Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 31
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૮૭
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 31
single page version

background image
। ધ મ ન મ ળ સ મ્ય ક દ શ ન છ ।
પોષ સંપાદક વર્ષ આઠમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૭ વકીલ અંક ત્રીજો
“વસ્તુવિજ્ઞાન – અંક”
આ અંકમાં શ્રી પ્રવચનસારની ૯૯મી ગાથાનાં
પ્રવચનો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એ ગાથાના ઊંડાણમાં
રહેલું વસ્તુસ્વરૂપનું યથાર્થ વિજ્ઞાન પૂ. ગુરુદેવશ્રીએ વિશિષ્ટ
છણાવટપૂર્વક આ પ્રવચનોમાં પ્રગટ કર્યું છે; અને તેથી આ
અંકનું નામ ‘વસ્તુવિજ્ઞાન–અંક’ રાખવામાં આવ્યું છે.
જો કે આ પ્રવચનો ‘શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ’
દ્વારા પ્રગટ થઈ ગયાં છે અને તેની છૂટક સેંકડો નકલ પણ
જિજ્ઞાસુઓમાં વેંચાણી છે, પણ આત્મધર્મના સમસ્ત વાચકો
તેનો લાભ મેળવી શકે તે માટે તે આ અંકમાં પ્રસિદ્ધ
કરવામાં આવ્યાં છે.
૯૯ મી ગાથા ઉપરના પ્રવચનો એક જ અંકમાં એક
સાથે આવી જાય તે હેતુથી આ અંકમાં ૧૦ પાનાં વધારીને
૨૦ ને બદલે ૩૦ પાનાં છાપ્યાં છે. આગામી અંકમાં તેટલા
પાનાં ઓછા અપાશે.
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
જૈન સ્વાધ્યાયમંદિર – સોનગઢ – સૌરાષ્ટ્ર

PDF/HTML Page 3 of 31
single page version

background image
શ્ર સ્ત્ર
ગુજરાતી પુસ્તકો
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧–૩–૪ દરેકના ૩–૦–૦
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૨ જો ૧–૮–૦
શ્રી અપૂર્વઅવસર–પ્રવચનો ૦–૮–૦
શ્રી આત્મસિદ્ધિ–પ્રવચનો [આવૃત્તિ ત્રીજી] ૩–૮–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧૨–૦
શ્રી ધર્મની ક્રિયા ૧–૮–૦
શ્રી મૂળમાં ભૂલ ૧–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી ૦–૮–૦
શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ [આવૃત્તિ ત્રીજી] ૦–૮–૦
શ્રી નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦
શ્રી સમવસરણ સ્તુતિ [આવૃત્તિ ચોથી] ૦–૪–૦
શ્રી મોક્ષશાસ્ત્ર [ગુજરાતી ટીકા] ૩–૮–૦
શ્રી પૂજા સંગ્રહ [આવૃત્તિ ચોથી] ૦–૧૦–૦
શ્રી પ્રવચનસાર [ગુજરાતી] ૨–૮–૦
શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૪–૦
શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૫–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ ૦–૨–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ તથા ઉપાદાન–નિમિત્ત દોહા ૦–૩–૦
શ્રી મુક્તિનો માર્ગ
૦–૯–૦
શ્રી સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ ૧–૦–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ૦–૮–૦
શ્રી છહઢાળા [ગુજરાતી] ૦–૧૪–૦
શ્રી દ્રવ્યસંગ્રહ [ગુજરાતી] ૦–૭–૦
શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા [ગુજરાતી] ૧–૦–૦
શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૪–૦
શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૨–૦
શ્રી આલોચના ૦–૨–૦
શ્રી પુરુષાર્થ ૦–૪–૦
શ્રી દશ લક્ષણ ધર્મ ૦–૯–૦
શ્રી પંચાધ્યાયી ભાગ–૧ ૩–૮–૦
પ્રાપ્તિસ્થાન: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૪૩:
• વીતરાગી વિજ્ઞાનમાં જણાતો––
વિશ્વના જ્ઞેય પદાર્થોનો સ્વભાવ *
[શ્રી પ્રવચનસાર ગાથા ૯૯ ઉપરનાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનો સાર]
કારતક વદ ૪ મંગળવાર
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે; ઉત્પાદ–ધ્રૌવ્ય–વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯.
આ ગાથા અલૌકિક છે. આ ગાથામાં આચાર્યદેવે વસ્તુના સ્વભાવનું રહસ્ય મૂકી દીધું છે. ઉત્પાદ–
વ્યયધ્રુવયુક્ત પરિણામ તે વસ્તુનો સ્વભાવ છે ને તે સ્વભાવમાં દ્રવ્ય નિત્ય અવસ્થિત છે, તેથી દ્રવ્ય સત્ છે.
અહીં દ્રવ્યના સમય સમયના પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ સમજાવવા માટે આચાર્યદેવ ક્ષેત્રનો દાખલો
આપે છે. દ્રવ્યનું (આત્માનું) અસંખ્યપ્રદેશી ક્ષેત્ર એક સાથે પહોળું–પથરાયેલું છે તેથી તે ઝટ લક્ષમાં આવે, માટે
તે ક્ષેત્રનો દાખલો આપીને પરિણામનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ સમજાવે છે.
જેમ દ્રવ્યને આખા વિસ્તારક્ષેત્ર તરીકે લક્ષમાં લ્યો તો તેનું વાસ્તુ (ક્ષેત્ર) એક છે, તેમ આખા દ્રવ્યના
ત્રણે કાળના સમય સમયના પરિણામોને એક સાથે લક્ષમાં લ્યો તો તેની વૃત્તિ એક છે; છતાં, જેમ ક્ષેત્રમાં
પ્રદેશક્રમ છે તેમ દ્રવ્યના પરિણમનમાં પ્રવાહક્રમ છે. દ્રવ્યના વિસ્તારક્રમનો અંશ તે પ્રદેશ છે તેમ દ્રવ્યના
પ્રવાહક્રમનો અંશ તે પરિણામ છે.
જુઓ, આ જ્ઞેય અધિકાર છે. બધાંય જ્ઞેયો સત્ છે, ને તેને જાણનારું જ્ઞાન છે. બધાંય જ્ઞેયો જેમ છે તેમ
એક સાથે જ્ઞાનમાં જણાય છે. અહીં આત્મા જ્ઞાનનો સાગર છે અને સામે સ્વ–પર સમસ્ત જ્ઞેયોનો સાગર પડ્યો
છે. બસ, આમાં એકલી વીતરાગતા જ આવી, જ્ઞેયમાં ‘આ આમ કેમ’ એવો રાગ–દ્વેષ કે ફેરફાર કરવાનું ન રહ્યું.
અહો! આચાર્યદેવે ગાથાએ ગાથાએ વીતરાગી સુખડીના થર નાંખ્યા છે, એકેક ગાથામાંથી વીતરાગતાનાં
ચોસલાં નીકળે છે.
સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકારમાં દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામથી ઊપજે છે–એ વાત કરીને ત્યાં
સમ્યગ્દર્શનનો આખો વિષય બતાવ્યો છે– દ્રવ્યદ્રષ્ટિ કરાવી છે. અને અહીં જ્ઞાનપ્રધાન કથન છે તેથી, બધાં દ્રવ્યો
પરિણમન સ્વભાવમાં રહેલાં છે–એમ કહીને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ જ્ઞેય બતાવ્યાં છે; એવા સર્વ જ્ઞેયોના સ્વભાવની
અને તેને જાણનારા જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
કારતક વદ પ બુધવાર
દરેક આત્મા, દરેક પરમાણુ અને ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો છૂટા છૂટા સ્વયંસિદ્ધ પદાર્થ છે. સામાન્યપણે
જોતાં તે દરેક દ્રવ્યનું ક્ષેત્ર અખંડ એક છે, છતાં તે ક્ષેત્રના વિસ્તારનો જે સૂક્ષ્મ અંશ તે પ્રદેશ છે. છ દ્રવ્યોમાંથી
પરમાણુ અને કાળનું તો ક્ષેત્ર એકપ્રદેશ જ છે. આત્માનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છે. તે ક્ષેત્ર સમગ્રપણા વડે એક હોવા
છતાં તેનો છેલ્લો અંશ તે પ્રદેશ છે. એ પ્રમાણે અહીં ક્ષેત્રનું તો દ્રષ્ટાંત છે, ને સિદ્ધાંત તરીકે વસ્તુના ઉત્પાદ–
વ્યય–ધુ્રવ પરિણામ સમજાવવા છે. જેમ અસંખ્યપ્રદેશી વિસ્તાર એક સાથે લેતાં દ્રવ્યનું ક્ષેત્ર એક છે તેમ એકેક
દ્રવ્યની અનાદિ–અનંત પરિણમનધારા સમગ્રપણા વડે એક છે. ને તે આખા પ્રવાહનો નાનામાં નાનો એક અંશ
તે પરિણામ છે. એકેક પરિણામને જુદો પાડ્યા વગર સમગ્રપણે દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહને જોતાં તે એક છે;
અનાદિ નિગોદથી માંડીને અનંત સિદ્ધદશા સુધી દ્રવ્યનો પરિણમનપ્રવાહ એક જ છે. જેમ આખું ક્ષત્ર પથરાયેલું
એક સાથે પડ્યું છે, તેમાં પ્રદેશભેદથી ન જુઓ તો દ્રવ્યનું ક્ષેત્ર એક જ છે. તેમ ત્રિકાળી દ્રવ્યના પ્રવાહમાં
પરિણામનો ભેદ ન પાડો તો આખો ય પ્રવાહ એક જ છે, અને તે ત્રિકાળીક પ્રવાહક્રમનો એકેક અંશ તે
પરિણામો છે.
અહીં પ્રદેશોનો વિસ્તારક્રમ તે ક્ષેત્ર અપેક્ષાએ છે ને પરિણામોનો પ્રવાહક્રમ તે પરિણમન અપેક્ષાએ છે.

PDF/HTML Page 5 of 31
single page version

background image
: ૪૪: : આત્મધર્મ: ૮૭
અહીં ક્ષેત્રનું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ પરિણામોનું સ્વરૂપ સમજાવવા માંગે છે.
આ, જ્ઞાનમાં જણાવાયોગ્ય જ્ઞેય પદાર્થોનું વર્ણન છે. કોઈ કહે કે આવી સૂક્ષ્મ વાત કેમ જણાય?–પણ
ભાઈ, એ બધાં જ્ઞેયો છે માટે જરૂર જણાય તેવાં છે, ને તારો જ્ઞાનસ્વભાવ બધાં જ્ઞેયોને જાણે તેવો છે. આત્મા
જ્ઞાતા છે ને પોતે સ્વજ્ઞેય પણ છે. તથા અન્ય જીવ–પુદ્ગલાદિ પરજ્ઞેયો છે. તે જ્ઞાન અને જ્ઞેયને કેવાં પ્રતીતિમાં
લેવાથી સમ્યક્ત્વ થાય તેની આ વાત છે.
ધર્માસ્તિકાય વગેરેના અસંખ્ય પ્રદેશો એમ ને એમ પડ્યા–પાથર્યા છે, આકાશના અનંત પ્રદેશો એમ ને
એમ પડ્યા–પાથર્યા છે, તેમાં કદી એક પણ પ્રદેશનો ક્રમ આડો–અવળો થતો નથી; તેમ દ્રવ્યનો અનાદિઅનંત
પ્રવાહક્રમ પણ કદી તૂટતો નથી. પ્રવાહક્રમ કહીને આચાર્યદેવે અનાદિઅનંત જ્ઞેયને એક સાથે સ્તબ્ધ બતાવી દીધાં
છે. ‘પ્રવાહક્રમ’ કહેતાં બધાય પરિણામોનો ક્રમ વ્યવસ્થિત જ છે, કોઈ પણ પરિણામ–કોઈ પણ પર્યાય આડા–
અવળા થતા જ નથી. આ પ્રતીતિમાં જ દ્રવ્યદ્રષ્ટિ અને વીતરાગતા છે.
સમય સમયના પરિણામોનો એકદમ સૂક્ષ્મ સિદ્ધાંત સમજાવવા માટે પ્રદેશોનો દાખલો આપ્યો છે તે પણ
સૂક્ષ્મ પડે એવો છે. અંદર પોતાના લક્ષમાં જો વસ્તુનો ખ્યાલ આવે તો સમજાય તેવું છે. ‘આ સ્વરૂપ આ રીતે
કહેવા માંગે છે’ એમ પોતાને અંદર ભાસ થવો જોઈએ. જુઓ, સમજવા માટે સીડીનું દ્રષ્ટાંત લઈએ: જેમ ક્ષેત્રથી
જોતાં આખી સીડી એમ ને એમ પડી છે, તેનો એક નાનો અંશ તે પ્રદેશ કહેવાય; તેમ જ સીડીની લંબાઈથી જોતાં
એક પછી એક પગથિયાંનો પ્રવાહ છે, આખી સીડીનો પ્રવાહ એક છે, અને તેનું એકેક પગથિયું તે તેના પ્રવાહનો
અંશ છે. તે પગથિયાના પ્રવાહનો ક્રમ તૂટે નહિ. બે પગથિયાં વચ્ચે પણ ઝીણા ઝીણા ભાગ પાડો તો અનેક
ભાગ પડે છે, તે ચડતો ચડતો એકેક સૂક્ષ્મ ભાગ તે પરિણામ સમજવો. તેમ આત્મા અસંખ્ય પ્રદેશમાં પથરાયેલો
એક છે, ને તેના ક્ષેત્રનો એકેક અંશ તે પ્રદેશ છે; તેમ જ આખા દ્રવ્યની હયાતી અનાદિ–અનંત પ્રવાહપણે એક છે
ને તે પ્રવાહનો એકેક સમયનો અંશ તે પરિણામ છે. તે પરિણામોનો પ્રવાહક્રમ સીડીના પગથિયાંની જેમ ક્રમબદ્ધ
છે, તે પરિણામોનો ક્રમ આઘોપાછો ન થાય. એટલે બધું ય જેમ છે તેમ જાણવાનો જ આત્માનો સ્વભાવ છે. એ
સિવાય વચ્ચે બીજું કાંઈ ઘાલે તો તેને વસ્તુના સત્ સ્વભાવની શ્રદ્ધા નથી. અને વસ્તુ જેમ હોય તેમ જાણે–માને
તો જ્ઞાન–શ્રદ્ધા સાચાં થાય ને! વસ્તુ હોય તેના કરતાં બીજી રીતે માને તો જ્ઞાન–શ્રદ્ધા સાચાં થાય નહિ એટલે
ધર્મ થાય નહિ.
અહીં ક્ષેત્રના દ્રષ્ટાંતે પરિણામનું સ્વરૂપ સમજાવ્યું છે.
જેમ દ્રવ્યનું ક્ષેત્ર તે વિસ્તાર, ને વિસ્તારક્રમના અંશો તે પ્રદેશો. તેમ દ્રવ્યનું પરિણમન તે પ્રવાહ, ને
પ્રવાહક્રમના અંશો તે પરિણામો.
એ પ્રમાણે ક્ષેત્રના દ્રષ્ટાંતે પરિણામો સિદ્ધ કરીને એક વાત પૂરી કરી. હવે તે પરિણામોનો એકબીજામાં
અભાવ બતાવે છે. ‘જેમ વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહક્રમનું કારણ
પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે.’
દ્રવ્યમાં વિસ્તારક્રમ એટલે કે ક્ષેત્ર અપેક્ષાએ પહોળાઈનું કારણ પ્રદેશોનું પરસ્પર જુદાપણું છે. પહેલા
પ્રદેશનો બીજામાં અભાવ, બીજાનો ત્રીજામાં અભાવ–એમ પ્રદેશોના ભિન્ન ભિન્નપણા વડે વિસ્તારક્રમ રચાયેલો
છે. જો પ્રદેશોનો એકબીજામાં અભાવ ન હોય, ને એક પ્રદેશ તે બીજા પ્રદેશમાં પણ ભાવપણે વર્તતો હોય એટલે
કે બધા થઈને એક જ પ્રદેશ હોય તો દ્રવ્યનો વિસ્તાર જ ન થાય, પણ દ્રવ્ય એક જ પ્રદેશી થઈ જાય. માટે
વિસ્તારક્રમ કહેતાં જ પ્રદેશો એકબીજાપણે નથી એમ આવી જાય છે. ‘વિસ્તારક્રમ’ તે અનેકતા સૂચવે છે, કેમ કે
એકમાં ક્રમ ન હોય. હવે અનેકતા ક્યારે નક્કી થાય? કે બધામાં એકતા ન હોય પણ ભિન્નતા હોય, તો જ
અનેકતા નક્કી થાય, ને અનેકતા હોય તો જ વિસ્તારક્રમ હોય; માટે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર
વ્યતિરેક છે.
એ જ પ્રમાણે વિસ્તારક્રમની જેમ પ્રવાહક્રમનું સ્વરૂપ હવે કહેવાય છે. ‘પ્રવાહક્રમ’ કહેતાં જ પરિણામોની
અનેકતા સાબિત થાય છે, અને પરિણામોની અનેકતા કહેતાં જ એકનો બીજામાં અભાવ સાબિત થાય છે. કેમ કે
જો એકનો બીજામાં અભાવ હોય તો જ અનેકપણું થાય. જો તેમ ન હોય તો તો બધું એક જ થઈ જાય. માટે
વિસ્તારક્રમમાં જેમ એક પ્રદેશનો

PDF/HTML Page 6 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૪૫:
બીજામાં અભાવ છે તેમ પ્રવાહક્રમમાં એક પરિણામનો બીજામાં અભાવ છે. અને એ પ્રમાણે પરિણામોમાં એકના
બીજામાં અભાવથી અનાદિઅનંત પ્રવાહક્રમ રચાયેલો છે. આવો દ્રવ્યનો સ્વભાવ છે, આવા પરિણામસ્વભાવમાં
દ્રવ્ય રહેલું છે.
અહીં વિસ્તારક્રમ તો દ્રષ્ટાંતરૂપ છે ને પ્રવાહક્રમ સિદ્ધાંતરૂપ છે. દ્રષ્ટાંત સર્વપ્રકારે લાગુ ન પડે. પુદ્ગલ અને
કાળદ્રવ્યનો તો વિસ્તાર એકપ્રદેશી જ છે તેથી તેમાં પ્રદેશોના પરસ્પર વ્યતિરેકનું દ્રષ્ટાંત લાગુ ન પડે, પણ
પ્રવાહક્રમનો જે સિદ્ધાંત છે તે તો બધાય દ્રવ્યોમાં એકસરખી રીતે લાગુ પડે છે.
જેમ ૨૫ ઓરડાના વિસ્તારવાળી ઓસરી ક્યારે થાય? કે જો તે ઓરડાઓ ક્રમસર એકબીજાથી જુદા
જુદા હોય તો. તેમ આત્મામાં અસંખ્યપ્રદેશી વિસ્તારવાળું ક્ષેત્ર ક્યારે થાય? કે જો એક પ્રદેશનો બીજા પ્રદેશમાં
અભાવ હોય ને તે બધા પ્રદેશો વિસ્તારક્રમમાં સળંગપણે એકબીજાની સાથે સંકળાયેલા હોય.
એ જ પ્રમાણે (પ્રદેશોના વિસ્તારક્રમની જેમ) દ્રવ્યનો અનાદિ–અનંત લાંબો પ્રવાહક્રમ ક્યારે થાય? કે
જો એક પરિણામનો બીજા પરિણામમાં અભાવ હોય તો. પહેલો પરિણામ બીજા પરિણામમાં નથી, બીજો
ત્રીજામાં નથી–એમ પરિણામોમાં વ્યતિરેક હોવાથી દ્રવ્યમાં પ્રવાહક્રમ છે. દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહમાં એક
પછી એક પરિણામ ક્રમે થયા કરે છે; આવા દ્રવ્યો તે જ્ઞેયો છે. જ્ઞેયદ્રવ્યની જેમ છે તેમ પ્રતીત કરતાં શ્રદ્ધામાં
નિર્વિકલ્પતા અને વીતરાગતા થાય તે મોક્ષનો માર્ગ છે.
અહો! એક જ દ્રવ્યના એક પરિણામમાં બીજા પરિણામનો પણ જ્યાં અભાવ છે ત્યાં એક દ્રવ્યની
અવસ્થામાં બીજું દ્રવ્ય કાંઈ કરે એ વાત તો ક્યાં ઊભી જ રહે છે? એક તત્ત્વ બીજા તત્ત્વમાં કાંઈ કરે અથવા
તો એક દ્રવ્યના ક્રમ પરિણામોમાં ફેરફાર કરી શકાય–એમ જે માને છે તેને જ્ઞેયતત્વની ખબર નથી તેમ જ
જ્ઞેયોને જાણનારા પોતાના જ્ઞાનતત્ત્વની પણ ખબર નથી.
કોઈ એમ માને કે ‘મેં મારી બુદ્ધિથી પૈસા મેળવ્યા.’ તો તેમ નથી. કેમ કે બુદ્ધિના જે પરિણામ થયા તે
આત્માના પ્રવાહક્રમમાં આવેલો પરિણામ છે ને પૈસા આવ્યા તે પુદ્ગલના પ્રવાહક્રમમાં આવેલો પુદ્ગલનો
પરિણામ છે. બંને દ્રવ્યો પોતપોતાના પ્રવાહક્રમમાં ભિન્નભિન્નપણે વર્તી રહ્યાં છે. આત્મા પોતાના
પરિણામપ્રવાહમાં રહેલો છે, ને જડપદાર્થો જડના પરિણામ–પ્રવાહમાં રહેલાં છે. બંને પદાર્થોનું ભિન્ન ભિન્ન
અસ્તિત્વ છે. જેણે પદાર્થોનું આવું સ્વરૂપ જાણ્યું તેને ‘હું પરમાં કાંઈ ફેરફાર કરું કે પરના કારણે મારામાં કાંઈ
ફેરફાર થાય’–એવી મિથ્યાબુદ્ધિ તો ટળી ગઈ, એટલે તે બધાં દ્રવ્યોનો જ્ઞાતા રહી ગયો. કેવળી ભગવાન
વીતરાગપણે બધાના જ્ઞાતા છે તેમ આ પણ જ્ઞાતા જ છે. હજી સાધક છે તેથી અસ્થિરતાના રાગ–દ્વેષ થાય છે
પરંતુ તે પણ જ્ઞાતાનું જ્ઞેય છે, જ્ઞાન અને રાગની એકતા પૂર્વક રાગ–દ્વેષ થતા નથી પણ જ્ઞાનના જ્ઞેયપણે રાગ–
દ્વેષ થાય છે. એટલે અભિપ્રાયથી (શ્રદ્ધાથી) તો તે સાધક પણ પૂરો જ્ઞાતા જ છે.
યથાર્થ વસ્તુસ્વરૂપ જાણતાં પોતે છએ દ્રવ્યોનો જ્ઞાતા થઈ ગયો ને છએ દ્રવ્યો જ્ઞાનમાં જ્ઞેય થયા. આ
તરફ પોતે એક જ્ઞાતા, અને સામે છએ દ્રવ્યો જ્ઞેય, એમ જ્ઞાતાપણું બતાવવા ‘સ્વાત્માનુભવ મનન’ માં કહ્યું છે કે
आत्मा सप्तम द्रव्य हो जाता है.
અહો! જ્ઞાન જ્ઞાતા તરીકે છે, તે જ્ઞાનની પ્રતીત તે નિર્વિકલ્પ સમ્યક્ત્વનું કારણ છે. સમયે સમયે ઉત્પાદ–
વ્યયધુ્રવરૂપ આવા દ્રવ્યસ્વભાવને નક્કી કરે તો જ્ઞાન જાણવાનું જ કામ કરે; ને જ્ઞેયમાં ‘આમ કેમ’ એવો
મિથ્યાબુદ્ધિનો વિકલ્પ ન આવે. અસ્થિરતાનો વિકલ્પ આવે તે તો જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, કેમ કે જ્ઞાનમાં
સ્વપરપ્રકાશક સામર્થ્ય પ્રગટી ગયું એટલે તે રાગને પણ જ્ઞાનથી ભિન્ન જ્ઞેય તરીકે જાણે છે, એટલે તે વિકલ્પમાં
‘આવો વિકલ્પ કેમ?’ એવું વિકલ્પનું જોર આવતું નથી, પરંતુ ‘આ રાગ પણ જ્ઞેયપણે સત્ છે’ એમ જ્ઞાન જાણી
લ્યે છે એટલે જ્ઞાનની જ અધિકતા રહે છે,–બીજી રીતે કહીએ તો જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે. અને
પછી પણ એવા જ્ઞાનસ્વભાવના આધારે જ્ઞેયોને જાણતાં તે જ્ઞાનનો વિકાસ થઈને તેની સૂક્ષ્મતા અને
વીતરાગતા વધતી જાય છે, ને ક્રમેક્રમે પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થતાં આખો લોકાલોક જ્ઞેયપણે એક
સાથે જ્ઞાનમાં ડૂબી જાય છે.–એવો આ અધિકાર છે.
અહીં આત્મામાં કેવળજ્ઞાનનું આખું દળ, ને સામે લોકાલોક જ્ઞેયનું દળ. બસ! જ્ઞેય–જ્ઞાયક સ્વભાવ રહી
ગયો. જ્ઞેય–જ્ઞાયકપણામાં રાગ–દ્વેષ કરવાનું કે ફેરફાર કરવાનું

PDF/HTML Page 7 of 31
single page version

background image
: ૪૬: : આત્મધર્મ: ૮૭
ક્યાં રહ્યું? અહો! આવા સ્વભાવની હા તો પાડ. એની હા માં વીતરાગી શ્રદ્ધા છે ને તેમાં જ વીતરાગતા અને
કેવળજ્ઞાનનાં બીજડાં છે.
* * *
બે વાત થઈ છે: (૧) પ્રથમ તો, ક્ષેત્રના દ્રષ્ટાંતે દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહની એક સમગ્રવૃત્તિ બતાવી,
અને તે પ્રવાહક્રમના સૂક્ષ્મ અંશો તે પરિણામો છે–એમ બતાવ્યું.–એ રીતે દ્રવ્યને સત્ સાબિત કર્યું. તેમાં, સળંગ
હયાતી અપેક્ષાએ એકપણું ને પરિણામોની અપેક્ષાએ અનેકપણું–એમ સત્માં એક–અનેકપણું પણ સાબિત કર્યું.
(૨) ત્યાર પછી પરિણામોનો પરસ્પર વ્યતિરેક કર્યો.
એ પ્રમાણે બે વાત સિદ્ધ કરી, તેનો વિસ્તાર કરીને હવે તેમાંથી ઉત્પાદ–વ્યય–ધુ્રવ કાઢે છે.
“જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ–રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર (બધેય)
પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એક વાસ્તુપણા વડે અનુત્પન્ન–અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ–સંહાર–ધ્રૌવ્યાત્મક છે,
તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર
અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન–અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ–સંહાર–ધ્રૌવ્યાત્મક છે.”
(પૃષ્ઠ : ૧૬૪–પ)
આમાં પ્રદેશોની વાત દ્રષ્ટાંતરૂપ છે ને પરિણામોની વાત સિદ્ધાંતરૂપ છે.
પ્રશ્ન:– આ શું વિષય ચાલે છે?
ઉત્તર:– આ વસ્તુના સ્વભાવની વાત ચાલે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે,
અને તે સ્વભાવમાં સદાય રહેલું દ્રવ્ય સત્ છે–એ વાત અહીં સાબિત કરવી છે. તેમાં પ્રથમ આટલી વાત તો સિદ્ધ
કરી ગયા કે–દ્રવ્યની વૃત્તિ અનાદિઅનંત અખંડપણે એક હોવા છતાં, તેના પ્રવાહક્રમનો અંશ તે પરિણામ છે. તે
તે પરિણામો એકબીજામાં પ્રવર્તતા નથી પણ તેમનો એકબીજામાં અભાવ છે. તેમાંથી હવે વિસ્તાર કરીને ઉત્પાદ–
વ્યય–ધુ્રવ કાઢે છે. તેમાં પણ પહેલાંં ક્ષેત્રનું દ્રષ્ટાંત આપે છે.
આખા દ્રવ્યના એક ક્ષેત્રને લ્યો તો તેના પ્રદેશો ઉત્પત્તિ–વિનાશરહિત છે, અને તે પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક
હોવાથી, તે પ્રદેશો પોતપોતાના સ્વ–ક્ષેત્રમાં પોતાપણે સત્ છે ને પૂર્વના પ્રદેશપણે તે અસત્ છે,–એટલે કે તે પ્રદેશો
પોતાપણે ઉત્પાદરૂપ છે ને પૂર્વના પ્રદેશની અપેક્ષાએ વ્યયરૂપ છે, એ રીતે બધાય પ્રદેશો ઉત્પાદવ્યયરૂપ છે ને સર્વ
પ્રદેશોનો વિસ્તાર સાથે લેતાં દ્રવ્યના પ્રદેશો ધુ્રવરૂપ છે. એ રીતે તે બધાય પ્રદેશો એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
છે. (અહીં પ્રદેશોનાં જે ઉત્પાદ–વ્યય–ધુ્રવ કહ્યા છે તે ક્ષેત્ર અપેક્ષાએ સમજવાં.) તેના દાખલે સમય સમયના
પરિણામોમાં પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું છે. અનાદિઅનંત એક પ્રવાહની અપેક્ષાએ પરિણામો ઉત્પત્તિ–વિનાશરહિત
ધુ્રવ છે, ને તે પરિણામો પોતપોતાના સ્વકાળમાં ઉત્પાદરૂપ છે તથા પૂર્વપરિણામ અપેક્ષાએ વ્યયરૂપ છે. એ રીતે
બધાય પરિણામો ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. ને એવા ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ પરિણામો તે વસ્તુનો સ્વભાવ છે.
અહીં પહેલાંં સમુચ્ચય ક્ષેત્રની ને સમુચ્ચય પરિણામોની ભેગી વાત લઈને ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યાં
છે. એક પરિણામ જુદો પાડીને તેની વાત પછી લેશે. આ વાત એકલા આત્માની નથી પણ બધાંય દ્રવ્યોના
સ્વભાવની છે. પણ અહીં આત્માની મુખ્યતાથી વાત કરવામાં આવે છે.
જેમ આત્માના અસંખ્ય પ્રદેશોમાં એક સમયમાં ક્ષેત્ર અપેક્ષાએ ઉત્પાદ–વ્યય–ધુ્રવ લાગુ પડે છે તેમ આત્માના
પ્રવાહક્રમમાં વર્તનારા બધાય પરિણામો પોત–પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન છે, પૂર્વરૂપથી વિનષ્ટ છે ને
અખંડ ધારાવાહી પ્રવાહ તરીકે તેઓ ઉત્પન્ન કે વિનષ્ટ નથી, એટલે તે પરિણામો ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે.
પ્રદેશોનો દાખલો છે તેમાં ક્ષેત્રઅપેક્ષાએ ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે ને સિદ્ધાંતમાં પરિણામ અપેક્ષાએ (પ્રવાહ
અપેક્ષાએ, કાળ અપેક્ષાએ) ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે.
જુઓ તો ખરા! ક્રમબદ્ધ પોતાના અવસરમાં બધા પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવ કહીને આખા ત્રિકાળી
દ્રવ્યને જ્ઞેય તરીકે સામે રાખી દીધું છે. સર્વજ્ઞની અને જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર આ વાત કોઈ રીતે અંદર
બેસે તેવી નથી. આની પ્રતીતમાં સમ્યગ્દર્શન છે, ને ચોસઠ પોરી પીપર ઘૂંટાતી હોય તેમ, આના ઘૂંટણમાં એકલી
વીતરાગતા જ ઘૂંટાય છે. અહો! અદ્ભુત વાત મૂકી છે.

PDF/HTML Page 8 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૪૭:
કારતક વદ ૬ ગુરુવાર
દ્રવ્યના બધા પરિણામો પોતપોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન છે, પૂર્વરૂપથી વિનષ્ટ છે, ને એક
સળંગ પ્રવાહની અપેક્ષાએ તેઓ ઉત્પત્તિ–વિનાશરહિત ધુ્રવ છે.
અહીં પરિણામોનો સ્વ અવસર કહીને આચાર્યદેવે અદ્ભુત વાત કરી છે. જેટલા એક દ્રવ્યના પરિણામો
તેટલા જ ત્રણકાળના સમયો, ને જેટલા ત્રણકાળના સમયો તેટલા જ એક દ્રવ્યનાં પરિણામો. બસ! આટલું
નક્કી કરે તો પોતાના જ્ઞાયકપણાની પ્રતીતિ થઈ જાય. દ્રવ્યના દરેક પરિણામને પોતપોતાનો અવસર ભિન્ન છે.
સામે ત્રણકાળના પરિણામો એક સાથે જ્ઞેય છે ને અહીં આત્મા તેનો જાણનાર છે. આવા જ્ઞેયજ્ઞાયકપણામાં વચ્ચે
રાગ ન રહ્યો, એકલી વીતરાગતા જ આવી. પહેલાં આવી શ્રદ્ધા કરતાં વીતરાગી શ્રદ્ધા થાય છે ને પછી
જ્ઞાનસ્વભાવમાં સ્થિરતા થતાં વીતરાગી ચારિત્ર થાય છે.
અહો! આ દ્રવ્યના પરિણામોનો સ્વ અવસર કહો કે ક્રમબદ્ધ પરિણામ કહો, તેની પ્રતીત કરતાં પરિણામી
એવા ત્રિકાળી દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. પરિણામોના સ્વ અવસરની આ વાત સ્વીકારતાં તો, ‘નિમિત્ત આવે
તો પરિણામ થાય, કે નિમિત્તને લીધે અહીં પરિણામમાં ફેરફાર થાય, કર્મના ઉદયથી વિકાર થાય, કે વ્યવહાર
કરતાં કરતાં પરમાર્થ પ્રગટે, અથવા તો પર્યાયના આધારે પર્યાય થાય’–એવી કોઈ વાત ઊભી રહેતી નથી. બધા
પરિણામો પોતપોતાના અવસરે દ્રવ્યમાંથી પ્રગટે છે. જ્યાં દ્રવ્યના દરેક પરિણામો પોતપોતાના અવસરે ‘સત્’ છે
ત્યાં વળી નિમિત્ત સામે જોવાનું જ ક્યાં રહ્યું?–અને ‘હું પરમાં ફેરફાર કરું કે પરથી મારામાં ફેરફાર થાય’ –એ
વાત પણ ક્યાં રહી? –માત્ર જ્ઞાતા અને જ્ઞેયપણું જ રહે છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
ત્રણકાળના પરિણામો છે તે દ્રવ્યના પ્રવાહરૂપી સાંકળના અંકોડા છે. જેમ સાંકળના અંકોડા આઘાપાછા
ન થાય, જેમ છે તેમ જ રહે છે તેમ દ્રવ્યના અનાદિઅનંત પરિણામો પોતાના અવસરથી આઘાપાછા ન થાય,
દરેક પરિણામ પોતપોતાના અવસરમાં સત્ છે. આમાં ત્રણકાળના પરિણામોની એક સળંગ સાંકળ લઈને
ઉત્પાદ–વ્યય–ધુ્રવની વાત કરી છે. દ્રવ્ય પોતાના પરિણામસ્વભાવમાં રહેલું છે. અત્યારે પરિણામનો સ્વભાવ શું
છે તે વાત ચાલે છે. પહેલાંં પરિણામોનો ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવ સાબિત કરે છે; અને પછી, દ્રવ્ય તે
પરિણામ–સ્વભાવમાં રહેલું હોવાથી તે દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું સત્ છે–એમ છેલ્લે સાબિત કરશે. જ્ઞાતા,
વસ્તુના આવા સ્વભાવને જાણે ને જ્ઞેયોમાં ફેરફાર કરવાનું ન માને તે સમ્યક્ત્વ છે, ને પદાર્થોના સ્વભાવનો
જ્ઞાતા રહે તેમાં વીતરાગતા છે.
આ પ્રવચનસારમાં પહેલાંં તો જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપનમાં આત્માનો જ્ઞાનસ્વભાવ નક્કી કર્યો છે, ને પછી બીજા
અધિકારમાં જ્ઞેયતત્ત્વોનું વર્ણન કર્યું છે. આત્માનો સ્વભાવ જ્ઞાન જ છે, ને જીવ–અજીવમાં પોતપોતાના અવસરે
થતા ત્રણકાળના પરિણામો તે જ્ઞેયો છે,–આવી પ્રતીતિ કરતાં ક્યાંય ફેરફાર કે આઘુંપાછું કરવાની બુદ્ધિ ન રહી,–
રાગ–દ્વેષની બુદ્ધિ ન રહી, એટલે જ્ઞાન સ્વમાં ઠર્યું. આ જ વીતરાગતા અને કેવળજ્ઞાનનું કારણ છે.
પદાર્થોનો જેવો સત્ સ્વભાવ હોય તેવો માને તો સત્ માન્યતા કહેવાય, પણ પદાર્થોના સત્ સ્વભાવથી
બીજી રીતે માને તો તે માન્યતા મિથ્યા છે. આ ‘સત્’ની શ્રદ્ધા કરાવે છે. ‘સત્’ તે દ્રવ્યનું લક્ષણ છે, અને તે સત્
ઉત્પાદ્–વ્યય–ધુ્રવવાળું છે. આવા દ્રવ્યના સત્ સ્વભાવની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. એ જ ખરું
तत्त्वार्थ
श्रद्धानं सम्यग्दर्शनं છે. અત્યારે વાત તો પરિણામોની ચાલે છે, પણ પરિણામના નિર્ણયમાં પરિણામી દ્રવ્યનો
નિર્ણય પણ આવી જ જાય છે. પરિણામ તો ક્ષણિક છે, પણ તે પરિણામ કોના?–કે ત્રિકાળી દ્રવ્યના. પરિણામ
અદ્ધરથી થતા નથી પણ પરિણામીના પરિણામ છે; એટલે પરિણામનો નિર્ણય કરતાં પરિણામી દ્રવ્યનો જ નિર્ણય
થાય છે, ને એકલા પરિણામ ઉપરથી રુચિ ખસીને ત્રિકાળી દ્રવ્ય–સ્વભાવ તરફ રુચિ અને જ્ઞાન વળે છે,–એ જ
સમ્યગ્દર્શન અને વીતરાગતાનું મૂળ છે.
આ ૯૯ મી ગાથા ઘણી ઊંચી છે, આમાં વસ્તુસ્થિતિનું સ્વરૂપ અલૌકિક રીતે વર્ણવ્યું છે. બધાંય દ્રવ્યો
‘સત્’ છે, ઉત્પાદ–વ્યય–ધુ્રવસહિત પરિણામ તે તેનો સ્વભાવ છે, ને એવા સ્વભાવમાં સદાય વર્તતું હોવાથી દ્રવ્ય
પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે–એમ આ ગાથામાં સિદ્ધ કરવું છે.
(૧) ટીકામાં, પહેલાંં તો દ્રવ્યમાં સમગ્રપણા વડે અનાદિ–

PDF/HTML Page 9 of 31
single page version

background image
: ૪૮: : આત્મધર્મ: ૮૭
અનંત પ્રવાહની એકતા, ને પ્રવાહક્રમના સૂક્ષ્મ અંશો તે પરિણામો–એમ બતાવ્યું.
(૨) પછી પ્રવાહક્રમમાં વર્તતા પરિણામોનો પરસ્પર વ્યતિરેક સિદ્ધ કર્યો.
(૩) પછી સમુચ્યયપણે આખા ય દ્રવ્યના ત્રિકાળી પરિણામોને ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક સિદ્ધ કર્યા. (તેના
દ્રષ્ટાંતમાં, દ્રવ્યના બધા ય પ્રદેશોને ક્ષેત્રઅપેક્ષાએ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક સિદ્ધ કર્યા.)
(૪) પછી એક જ પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મકપણું બતાવ્યું. (તેના દ્રષ્ટાંતમાં, એકેક પ્રદેશમાં ક્ષેત્ર
અપેક્ષાએ ઉત્પાદ–વ્યય–ધુ્રવ બતાવ્યાં.)
(પ) એ પ્રમાણે પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યા પછી છેલ્લે–ઉત્પાદ–વ્યય–ધુ્રવાત્મક પરિણામના
પ્રવાહમાં દ્રવ્ય સદાય વર્તી રહ્યું છે એટલે દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધુ્રવ સહિત હોવાથી સત્ છે–એમ આખું દ્રવ્ય
લઈને ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યાં છે.
ઉપર જે પાંચ બોલ કહ્યા, તેમાંથી અત્યારે આ ત્રીજા બોલનું. વિવેચન ચાલે છે. પોતપોતાના અવસરમાં
ત્રિકાળિક બધા પરિણામોનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવની એક સાથે વાત કરીને અહીં એકલો જ્ઞાયકભાવ જ બતાવ્યો છે;
અહીં આખો ય જ્ઞાયકભાવ અને સામે આખું ય જ્ઞેય એક સાથે લઈ લીધું.
અહીં પરિણામોમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ સમજાવવા માટે પ્રદેશોનો દાખલો લીધો છે. અહીં કોઈ એમ કહે કે–
બીજો કોઈ સહેલો દાખલો ન આપતાં આચાર્યદેવે પ્રદેશોનો આવો સૂક્ષ્મ દાખલો કેમ આપ્યો?–તો કહે છે કે,
ભાઈ! તું ધીરો થા. આચાર્યદેવે પ્રદેશોનો દાખલો યોગ્ય જ આપ્યો છે. કેમ કે દ્રવ્યનું આખું ક્ષેત્ર એક સાથે અક્રમે
પથરાયેલું પડ્યું છે, ને પરિણામોની વ્યક્તતા તો ક્રમેક્રમે થાય છે, માટે પ્રદેશોનો દાખલો ઝટ સમજાય તેવો છે,
ને પરિણામોની વાત તેનાથી સૂક્ષ્મ છે. અહીં પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવની સૂક્ષ્મ અને ગંભીર વાત
સમજાવવી છે તેથી દાખલો પણ પ્રદેશોનો સૂક્ષ્મ જ લેવો પડે. જો બાહ્ય સ્થૂળ દાખલો આપવા જાય તો સિદ્ધાંતની
જે સૂક્ષ્મતા અને ગંભીરતા છે તે ખ્યાલમાં ન આવે; માટે એવા સૂક્ષ્મ દ્રષ્ટાંતની જ અહીં જરૂર છે.
કારતક વદ ૭ શુક્રવાર
આત્મા જ્ઞાનસ્વભાવ છે. તે જ્ઞાનનો સ્વભાવ ‘જાણવું’ તે છે એટલે કે જ્ઞાન જાણવાનું જ કામ કરે છે.
આત્મામાં ને પરમાં ક્રમેક્રમે જે અવસ્થા થાય તે જ્ઞેય છે, તેને જેમ હોય તેમ માત્ર જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે
પણ તેમાં કાંઈ ફેરફાર કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન શું કરે? જ્ઞાન તો જાણે. જાણવા સિવાય બીજું
કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. રાગાદિ પરિણામ થયા તેને પણ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે, પણ તે રાગને પોતાનો
ત્રિકાળી સ્વભાવ માને એવું જ્ઞાનનું કાર્ય નથી, તેમ જ તે રાગપરિણામને ફેરવીને આઘોપાછો કરે એવું પણ
જ્ઞાનનું કાર્ય નથી. બસ! સ્વ કે પર, વિકારી કે અવિકારી, બધાય જ્ઞેયોને જાણવાનું જ જ્ઞાનનું કાર્ય છે, રાગાદિ
પરિણામ જેટલો જ હું–એમ જ્ઞાન માને નહિ.–આવા જ્ઞાન–સ્વભાવની પ્રતીત તે જ વીતરાગતાનું મૂળ છે.
આ જગતમાં અનંતા જીવ, અનંતા પુદ્ગલો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને અસંખ્યાત
કાળાણુ એવા છ પ્રકારના પદાર્થો છે. તેમાંથી એકેક આત્માનો જ્ઞાનગુણ છએ પદાર્થોની ક્રમસર થતી બધી
અવસ્થાઓને તથા દ્રવ્ય–ગુણને જાણનારો છે; આવો દરેક આત્માનો જ્ઞાનસ્વભાવ છે. આવા જ્ઞાનસ્વભાવને જે
જાણે તે જીવ રાગપરિણામને જાણે ખરો પણ તે રાગને પોતાનું મૂળ સ્વરૂપ ન માને,–રાગને ધર્મ ન માને, તેમ જ
રાગપરિણામને આઘોપાછો કરવાનો પણ સ્વભાવ ન માને. તેના અવસરમાં તે રાગપરિણામ પણ સત્ છે, ને
તેને જાણનારું જ્ઞાન પણ સત્ છે; દ્રવ્યના ત્રિકાળી પ્રવાહક્રમમાં તે રાગપરિણામ પણ સત્પણે આવી જાય છે,
તેથી તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. રાગ હતો માટે રાગનું જ્ઞાન થયું–એમ નથી પણ જ્ઞાનનો જ સ્વભાવ જાણવાનો છે.
આખા સ્વજ્ઞેયને જાણનારું જ્ઞાન તે રાગને પણ સ્વજ્ઞેયના અંશ તરીકે જાણે છે; ત્રિકાળી અંશીના જ્ઞાન સહિત
અંશનું પણ જ્ઞાન કરે છે. જો રાગને સ્વજ્ઞેયના અંશ તરીકે સર્વથા જાણે જ નહિ તો તે જ્ઞાનમાં આખુંય સ્વજ્ઞેય
પૂરું થતું નથી એટલે તે જ્ઞાન સાચું થતું નથી; તેમ જ જો તે રાગરૂપ અંશને જ આખું સ્વજ્ઞેય માની લ્યે ને
ત્રિકાળી દ્રવ્ય–ગુણને સ્વજ્ઞેય ન બનાવે તો તે જ્ઞાન પણ મિથ્યા છે. દ્રવ્ય–ગુણ ને

PDF/HTML Page 10 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૪૯:
સમસ્ત પર્યાયો એ ત્રણે થઈને સ્વજ્ઞેય પૂરું થાય છે, તેમાં અંશી–ત્રિકાળી દ્રવ્ય–ગુણની રુચિ સહિત અંશને તેમ જ
પરજ્ઞેયને જાણવાનું કામ સમ્યગ્જ્ઞાન કરે છે. યથાર્થ જ્ઞાનમાં જ્ઞેયોનો કેવો સ્વભાવ જણાય છે તેનું આ વર્ણન છે.
બધાય પદાર્થોનો સ્વભાવ ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત છે; દરેક પદાર્થમાં સમયે સમયે પરિણામ થાય છે; તે
પરિણામો ક્રમે કરીને અનાદિઅનંત થયા કરે છે, એટલે સ્વ–અવસરે થતા પરિણામોનો પ્રવાહ અનાદિઅનંત છે.
તે પ્રવાહક્રમના નાનામાં નાના એકેક અંશો પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ સ્વભાવવાળા છે. અનાદિઅનંતકાળના
દરેક સમયમાં તે તે સમયનો પરિણામ સ્વયં સત્ છે. આવા સત્ પરિણામોને જ્ઞાન જાણે પણ તેમાં કાંઈ ફેરફાર
કરી શકે નહિ. જેમ અગ્નિ કે બરફ વગેરે પદાર્થોને આંખ દેખે છે પણ તેમાં કાંઈ ફેરફાર કરતી નથી, તેમ જ્ઞાનની
પર્યાય પણ જ્ઞેયોને સત્પણે જેમ છે તેમ જાણે જ છે, તેમાં કાંઈ ફેરફાર કરતી નથી. સ્વ અવસરમાં જ્યારે જે
પરિણામ છે તે વખતે તે જ પરિણામ હોય–બીજા પરિણામ ન હોય;–એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કર્યું ત્યાં કોઈ પણ
જ્ઞેયને આડુંઅવળું કરવાની મિથ્યાબુદ્ધિપૂર્વકના રાગદ્વેષ થતા નથી.
અહા! જુઓ તો ખરા! ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં કેટલી ગંભીરતા છે! દ્રવ્યની પર્યાય પરથી ફરે એ
તો વાત છે જ નહિ, પણ દ્રવ્ય પોતે પોતાની પર્યાયને આડીઅવળી ફેરવવા માગે તો્ય ફરે નહિ. જેમ ત્રિકાળી
દ્રવ્ય પલટીને બીજારૂપે થઈ જતું નથી તેમ તેનો એકેક સમયનો અંશ–પરિણામ પણ પલટીને બીજારૂપે થતો
નથી. ‘મારે જીવ નથી રહેવું પણ અજીવ થઈ જવું છે’ એમ જીવને ફેરવીને કોઈ અજીવ કરવા માગે તો શું તે
ફરી શકે? ન જ ફરે. જીવ પલટીને કદી અજીવપણે ન થાય, ને અજીવ પલટીને કદી જીવપણે ન થાય. જેમ
ત્રિકાળી સત્ નથી ફરતું તેમ તેનું વર્તમાન સત્ પણ નથી ફરતું. જેમ ત્રિકાળી દ્રવ્ય ફરતું નથી તેમ દ્રવ્યની એકેક
સમયની અનાદિઅનંત અવસ્થાઓ પણ જે સમયે જેમ છે તેમાં ફેરફાર કે આઘુંપાછું થઈ શકે નહિ. ત્રિકાળી
પ્રવાહના વર્તમાન અંશો પોતપોતાના કાળે સત્ છે. બસ, પરમાં કે સ્વમાં ક્યાંય ફેરફારની બુદ્ધિ ન રહી એટલે
જ્ઞાન જાણનાર જ રહી ગયું. પર્યાયબુદ્ધિમાં અટકવાનું નરહ્યું. આમ જ્ઞાન જાણવાનું કામ કરે; એવા
જ્ઞાનસ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. હજી કેવળજ્ઞાન થયા પહેલાંં એ જીવ કેવળી ભગવાનનો
લઘુનંદન થઈ ગયો. શ્રદ્ધા અપેક્ષાએ તો તે સાધક પણ સર્વનો જ્ઞાયક થઈ ગયો છે.
બધા પદાર્થોના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને નક્કી કરતાં, સ્વમાં કે પરમાં ફેરફારની બુદ્ધિ ન રહી પણ
જ્ઞાનમાં જાણવાનું જ કામ રહ્યું. એટલે જ્ઞાનમાંથી ‘આમ કેમ’ એવો ખદબદાટ નીકળી ગયો ને જ્ઞાન ધીરું થઈને
પોતામાં ઠર્યું. –આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય
છે. પરમાં કર્તાબુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી, ને તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો
પુરુષાર્થ પણ નથી જણાતો.
અહો, બધાં ય દ્રવ્યો પોતપોતાના અવસરમાં થતા પરિણામે વર્તી રહ્યાં છે, તેમાં તું ક્યાં ફેરફાર કરીશ?
ભાઈ, તારો સ્વભાવ તો જોવાનો છે. તું જોનારાને જોનાર જ રાખ, જોનારને ખદબદાટ કરનાર ન કર. જોનારા
સ્વભાવની પ્રતીત તે જ સમ્યગ્દર્શન છે. પરમાં હું ફેરફાર કરું કે પર મારામાં ફેરફાર કરે–એમ મિથ્યાદ્રષ્ટિનો
ભાવ છે, તેને જ્ઞાન અને જ્ઞેયના સ્વભાવની પ્રતીત નથી. જગતના જડ કે ચેતન બધાં ય દ્રવ્યો પોતાના પ્રવાહમાં
વર્તે છે, તેમાં જે જે અંશ વર્તમાન વર્તે છે તેને કોઈ આઘોપાછો ફેરવી શકે નહિ. હું ધ્યાન રાખીને શરીરને સરખું
રાખી દઉં એમ કોઈ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. શરીરના એકેક પરમાણુઓ તેના પોતાના પ્રવાહક્રમમાં વર્તી રહ્યા
છે, તેના ક્રમને કોઈ ફેરવી શકે નહિ. ક્યાંય પણ ફેરફાર કરે એવું આત્માના કોઈ ગુણનું કાર્ય નથી, પણ આત્મા
સ્વને જાણતાં પરને જાણે એવું તેના જ્ઞાન–ગુણનું સ્વ–પરપ્રકાશક કાર્ય છે. એની પ્રતીત એ જ મુક્તિનું કારણ છે.
દરેક દ્રવ્ય ત્રણેકાળે પરિણમ્યા કરે છે; તેના ત્રણેકાળના પ્રવાહમાં રહેલા બધાય પરિણામો ઉત્પાદ–વ્યય–
ધુ્રવરૂપ છે. પોતાના સ્વકાળમાં તે બધાય પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વના પરિણામની
અપેક્ષાએ વ્યયરૂપ છે, તેમ જ પરસ્પર સંબંધવાળા સળંગ પ્રવાહ અપેક્ષાએ તેઓ ધુ્રવ છે. દ્રવ્યના બધા ય
પરિણામો પોતપોતાના કાળમાં સત્ છે. તે પરિણામો

PDF/HTML Page 11 of 31
single page version

background image
: ૫૦: : આત્મધર્મ: ૮૭
પોતે પોતાની અપેક્ષાએ અસત્ (અર્થાત્ વ્યયરૂપ) નથી પણ પોતાની પહેલાંંના–પૂર્વપરિણામની અપેક્ષાએ તે
અસત્ (વ્યયરૂપ) છે. ને પહેલાંં–પછીના ભેદ પાડ્યા વગર સળંગ પ્રવાહને જુઓ તો બધાય પરિણામો ધુ્રવ છે.
જ્યારે જુઓ ત્યારે દ્રવ્ય પોતાના વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે. દ્રવ્ય ત્રિકાળ હોવા છતાં જ્યારે જુઓ ત્યારે
દ્રવ્યના ત્રણેકાળના જે જે વર્તમાન પરિણામ છે તે પોતાની પહેલાંંના પરિણામના અભાવસ્વરૂપ છે, ને
સ્વપરિણામપણે તે ઉત્પાદરૂપ છે, તથા તે જ સળંગ પ્રવાહપણે ધુ્રવરૂપ છે.
જુઓ, આમાં એ વાત આવી ગઈ કે પૂર્વના પરિણામ અભાવસ્વરૂપ વર્તમાન પરિણામ છે માટે પૂર્વના
સંસ્કાર વર્તમાન પર્યાયમાં આવતા નથી, તેમ જ પૂર્વનો વિકાર વર્તમાનમાં આવતો નથી; પૂર્વે વિકાર કર્યો હતો
માટે અત્યારે વિકાર થાય છે–એમ નથી. વર્તમાન–વર્તમાન પરિણામ સ્વતંત્રપણે દ્રવ્યના આશ્રયે થાય છે. આ
નિર્ણય થતાં જ્ઞાન અને શ્રદ્ધા દ્રવ્યસ્વભાવમાં જ વળી જાય છે. જેમ ત્રિકાળી જડદ્રવ્ય પલટીને ચેતન, કે
ચેતનદ્રવ્ય પલટીને જડ ન થાય તેમ તેનો વર્તમાન એકેક અંશ પણ પલટીને બીજા અંશપણે ન થાય. જે જે
સમયનો જે અંશ છે તે તે–પણે જ સત્ રહે. બસ! ભગવાન સર્વજ્ઞપણે જાણનાર છે તેમ આવી પ્રતીત કરનાર
પોતે પણ પ્રતીતમાં જાણનાર જ રહ્યો.
પરને કારણે પરમાં કાંઈ થાય એ તો વાત ક્યાંય રહી ગઈ, પરંતુ દ્રવ્ય પોતે પોતાના કોઈ અંશને આઘો–
પાછો કરે એવી તે દ્રવ્યની પણ તાકાત નથી, પહેલાંંનો અંશ પછી ન થાય, પછીનો અંશ પહેલાંં ન થાય. –આ
નક્કી કરનારને અંશબુદ્ધિ ટળીને અંશીની દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વપરિણામનો ઉત્પાદ, ને મિથ્યાત્વપરિણામનો વ્યય
થઈ જાય છે.
પ્રભુ! તું આત્મા વસ્તુ છે. તારો જ્ઞાનગુણ તારા આધારે રહ્યો છે તે જાણવાના સ્વભાવવાળો છે. ને તારા
ત્રણકાળના પરિણામો પોતપોતાના અવસર પ્રમાણે દ્રવ્યમાંથી થયા કરે છે. તારા પોતાના વર્તમાન વર્તતા અંશને
ઓછો–વધારે કે આગળ–પાછળ કરી શકે એવો તારો સ્વભાવ નથી, તેમ પરના પરિણામમાં પણ ફેરફાર થઈ
શકતો નથી. સ્વ–પર સમસ્ત જ્ઞેયોને જેમ છે તેમ જાણવાનો જ તારો સ્વભાવ છે. આવા જાણકસ્વભાવની
પ્રતીતમાં જ આત્માનું સમ્યક્ત્વ છે.
પ્રશ્ન:– મિથ્યાત્વપરિણામને ફેરવીને સમ્યક્ત્વ કરું–એમ તો થાય ને?
ઉત્તર:– જુઓ, જાણવાના સ્વભાવની પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થયું તેમાં મિથ્યાત્વ ટળેલું જ છે.
સમ્યક્ત્વ–પરિણામનો ઉત્પાદ થયો તે વખતે મિથ્યાત્વપરિણામ વર્તમાન હોતા નથી, માટે તેને ફેરવવાનું પણ
ક્યાં રહ્યું? મિથ્યાત્વ ટાળીને સમ્યક્ત્વ કરું એવા લક્ષે સમ્યકત્વ થતું નથી પણ દ્રવ્ય સામે દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વનો
ઉત્પાદ થાય છે તેમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો અભાવ થઈ જ ગયો છે. માટે તે પરિણામને પણ ફેરવવાનું
રહેતું નથી. મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ પર્યાય થઈ તેને પણ આત્મા જાણે છે, પણ પરિણામના કોઈ ક્રમને તે
આઘાપાછા ફેરવતો નથી.
અહો, જે જે પદાર્થનો જે વર્તમાન અંશ તે કદી ફરે નહિ.–આમાં એકલું વીતરાગી વિજ્ઞાન જ આવે છે.
પર્યાય ફેરવવાની બુદ્ધિ નહિ ને ‘આમ કેમ’ એવો વિષમભાવ નહિ એટલે શ્રદ્ધા અને ચારિત્ર બંનેનો મેળ થઈ
ગયો. આ ૯૯ મી ગાથામાં બે નવડા ભેગા થાય છે, ને તેમાંથી સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર બંને ભેગાં થઈ
જાય તેવા ઊંચા ભાવો નીકળે છે. જેમ ‘નવ’ નો અંક અફર ગણાય છે તેમ આ ભાવો પણ અફર છે.
ત્રિકાળી દ્રવ્યના એકેક સમયના પરિણામ સત્ છે–એમ સર્વજ્ઞદેવે કહ્યું છે; દ્રવ્ય સત્ છે ને પર્યાય પણ સત્
છે, એ ‘સત્’ જેને નથી બેઠું ને પર્યાયોમાં ફેરફાર કરવાનું માને છે તેને વસ્તુના સ્વભાવની, સર્વજ્ઞદેવની, ગુરુની
કે શાસ્ત્રની વાત બેઠી નથી, અને ખરેખર તેણે તે કોઈને માન્યાં નથી.
ત્રિકાળી વસ્તુનું વર્તમાન ક્યારે ન હોય? –સદાય હોય. વસ્તુનો કોઈ પણ વર્તમાન અંશ લ્યો તે ઉત્પાદ–
વ્યય–ધુ્રવરૂપ છે. વસ્તુને જ્યારે જુઓ ત્યારે તે વર્તમાન વર્તતી છે. એ વર્તમાનને અહીં સ્વયંસિદ્ધ સત્ સાબિત
કરે છે. જેમ ત્રિકાળી સત્ પલટીને ચેતનમાંથી જડ થઈ જતું નથી, તેમ તેનો એકેક વર્તમાન અંશ છે તે સત્ છે તે
અંશ પણ પલટીને આઘોપાછો થતો નથી. જેણે આવો વસ્તુસ્વભાવ જાણ્યો તેને પોતાના એકલા

PDF/HTML Page 12 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૫૧:
જ્ઞાયકપણાની પ્રતીત થઈ, તે જ ધર્મ થયો. અને તેણે દેવ–ગુરુ–શાસ્ત્રને પણ ખરેખર માન્યાં કહેવાય.
ત્રણેકાળના સમયમાં ત્રણેકાળના પરિણામો ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે; કોઈ પણ એક સમયનો જે પરિણામ
છે તે પરિણામ પહેલાંં ન હતો ને પછી ઊપજ્યો, એટલે પૂર્વપરિણામની પછીના તરીકે તે ઉત્પાદરૂપ છે, તથા તે
પરિણામ વખતે પૂર્વના પરિણામનો વ્યય છે,–પૂર્વના પરિણામનો વ્યય થઈને તે પરિણામ ઊપજ્યો છે માટે
પૂર્વના પરિણામની અપેક્ષાએ તે જ પરિણામ વ્યયરૂપ છે, ને ત્રણે કાળના પરિણામના સળંગ પ્રવાહની અપેક્ષાએ
તે પરિણામ ઊપજ્યો પણ નથી ને વિનાશરૂપ પણ નથી,–છે તેમ છે એટલે કે ધુ્રવ છે. એ રીતે અનાદિઅનંત
પ્રવાહમાં જ્યારે જુઓ ત્યારે દરેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવરૂપ છે.
કોઈ પણ વસ્તુના પર્યાયમાં ફેરફાર કરવાની હોંશ તે પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ છે; તેને જ્ઞાનસ્વભાવની
પ્રતીત નથી તેમ જ જ્ઞેયોના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવની પણ ખબર નથી. અરે ભગવાન! વસ્તુ ‘સત્’ છે ને?
તો તે સત્ના જ્ઞાન સિવાય તેમાં બીજું તું શું કરીશ? તું સત્માં ફેરફાર કરવાનું માનીશ તો કાંઈ સત્ તો નહિ
ફરે પણ તારું જ્ઞાન અસત્ થશે. જે પ્રમાણે વસ્તુ સત્ છે તે પ્રમાણે તેને કેવળજ્ઞાનમાં ભગવાને જાણી, તે જ
વાણી દ્વારા કહેવાયું છે, નવું નથી કહેવાયું. ભગવાને તો માત્ર જેમ સત્ હતું તેમ જ્ઞાન કર્યું છે, વાણી જડ છે તે
પણ ભગવાને કરી નથી. ભગવાનનો આત્મા પોતાના કેવળજ્ઞાનપરિણામમાં વર્તી રહ્યો છે, ને વાણીની પર્યાય
પરમાણુઓના પરિણમનપ્રવાહમાં વર્તી રહી છે, તથા સમસ્ત પદાર્થો પોતાના સત્માં વર્તી રહ્યા છે. જ્ઞાયકમૂર્તિ
આત્મા તો જાણવાનું કામ કરે છે કે ‘આમ સત્ છે.’ બસ! આનું નામ સમ્યગ્દર્શન અને વીતરાગતાનો માર્ગ છે.
ભગવાન કેવા છે?–કે ‘સર્વજ્ઞ’–સર્વના જાણનારા; કોઈમાં ફેરફાર કે રાગ–દ્વેષ કરનારા નહિ. ભગવાનની
જેમ મારા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે–એમ તું પણ તારા આત્માના જાણનાર સ્વભાવની શ્રદ્ધા કર, ને
પદાર્થોમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડ. જેણે પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરી તે અસ્થિરતાના રાગ–દ્વેષનો પણ
જાણનાર જ રહ્યો. જેણે આવા જ્ઞાનસ્વભાવને માન્યો તેણે જ અરિહંતદેવને માન્યા, તેણે જ આત્માને માન્યો,
તેણે જ ગુરુને તથા શાસ્ત્રને માન્યાં, તેણે જ નવપદાર્થને માન્યા, તેણે જ છ દ્રવ્યોને તથા તેમના વર્તમાન અંશને
માન્યા; તેનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
‘જાણવું’ તે આત્માનો સ્વભાવ છે. બસ, જાણવું તે જ આત્માનો પુરુષાર્થ, તે જ આત્માનો ધર્મ, તેમાં જ
મોક્ષમાર્ગ ને તેમાં જ વીતરાગતા. અનંતા સિદ્ધભગવાન પણ સમયે સમયે પૂરું જાણવાનું જ કાર્ય કરી રહ્યા છે.
જ્ઞાનમાં સ્વ–પર બંને જ્ઞેયો છે. ‘જ્ઞાન જાણનાર છે’ એમ જાણ્યું તેમાં જ્ઞાન પણ સ્વજ્ઞેય થયું. જ્ઞાનને
રાગાદિનું કરનાર કે ફેરવનાર માને તો તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી,–પોતે પોતાને સ્વજ્ઞેય બનાવ્યું નથી
એટલે તેનું જ્ઞાન મિથ્યા છે. વસ્તુના બધાય પરિણામો પોત–પોતાના સમયમાં સત્ છે–એમ કહેતાં જ પોતાનો
જ્ઞાયક જ સ્વભાવ છે–એમ તેમાં આવી જાય છે. * *
*
આ ગાથામાં ક્ષેત્રનો દાખલો આપીને પહેલાંં દ્રવ્યનું ત્રિકાળી સત્પણું બતાવ્યું, તેના ત્રિકાળી પ્રવાહક્રમના
અંશો બતાવ્યા, ને તે અંશોમાં (–પરિણામોમાં) અનેકતારૂપ પ્રવાહક્રમનું કારણ તેમનો પરસ્પર વ્યતિરેક છે એમ
સિદ્ધ કર્યું. અને ત્યાર પછી આખા દ્રવ્યના બધાય પરિણામોને સ્વ–અવસરમાં વર્તનારા, ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
બતાવ્યા. એટલી વાત પૂરી થઈ.
હવે એકેક સમયના વર્તમાન પરિણામને લઈને તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું બતાવે છે. પહેલાંં સમગ્ર
પરિણામોની વાત હતી ને હવે અહીં એક જ પરિણામની વાત છે. અને પછી છેલ્લે પરિણામી દ્રવ્યની જ વાત
લઈને દ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવ બતાવશે.
“વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ)
ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે
અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એક્કે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વ પરિણામના
વિનાશસ્વરૂપ છે તે જ ત્યાર પછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા
એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.”
(પૃ. ૧૬૫)

PDF/HTML Page 13 of 31
single page version

background image
: ૫૨: : આત્મધર્મ: ૮૭
અસંખ્યપ્રદેશી આત્માનો કોઈ પણ એક પ્રદેશ લ્યો તો તે પ્રદેશ, ક્ષેત્ર અપેક્ષાએ પૂર્વના પ્રદેશના વ્યયરૂપ
છે, પોતે પોતાના ક્ષેત્રના ઉત્પાદરૂપ છે ને સળંગ ક્ષેત્ર અપેક્ષાએ તે જ ધુ્રવ છે.–એ દ્રષ્ટાંત છે. તેમ અનાદિઅનંત
પ્રવાહક્રમમાં વર્તમાન વર્તતો કોઈ પણ એક પરિણામ પૂર્વના પરિણામના વ્યયરૂપ છે, ત્યાર પછીના પરિણામની
અપેક્ષાએ એટલે કે પોતે પોતાની અપેક્ષાએ ઉત્પાદસ્વરૂપ છે, ને પહેલાં–પછીનો ભેદ પાડ્યા વગર આખા
પ્રવાહ–ક્રમના અંશ તરીકે જુઓ તો તે પરિણામ ધુ્રવરૂપ છે. એ રીતે એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે.
સમસ્ત પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવની વાત લીધી ત્યારે ‘પોતપોતાના અવસરમાં’ એમ કહીને તે
દરેકનો સ્વંતત્ર સ્વકાળ બતાવ્યો હતો. અને અહીં એક પરિણામની વિવક્ષા લઈને વાત કરતાં તે શબ્દો ન
વાપર્યા. કેમ કે વર્તમાન એક જ પરિણામ લીધો તેમાં જ તેનો વર્તમાન સ્વકાળ આવી ગયો.
વર્તમાન વર્તતો પરિણામ પૂર્વ પરિણામના અભાવરૂપ જ છે. એટલે પૂર્વના વિકારનો અભાવ કરું–એ
વાત રહેતી નથી, ને વર્તમાન પરિણામ વર્તમાનમાં સત્રૂપ છે એમાં પણ ફેરફાર કરવાનું રહેતું નથી. આમ
સમજતાં એકલા વર્તમાન પરિણામની દ્રષ્ટિ ન રહેતાં પરિણામી દ્રવ્યની દ્રષ્ટિથી પરિણામ અને પરિણામીની
એકતા થતાં સમ્યક્ત્વનો ઉત્પાદ થાય છે, તેમાં પૂર્વના મિથ્યાત્વનો વ્યય છે જ, મિથ્યાત્વને ટાળવું નથી પડતું.
કોઈ પરિણામને હું ફેરવી શકું નહિ, માત્ર જાણું–એવો મારો સ્વભાવ છે, એમ જ્ઞાનસ્વભાવની પ્રતીતમાં
સમ્યક્ત્વ પરિણામનો ઉત્પાદ છે, ને તેમાં મિથ્યાત્વનો વ્યય છે જ. એટલે મિથ્યાત્વ ટાળું ને સમ્યક્ત્વ પ્રગટ કરું
એ વાત નથી રહેતી. જ્યાં આવી બુદ્ધિ થઈ ત્યાં તે સમયનો સત્ પરિણામ પોતે જ સમ્યક્ત્વના ઉત્પાદરૂપ ને
મિથ્યાત્વના વ્યયરૂપ છે, તથા એકબીજા સાથે સંકળાયેલા પરિણામોના સળંગપ્રવાહ તરીકે તે પરિણામ ધુ્રવ છે. –
એ રીતે એકેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્ છે.
જેમ વસ્તુ સત્ છે તેમ તેનું વર્તમાન પણ સત્ છે. વસ્તુના ત્રિકાળી પ્રવાહમાં એકેક સમયનો અંશ તે સત્
છે; વર્તમાન સમયનો પરિણામ પૂર્વને લઈને નથી પણ પૂર્વના અભાવથી જ પોતાપણે સત્ છે. તે વર્તમાન અંશ
પરથી નથી પણ પોતાથી છે. એકેક સમયનો વર્તમાન અંશ નિરપેક્ષપણે પોતાથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ સત્ છે.
સર્વજ્ઞ સિવાય વસ્તુસ્વરૂપનું આવું વર્ણન બીજે હોય નહિ. ભાઈ, તું શું કર? જગતનાં તત્ત્વો સત્ છે,
તેની પહેલી પર્યાયને લીધે પણ બીજી પર્યાય થતી નથી, તો વળી તું તેમાં શું કર? તું તો માત્ર જાણનાર રહે. એ
સિવાય જો બીજું માન તો, વસ્તુમાં તો કાંઈ ફેરફાર થવાનો નથી પણ તારું જ્ઞાન મિથ્યા થશે.
વસ્તુનો વર્તમાન અંશ છે તે સત્ છે, એમ અહીં તો વર્તમાન એકેક સમયના પરિણામને સત્ સિદ્ધ કરવા
છે. દ્રવ્યના આધારે અંશ છે–એ વાત અત્યારે નથી લેવી. જો દ્રવ્યને લઈને પરિણામનું સત્પણું હોય તો તો બધા
પરિણામ એકસરખા જ થાય. માટે દ્રવ્યને લઈને પરિણામનું સત્ છે એમ ન લેતાં, એકેક સમયના પરિણામ પોતે
સત્ છે અને દ્રવ્ય જ તે વર્તમાન પરિણામપણે વર્તતું સત્ છે–એમ લીધું છે. પ્રવાહનો વર્તમાન અંશ તે અંશને
લઈને જ છે. અહો, એકેક સમયનું અકારણીય સત્ સાબિત કર્યું છે. સમય સમયનું સત્ અહેતુક છે. બધા
પદાર્થોના ત્રણે કાળના વર્તમાનનો દરેક અંશ નિરપેક્ષ સત્ છે, જ્ઞાન તેને જેમ છે તેમ જાણે પણ ફેરવે નહિ. જ્ઞાને
જાણ્યું માટે તે અંશ તે પ્રમાણે છે–એમ નથી. તે પોતે સ્વયં સત્ છે.
વર્તમાન પરિણામ પૂર્વપરિણામના વ્યયરૂપ છે, એટલે વર્તમાન પરિણામને પૂર્વપરિણામની પણ અપેક્ષા
ન રહી, તો પછી પર પદાર્થને કારણે તેમાં કાંઈ થાય એ વાત ક્યાં રહી? કેવળી ભગવાનને પહેલા સમયે
કેવળજ્ઞાન થયું માટે બીજા સમયે તે કેવળજ્ઞાન રહ્યું–એમ નથી, પણ બીજા સમયના તે વર્તમાન પરિણામનું
કેવળજ્ઞાન તે સમયના અંશથી જ સત્ છે. પહેલા સમયના સત્ને લીધે બીજા સમયનું સત્ નથી. એ જ પ્રમાણે
સિદ્ધ ભગવાનને પહેલા સમયની સિદ્ધ પર્યાય હતી માટે બીજા સમયે સિદ્ધ પર્યાય થઈ–એમ નથી. સિદ્ધમાં ને
બધાં ય દ્રવ્યોમાં એકેક સમયનો અંશ સત્ છે.
અહીં એક અંશના પરિણામના ઉત્પાદ વ્યય–ધુ્રવમાં ‘પોતાના અવસરમાં’ એવી ભાષા ન વાપરી, કેમ કે
વર્તમાન વર્તતા એક પરિણામની વાત છે, ને વર્તમાનમાં જે પરિણામ વર્તે છે તે જ તેનો સ્વકાળ છે. ત્રણે
કાળના દરેક પરિણામનું જે વર્તમાન છે તે વર્તમાન જ તેનો

PDF/HTML Page 14 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૫૩:
સ્વકાળ છે. પોતાના વર્તમાનને છોડીને તે આઘોપાછો થાય નહિ. એમ વર્તમાન એકેક પરિણામનો ઉત્પાદ–વ્યય–
ધુ્રવસ્વભાવ છે.
આ ગાથામાં અત્યાર સુધીમાં ચાર બોલ આવ્યા:–
(૧) દ્રવ્યનો સળંગ પ્રવાહ એક છે ને તેના ક્રમે થતા અંશો તે પરિણામો છે.
(૨) તે પરિણામોમાં અનેકતા છે, કેમ કે પરસ્પર વ્યતિરેક છે.
(૩) ત્રણેકાળના પરિણામોનું આખું દળ લઈને બધા પરિણામોમાં સામાન્યપણે ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું કહ્યું.
(૪) આખા પ્રવાહનો એક અંશ લઈને એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કહ્યાં.
–એમ ચાર પ્રકાર થયા. એ પ્રમાણે પરિણામનું ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું નક્કી કરીને, હવે છેલ્લે પરિણામી
દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કરે છે.
“આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામપદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય સ્વભાવને
નહિ અતિક્રમતું હોવાથી સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું.”
દ્રવ્યના બધાય પરિણામો ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ છે, ને તે પરિણામોના ક્રમમાં વર્તતું દ્રવ્ય પણ ઉત્પાદ–
વ્યય–ધુ્રવવાળું જ છે. જો પરિણામની જેમ દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું ન હોય તો તે પરિણામોની પરંપરામાં
વર્તી જ ન શકે. દ્રવ્ય છે તે ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ બધાય પરિણામોની પરંપરામાં વર્તે છે તેથી તેને પણ ઉત્પાદ–
વ્યય–ધુ્રવ છે. પરિણામોની પદ્ધતિ કીધી છે એટલે જેમ સાંકળનાં અંકોડા આઘાપાછા થતા નથી તેમ પરિણામોનો
પ્રવાહક્રમ બદલાતો નથી, જે વખતે દ્રવ્યનો જે પરિણામ પ્રવાહક્રમમાં હોય તે વખતે તે દ્રવ્યનો તે જ પરિણામ
હોય, બીજો પરિણામ ન હોય. જુઓ, આ વસ્તુના સત્સ્વભાવનું વર્ણન છે. વસ્તુનો સત્સ્વભાવ છે, સત્ તે
ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળો પરિણામ છે, ને તેને ભગવાન દ્રવ્યનું લક્ષણ કહે છે–
सत्द्रव्य लक्षणं. તારો સ્વભાવ
જાણવાનો છે. જેમ સત્ છે તેમ તું જાણ. સત્ને આડુંઅવળું કરવાની બુદ્ધિ કરીશ તો તારા જ્ઞાનમાં મિથ્યાત્વ થશે.
વસ્તુઓ સત્ છે ને હું તેનો જાણનાર છું–એવી શ્રદ્ધા થયા પછી અસ્થિરતાનો વિકલ્પ ઊઠે, પણ તેમાં મિથ્યાત્વનું
જોર ન આવે. એટલે આવી જ્ઞાન અને જ્ઞેયની શ્રદ્ધાના જોરે તે અસ્થિરતાનો વિકલ્પ પણ તૂટીને વીતરાગતા ને
કેવળજ્ઞાન થયે જ છૂટકો!–એવી આ અલૌકિક વાત છે.
કારતક વદ ૮ શનિવારના રોજ સવારે શ્રી સમયસારજીની
સ્વાધ્યાય હોવાથી પ્રવચનસારનું વ્યાખ્યાન બંધ હતું.
કારતક વદ ૯ રવિાર [ગાથા ૯]
આ વિષય બહુ સૂક્ષ્મ પરમ સત્ય અને ગંભીર છે.
સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનમાં વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો પૂર્ણ જાણ્યો, ને તેવો જ વાણીમાં આવી ગયો.
જેવો વસ્તુનો સ્વભાવ છે તેવો જાણીને માને તો જ્ઞાન અને શ્રદ્ધા સમ્યક્ થાય, વસ્તુના સ્વભાવને જેવો હોય
તેવો ન જાણે ને બીજી રીતે માને તો સમ્યગ્જ્ઞાન ને સમ્યક્શ્રદ્ધા થાય નહિ, અને તેના વગર વ્રત–તપાદિ સાચાં
હોય નહીં. વસ્તુના સ્વભાવની સ્થિતિ શું છે અને તેના નિયમો કેવા સત્ય છે, તેનું આ વર્ણન છે. આ સમજવા
માટે જ્ઞાનમાં એકાગ્ર થવાની જરૂર છે.
જુઓ, અત્યાર સુધી શું કહેવાયું છે? દરેક ચેતન ને જડ પદાર્થો સ્વયં સત્ છે, તેમાં એકેક સમયમાં
પરિણામ થાય છે, તે પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળાં છે. મૂળ વસ્તુ ત્રિકાળ છે, તે વસ્તુ અસંયોગી–સ્વયંસિદ્ધ
છે, તે કોઈથી બનેલ નથી ને તેનો ક્યારેય નાશ નથી; જ્યારે જુઓ ત્યારે તે સત્પણે વર્તમાન વર્તી રહી છે.
એકેક સમયના પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ થાય છે તેમાં વસ્તુ વર્તી રહી છે. દરેક દ્રવ્યમાં, ત્રણ કાળના
જેટલા સમયો છે તેટલા પરિણામો છે. જેમ સોનાનાં સો વર્ષો લઈએ, તો તે સો વર્ષમાં થયેલી કડું, કુંડળ, હાર
વગેરે બધી અવસ્થાનો એક પિંડ તે સોનું છે, તેમ દરેક દ્રવ્ય ત્રણકાળના બધા પરિણામોનો પિંડ છે. તે પરિણામો
ક્રમેક્રમે–એક પછી એક થાય છે. ત્રણ કાળના સમસ્ત પરિણામોનો પ્રવાહ તે દ્રવ્યનો પ્રવાહક્રમ છે, ને તે
પ્રવાહક્રમનો એક સમયનો અંશ તે પરિણામ છે. ત્રણ કાળના જેટલા સમયો છે તેટલા જ દરેક દ્રવ્યના પરિણામો
છે. તે એકેક પરિણામમાં ઉત્પાદ, વ્યય ને ધુ્રવ એવા ત્રણ પ્રકાર સિદ્ધ કર્યા છે. પોતપોતાના નિશ્ચિત અવસરમાં
દરેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળાં છે. કોઈથી કોઈના પરિણામનો ઉત્પાદ થાય કે કોઈ પરિણામો આઘાપાછા
થાય એ વાત તો અહીંથી ક્યાંય ઊડી

PDF/HTML Page 15 of 31
single page version

background image
: ૫૪: : આત્મધર્મ: ૮૭
ગઈ; કોઈ પરિણામો આઘાપાછા ન થાય એ નિર્ણયમાં તો સર્વજ્ઞતાનો નિર્ણય ને જ્ઞાયક દ્રવ્યની દ્રષ્ટિ થઈ
જાય છે.
આત્મામાં વર્તમાન જે જ્ઞાનઅવસ્થા છે તે અવસ્થામાં જ્ઞાનગુણ વર્તી રહ્યો છે, બીજી અવસ્થા થશે ત્યારે
તેમાં વર્તમાન વર્તશે ને ત્રીજી અવસ્થા વખતે તે ત્રીજી અવસ્થામાં વર્તમાન વર્તશે. એ રીતે, બીજી–ત્રીજી–ચોથી
એમ બધી યે અવસ્થાઓના પ્રવાહનો પિંડ તે જ્ઞાનગુણ છે. એવા અનંતગુણોનો પિંડ તે દ્રવ્ય છે. દ્રવ્યના સમયે
સમયે જે પરિણામો થાય છે તે પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વના અભાવની અપેક્ષાએ વ્યયરૂપ
છે, ને સળંગ પ્રવાહમાં વર્તનારા અંશપણે તે ધુ્રવ છે. આવો ઉત્પાદ–વ્યય–ધુવવાળો પરિણામ છે તે દરેક દ્રવ્યનો
સ્વભાવ છે. ને એવા સ્વભાવમાં દ્રવ્ય નિત્ય વર્તી રહ્યું છે તેથી દ્રવ્ય પોતે પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળું છે–
એમ અનુમોદવું.
દરેક ચીજ પલટતી–નિત્ય છે. જો વસ્તુ એકલી ‘નિત્ય’ જ હોય તો તેમાં દુઃખ–સુખ ઈત્યાદિ કાર્ય થઈ શકે
નહિ, અને જો વસ્તુ એકાંત ‘પલટતી’ જ હોય તો તે ત્રિકાળી ટકી શકે નહિ, બીજી ક્ષણે તેનો સર્વથા અભાવ
થઈ જાય. માટે વસ્તુ એકલી નિત્ય, કે એકલી પલટતી નથી, પણ નિત્ય ટકીને ક્ષણેક્ષણે તે પલટે છે. એ પ્રમાણે
નિત્ય–પલટતી વસ્તુ કહો કે ‘ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યયુક્તં સત્’ કહો, તેનું આ વર્ણન છે. નાનામાં નાના કાળમાં
થતા પરિણામમાં વર્તતું–વર્તતું દ્રવ્ય નિત્ય ટકી રહ્યું છે. તેના એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું છે–એ વાત
થઈ ગઈ છે. ને તે દ્રવ્ય પોતે પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે. –એ વાત ચાલે છે.
બધા પદાર્થો સત્ છે. પદાર્થ ‘છે’ એમ કહેતાં જ તેનું સત્પણું આવી જાય છે. પદાર્થોનું સત્પણું પૂર્વ
(૯૮મી ગાથામાં) સિદ્ધ કરી ગયા છે. પદાર્થો સત્ છે, ને સત્ તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ સહિત છે. કોઈ પણ વસ્તુ
હોય તે વર્તમાન–વર્તમાનપણે વર્તતી રહે ને? –કાંઈ ભૂત કે ભવિષ્યમાં ન રહે. વસ્તુ તો વર્તમાનમાં જ વર્તે.
અને તે એકેક સમયનું વર્તમાન પણ જો ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું ન હોય તો વસ્તુનું ત્રિકાળ વર્તવાપણું સાબિત ન
થાય. એટલે સમયે સમયે થતા ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળા પરિણામમાં જ વસ્તુ વર્તે છે. જેમ દ્રવ્ય ત્રિકાળી સત્ છે
તેમ તેના ત્રણેકાળના પરિણામ પણ એકેક સમયનું સત છે. એકેક પરિણામને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્
સાબિત કરીને, અહીં પરિણામમાં વર્તનારા દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્ સાબિત કરે છે.
દ્રવ્યનો એક વર્તમાન વર્તતો પરિણામ પોતાપણે ઉત્પાદરૂપ છે, પોતાની પહેલાંંના પરિણામ અપેક્ષાએ
વ્યયરૂપ છે ને સળંગ પ્રવાહમાં તે ધુ્રવ છે. એ પ્રમાણે પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળો છે ને તે પરિણામમાં દ્રવ્ય
વર્તતું હોવાથી દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ છે. પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કરતાં, તે પરિણામમાં
વર્તનારા પરિણામીના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ થઈ જ જાય છે. માટે કહ્યું કે દ્રવ્યને ત્રિલક્ષણ અનમોદવું.
અનમોદવું એટલે હોંશથી માનવું, આનંદથી સંમત કરવું.
જો સમય સમયના પરિણામની આ વાત સમજે તો ક્યાંય પરમાં ઘાલમેલ કરવાનો અહંકાર રહે નહિ ને
એકલા રાગાદિ પરિણામ ઉપર પણ દ્રષ્ટિ રહે નહિ પણ પરિણામી એવા ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય; ને
દ્રવ્યદ્રષ્ટિ થતાં આનંદનો અનુભવ થયા વિના રહે નહિ. માટે કહ્યું કે... ‘આનંદથી સંમત કરવું. ’
જેમ ત્રિકાળી સત્માં જે ચૈતન્ય છે તે ચૈતન્ય જ રહે છે ને જડ છે તે જડ જ રહે છે, ચૈતન્ય મટીને જડ
નથી થતું ને જડ મટીને ચૈતન્ય નથી થતું. તેમ એક સમયના સત્માં પણ–જે પરિણામ જે સમયમાં સત્ છે તે
પરિણામ તે સમયે જ થાય, આઘોપાછો ન થાય. જેમ ત્રિકાળી સત્ છે તેમ વર્તમાન પણ સત્ છે. જેમ ત્રિકાળી
સત્ પલટીને બીજા રૂપે થઈ જતું નથી તેમ વર્તમાન સત્ પણ પલટીને ભૂત કે ભવિષ્યપણે થઈ જતું નથી.
ત્રણેકાળના સમય સમયના વર્તમાન પરિણામ તેનો સ્વસમય (સ્વ–કાળ) છોડીને પહેલાંં કે પછીના સમયે ન
થાય. જેટલા ત્રણકાળના સમયો તેટલા દ્રવ્યના પરિણામો; તેમાં જે સમયનો જે વર્તમાન પરિણામ છે તે
પરિણામ પોતાનું વર્તમાનપણું છોડીને ભૂત કે ભવિષ્યમાં ન થાય. બસ! દરેક પરિણામ પોતપોતાના કાળમાં
વર્તમાન સત્ છે. તે સતને કોઈ ફેરવી ન શકે. સતને ફેરવવાનું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને જ્ઞાતાસ્વભાવની
પ્રતીત નથી. જેમ ચેતનને ફેરવીને જડ કરી શકાતું નથી તેમ દ્રવ્યના

PDF/HTML Page 16 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૫૫:
ત્રિકાળી પ્રવાહમાં તે તે સમયના વર્તમાન પરિણામને આઘાપાછા ફેરવી ન શકાય. અહો! લોકોને પોતાના
જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી એટલે જ્ઞેયોના આવા વ્યવસ્થિત સ્વભાવની પ્રતીત નથી બેસતી.
જેમ વસ્તુ અનાદિ–અનંત છે તેમ તેનું એકેક સમયનું વર્તમાન પણ પ્રવાહપણે અનાદિ–અનંત છે. વસ્તુ
અને વસ્તુનું વર્તમાન–તે પહેલાંં–પછી નથી. વસ્તુનું વર્તમાન ક્યારે ન હોય? ક્યારેય પણ વર્તમાન વગરની
વસ્તુ હોય જ નહીં. બંને એમ ને એમ અનાદિઅનંત છે. ત્રણેકાળમાંથી એક પણ સમયના વર્તમાનને કાઢી નાખો
તો ત્રિકાળી વસ્તુ જ સિદ્ધ થઈ શકે નહીં. ત્રણે કાળના વર્તમાનનો પિંડ તે સત્દ્રવ્ય છે, ને તે ત્રણે કાળનો દરેક
વર્તમાન પરિણામ પોતાના અવસરમાં સત્ છે, તે પોતાપણે ઉત્પાદરૂપ છે, પૂર્વની અપેક્ષાએ વ્યયરૂપ છે ને સળંગ
વસ્તુના વર્તમાનપણે ધુ્રવરૂપ છે. આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત પરિણામ તે સત્ છે ને તે દ્રવ્યનો સ્વભાવ છે.
આવા સત્ને કોણ ફેરવે? સત્ને જેમ હોય તેમ જાણે પણ સત્ને કોઈ ફેરવી શકે નહિ.
વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયનો જેવો સ્વભાવ છે તેવો જ્ઞાન જાણે છે. અંશને અંશ તરીકે જાણે છે ને
ત્રિકાળીને ત્રિકાળી તરીકે જાણે છે; એવો સ્વભાવ જાણતાં એકલા અંશની રુચિ ન રહેતાં ત્રિકાળીસ્વભાવની
રુચિ તરફ શ્રદ્ધા ઢળી જાય છે. અંશને અંશ તરીકે ને અંશીને અંશી તરીકે શ્રદ્ધામાં લેતાં શ્રદ્ધાનું આખું જોર અંશ
ઉપરથી ખસીને ત્રિકાળી દ્રવ્ય–ગુણ તરફ ઢળી જાય છે. એ જ સમ્યગ્દર્શન છે.
દ્રવ્ય, ગુણ ને પર્યાય એ ત્રણે ય સ્વજ્ઞેય છે. એક સમયમાં દ્રવ્ય–ગુણ–પર્યાયનો પિંડ તે આખું સ્વજ્ઞેય છે.
તેમાં પર્યાય તે એક સમયપૂરતી છે એમ જાણતાં તેના ઉપર એક સમયપૂરતું જ જોર રહ્યું; ને દ્રવ્યને ત્રિકાળી
જાણતાં તેના ઉપર ત્રિકાળી જોર આવ્યું, એટલે તેની જ મુખ્યતા થઈ અને તેની રુચિમાં શ્રદ્ધાનું બળ વળી ગયું.
આ રીતે સ્વજ્ઞેયને જાણતાં સમ્યક્ત્વ આવી જાય છે. માટે આ જ્ઞેય–અધિકારનું બીજું નામ સમ્યક્ત્વ–અધિકાર
પણ છે.
સ્વજ્ઞેય પરજ્ઞેયથી તદ્ન જુદું છે. અહીં રાગ પણ સ્વજ્ઞેયમાં આવે છે. સમયસારમાં દ્રવ્યદ્રષ્ટિની
પ્રધાનતાથી કથન છે ત્યાં સ્વભાવદ્રષ્ટિમાં રાગની ગૌણતા થઈ જાય છે માટે ત્યાં તો ‘રાગ આત્મામાં થતો જ
નથી, રાગ જડ સાથે તાદાત્મ્યવાળો છે’–એમ કહેવામાં આવે છે. ત્યાં દ્રષ્ટિઅપેક્ષાએ રાગને પરમાં નાંખી દીધો
ને, શુદ્ધ–દ્રવ્યની દ્રષ્ટિ કરાવી. અને અહીં, આ પ્રવચનસારમાં જ્ઞાન–અપેક્ષાએ કથન છે તેથી આખું ય સ્વજ્ઞેય
બતાવવા રાગને પણ સ્વજ્ઞેયમાં લીધો. દ્રષ્ટિઅપેક્ષાએ રાગ પરમાં જાય છે ને જ્ઞાનઅપેક્ષાએ રાગ સ્વજ્ઞેયમાં
આવે છે; પરંતુ રાગમાં જ સ્વજ્ઞેય પૂરું થઈ જતું નથી. રાગરહિત દ્રવ્ય–ગુણસ્વભાવ તે પણ સ્વજ્ઞેય છે. એમ
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને સ્વજ્ઞેય તરીકે જાણ્યા ત્યાં રાગમાંથી એકત્વબુદ્ધિ છૂટીને રુચિનું જોર દ્રવ્ય તરફ વળી
ગયું. એકલા રાગને આખું તત્વ સ્વીકારતાં સ્વજ્ઞેય આખું પ્રતીતમાં આવતું ન હતું. ને દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ
આખા સ્વજ્ઞેયની પ્રતીત થતાં તે પ્રતીતનું જોર ત્રિકાળી તરફ વધી જાય છે, એટલે ત્રિકાળીની મુખ્યતા થઈને તે
તરફ રુચિનું જોર વળે છે. એ રીતે આમાં પણ દ્રવ્યદ્રષ્ટિ આવી જાય છે.
સ્વદ્રવ્ય–ગુણ–પર્યાય એ બધું થઈને સ્વજ્ઞેય છે; રાગ પણ સ્વજ્ઞેય છે. પણ એમ જાણતાં રુચિનું જોર
રાગથી ખસીને અંતરમાં વળી જાય છે. ત્રિકાળી તત્ત્વને ભૂલીને એકલા પ્રગટ અંશને જ જ્ઞેય તરીકે સ્વીકારતી તે
મિથ્યારુચિ હતી; દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને જ્ઞેય તરીકે જાણીને અવ્યક્ત–શક્તિરૂપ અંર્તસ્વભાવ તરફ ઢળી જાય
છે ત્યારે જ સ્વજ્ઞેયને આખું પ્રતીતમાં લીધું છે અને ત્યારે જ, તેણે ભગવાને કહેલું દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ
સાંભળ્‌યું–એમ કહેવાય છે.
જેમ ગોળને ગોળ તરીકે જાણે ને ઝેરને ઝેર તરીકે જાણે તો તે જ્ઞાન બરાબર છે, પણ ગોળને ઝેર તરીકે
જાણે ને ઝેરને ગોળ તરીકે જાણે તો તે જ્ઞાન ખોટું છે. તેમ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે થઈને એક સમયમાં આખું
સ્વજ્ઞેય છે, તેમાં દ્રવ્યને દ્રવ્ય તરીકે જાણે, ગુણને ગુણ તરીકે જાણે ને પર્યાયને પર્યાય તરીકે જાણે તો જ્ઞાન સાચું
થાય, પણ જ્ઞાન જેમ છે તેમ ન જાણે કે ક્ષણિક પર્યાયને જ આખું તત્ત્વ માની લ્યે અથવા તો ક્ષણિક પર્યાયને
સર્વથા જાણે જ નહિ–તો તે જ્ઞાન સાચું ન થાય. અને પદાર્થના સાચા જ્ઞાન વિના શ્રદ્ધા પણ સાચી ન થાય, ને
જ્ઞાન–શ્રદ્ધાન વિના સમ્યક્ચારિત્ર, વીતરાગતા કે મુક્તિ થાય નહીં.

PDF/HTML Page 17 of 31
single page version

background image
: ૫૬: : આત્મધર્મ: ૮૭
ત્રિકાળી તત્ત્વની રુચિ તરફ વળીને આખું સ્વજ્ઞેય પ્રતીતમાં આવ્યું ત્યારે પરજ્ઞેયને જાણવાની જ્ઞાનની
યથાર્થ તાકાત ખીલી. જ્ઞાનની વર્તમાન દશા રાગસન્મુખ અટકીને તેને આખું સ્વજ્ઞેય માનતી તે જ્ઞાન મિથ્યા
હતું, તેનામાં સ્વ–પરપ્રકાશક જ્ઞાનસામર્થ્ય ન હતું. ને જ્ઞાનની વર્તમાન દશામાં અંતરની આખી વસ્તુને જ્ઞેય
બનાવીને તે તરફ વળી જતાં તે જ્ઞાન સમ્યક્ થયું, ને તેનામાં સ્વ–પરપ્રકાશક તાકાત ખીલી ગઈ.
પરિણામના પ્રવાહક્રમમાં વર્તનારું દ્રવ્ય છે–એમ નક્કી કર્યું ત્યાં રુચિનું જોર તે દ્રવ્ય તરફ ઢળતાં રુચિ
સમ્યક્ થઈ ગઈ. તે પર્યાયમાં રાગનો અંશ વર્તે છે તે પણ જ્ઞાનના ખ્યાલથી બહાર નથી, જ્ઞાન તેને પણ સ્વ–
જ્ઞેયપણે સ્વીકારે છે. આમ આખા સ્વજ્ઞેયને (–દ્રવ્યગુણને તથા વિકારી–અવિકારી પર્યાયોને) કબૂલતાં રુચિ તો
દ્રવ્ય–ગુણ તરફ વળીને સમ્યક્ થઈ ગઈ, ને જ્ઞાનમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેનું જ્ઞાન સાચું થયું.–આવું આ
જ્ઞેયઅધિકારનું વર્ણન છે.
જ્ઞેયના ત્રણે અંશને (–દ્રવ્ય–ગુણ–પર્યાયને) કબૂલે તે જ્ઞાન સમ્યક્ છે, એક અંશને જ (રાગને જ) કબૂલે
તો તે જ્ઞાન મિથ્યા છે, અને સર્વથા રાગ વગરનું કબૂલે તો તે જ્ઞાન પણ મિથ્યા છે; કેમ કે રાગપરિણામ પણ
સાધકને વર્તે છે, તે રાગપરિણામને સ્વજ્ઞેય તરીકે ન જાણે તો રાગપરિણામમાં વર્તનારા દ્રવ્યને પણ ન માન્યું.
રાગપરિણામ પણ દ્રવ્યના ત્રણકાળના પરિણામની પદ્ધતિમાં આવી જાય છે, રાગપરિણામ કાંઈ દ્રવ્યના
પરિણામની પરંપરાથી જુદો નથી. ત્રણે કાળના પરિણામોની પરંપરામાં વર્તીને જ દ્રવ્ય ટકી રહ્યું છે.
નિગોદ કે સિદ્ધ–કોઈ પણ પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે, ને તે પરિણામમાં દ્રવ્ય વર્તી રહ્યું છે.
પરિણામની જે ઢબ છે–જે ક્રમ છે–જે પરંપરા છે–જે સ્વભાવ છે–તેમાં દ્રવ્ય અવસ્થિત છે. તે દ્રવ્ય પોતાના ઉત્પાદ–
વ્યય–ધુ્રવરૂપ પરિણામસ્વભાવને અતિક્રમતું નથી. અહીં ‘સ્વભાવ’ કહેતાં શુદ્ધ પરિણામ જ ન સમજવા પણ
વિકારી કે અવિકારી બધાય પરિણામો તે દ્રવ્યનો સ્વભાવ છે, ને તે સ્વજ્ઞેયમાં આવી જાય છે. અને જે આવું
જાણે તેને શુદ્ધ પરિણામની ઉત્પત્તિ થવા માંડે છે. સ્વજ્ઞેયમાં પરજ્ઞેય નહિ ને પરજ્ઞેયમાં સ્વજ્ઞેય નહિ–આમ જાણવું
તેમાં જ વીતરાગી શ્રદ્ધા આવી જાય છે. કેમ કે મારું સ્વજ્ઞેય પરજ્ઞેયોથી જુદું છે એમ નક્કી કરતાં કોઈ પણ
પરજ્ઞેયના અવલંબનનો અભિપ્રાય ન રહ્યો એટલે સ્વદ્રવ્યના અવલંબને સમ્યક્શ્રદ્ધા થઈ. આખું દ્રવ્ય તે
પરિણામી ને તેનો એક અંશ તે પરિણામ; તેમાં આખા પરિણામીની અંર્તદ્રષ્ટિ વગર પરિણામનું સાચું જ્ઞાન
થાય નહીં. પરિણામોની પરંપરાને દ્રવ્ય છોડતું નથી પણ તે પરંપરામાં જ વર્તે છે,–એટલે લક્ષનું જોર ક્યાં ગયું?–
દ્રવ્ય ઉપર. એ રીતે આમાં ય દ્રવ્યદ્રષ્ટિ જ આવી જાય છે.
દ્રવ્ય તો ઘણી શક્તિનો ત્રિકાળી પિંડ છે, ને પરિણામ તો એક સમયપૂરતો અંશ છે, –એમ જાણ્યું ત્યાં
શ્રદ્ધાનું જોર ઘણી શક્તિના પિંડ તરફ વળી ગયું એટલે દ્રવ્યની પ્રતીત થઈ, અને દ્રવ્ય–પર્યાય બંનેનું યથાર્થ જ્ઞાન
થયું.
દરેક વસ્તુ પોતાના પરિણામસ્વભાવમાં વર્તી રહી છે, તે પરિણામના ત્રણ લક્ષણ (–ઉત્પાદ–વ્યય–
ધુ્રવાત્મક) છે, તેથી તે પરિણામમાં વર્તતી વસ્તુમાં પણ એ ત્રણ લક્ષણ આવી જ જાય છે, કેમ કે વસ્તુનું
હોવાપણું પરિણામસ્વભાવથી જુદું નથી. વસ્તુ ‘છે’ એમ કહેતાં જ તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ આવી જાય છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવ વગર ‘વસ્તુ છે’ એમ સિદ્ધ ન થાય. પરિણામ ‘છે’ એમ કહેતાં તે પરિણામ પણ ઉત્પાદ–વ્યય–
ધુ્રવવાળો છે. ‘હોવાપણું (–સત્)’ ઉત્પાદ–વ્યય–ધુ્રવ વગર હોતું નથી. માટે સત્ત્વને ત્રિલક્ષણ અનુમોદવું.
પહેલાંં યથાર્થ શ્રવણ કરીને વસ્તુને બરાબર જાણે કે ‘આ આમ જ છે’ તો જ્ઞાન નિઃશંક થાય, ને જ્ઞાન
નિઃશંક થાય તો જ અંતરમાં તેનું ઘોલન કરીને નિર્વિકલ્પ અનુભવ કરે. પણ જ્યાં જ્ઞાન જ ખોટું હોય અને
‘આમ હશે કે તેમ’ એમ શંકામાં ઝૂલતું હોય ત્યાં અંતરમાં ઘોલન ક્યાંથી ચાલે? નિઃશંક જ્ઞાન વગરનું ઘોલન
પણ ખોટું હોય એટલે કે મિથ્યાજ્ઞાન ને મિથ્યાશ્રદ્ધા હોય. પહેલાંં શું વસ્તુસ્થિતિ છે તે બરાબર ખ્યાલમાં લેવી
જોઈએ. વસ્તુને બરાબર ખ્યાલમાં લીધા વિના ઘોલન કોનું કરશે?
પરિણામને વસ્તુ ઓળંગતી નથી, કેમ કે પરિણામ સત્ છે. વસ્તુ જો પરિણામને ઓળંગે તો તો ‘સત્’ ને
જ ઓળંગે, એટલે વસ્તુ ‘છે’ એમ સાબિત ન થાય. ત્રણેકાળના પરિણામના પ્રવાહમાં વસ્તુ વર્તે છે.

PDF/HTML Page 18 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૫૭:
અહો, આ તો આખો જ્ઞેયનો પિંડ પ્રતીતમાં લેવાનો માર્ગ કહો કે આખા જ્ઞાયકપિંડની દ્રષ્ટિ કહો, સમ્યક્
નિયતવાદ કહો કે યથાર્થ મોક્ષમાર્ગનો પુરુષાર્થ કહો, વીતરાગતા કહો કે ધર્મ કહો, –તે બધું આમાં આવી જાય છે.
શ્રી આચાર્યદેવ કહે છે કે વસ્તુનો સ્વભાવ જ આ (ઉપર કહ્યો તેવો) છે, આવો વસ્તુસ્વભાવ
આનંદપૂર્વક માનવો–સંમત કરવો. જે આવા વસ્તુસ્વભાવને જાણે તેને અપૂર્વ આનંદ પ્રગટ્યા વગર રહે નહિ.
જ્યાં વસ્તુને ત્રિલક્ષણ જાણી ત્યાં વસ્તુ પોતે સમ્યક્સ્વભાવમાં વળ્‌યા વગર રહે નહિ, –વસ્તુ સમ્યક્સ્વભાવપણે
પરિણમે એટલે અપૂર્વ આનંદનો અનુભવ થાય જ. માટે અહીં કહ્યું કે આવા વસ્તુસ્વભાવને આનંદથી માન્ય
કરવો.
જુઓ, તે તે પરિણામને વસ્તુ ઓળંગતી નથી, એટલે દ્રષ્ટિ ક્યાં ગઈ? વસ્તુ ઉપર દ્રષ્ટિ ગઈ, –
પરિણામ–પરિણામીની એકતા થઈ, એટલે આખું સત્ એકાકાર થઈ ગયું, –આખું સ્વજ્ઞેય અભેદ થઈ ગયું.
આવા સ્વજ્ઞેયને જાણે અને માને ત્યાં વસ્તુસ્વભાવની સમ્યક્પ્રતીતિ અને અપૂર્વ આનંદનો અનુભવ થયા વિના
રહે નહીં.
જેમ કેવળજ્ઞાન લોકાલોક–જ્ઞેયને સત્પણે જાણે છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ તેને જ્ઞેય તરીકે કબૂલે છે, ને તેને
જાણનારા પોતાના જ્ઞાનસ્વભાવને પણ તે સ્વજ્ઞેય તરીકે કબૂલે છે. ત્યાં તેની રુચિ સ્વભાવવાન્ એવા અંર્તદ્રવ્ય
તરફ વળે છે, તે રુચિના જોરે નિર્વિકલ્પતા થયા વિના રહે નહિ. નિર્વિકલ્પતામાં આનંદનો અનુભવ પણ ભેગો
જ હોય.
પ્રશ્ન:– કેટલા કાળમાં કેટલા જીવ મોક્ષે જાય? એવી તો કાંઈ વાત આમાં આવતી નથી?
ઉત્તર:– આટલા કાળમાં આટલા જીવ મોક્ષે જાય–એવી ગણતરીની અહીં મુખ્યતા નથી, પણ કેમ મોક્ષ
થાય? તેની મુખ્ય વાત છે. પોતે આવા યથાર્થ સવભાવને ઓળખે તો પોતાને સમ્યક્ત્વ ને વીતરાગતા થાય,
અને પોતાનો મોક્ષ થાય. આત્માનો માોક્ષ ક્યારે થાય– એમ કાળની મુખ્યતા નથી, પણ આત્માનો મોક્ષ કઈ
રીતે થાય તે જ મુખ્ય પ્રયોજન છે, ને તેની જ આ વાત ચાલે છે.
જે રીતે સત્ છે તે રીતે કબૂલે તો જ્ઞાન સત્ થાય ને શાંતિ આવે. આ ગાથામાં બે સમ–અંક છે [૯૯]
અને તે પણ બે નવડા. નવ પ્રકારના ક્ષાયિકભાવ છે માટે નવડો તે ક્ષાયિકભાવ સૂચક છે ને બે નવડા ભેગા
થયા એટલે સમભાવ–વીતરાગતા બતાવે છે;–ક્ષાયિક–સમ્યક્ત્વ ને ક્ષાયિકચારિત્ર બંને સાથે આવી જાય તેવી
અપૂર્વ વાત છે. આંકડો તો જે છે તે છે, પણ અહીંથી પોતાના ભાવનો આરોપ કરવો છે ને!
વર્તમાન–વર્તમાન વર્તતા પરિણામમાં વસ્તુ વર્તી રહી છે, એટલે આખી વસ્તુ જ વર્તમાનમાં વર્તે છે. તે
વસ્તુ ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળી છે. અહીં ઉત્પાદ–વ્યય–ધ્રુવ કહીને સત્ને સાબિત કરે છે.
આત્મા સત્, જડ સત્, એક દ્રવ્યના અનંત ગુણો સત્, ત્રણકાળનાં સ્વઅવસરમાં થતાં પરિણામો સત્,
એકેક સમયના પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવાત્મક સત્! બસ, આ સત્માં કાંઈ ફેરફાર થાય નહિ. –આમ સ્વીકાર્યું
ત્યાં ‘મિથ્યાત્વને ફેરવીને સમ્યક્ત્વ કરું’ એ વાત ન રહી. કેમ કે, જેણે એમ સ્વીકાર્યું તેણે પોતાના જ્ઞાયક
ભાવને જ સ્વીકાર્યો ને તે દ્રવ્યસ્વભાવ તરફ વળ્‌યો ત્યાં વર્તમાન પરિણામમાં સમ્યક્ત્વનો ઉત્પાદ થયો, ને તે
પરિણામમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો તો અભાવ જ છે. પૂર્વના તીવ્રપાપના પરિણામ વર્તમાન પરિણામમાં
નડતા નથી કેમ કે વર્તમાનમાં તેનો અભાવ છે. ‘પૂર્વના તીવ્ર પાપના પરિણામ અત્યારે નડશે’ એમ જેણે માન્યું
તેને તે વર્તમાન ઊંધી માન્યતા નડે છે, પણ પૂર્વના પાપ તો તેને પણ નડતાં નથી. ‘પૂર્વના તીવ્રપાપના પરિણામ
અત્યારે નડશે’ એમ જેણે માન્યું તેણે દ્રવ્યને ત્રિલક્ષણ નથી જાણ્યું. જો ત્રિલક્ષણ દ્રવ્યને જાણે તો, તેત્રિલક્ષણ
દ્રવ્યના વર્તમાન ઉત્પાદપરિણામમાં પૂર્વપરિણામનો વ્યય છે, માટે ‘પૂર્વ પરિણામ નડે છે’ એમ તે ન માને, પણ
સમય સમયના વર્તમાન પરિણામને સ્વતંત્ર સત્ જાણે, અને તેની દ્રષ્ટિ તે પરિણામ જેના છે એવા દ્રવ્ય ઉપર
જાય;–એટલે દ્રવ્યદ્રષ્ટિમાં તેને વીતરાગતાનો જ ઉત્પાદ થતો જાય. –આ રીતે આમાં મોક્ષમાર્ગ આવી જાય છે.
વીતરાગ કે રાગ, જ્ઞાન કે અજ્ઞાન, સિદ્ધ કે નિગોદ, કોઈ પણ એક સમયના પરિણામને જો કાઢી નાંખો તો

PDF/HTML Page 19 of 31
single page version

background image
: ૫૮: : આત્મધર્મ: ૮૭
દ્રવ્યનું સત્પણું જ સિદ્ધ થતું નથી, કેમ કે તે તે સમયના પરિણામમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, માટે પોતાના ક્રમબદ્ધ–
પરિણામોના પ્રવાહમાં વર્તમાન વર્તી રહેલા દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ આનંદથી માનવું.
સ્વભાવમાં અવસ્થિત રહેલું દ્રવ્ય સત્ છે–એ વાત સિદ્ધ કરવા માટે પહેલાંં તો ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત
પરિણામ કહીને સ્વભાવ સિદ્ધ કર્યો, ને તે સ્વભાવમાં દ્રવ્ય નિત્ય–અવસ્થિત છે–એમ હવે સિદ્ધ કર્યું.
પહેલાંં પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કરવા માટે પ્રદેશોનો દાખલો હતો, તે પરિણામની વાત પૂરી
થઈ. ને હવે દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ મોતીના હારનો દાખલો આપીને સમજાવશે.
વ્યાખ્યાન પછીની ર્ચામાંથી
પહેલાંં ‘વર્તમાન’ ને સિદ્ધ કર્યું ને પછી તે ‘વર્તમાનમાં વર્તનારો’ સિદ્ધ કર્યો. પરિણામ કોના? –કે
પરિણામીના. ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત વર્તમાન પરિણામ અને તે પરિણામમાં વર્તનારું ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત
દ્રવ્ય–તે આખું સ્વજ્ઞેય છે. એની પ્રતીત તે આખા સ્વજ્ઞેયની પ્રતીત છે. આખા સ્વજ્ઞેયની પ્રતીત કરતાં રુચિનું
જોર વર્તમાન અંશ ઉપરથી ખસીને ત્રિકાળી દ્રવ્ય તરફ વળે છે, એ જ સમ્યગ્દર્શન છે.
પરિણામનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ નક્કી કરતાં પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, કેમ કે દ્રવ્ય પોતાના
પરિણામસ્વભાવને છોડતું નથી.
પરિણામસ્વભાવમાં કોણ વર્તે છે? –દ્રવ્ય.
પરિણામને કોણ છોડતું નથી?
–દ્રવ્ય.
–એટલે એમ નક્કી કરતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, ને દ્રવ્યદ્રષ્ટિ થતાં જ પરિણામમાં સમ્યક્ત્વનો ઉત્પાદ,
ને મિથ્યાત્વનો વ્યય થઈ જાય છે. એ રીતે દ્રવ્યની દ્રષ્ટિમાં જ સમ્યક્ત્વનો પુરુષાર્થ આવી જાય છે. એ સિવાય
મિથ્યાત્વ ટાળવા માટે ને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે બીજો કોઈ જુદો પુરુષાર્થ કરવાનો નથી રહેતો. દ્રવ્યદ્રષ્ટિ તે
જ સમ્યગ્દ્રષ્ટિ છે.
પ્રભુ શ્રી વીર વર્દ્ધમાન વૈરાગ્ય મંગલદિન
કારતક વદ ૧૦ સોમવાર
[ગાથા ૯]
જેણે ધર્મ કરવો હોય તેણે કેવું વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ, તેની આ વાત છે. ધર્મ તે આત્માની પર્યાય છે
એટલે તે આત્મામાં જ થાય. આત્માનો ધર્મ પરમાં ન થાય તેમ જ પર વડે પણ ન થાય. તેમ જ પર્યાયનો ધર્મ
પર્યાયમાંથી થતો નથી પણ દ્રવ્યમાંથી થાય છે; ધર્મ તો પર્યાયમાં જ થાય છે પણ તે પર્યાયવડે (એટલે કે પર્યાય
સામે જોવાથી કે પર્યાયનો આશ્રય કરવાથી) ધર્મ ન થાય પણ દ્રવ્યની સન્મુખતાથી પર્યાયમાં ધર્મ થાય છે.
પરનો તો આત્મામાં અભાવ છે એટલે પર સામે જોવાથી ધર્મ થતો નથી.
હવે પોતાની અવસ્થામાં જેને ધર્મ કરવો છે તેને અધર્મને ટાળવો છે ને ધર્મપણે થઈને આત્માને સળંગ
ટકાવી રાખવો છે. જુઓ, આમાં ‘ધર્મ કરવો છે’ એમ કહેતાં તેમાં નવી પર્યાયના ઉત્પાદનો સ્વીકાર આવી જાય
છે, ‘અધર્મને ટાળવો છે’ તેમા પૂર્વ પર્યાયના વ્યયનો સ્વીકાર આવી જાય છે, અને ‘આત્માને સળંગ ટકાવી
રાખવો છે’ એમાં સળંગ પ્રવાહ અપેક્ષાએ ધુ્રવનો સ્વીકાર આવી જાય છે. એ રીતે ધર્મ કરવાની ભાવનામાં
વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવનો સ્વીકાર આવી જાય છે. વસ્તુમાં જો ઉત્પાદ–વ્યય–ધુ્રવ ન હોય તો અધર્મ
ટળીને અર્ધની ઉત્પત્તિ થાય નહિ ને આત્મા સળંગ ટકી શકે નહિ. અને તે ઉત્પાદ–વ્યય–ધ્રૃવ પણ જો કાળના
નાનામાં નાના ભાગમાં ન થતાં હોય તો એક સમયમાં અધર્મ ટાળીને ધર્મ થઈ ન શકે. માટે ધર્મ કરનારે વસ્તુને
સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળી જાણવી જોઈએ.
દ્રવ્ય–ગુણ કાયમ છે ને પર્યાય ક્ષણિક છે, તે ત્રણેને જાણીને કાયમી દ્રવ્ય તરફ વર્તમાન પર્યાયને વાળ્‌યા
વિના ધર્મ થતો નથી. વસ્તુમાં અવસ્થા તો નવી નવી થયા જ કરે છે. જો નવી અવસ્થા ન થાય તો ધર્મ કેમ
પ્રગટે? તથા જો જૂની અવસ્થાનો અભાવ ન થાય તો અધર્મ કેમ ટળે? અને જો સળંગપણે પરિણામોમાં ધુ્રવતા
ન રહેતી હોય તો દ્રવ્ય ટકે ક્યાં? માટે વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ ત્રણેને જાણવા જોઈએ. ઉત્પાદ–વ્યય–ધુ્રવ

PDF/HTML Page 20 of 31
single page version

background image
: પોષ: ૨૪૭૭ : ૫૯:
એ ત્રણ લક્ષણ છે ને પરિણામ તે લક્ષ્ય છે; તથા પરિણામમાં વસ્તુ વર્તે છે તેથી તે વસ્તુ પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવ
એવાં ત્રિલક્ષણવાળી જ છે.
કોઈ પણ પરિણામ લ્યો તો પ્રવાહની અત્રૂટ ધારામાં તે ધુ્રવ છે, પોતાના સ્વકાળ અપેક્ષાએ તે ઉત્પાદ છે
ને પૂર્વપરિણામ અપેક્ષાએ તે વ્યયરૂપ છે. એ રીતે પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્ છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવ
લક્ષણ છે ને પરિણામ તે લક્ષ્ય છે. પરિણામ કોઈ બીજા પદાર્થને લઈને થતા નથી પણ તે સ્વયં પોતાના
અવસરમાં સત્ છે. ભગવાનની વીતરાગી મૂર્તિને કારણે કે ગુરુના ઉપદેશને કારણે જીવને રાગના કે જ્ઞાનના
પરિણામ થયા–એમ નથી. તેમ જ પર જીવ બચ્યો માટે અહીં અનુકંપાના ભાવ થયા–એમ નથી. પણ જીવના
પ્રવાહક્રમમાં તે તે ભાવવાળા પરિણામ સત્ છે. કોઈ પણ દ્રવ્યના પરિણામની સળંગ ધારામાં એક પણ સમયની
ત્રૂટ પડતી નથી. જો આમ પરિણામને ઓળખે તો તે પરિણામોના પ્રવાહમાં વર્તતા દ્રવ્યને પણ ઓળખે, કેમ કે
પોતાના પરિણામના સ્વભાવને કોઈ દ્રવ્ય છોડતું નથી ઉલંઘતું નથી.
આવો વસ્તુસ્વભાવ સમજ્યા વિના ક્યાંય બહારથી ધર્મ આવી જવાનો નથી. જેમ સાંઠીના ભારા વેંચતાં
વેંચતાં લખપતિ ન થવાય, પણ હીરા–માણેકનાં પારખાં કરતાં શીખે તો તેના વેપારથી લખપતિ થવાય. (આ
તો દ્રષ્ટાંત છે.) તેમ અંતરના ચૈતન્ય–હીરાને પરખવાની કળામાં જ ધર્મની કમાણી થાય તેમ છે. એ સિવાય કોઈ
બાહ્ય ક્રિયાકાંડથી કે શુભરાગથી ધર્મની કમાણી થતી નથી. જુઓ, આ તો દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ વિષય છે એટલે
અંદર ઝીણી દ્રષ્ટિ કરે તો સમજાય તેવું છે.
વસ્તુમાં જે કાળે જે પરિણામ થાય છે તે સત્ છે, ત્રણ કાળના પરિણામો પોતપોતાના કાળે સત્ છે; ને
એવા પરિણામમાં દ્રવ્ય વર્તમાન–વર્તમાન વર્તી રહ્યું છે. તે દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધુ્રવ એવા ત્રણલક્ષણવાળું છે. ઉત્પાદ,
વ્યય ને ધુ્રવ એમ ત્રણ જુદા જુદા લક્ષણ નથી પણ ઉત્પાદ, વ્યય ને ધુ્રવ એ ત્રણે થઈને દ્રવ્યનું એક લક્ષણ છે.
ભાઈ! તારા જ્ઞાનમાં તું એવો નિર્ણય કર કે દ્રવ્યમાં જે સમયે જે પરિણામ છે તે સમયે તે જ સત્ છે,
તેનો હું જ્ઞાતા છું, તેમાં કાંઈ ફેરફાર કરનાર નથી. –આમ જાણતાં પર્યાયના રાગનું સ્વામીપણું ને અંશબુદ્ધિ ટળી
જાય છે, ને દ્રવ્યનાઅલક્ષે સમ્યક્ત્વ ને વીતરાગતા થાય છે, તે જ ધર્મ છે.
દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે; તે ભિન્ન ભિન્ન દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ વડે તે તે દ્રવ્યની સત્તા ઓળખાય
છે. એક દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ વડે બીજા દ્રવ્યની સત્તા ઓળખાતી નથી. શરીરમાં રોટલા ન આવ્યા તે
પરિણામ વડે પુદ્ગલ દ્રવ્યની સત્તા ઓળખાય છે, પણ તેના વડે જીવના ધર્મપરિણામ ઓળખાતા નથી. રોટલા ન
આવ્યા–ત્યાં પુદ્ગલદ્રવ્ય જ તેની પરિણામધારામાં વર્તતું થકું તે પરિણામ વડે લક્ષિત થાય છે. અને તે વખતે
આત્મા પોતાના જ્ઞાનાદિ પરિણામ વડે લક્ષિત થાય છે. જે દ્રવ્યના જે પરિણામ હોય તેના વડે તે દ્રવ્યને
ઓળખવું જોઈએ, તેને બદલે એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યે કર્યા–એમ જે માને છે તેણે વસ્તુના પરિણામ
સ્વભાવને જાણ્યો નથી એટલે કે સત્ને જ જાણ્યું નથી. વસ્તુ સત્ છે, ને સત્નું લક્ષણ ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે,
એટલે વસ્તુમાં સ્વભાવથી જ સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયાં જ કરે છે, તો બીજો તેમાં શું કરે? –કાં તો
જ્ઞાતા રહીને વીતરાગભાવ કરે, ને કાં તો ફેરફાર કરવાનું અભિમાન કરીને મિથ્યાભાવને કરે, પણ પદાર્થમાં તો
કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી.
‘જીવના વ્રત કરવાના ભાવને લીધે દ્વારિકાનગરી સળગતી બચી ગઈ, ને વ્રત કરનાર કોઈ ન રહ્યો તેથી
તે દ્વારિકા સળગી’ –એમ જે માને છે તેને વસ્તુના સ્વભાવની ખબર નથી. અથવા તો, કોઈ જીવના ક્રોધ–
પરિણામને લીધે દ્વારિકા સળગી–એમ પણ નથી. દ્વારિકા નગરીનો એકેક પુદ્ગલ પોતાના પરિણામની ધારામાં
વર્તી રહેલ દ્રવ્ય છે. તેના પ્રવાહક્રમમાં તેના સ્વકાળે તેના પરિણામ થયા છે. ને વ્રત કે ક્રોધાદિ જીવના પરિણામ
થયા તેમાં તે જીવદ્રવ્ય વર્તે છે. સૌ દ્રવ્ય પોત–પોતાના પરિણામમાં ભિન્ન ભિન્ન વર્તે છે. તેમા એકના
પરિણામને લીધે બીજાના પરિણામ થાય કે અટકે એમ માનનાર મૂઢ છે; ભગવાને કહેલા ત્રિલક્ષણ
વસ્તુસ્વભાવને તેણે નથી જાણ્યો.
વસ્તુ સમયે સમયે પોતાનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને કરે કે પરનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને કરવા જાય? પરવસ્તુ
પણ તેના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળી છે. વસ્તુ