્યક્ નિશ્ચયરૂપ નિજસ્વરૂપના મહિમામાં લીન થાય છે–તેને અનુભવે છે. –આ
મોક્ષમાર્ગને સાધવાની રીત છે.
જેણે શુદ્ધઆત્માને અનુભવમાં લઈને મિથ્યાત્વભાવ છોડ્યો એણે શુદ્ધસ્વરૂપથી
વિરુદ્ધ એવા સમસ્ત વ્યવહારભાવ છૂટી ગયા એટલે કે તે બધાય વ્યવહારમાંથી
એકત્વબુદ્ધિ તેને છૂટી ગઈ છે. વિકલ્પો તે વીતરાગસ્વરૂપથી વિપરીત છે; તેમાં ક્યાંય
એકતાબુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને રહેતી નથી. માટે ‘સમ્યગ્દ્રષ્ટિને વ્યવહાર નથી’ –એમ કહ્યું; તે
એક સમ્યક્ નિશ્ચયરૂપ શુદ્ધસ્વરૂપમાં જ તન્મય–લીન છે. આવી અંતરંગદ્રષ્ટિ ધર્માત્માને
હોય છે. ધર્માત્માની આવી અંતરદશાને વ્યવહારની રુચિવાળો ઓળખી શકે નહિ. આ
તો વીતરાગી શાસ્ત્રોનો અપૂર્વ નીચોડ છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવો ને વ્યવહારનો
આશ્રય છોડવો તે સર્વે વીતરાગીશાસ્ત્રોનું તાત્પર્ય છે એટલે તે જૈનશાસનનો સાર છે ને
તે મોક્ષમાર્ગ છે. આ રીતે જ મોક્ષમાર્ગ સધાય છે.

જુઓ, વીતરાગમાર્ગી સન્તોએ મોક્ષમાર્ગ કઈ રીતે સાધ્યો તેની આ વાત છે.
ત્રણેકાળે સર્વે જીવોને માટે આ એક જ મોક્ષની રીત છે. –‘એક હોય ત્રણકાળમાં
પરમારથનો પંથ.’ સમ્યક્ નિશ્ચયરૂપ જે પોતાનો શુદ્ધસ્વભાવ, તેનું અવલંબન કરતાં
બીજા બધાનું (ભેદનું–રાગનું–પરનું) અવલંબન છૂટી જાય છે. પરાશ્રયભાવમાં રાગની
ઉત્પત્તિ છે, તેથી જેટલા પરાશ્રિતભાવો છે તેમનો મોક્ષમાર્ગમાં નિષેધ છે. શુભરાગ–
વિકલ્પ હોય પણ ધર્મી તેને મોક્ષમાર્ગરૂપ નથી જાણતા. તેને બંધભાવ તરીકે જાણીને હેય
સમજે છે. જગતમાં જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ–જીવરાશિ છે તે આ પ્રકારે જ મોક્ષને સાધે છે.
સમ્યગ્દ્રષ્ટિ – જીવરાશિ
સંસારમાં સમ્યગ્દ્રષ્ટિ–જીવરાશિ અસંખ્યાત છે.
નરકમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિ અસંખ્યગુણા છે.
સ્વર્ગમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિ અસંખ્યાતગુણા છે.
મનુષ્યોમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિ અસંખ્યાતગુણા છે.
તિર્યંચમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિ અનંતગુણા છે.
નરકમાં સમ્યગ્દ્રષ્ટિ અસંખ્યાત છે.
સ્વર્ગમાં સમ્યગ્દ્રષ્ટિ અસંખ્યાત છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૭ :
મનુષ્યમાં સમ્યગ્દ્રષ્ટિ સંખ્યાત છે.
તિર્યંચમાં સમ્યગ્દ્રષ્ટિ અસંખ્યાત છે.
સિદ્ધમાં તો અનંતજીવો બધાય સમ્યગ્દ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ ત્યાં છે જ નહિ.
હવે આ બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોનો સમૂહ શું કરે છે? કે શુદ્ધસ્વરૂપને અવલંબીને
આનંદનો ઉપભોગ કરે છે, ને સમસ્ત વ્યવહારનું અવલંબન છોડે છે. શાર્દૂલસિંહની જેમ
નિજાનંદની મસ્તીમાં વિચરે છે.
અત્યારથી માંડીને ભવિષ્યનો અનંતાનંતકાળ આત્મિક સુખનો જ અનુભવ કર્યા
કરે– એવું મહા કાર્ય શું વ્યવહારના અવલંબને થતું હશે? ના; શુદ્ધનિશ્ચયરૂપ
જ્ઞાનાનંદસ્વરૂપના અવલંબને જ અનંતકાળનું મહાન સુખ પ્રગટે છે. માટે સન્તો,
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ; અતીન્દ્રિય સુખના અભિલાષીઓ, પરમ સંતોષથી
નિજમહિમાથી ભરપૂર શુદ્ધસ્વરૂપમાં જ એકાગ્રતા કરે છે. સમ્યક્નિશ્ચયરૂપ નિજસ્વરૂપ
સિવાય બીજાનો મહિમા ધર્મીને આવતો નથી. ભાઈ! તેરા પંથ બહારમેં નહિ, તેરા પંથ
રાગમેં નહિ, તેરા પંથ તારા શુદ્ધસ્વરૂપમાં જ છે. આવા શુદ્ધસ્વરૂપને જેઓ અવલંબે છે
તેઓ જ ભગવાનના પંથમાં છે. રાગથી ધર્મ માને તેઓ ભગવાનના પંથમાં નથી.
શુદ્ધસ્વરૂપના વેદનમાં રાગના વેદનનો અભાવ છે. જેનો અભાવ છે તેના
અવલંબને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય? ન જ થાય. માટે ધર્માત્મા જીવો રાગનું
અવલંબન સર્વથા છોડીને શુદ્ધસ્વરૂપના નિજ મહિમામાં જ જ્ઞાનને એકાગ્ર કરે છે.
સત્ય વસ્તુ એટલે શુદ્ધ વસ્તુ નિર્વિકલ્પ છે; કોઈ વિકલ્પ વડે તે અનુભવમાં
આવી શકતી નથી, વિકલ્પ તેમાં પ્રવેશી શકતો નથી. ધર્મી જીવો આવી શુદ્ધવસ્તુને
આક્રમે છે એટલે કે પુરુષાર્થ વડે તેમાં પહોંચી વળે છે, –અંતર્મુખ થઈને તેમાં પ્રવેશે છે.
બીજા બધાને છોડે છે ને અંતરમાં સમ્યક્નિશ્ચયને એકને જ ગ્રહણ કરે છે, –આ જ
મોક્ષમાર્ગ છે, ને આજ ધર્માત્માનું ચિહ્ન છે.
શુદ્ધસ્વરૂપને અનુભવમાં લેતાં, તે શુદ્ધસ્વરૂપથી વિપરીત જે કોઈ પરભાવો છે તે
બધા છૂટી જાય છે. નિશ્ચયનો આશ્રય કરતાં વ્યવહારનો આશ્રય છૂટી જાય છે. સર્વજ્ઞના
પંથના કેડાયતી એવા સન્તો આ પ્રકારે એક નિશ્ચયના આશ્રયે મોક્ષમાર્ગને સાધે છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
આચાર્ય ભગવાન પોતે આવા મોક્ષમાર્ગને સાધી રહ્યા છે, ને જગતના જીવોને
એવો સ્વાશ્રિતમોક્ષમાર્ગ દેખાડી રહ્યા છે. ભાઈ! આવા મોક્ષમાર્ગ વગર પરાશ્રયભાવમાં
તો તારો અનંતકાળ સંસારમાં વીત્યો. રાગાદિભાવોને પોતાના માનીને અનંતકાળ તેં
દુઃખમાં જ ગુમાવ્યો. એનાથી છૂટવા ને અનંતકાળનું સુખ પામવા માટે મોક્ષનો આ મહા
પંથ વીતરાગી સન્તોએ બતાવ્યો છે તેનું સેવન કર. સ્વભાવના સેવનથી જે શુદ્ધભાવો
પ્રગટ્યા તેમાં વ્યવહારના બંધભાવ જરાપણ છે જ નહિ, તે અબંધભાવ છે, અબંધભાવ
કહો કે મોક્ષમાર્ગ કહો.
ગુરુદેવ સ્વાશ્રિતમાર્ગ પ્રત્યેના પ્રમોદથી કહે છે કે વાહ રે વાહ! સન્તોએ આવો
સ્પષ્ટ મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છે. નિશ્ચયસ્વભાવના આશ્રયે જ મુનિઓએ મોક્ષને સાધ્યો
છે. ને વ્યવહારના આશ્રયે કદી મોક્ષ સાધી શકાતો નથી. માટે સમ્યગ્દ્રષ્ટિને સઘળાય
વ્યવહારનો આશ્રય છૂટી ગયો છે; એને જે શુદ્ધભાવ પ્રગટ્યો છે તેમાં નિશ્ચયનો જ
એકનો આશ્રય છે, વ્યવહારનો આશ્રય તેમાંથી છૂટી ગયો છે...આવી પરિણતિ વડે જ
મોક્ષમાર્ગ સધાય છે. –મોક્ષમાર્ગ સાધવાની આ રીત છે.
જ્ઞાનધારા અને કર્મધારા બંનેની જાત તદ્ન જુદી છે; જ્ઞાનધારા તે મોક્ષભાવ છે,
કર્મધારા તે બંધભાવ છે; જ્ઞાનધારા શુદ્ધાત્માના આશ્રયે છે, કર્મધારા તે પરાશ્રયે છે.
જ્ઞાનધારાનું ફળ સાદિઅનંત પરમ આનંદની પ્રાપ્તિ છે; કર્મધારા તે દુઃખરૂપ છે. આમ
બંને ધારાની અત્યંત ભિન્નતાનું સ્વરૂપ પોતાના ભાવમાં સ્પષ્ટ ભાસવું જોઈએ. બંનેને
એકબીજાનાં ભેળવી દ્યે, બંધભાવના એક અંશનેય મોક્ષમાર્ગ માને–તો તેને મોક્ષના
કારણને જાણ્યું જ નથી, મોક્ષમાર્ગ તેણે જોયો જ નથી, એટલે તે તો બંધનમાં જ વર્તે છે.
અહીં તે બંધનથી છૂટવાની ને મોક્ષમાર્ગ સાધવાની રીત વીતરાગી સન્તોએ બતાવી છે.
દેહનો તો સંયોગ ક્ષણમાં છૂટી જશે, –ભાઈ! આવા જીવનમાં મોક્ષમાર્ગને
સાધ...આત્માના સ્વરૂપનો નિર્ણય કર...ને અરિહંતદેવના વીતરાગ માર્ગમાં આવ.
શુદ્ધઆત્માના આશ્રય વગર વીતરાગમાર્ગમાં અવાતું નથી. વીતરાગમાર્ગમાં સન્તોની
શૈલી કોઈ અજબ છે! એમના અંદરના ભાવો અપૂર્વ ગંભીર છે. સમયસાર કોઈ અપૂર્વ
માંગળિક પળોમાં જગતના મહાભાગ્યે રચાઈ ગયું છે...કુંદકુંદાચાર્યદેવ સ્વાનુભવમાં
ઝૂલતા ઝૂલતા અંદર કલમ બોળી બોળીને પોન્નૂર પર્વત ઉપર જ્યારે આ સમયસાર
લખતા હશે (તે વખતની ભાવભીની અદ્ભુત ચેષ્ટા બતાવીને ગુરુદેવ કહે છે કે–)
અહો! વીતરાગી સન્તોએ ન્યાલ કર્યા છે!

PDF/HTML Page 12 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૯ :
મોક્ષમાર્ગ બતાવીને સંતોએ ન્યાલ કર્યા છે ને ભવભ્રમણથી છોડાવ્યા છે. આવો
મોક્ષમાર્ગ જાણીને અંદરમાં તેનો ઉદ્યમ કરવા જેવું છે. આવો મોક્ષમાર્ગ સાંભળવા મળવો
તે પણ મહા ભાગ્યે મળે છે, ને અંદર તેનો નિશ્ચય કરે તે તો ન્યાલ થઈ જાય એવું છે.
સ્વાશ્રયે જેટલી નિર્મળતા થઈ તેટલો જ મોક્ષમાર્ગ છે; ને જેટલો પરાશ્રયરૂપ
અશુદ્ધભાવ રહે તેટલું બંધન છે. –આમ જાણીને સ્વાશ્રયભાવમાં ઠર્યો ત્યાં તેમાં
વ્યવહારનો આશ્રય છૂટી જ ગયો છે. સ્વાશ્રયભાવ ને પરાશ્રયભાવ બંનેને એકતા કદી
થતી નથી, બંને ભિન્ન જ છે. આવી ભિન્નતાનું ભાન થવું તેમાં મોક્ષમાર્ગની શરૂઆત
છે. વારંવાર ભાવના ઘૂંટીને આ ભાવો અંતરમાં દ્રઢ કરવા જેવા છે, આત્મામાં એના
સંસ્કાર પડતાં અપૂર્વ કલ્યાણ થાય છે. ને મોક્ષમાર્ગ સધાય છે.
આ રીતે શુદ્ધાત્માના સ્વાશ્રયે મોક્ષમાર્ગ સાધવાની વિધિ વીતરાગમાર્ગમાં
સન્તોએ પ્રસિદ્ધ કરી છે. આ વિધિથી નિશ્ચયના અવલંબને મોક્ષમાર્ગ સાધવો તે મુમુક્ષુનું
કર્તવ્ય છે.
जयवंत हो स्वाश्रित मोक्षमार्ग....અને मार्गसाधक वीतरागमार्गी सन्तो।
સોનગઢમાં શ્રાવણ – ભાદરવો
સોનગઢમાં દશલક્ષણીપર્યુષણપર્વ ભાદરવા સુદ ચોથ ને મંગળવાર
તા.૨૭–૮–૬૮ થી શરૂ થશે, અને ભાદરવા સુદ ૧૪ ને ગુરુવાર તા.પ–૯–૬૮ ના રોજ
પૂરા થશે. (વચ્ચે એક તિથિ ઘટતી હોવાથી દસલક્ષણીપર્વનો પ્રારંભ એક દિવસ વહેલો
થાય છે.)
દર વર્ષની માફક ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો શ્રાવણ વદ ૧૨ ને
બુધવાર તા.૨૧–૮–૬૮ થી શરૂ થશે.
સોનગઢમાં દર વર્ષની માફક આ શ્રાવણ માસમાં શ્રાવણ સુદ પાંચમને
મંગળવાર તા.૩૦–૭–૬૮ થી ખાસ પ્રૌઢ વયના ભાઈઓ માટેનો જૈન શિક્ષણવર્ગ શરૂ
થશે અને શ્રાવણ વદ ૯ રવિવાર તા.૧૮–૮–૬૮ સુધી ચાલશે. ઉત્તમ શ્રેણીમાં જૈન
સિદ્ધાન્ત પ્રશ્નોત્તરમાળા અને જૈન તત્ત્વમીમાંસા ચાલશે, તો તે પુસ્તકો જેમની પાસે હોય
તેમણે સાથે લાવવા. (આ શિક્ષણવર્ગ માત્ર મોટી ઉંમરના ભાઈઓ માટે છે. અને
વર્ગમાં માત્ર ભાઈઓ જ બેસે છે, બહેનો માટે આ વર્ગ નથી.)

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષાર્થી જીવનું કામ
(કળશ ૧૮૪–૧૮પ ના પ્રવચનમાંથી
સિદ્ધાન્તનું સેવન કઈ રીતે કરવું ?
જે ભાવ આત્માના સ્વભાવપણે અનુભવાય તે ઉપાદેય છે.
જે ભાવ આત્માના સ્વરૂપપણે ન અનુભવાય તે હેય છે.
જે રાગાદિક પરભાવો છે તેઓ આત્માના ચેતનસ્વભાવ સાથે મેળવાળા નથી
પણ અણમળતા છે.
જેમ ચેતનભાવ અને જડભાવ એ બંનેને એકબીજા સાથે મળતાપણું નથી પણ
અણમળતાપણું છે, જુદી જ જાત છે;
તેમ જ્ઞાનભાવ ને રાગભાવને પણ મેળ નથી, એકપણું નથી, પણ
અણમળતાપણું છે, ભિન્નપણું છે. શુદ્ધજીવના સ્વરૂપપણે તે રાગાદિ
અનુભવાતા નથી, માટે તેઓ જીવનું સ્વરૂપ નથી.
–આવો અનુભવ તે સાચા જીવનો અનુભવ છે, ને તે મોક્ષનું કારણ છે.
મોક્ષાર્થી એટલે કે આત્માના અતીન્દ્રિયસુખને જે ઉપાદેય સમજે છે તે જીવે કોનું
સેવન કરવું? કે હું શુદ્ધ એક ચૈતન્યમાત્ર છું–એવા પરમાર્થનો અનુભવ કરવો.
સિદ્ધાન્તમાં આત્માનો આવો અનુભવ કરવાનું કહ્યું છે માટે મોક્ષાર્થીએ આવો અનુભવ
કરવો. –એનું જ નામ સિદ્ધાન્તનું સેવન છે.
ચૈતન્યથી ભિન્ન લક્ષણવાળા અનેક ભાવો તે હું નથી, એક પરમજ્ઞાનપ્રકાશી
ચૈતન્યભાવ જ હું છું–આવા અનુભવમાં જ અતીન્દ્રિય સુખ છે. માટે અતીન્દ્રિયસુખના
અભિલાષી જીવો આવા આત્માનું સેવન કરો. પરમ જ્ઞાનપ્રકાશી આત્મા
સ્વસંવેદનપ્રત્યક્ષ છે. જ્ઞાનનું લક્ષણ શું ને રાગનું લક્ષણ શું–એમ બંનેના ભિન્ન લક્ષણને
ઓળખીને, શુદ્ધચૈતન્યલક્ષણસ્વરૂપે પોતાને અનુભવવો તે મોક્ષાર્થીનું કામ છે. તે
મોક્ષનો માર્ગ છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧ :
ક્યાં જ્ઞાન ને ક્યાં રાગ? ક્યાં પરમ અતીન્દ્રિયસુખ ને ક્યાં આકુળતા? બંનેને
મેળ નથી. અંતરની શાંતિના પ્રવાહમાં રાગની ભેળસેળ નથી. અનુભવના અમૃતમાં
આકુળતાનું ઝેર નથી.
અતીન્દ્રિયસુખ કહો કે આત્માનો સ્વભાવ કહો, તેનો જેને પ્રેમ જાગ્યો, તે સુખ
જ જેને ઉપાદેય લાગ્યું, તે જીવને જગતના બીજા કોઈ બાહ્ય વિષયો ને પાપ–પુણ્યના
ભાવો રુચિકર ન લાગે; તેને તે ઉપાદેય ન સમજે. વીતરાગી મોક્ષસુખનો અભિલાષી
રાગને કેમ સેવે? તે તો પરભાવોથી રહિત એવા પોતાના શુદ્ધસ્વરૂપને જ સેવે છે. –
આવું સેવન તે જ સિદ્ધાન્તનું સાચું સેવન છે.
હું તો એક શુદ્ધ ચિન્માત્રભાવ જ છું, અન્ય કોઈ ભાવો મારા નથી. –એવું
શુદ્ધાત્માનું સેવન એટલે કે અનુભવન તે જ સિદ્ધાન્તનું સેવન છે.
રાગ ને પુણ્ય મારાં, તેનાથી મને સુખ મળશે–એવું જે રાગનું સેવન છે તે
સિદ્ધાન્તનું સેવન નથી, તેમાં તો સિદ્ધાન્તનો અનાદર છે.
સિદ્ધાન્તે આત્માનો પરમાર્થસ્વભાવ દેખાડ્યો છે; તે સ્વભાવનું સેવન તે
સ્વસન્મુખ પર્યાય છે. એ જ ધર્માત્માનું આચરણ છે...એમાં જ પરમ અતીન્દ્રિયસુખનું
વેદન છે.
જીવે અનાદિથી વિકારી પરભાવોનું જ સેવન કર્યું છે, તેને જ પોતાપણે
અનુભવ્યા છે; તેમાં એકપણ ક્ષણ જો ભંગ પાડે તો સ્વભાવસન્મુખતા થઈ જાય. જેમ
અજ્ઞાનથી નિરંતર રાગને અનુભવ્યો, તેમ હવે ‘રાગાદિ તે હું નથી, શુદ્ધ ચૈતન્યભાવ જ
હું છું’ એમ નિરંતર શુદ્ધાત્માનું સેવન કરો, તેને જ પોતાપણે અનુભવમાં લ્યો. –આવો
અનુભવ તે જ મોક્ષનું કારણ છે, તે જ મોક્ષાર્થી જીવે કરવાનું કાર્ય છે. એ સિવાય પુણ્ય
કે પુણ્યફળરૂપ ભોગો, સંસાર કે શરીર–તેની અભિલાષા મોક્ષાર્થી ધર્માત્માને નથી.
સ્વસંવેદન પ્રત્યક્ષ એવું જીવદ્રવ્ય હું છું, શુદ્ધજ્ઞાનપ્રકાશમય હું છું, અતીન્દ્રિયસુખ તે હું છું–
આવા શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ ધર્મી કરે છે. ધર્મીના આવા કાર્ય સાથે રાગાદિ અશુભભાવો
અણમળતા છે. શુદ્ધસ્વરૂપને રાગાદિ સાથે મેળ નથી–મિલન નથી–એકતા નથી,–પણ
ભિન્નતા છે. જેટલા રાગાદિભાવો છે તે બધાય શુદ્ધચૈતન્યના અનુભવથી પર છે; તે
પોતાના સ્વરૂપપણે નથી અનુભવાતા. માટે હે મોક્ષાર્થી જીવો! તમે આવા શુદ્ધસ્વરૂપના
અનુભવરૂપ સિદ્ધાન્તનું સેવન કરો.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષનું કારણ પ્રજ્ઞા
પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મસન્મુખ ઝુકેલી ભગવતી ચેતના
(સમયસાર કળશ ૧૮૧ ઉપરના પ્રવચનમાંથી)
ભગવતી પ્રજ્ઞાદ્વારા ભેદજ્ઞાન કરાવીને મોક્ષમાર્ગ
ખોલનાર આ આનંદદાયક કળશ જ્યારે જ્યારે ગુરુદેવના
શ્રીમુખથી સાંભળીએ છીએ ત્યારે એવી ‘જ્ઞાનચેતના’ના
પુરુષાર્થની તીવ્ર પ્રેરણા જાગે છે.
અનાદિથી બંધનમાં બંધાયેલા આત્માને કઈ રીતે છોડાવવો? છૂટકારાનું સાધન
શું? તે રીત આ કળશમાં બતાવે છે. ભેદજ્ઞાન માટે આ અલૌકિક શ્લોક છે. આત્માને
બંધનથી છૂટવાનું સાધન આત્મામાં છે, આત્માથી જુદું બીજું કોઈ સાધન નથી. આત્મા
શું ને બંધ શું–એ બંનેના ભિન્નલક્ષણને ઓળખીને જે ચેતના આત્મસ્વભાવ તરફ ઝૂકી
તે ભગવતી ચેતના જ બંધનથી છૂટવાનું (એટલે કે મોક્ષનું) સાધન છે. રાગાદિ
બંધભાવો તો આત્મસ્વભાવથી જુદા છે; તે કોઈ પણ રાગભાવ આત્માને મોક્ષનું કારણ
થતું નથી. તે રાગભાવોને તો આત્માથી ભિન્ન કરવાના છે. રાગથી જુદી એવી જે
ચેતના (–કે જે આત્માનું સ્વલક્ષણ છે) તેના વડે જ બંધનથી ભિન્ન આત્મા
અનુભવમાં આવે છે; આ રીતે ચેતનારૂપ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું કારણ છે. જીવનું
પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમવું, ને એવું પરિણમન થતાં કર્મનો સંબંધ છૂટી જવો તેનું
નામ મોક્ષ છે. મોહ–રાગ–દ્વેષાદિ અશુદ્ધ પરિણતિરૂપે પરિણમન થવું ને કર્મનો સંબંધ
થવો તેનું નામ બંધ છે. શુદ્ધપરિણમન એટલે શુદ્ધસ્વરૂપનો અનુભવ; જે જ્ઞાન વડે આવો
અનુભવ થાય તે જ્ઞાન મોક્ષનું સાધન છે. આવો અનુભવ થતાં શુદ્ધપરિણમન થયું
એટલે અશુદ્ધપરિણમન છૂટી ગયું ને પુદ્ગલમાં કર્મ અવસ્થા છૂટી ગઈ. –શુદ્ધજીવ
પોતાના સ્વરૂપમાં રહ્યો–તે દશાનું નામ મોક્ષ છે. –‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’
આવા મોક્ષનો ઉપાય શું? મોક્ષ તે પૂર્ણશુદ્ધપરિણમન છે, ને તેનું કારણ પણ
શુદ્ધતા જ છે. અશુદ્ધતાનો કોઈ અંશ મોક્ષનું કારણ થાય નહિ. મોક્ષના સાધનનો બહુ
સરસ ખુલાસો આ ‘પ્રજ્ઞાછીણી’ ના શ્લોકમાં કર્યો છે.
તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી એટલે તીખી જ્ઞાનચેતના, ઉગ્ર જ્ઞાનચેતના; તેને નિપુણજીવો
એટલે ભેદજ્ઞાનમાં અત્યંત પ્રવીણજીવો, સાવધાન થઈને આત્મા અને બંધની વચ્ચેના

PDF/HTML Page 16 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩ :
સૂક્ષ્મભેદમાં એવી રીતે પાડે છે કે શીઘ્રપણે બંને અત્યંત જુદા અનુભવમાં આવે
છે; જ્ઞાનચેતના અંતર્મુખ થઈને પોતાના આત્માને રાગવગરનો શુદ્ધ અનુભવે છે. આવો
અનુભવ તે જ મોક્ષનું સાધન છે. જ્ઞાનની સાથે જે રાગને ભેળવે–તેને શુદ્ધતાનો
અનુભવ થતો નથી, ભેદજ્ઞાન થતું નથી, મોક્ષમાર્ગ થતો નથી. શુદ્ધપરિણમન તે રાગથી
સર્વથા જુદું છે. સર્વથા રાગ વગરનો શુદ્ધઅનુભવ તે જ મોક્ષસાધન છે. રાગમાં ઊભો
રહીને શુદ્ધને અનુભવી શકાય નહિ.
સાધકદશા વખતે પણ જેટલા રાગાદિભાવો છે તે બધાય જ્ઞાનચેતનાથી જુદા છે, તે
કોઈ જીવનું શુદ્ધપરિણમન નથી. જીવનું શુદ્ધપરિણમન તો જ્ઞાનચેતનારૂપ ને
અનંતચતુષ્ટયરૂપ છે; તે રાગથી સર્વથા જુદું છે. દ્રવ્યના સ્વભાવની જાતનું પરિણમન હોય
તેને જ દ્રવ્યનું શુદ્ધપરિણમન કહ્યું; રાગાદિ અશુદ્ધતાને દ્રવ્યનું શુદ્ધપરિણમન કહેતા નથી. આ
રીતે જ્ઞાનપરિણમન અને રાગપરિણમનની સર્વથા ભિન્નતા છે. રાગનો એક્ક્ેય અંશજ્ઞાનના
પરિણમનમાં નથી; ને જ્ઞાનનો એક્કેય અંશ રાગમાં નથી. રાગ તે શુદ્ધઆત્માનું પરિણમન
જ નથી તો પછી તે આત્માની શુદ્ધતાનું સાધન કેમ થાય ? –ન જ થાય.
ભાઈ, તારા મોક્ષનું સાધન તારામાં છે, તેને તું ઓળખ તો ખરો? તારી
શુદ્ધતાના ભાન વગર તું કોને મોક્ષનું સાધન બનાવીશ? મોક્ષનું સાધન પોતામાં છે તેને
જાણ્યા વગર જીવે અજ્ઞાનભાવથી શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તે
બંધભાવનું જ સેવન કર્યું છે, એટલે મિથ્યાત્વને જ સેવ્યું છે. રાગથી પાર એવી
નિર્વિકલ્પ અનુભૂતિ મોક્ષસાધન છે. તે નિર્વિકલ્પ અનુભૂતિ વચનમાં આવતી નથી, તે
વીતરાગપરિણતિની શી વાત? અંતર્મુખ થયેલું સ્વસંવેદન જ્ઞાન આત્માને શુદ્ધતારૂપ
પરિણમાવે છે, ને તે જ મોક્ષનું કારણ છે. એકલું બહારનું જાણપણું પણ મોક્ષનું કારણ
નથી ત્યાં રાગની તો શી વાત? જ્ઞાન કેવું, –કે વીતરાગ પરિણતિરૂપે પરિણમેલું
સ્વસંવેદનજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
શુદ્ધપરિણમન તે મોક્ષમાર્ગ છે.
શુદ્ધપરિણમન તેને જ હોય છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ જરૂર હોય.
શુદ્ધસ્વરૂપના અનુભવ વગર જરાપણ શુદ્ધપરિણમન થાય નહિ, ને શુદ્ધપરિણમન વગર
ચોથુંગુણસ્થાન પણ ન થાય. ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધસ્વરૂપનો અનુભવ છે,
શુદ્ધપરિણમન છે, મોક્ષમાર્ગ છે; તેને અંતરાત્મા કહ્યા છે. ચોથા ગુણસ્થાને શુદ્ધસ્વરૂપનો
અનુભવ હોવાની જે ના પાડે તેને અનુભવદશાની કે ચોથાગુણસ્થાનની ખબર નથી,
તેને મોક્ષમાર્ગની ખબર નથી.
ભાઈ! શુદ્ધપરિણમન વગર રાગ અને જ્ઞાનની ભિન્નતાને જાણી શકાય નહિ.
રાગ અને જ્ઞાનની ભિન્નતાને યથાર્થ જાણતાં શુદ્ધપરિણમન થયા વગર રહે નહિ.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
રાગ અને જ્ઞાનને ખરેખર ત્યારે જ જુદા જાણ્યા કે જ્યારે રાગથી જુદો પરિણમે
ને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકે; આ રીતે ભેદજ્ઞાન થતાંવેંત શુદ્ધતારૂપ પરિણમન થાય જ છે.
આવું પરિણમન થયું ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થયો.
* * *
ભગવતીચેતના કહો કે પ્રજ્ઞાછીણી કહો, તેના વડે બંધનથી જુદો શુદ્ધ આત્મા
અનુભવાય છે. શુદ્ધ આત્મા ચેતનામાત્ર વસ્તુ છે. તેમાં રાગ–દ્વેષ–મોહાદિ અશુદ્ધભાવો
એકમેક નથી, પણ બંને વચ્ચે સંધિ છે–સાંધો છે, લક્ષણભેદ છે. એકક્ષેત્રે હોવા છતાં બંને
એકસ્વભાવે નથી, બંનેના સ્વભાવ વચ્ચે મોટો આંતરો છે. તે આંતરો લક્ષમાં લઈને
પ્રજ્ઞાછીણી એવી પડે છે કે અશુદ્ધતાને એકબાજુ કરીને, શુદ્ધચેતનાવસ્તુમાં પોતે એકાગ્ર
થાય છે. –આનું નામ ભેદજ્ઞાન, ને આ મોક્ષમાર્ગ.
બંધનનું સ્વરૂપ, બંધનથી છૂટવાનો ઉપાય–એ બધાના માત્ર વિચાર કર્યા કરે–
વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ બંધન છૂટે નહિ. બંધથી ભિન્ન એવા શુદ્ધાત્માને જાણીને તેમાં
જ્ઞાનને એકાગ્ર કરતાં બંધભાવો છૂટી જાય છે. તેને માટે ઉપયોગમાં સાવધાની જોઈએ.
रभसात् એટલે ઝડપથી પ્રજ્ઞાછીણી પડે છે–એમ કહીને પુરુષાર્થની તીવ્રતા બતાવી છે.
આવું ભેદજ્ઞાન કરે તે જીવને નિપુણ કહ્યો છે. બાકી બહારના જાણપણામાં નિપુણતા
બતાવે ને અંદરમાં રાગથી જુદા શુદ્ધાત્માનો અનુભવ કરતાં જો ન આવડે તો તેને નિપુણ
કહેતા નથી, તે ઠોઠ છે, આત્માને બંધનથી છોડાવવાની વિદ્યા તેને આવડતી નથી.
ભાઈ, આત્માનો શુદ્ધસ્વભાવ, અને અશુદ્ધતારૂપ બંધ તે બંને એકમેક થયા નથી
પણ વચ્ચે લક્ષણભેદરૂપ સાંધ છે, એટલે બંનેને જુદા અનુભવી શકાય છે, સૂક્ષ્મ
જ્ઞાનછીણી વડે તેમને જુદા પાડી શકાય છે. આત્મા અને બંધ બંને એવા એકમેક નથી
થઈ ગયા કે વચ્ચે જ્ઞાનછીણી ન પેસી થશે; બંને વચ્ચેનો ભેદ જ્ઞાનવડે જાણી શકાય છે;
ભેદજ્ઞાનવડે બંનેને ભેદી શકાય છે.
જેટલા ક્ષેત્રમાં ચેતનવસ્તુ છે, તેટલા જ ક્ષેત્રમાં રાગાદિ બંધભાવો છે, છતાં બંને
વચ્ચે ભાવભેદરૂપ (લક્ષણભેદરૂપ) મોટી તિરાડ છે. આ રાગનો સ્વાદ આકુળતારૂપ–
દુઃખરૂપ છે, ને જ્ઞાનનો સ્વાદ તો શાંત–સુખરૂપ છે, એમ વિવેકદ્વારા બંનેના સ્વાદની
ભિન્નતા જણાય છે; તીખી પ્રજ્ઞાદ્વારા તે બંનેને અત્યંત ભિન્ન જાણીને તે પ્રજ્ઞા
શુદ્ધસ્વરૂપમાં પેસીને તેને અનુભવમાં લ્યે છે, ને રાગાદિને જુદા કરી નાંખે છે.
તીખી પ્રજ્ઞા–તીખું જ્ઞાન, એટલે રાગથી ઘેરાય નહિ એવી ચેતના; તે અંતરના
ચૈતન્યસ્વભાવમાં પ્રવેશી જાય છે; અત્યંત સાવધાની વડે–ઉપયોગની જાગૃતિ વડે અંદરની
સૂક્ષ્મસાંધને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા, ને બીજીકોર અજ્ઞાનરૂપ એવા બંધભાવો,
તેમને સર્વથા જુદા કરી નાંખે છે. બંધભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી,

PDF/HTML Page 18 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૫ :
ને જ્ઞાનના કોઈ અંશને બંધભાવમાં ભેળવતી નથી. આવી ભગવતી જ્ઞાનચેતના તે
મોક્ષનું સાધન છે.
જોકે રાગાદિ અશુદ્ધભાવો જીવની પર્યાયમાં પરિણમે છે–જ્યાં જીવ છે ત્યાં જ
રાગાદિ છે, તેથી તેમનાથી ભિન્ન એવા શુદ્ધજીવનો અનુભવ સામાન્ય જીવોને કઠણ છે–
ઘણો સૂક્ષ્મ છે, તોપણ નિપુણ પુરુષો અંતરની સૂક્ષ્મ જ્ઞાનચેતનાવડે સ્વભાવ અને
વિભાવ વચ્ચેનો ભેદ જાણીને તેમની ભિન્નતાનો અનુભવ કરે છે; કેમકે બંને વચ્ચે
લક્ષણભેદની તીરાડ છે. સ્થૂળજ્ઞાનથી અજ્ઞાનીને તે તીરાડ નથી દેખાતી પણ જ્ઞાનની
અંતર એકાગ્રતાવડે તે બંને વચ્ચેની સાંધ જાણીને, જ્ઞાન પોતાના સ્વભાવમાં એકાગ્ર
થાય છે. એકાગ્ર થતાં જ બંને સ્પષ્ટ ભિન્ન જુદા અનુભવમાં આવે છે; જ્ઞાનનો અનુભવ
થયો તે અનુભવમાં રાગની સર્વથા નાસ્તિ છે. પ્રથમ આવી ભિન્નતા અનુભવતાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે; પછી સકળ રાગાદિનો તથા કર્મનો ક્ષય થવાથી
બંધને સર્વથા છેદીને સાક્ષાત્ મોક્ષદશા પ્રગટ થાય છે. આ રીતે પ્રજ્ઞા છીણીવડે બંધનને
છેદીને આત્મા મુક્ત થાય છે. માટે પ્રજ્ઞારૂપ જ્ઞાનચેતના તે મોક્ષનો પંથ છે.
અંતરમાં જ્ઞાન અને રાગ વચ્ચેની સાંધ પકડવી તે માટે ઉપયોગમાં ઘણી સૂક્ષ્મતા
જોઈએ. ઈન્દ્રિયો ને મન બંનેથી છૂટીને અતીન્દ્રિય ઉપયોગ વડે રાગથી જુદો આત્મા
અનુભવાય છે. આમાં અંર્તમુખ ઉપયોગનો ઘણો પ્રયત્ન છે. દેહ–મન–વાણી તથા
જડકર્મ–તે તો જીવથી એકક્ષેત્રે હોવા છતાં ભિન્ન પ્રદેશવાળા છે, રૂપી છે, જડ છે, તે
નવા આવે છે ને જાય છે–એટલે તે તો જીવથી ભિન્ન છે–એવી પ્રતીતિ વિચાર વડે
ઊપજે છે. પણ અંદરમાં જીવની પર્યાય સાથે એક પ્રદેશે રહેલા જે રાગાદિભાવો,
તેમનાથી ભિન્ન શુદ્ધજીવનો અનુભવ કઠણ છે, –કઠણ હોવા છતાં સૂક્ષ્મ પ્રજ્ઞા વડે તેમની
વચ્ચેના સ્વભાવ ભેદને જાણીને ભિન્નતાનો અનુભવ થઈ શકે છે. કઠણ છે–પણ
અશકય નથી, થઈ શકે તેવું છે. ને આવી ભિન્નતાનો અનુભવ કરાવનારી ભગવતી
પ્રજ્ઞા તે જ મોક્ષસાધન છે. અનંતા જીવો એવો અનુભવ કરીને મોક્ષ પામ્યા છે.
પ્રજ્ઞાછીણી વડે વિચાર કરતાં અંતરમાં એમ પ્રતીત થાય છે કે રાગ જુદો ને હું
જુદો; રાગ વગરનો આત્મલાભ સંભવે છે; રાગના અભાવમાં આત્માનો અભાવ થઈ
જતો નથી, રાગના અભાવે પણ આત્મા પોતાના ચેતનસ્વરૂપે જીવે છે. માટે
ચેતનાસ્વરૂપ જ જીવ છે, રાગસ્વરૂપ નથી.–આવું અંદરનું ભેદજ્ઞાન અત્યંત કઠણ હોવા
છતાં અંદરના તીવ્ર પ્રયત્નવડે થઈ શકે છે. રાગના કાળે જ તેનાથી ભિન્ન શુદ્ધજીવનો
અનુભવ જ્ઞાનચેતના વડે જરૂર થાય છે. જ્ઞાનચેતના અતિ સૂક્ષ્મ છે, ચક્રવર્તીની
તલવારની તીખી ધારની જેમ એક ઝાટકે તે પ્રજ્ઞાછીણી જ્ઞાન અને રાગના બે કટકા કરી
નાંખે છે. આવું ભેદજ્ઞાન કરતાં પ્રજ્ઞાછીણીને કેટલી વાર લાગે? –તો કહે છે કે

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
તત્ક્ષણ એક સમયમાં તે આત્મા અને બંધને જુદા કરી નાંખે છે. ચેતના જ્યાં અંતરમાં
એકાગ્ર થઈ કે તે જ સમયે તે બંધભાવોથી જુદા શુદ્ધઆત્માને અનુભવે છે. આવું
ભેદજ્ઞાન નિપુણ પુરુષો કરે છે; નિપુણ પુરુષો એટલે આત્માનુભવમાં પ્રવીણ જીવો; –
પછી તે પુરુષ હો કે સ્ત્રી હો, સ્વર્ગનો દેવ હો કે નરકનો નારકી હો; આત્માનો અનુભવ
કરવામાં પ્રવીણ છે તે જીવો નિપુણ છે, મોક્ષને સાધવાની કળા તેને આવડે છે...એને
સંસારનો કિનારો નજીક આવી ગયો છે. આવા ભેદજ્ઞાનનિપુણ જીવો પ્રજ્ઞાછીણી વડે
બંધથી ભિન્ન શુદ્ધ આત્માને સાધે છે. આવું ભેદજ્ઞાન જીવને આનંદ ઉપજાવે છે.
ભેદજ્ઞાન થતાંવેંત જ આનંદરૂપ શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે, ને બંધભાવો
શુદ્ધસ્વરૂપથી બહાર જુદા રહી જાય છે. આ મોક્ષમાર્ગ છે.
વાહ! સન્તો આવું ભેદજ્ઞાન કરાવીને કહે છે કે ભાઈ! તું અંતરમાં આવું ભેદજ્ઞાન કર.
આ ભેદજ્ઞાન તને મહા આનંદ ઉપજાવશે ને મોક્ષ પમાડશે. ભેદજ્ઞાન માટેનો આ અવસર છે.
અનાદિના બંધનથી છૂટીને સુખી થવા માટેનો આ વખત છે. તું આ વખતને ચૂકીશ મા.
* * *
ગુરુદેવ પરમ વાત્સલ્યભરી પ્રેરણાથી કહે છે કે હે ભાઈ! અત્યારે આત્મજ્ઞાન
માટેનો આ અવસર છે....તું આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્‌યા છે...તેમાં
કરવાનું તો એક આ જ છે. અંદરમાં જરા ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી,
વિચાર કરે તો તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બંને એક થઈને રહેવા
યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે. બંનેનો સ્વભાવ જુદો છે તેથી જુદા પડી જાય છે.
ભાઈ! સમય–સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે; તેમાં જો તું તારા સ્વભાવ–
સન્મુખ ન થયો તો તેેં શું કર્યું ? જે કરવા જેવું કાર્ય છે તે તો આ જ છે. ગમે તેટલા
પ્રયત્ન વડે પણ વિકારથી ભિન્ન ચેતનનો અનુભવ કરવો–તે જ કરવાનું છે.
તારી ચેતના રાગને ચેતવામાં (અનુભવવામાં રોકાય છે તેને બદલે ચેતના
અંદરમાં વળી શુદ્ધઆત્માને ચેતે–અનુભવે કે તરત જ આત્મા અને બંધની ભિન્નતાનો
અનુભવ થાય છે. –એક સમયમાં જ આવો ઉપયોગપલટો થઈ જાય છે.
દુનિયાના જીવો દુનિયાના બાહ્યકાર્યોમાં પોતપોતાનું ડહાપણ ને પ્રવીણતા દેખાડે
છે....તો હે ભાઈ! તું તારા આત્માના અનુભવમાં પ્રવીણ થા....તેમાં ઉદ્યમી થા, તારી
ચેતનાને રાગથી જુદી કરીને શુદ્ધ સ્વરૂપમાં પેસાડ...તે ક્ષણે જ તને પરમ આનંદ થશે.
ભેદજ્ઞાનમાં નિપુણ જીવો આનંદસહિત પોતાના શુદ્ધઆત્માને અનુભવે છે. –આવો
અનુભવ તે મોક્ષમાર્ગ છે, તે કરવા જેવું કામ છે.
અહા! સાવધાન થઈને આત્માના વિચારનો ઉદ્યમ કરે તેમાં તો ઊંઘ ઊડી જાય
તેવું છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે તો આત્મા અને બંધની ભિન્નતાના

PDF/HTML Page 20 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭ :
વિચારમાં જાગૃત છે, –ઉત્સાહી છે, તેમાં પ્રમાદે થતા નથી. મારે મારું હિત સાધવું છે,
મારે મારો આત્મા પ્રાપ્ત કરવો છે, મારે મારા આત્માને ભવબંધનથી છોડાવવો છે–એમ
અત્યંત સાવધાન થઈને, મહાન ઉદ્યમપૂર્વક હે જીવ! તું તારા આત્માને બંધનથી જુદો
અનુભવમાં લે....અનાદિની ઊંઘ ઊડાડીને જાગૃત થા.
આત્માના અનુભવ માટે સાવધાન થાજે....શૂરવીર થાજે....જગતની પ્રતિકૂળતા
દેખીને કાયર થઈશ નહિ...પ્રતિકૂળતા સામે ન જોઈશ, શુદ્ધઆત્માના આનંદ સામે જોજે.
શૂરવીર થઈને– ઉદ્યમી થઈને આનંદનો અનુભવ કરજે. ‘હરિનો મારગ છે શૂરાનો’...તે
પ્રતિકૂળતામાં કે પુણ્યની મીઠાસમાં કયાંય અટકતા નથી; એને એક પોતાના આત્માર્થનું
જ કામ છે. તે ભેદજ્ઞાનવડે આત્માને બંધનથી સર્વથા પ્રકારે જુદો અનુભવે છે. આવો
અનુભવ કરવાનો આ અવસર છે –ભાઈ! તેમાં શાંતિથી તારી ચેતનાને અંતરમાં
એકાગ્ર કરીને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન કર....ને રાગાદિ સમસ્ત
બંધભાવોને ચેતનથી જુદા અજ્ઞાનરૂપ જાણ. આમ સર્વથા પ્રકારે ભેદજ્ઞાન કરીને તારા
એકરૂપ શુદ્ધઆત્માને સાધ. મોક્ષને સાધવાનો આ અવસર છે.
અહો, વીતરાગના મારગડા....જગતથી જુદા છે. જગતના ભાગ્ય છે કે
સંતોએ આવો મારગ પ્રસિદ્ધ કર્યો છે. આવો મારગ પામીને હે જીવ! ભેદજ્ઞાન વડે
શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તું મોક્ષપંથે આવ.
શું દોષ મુજમાં છે અરે....સાંભળું છતાં સમજું નહિ?
વાંચું સદા સદ્ગ્રંથ....સ્વાનુભૂતિ કાં થાય નહિ?
સ્વ–પર ભિન્ન કહું છતાં ઉપયોગ સ્વમાં આવે નહિ,
જીવન પળો ખૂટી રહી, ક્યમ કામ પૂરું થાય નહિ?