Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 65

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૧પ :
વાજિંત્રનાદ; ક્યાંય વધાઈ ને કયાંક દીપમાળા.....ભક્તોનાં ટોળેટોળાં મંગલ વધાઈ
લેવા સ્વાધ્યાયમંદિર તરફ ઉમટયા. મંગલપ્રભાતમાં ગુરુદેવે જિનમંદિરમાં આવી
સીમંધરનાથ પ્રભુના દર્શન કર્યા, અર્ઘ ચડાવી પૂજન કર્યું. ને આશીર્વાદ લીધા.....પછી
મંગલમાર્ગમાં આમ્રફળથી ઝુમતી ૭૭ સુસજ્જિત કમાનો વચ્ચે થઈને હજારો ભક્તોના
જયજયનાદપૂર્વક મંગલમંડપમાં પધાર્યા. અષ્ટપ્રાતિહાર્ય તથા અષ્ટમંગલ સંબંધી ૭૭
વસ્તુઓવડે રચાયેલ મંગલમંડપ અનેરો શોભતો હતો; એ મંડપ વચ્ચે ગુરુદેવ બિરાજતા
હતા; ધર્મચક્ર ફરી રહ્યું હતું; ૭૭ દીપકોની માળા ઝગઝગતી હતી; ૭૭ સ્વસ્તિક ને ૭૭
કળશ શોભતા હતા. મંડપની શોભા અનેરી હતી,–ભામંડળ ને સિંહાસન, છત્ર ને ચામર,
દર્પણ ને કળશ, ધજા ને દુદુંભી, સ્વસ્તિક ને “કાર વગેરેથી મંડપ ઘણો શોભતો હતો ને
તેનાથીય વધુ મંડપ વચ્ચે ગુરુદેવ શોભતા હતા. ચારેકોર ભક્તોની ભીડ જયજયકારથી
સુવર્ણધામને ગજાવી રહી હતી. આવા ઉમંગભર્યા વાતાવરણમાં જન્મવધાઈ શરૂ થઈ;
હજારો ભક્તોએ શ્રીફળ વગેરે ભેટ ધરીને વધાઈ લીધી...
ત્યારપછી જિનમંદિરમાં મહાપૂજન થયું. પૂજન પછી જિનવાણીમાતાની ભવ્ય
રથયાત્રા નીકળી હતી. રજતના રથની બધી પીઠિકાઓમાં જિનવાણીને બિરાજમાન કર્યા
હતા. રથયાત્રાની આ એક નવીનતા હતી. જિનવાણીનો રથ ઘણો શોભતો હતો. અને
રથયાત્રામાં વચ્ચે જિનવાણીરથના સારથિ તરીકે ગુરુદેવ રથમાં બેઠા હતા. સેંકડો ભક્તો
હોંશથી રથને દોરતા હતા, ને મહા આનંદથી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા પછી
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–આ ભગવાન આત્મા સમ્યક્સ્વભાવી સૂર્ય છે, તેને દેહ નથી,
તેને જન્મ–મરણ નથી, તો જ્ઞાનીને મરણનો ભય કેવો? જન્મ કે મરણ મારાં નથી, હું
તો અવિનાશી જ્ઞાનસૂર્ય છું. ભાવ મારા સ્વરૂપમાં નથી; ભવ અને ભવનો ભાવ મારા
ચૈતન્યસ્વરૂપમાં નથી. જેમ સૂર્યને મરણ નથી તેમ ચૈતન્યસૂર્યને મરણ નથી. એ તો
સહજ સ્વયંસિદ્ધ શાશ્વત વસ્તુ છે. આવા જન્મ–મરણરહિત જ્ઞાનસ્વરૂપની આરાધના
કરવા માટે આ અવતાર છે; ભવના અભાવ માટે આ ભવ છે. ભવનું કારણ ભ્રાંતિ, તે
જ્યાં છૂટી ગઈ ત્યાં હવે ભવ કેવા?
અબ હમ અમર ભયે ન મરેંગે.
યા કારન મિથ્યાત્વ દીયો તજ,
ફિર કયોં દેહ ધરેંગે?
......અબ
આમ સભાને ભવના અભાવની ભાવનામાં ઝુલાવતાં ઝુલાવતાં ગુરુદેવે કહ્યું કે–
સ્વભાવનો સંગ કરવાથી નિરાકૂળ આનંદ મળે છે, જેટલું પરસંગનું લક્ષ થાય તેટલી
આકુળતા છે. આત્મા જ આનંદનું ધામ છે; તેના વેદનમાં કોઈ પીડા નથી, જન્મ–મરણ
નથી, રોગ નથી. દેહને હું ધારણ ધરતો નથી ને મરણ પણ મારૂં નથી; દેહથી પાર–
જન્મમરણથી પાર હું તો સ્વસંવેદનમાં આવતો અમૂર્ત–અવિનાશી–ચિદાનંદ સ્વરૂપ
આત્મા છું.–