Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 43

background image
: ૬ : આત્મધર્મ જેઠ: ૨૪૯૯ :
* શુદ્ધઆત્માની શ્રદ્ધા તે એક જ સમ્યગ્દર્શન છે;
* શુદ્ધઆત્માનું જ્ઞાન તે એક જ સમ્યગ્જ્ઞાન છે;
* શુદ્ધઆત્મામાં લીનતા તે એક જ સમ્યક્ચારિત્ર છે.
* આવા શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એક જ મોક્ષમાર્ગ છે.
* વ્યવહારના વિકલ્પોનો તેમાં અભાવ છે.
નિશ્ચયની ભૂમિકામાં તેને યોગ્ય જ વ્યવહાર હોય છે, તેનો સ્વીકાર છે, પણ
તેને સત્ય મોક્ષમાર્ગ તરીકે જ્ઞાની સ્વીકારતા નથી.
પ્રશ્ન:– જે વ્યવહારરત્નત્રય છે તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તો ઉપચારથી તેને
મોક્ષમાર્ગ કેમ કહ્યો?
ઉત્તર:– કેમકે નિશ્ચય સાથે તે ભૂમિકામાં તેવો જ વ્યવહાર નિમિત્તપણે હોય છે,
વિપરીત નથી હોતો,–એમ તે ભૂમિકાનું જ્ઞાન કરાવવા તેમાં મોક્ષમાર્ગનો ઉપચાર છે.
જેમ બિલાડીમાં વાઘનો ઉપચાર તે એમ સૂચવે છે કે બિલાડી પોતે ખરેખરો વાઘ નથી,
ખરો વાઘ એનાથી બીજો છે; તેમ વ્યવહારમાં મોક્ષમાર્ગનો ઉપચાર તે એમ સૂચવે છે કે
વ્યવહાર પોતે ખરેખરો મોક્ષમાર્ગ નથી, ખરો મોક્ષમાર્ગ એનાથી બીજો છે, ‘જ્ઞાન તે
આત્મા’ એટલા ગુણગુણીભેદના વિકલ્પરૂપ વ્યવહાર પણ મોક્ષનું સાધન થઈ શકતો
નથી, ત્યાં બીજા સ્થૂળ રાગની શી વાત?
* મોક્ષમાર્ગ બે નથી, એક જ છે; તેમ–
* મોક્ષમાર્ગમાં જે સમ્યગ્દર્શન છે તે બે નથી, એક જ છે;
* મોક્ષમાર્ગમાં જે સમ્યગ્જ્ઞાન છે તે બે નથી, એક જ છે;
* મોક્ષમાર્ગમાં જે સમ્યક્ચારિત્ર છે તે બે નથી, એક જ છે.
એકરૂપ આત્મસ્વરૂપની અનુભૂતિમાં આવો મોક્ષમાર્ગ સમાય છે. તેથી
અભેદનયથી અનુભૂતિસ્વરૂપ જે આત્મા છે તે પોતે જ મોક્ષમાર્ગ છે. આત્મા સિવાય
બીજા કોઈનું અવલંબન તેમાં નથી. ભાઈ, તારા હિતનો માર્ગ તારા સ્વભાવની
જાતનો છે, તે તારા આત્માના આશ્રયે જ પ્રગટે છે–સંતો તારા હિતનો આવો માર્ગ
તને બતાવે છે. તેને ઓળખીને સ્વાશ્રયે તારું હિત સાધી લે.