Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 44

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
વિનુભાઈનો સ્વર્ગવાસ
દસ વર્ષ પહેલાં (સં. ૨૦૧૪માં) સોનગઢમાં અકલંક–નિકલંકના નાટકમાં, જૈનધર્મને
ખાતર બલિદાન આપનાર નિકલંકનો પાઠ ભજવનાર ભાઈશ્રી વિનોદરાય શિવલાલ ગાંધી
આજે આપણી વચ્ચે નથી; તા. ૨૧–૩–૬૯ ચૈત્ર સુદ ૩ ની રાત્રે મુંબઈ મુકામે તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો. કેટલાક વખતથી તેમને હૃદયના વાલ્વની (શ્વાસ લેવાની) ગંભીર
તકલીફ હતી, ને તેની સારવાર અર્થે મુંબઈ ગયેલા. દોઢ બે માસ જીવન–મરણ વચ્ચે ઝોલા
ખાતાં ખાતાં અંતે ૨૭–૨૮ વર્ષની ભરયુવાન વયે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
તેમનું કુટુંબ સોનગઢમાં રહે છે, તેથી તેમણે પણ લાંબો વખત સોનગઢમાં રહીને
ગુરુદેવના સત્સંગનો ને તત્ત્વઅભ્યાસનો લાભ લઈને આત્મામાં ધાર્મિક સંસ્કાર રેડ્યા છે.
ગંભીર માંદગી વખતે પણ તેઓ અવારનવાર ગુરુદેવને યાદ કરતા ને સ્વાધ્યાય
સાંભળતા. ગુરુદેવ રણાસણ હતા ત્યારે મુંબઈથી પત્ર આવતાં ગુરુદેવે “શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન
સ્વયંજ્યોતિ સુખધામ” એના વિચાર કરવાનું તેમના પ્રત્યે લખાવ્યું હતું.
તેમની માંદગી વખતે કરાતા ઓપરેશનોની જે વિગત પત્રદ્વારા સોનગઢ આવતી તે
વાંચતા એમ લાગતું કે જેમ લાકડામાં કાપકૂપ કરે તેમ શરીરમાં વારંવાર કાપકૂપ થતી
હતી. શરીરની આ સ્થિતિ સાંભળીને ગુરુદેવના મુખથી વારંવાર તીક્ષ્ણ વૈરાગ્યના ઉદ્ગારો
નીકળતા અરે! શરીર ને સંસાર તો આવા અશરણ છે! ચૈતન્યતત્ત્વ અંદર જુદું છે.
વિનોદભાઈએ મરતાં મરતાં પણ બહાદુરીપૂર્વક નિકલંકને શોભે એવા વીરઉદ્ગારો કાઢ્યા
હતા. ડોકટરો અને બીજાઓ જ્યારે દર્દની ગંભીરતા (સીરીયસ) કહેતા, ત્યારે વિનુભાઈ કહેતા કે
હું આનંદમાં છું. એકવાર તેમની નસનો કટકો કાપવાનું ઓપરેશન કરવાનું હતું ને તે માટે બેભાન
કરવાની દવા સુંઘાડવા દાકતરો તૈયારી કરતા હતા ત્યારે તે કહે કે, દવા સુંઘાડવાની જરૂર નથી
એમને એમ નસ કાઢી લ્યો, મેં દેહનું લક્ષ છોડી દીધું છે! તાજેતરમાં જ લગ્ન થયેલા એક સુશિક્ષિત
નવયુવાન મરતાં–મરતાંય આવા વીર ઉદ્ગારો કાઢી શકે છે, તે ગુરુદેવે આપેલા જડ–ચેતનની
ભિન્નતાના સંસ્કારનું બળ છે. અહા, અનુભવરૂપ ભેદજ્ઞાનના અચિંત્ય અપાર સામર્થ્યની તો શી
વાત! પરંતુ તે ભેદજ્ઞાનને લક્ષગત કરીને તેના થોડાક સંસ્કાર પણ જીવને કેટલું બળ આપી શકે
છે! તે દેખીને જીવોએ સાક્ષાત્ ભેદજ્ઞાનની સતત જોસદાર ભાવના કરવા જેવી છે.
સ્વર્ગસ્થ વિનુભાઈએ, જૈનધર્મની સેવાની જ ઉત્તમ ભાવનાઓ ભાવી છે, ને
ગુરુદેવના પ્રતાપે ભેદજ્ઞાનના અભ્યાસના જે સંસ્કારો મેળવ્યા છે તેના પ્રતાપે તેઓ
આત્માનું પરમહિત સાધે અને આ રોગધામ એવા શરમજનક શરીરોથી છૂટે–એ જ ભાવના