Page 84 of 186
PDF/HTML Page 101 of 203
single page version
૮૪
ચૈતન્યદેવની ઓથ લે, તેના શરણે જા; તારાં બધાં કર્મો તૂટીને નાશ થઈ જશે. ચક્રવર્તી રસ્તેથી નીકળે તો અપરાધી જીવો ધ્રૂજી ઊઠે છે, તો આ તો ત્રણ લોકનો બાદશાહ — ચૈતન્યચક્રવર્તી! તેની પાસે જડ કર્મ ઊભાં જ ક્યાંથી રહે? ૨૪૨.
જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે; દ્રષ્ટિના વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો કે ગુણભેદ કાંઈ છે જ નહિ. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ-આત્મા છે. તેના જ આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. ૨૪૩.
ઓહો! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે, અવગુણ એક પણ નથી. ઓહો! આ હું? આવા આત્માનાં દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ૨૪૪.
‘હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું.’ — આમ જ્યાં અંદરમાં
Page 85 of 186
PDF/HTML Page 102 of 203
single page version
નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. ૨૪૫.
ચક્રરત્ન આયુધશાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાંતે બેસી ન રહે, છ ખંડ સાધવા જાય; તેમ આ ચૈતન્યચક્રવર્તી જાગ્યો, સમ્યગ્દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત થયું, હવે તો અપ્રમત્ત ભાવે કેવળજ્ઞાન જ લે. ૨૪૬.
આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંત કાળમાં ન થયું હોય એવું, ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. ૨૪૭.
વિશ્વનું અદ્ભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે; ત્યાં જ વિહાર કર. અનંત કાળનો વિસામો ત્યાં જ છે. ૨૪૮.
તું અંદરમાં ઊંડો ઊંડો ઊતરી જા, તને નિજ
Page 86 of 186
PDF/HTML Page 103 of 203
single page version
૮૬
પરમાત્માનાં દર્શન થશે. ત્યાંથી બહાર આવવું તને ગમશે જ નહિ. ૨૪૯.
મુનિઓને અંતરમાં પગલે પગલે — પુરુષાર્થની પર્યાયે પર્યાયે — પવિત્રતા ઝરે છે. ૨૫૦.
દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજાં સાધનોની રાહ જોવી ન પડે. ૨૫૧.
ભેદજ્ઞાનના લક્ષે વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું ચિંતવન મુખ્ય રાખજે. વિશેષ શાસ્ત્રજ્ઞાન માર્ગની ચૌદિશા સૂઝવાનું કારણ બને છે; તે સત્-માર્ગને સુગમ કરે છે. ૨૫૨.
આત્માને ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે ‘હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ’ — એવા વિકલ્પ કરવા પડતા નથી, પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં ત્રણે કાળની પ્રતીતિ સમાઈ જાય છે — આવી જાય છે. ૨૫૩.
જીવને જેમ પોતામાં થતાં સુખદુઃખનું વેદન થાય
Page 87 of 186
PDF/HTML Page 104 of 203
single page version
છે તે કોઈને પૂછવા જવું પડતું નથી, તેમ પોતાને સ્વાનુભૂતિ થાય છે તે કોઈને પૂછવું પડતું નથી. ૨૫૪.
અંતરનો અજાણ્યો માર્ગ; અંતરમાં શી ઘટમાળ ચાલે છે, તે આગમ ને ગુરુની વાણીથી જ નક્કી કરી શકાય છે. ભગવાનની સ્યાદ્વાદ-વાણી જ તત્ત્વ પ્રકાશી શકે છે. જિનેન્દ્રવાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે રાખજે; તો જ તારી સાધનાનાં પગલાં મંડાશે. ૨૫૫.
સાધકદશાની સાધના એવી કર કે જેથી તારું સાધ્ય પૂરું થાય. સાધકદશા પણ એનો મૂળ સ્વભાવ તો નથી. એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે, માટે તે અપૂર્ણ દશા પણ રાખવા જેવી તો નથી જ. ૨૫૬.
શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરીને તથા અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને તું પુરુષાર્થ કરજે, તો મોક્ષ પ્રાપ્ત થશે. ૨૫૭.
તું વિચાર કર, તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી વસ્તુ છે? કોઈ નહિ; — એક આત્મા સિવાય. જગતમાં તેં બધી જાતના પ્રયાસ કર્યા, બધું જોયું, બધું કર્યું, પણ
Page 88 of 186
PDF/HTML Page 105 of 203
single page version
૮૮
એક જ્ઞાનસ્વરૂપ, સુખસ્વરૂપ, અનંતગુણમય એવો આત્મા કદી ઓળખ્યો નથી, તેને ઓળખ; બસ તે જ એક કરવાનું બાકી રહી જાય છે. ૨૫૮.
કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો સ્વભાવ નથી. એક આત્મામાં જ રહેવું તે હિતકારી, કલ્યાણકારી અને સર્વસ્વ છે. ૨૫૯.
શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે, પણ તેનાથી આત્મા જાણી શકાતો નથી; જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. ૨૬૦.
દ્રષ્ટિ પૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા તો સિદ્ધ ભગવાન જેવી દશા થઈ જશે. જો સ્વભાવમાં અધૂરાશ માનીશ તો પૂર્ણતાને કોઈ દિવસ પામી શકીશ નહિ. માટે તું અધૂરો નહિ, પૂર્ણ છો — એમ માન. ૨૬૧.
દ્રવ્ય સૂક્ષ્મ છે; માટે ઉપયોગને સૂક્ષ્મ કર તો સૂક્ષ્મ દ્રવ્ય પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડી નિરાંતે આત્મામાં બેસવું તે વિશ્રામ છે. ૨૬૨.
Page 89 of 186
PDF/HTML Page 106 of 203
single page version
સાધના કરનારને કોઈ સ્પૃહા હોતી નથી. મારે બીજું કંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. આ ક્ષણે વીતરાગતા થતી હોય તો બીજું કંઈ જ નથી જોઈતું; પણ અંદર રહેવાતું નથી, માટે બહાર આવવું પડે છે. અત્યારે કેવળજ્ઞાન થતું હોય તો બહાર જ ન આવીએ. ૨૬૩.
તારા ચિત્તમાં બીજો રંગ સમાયેલો છે, ત્યાં સુધી આત્માનો રંગ લાગી શકતો નથી. બહારનો બધો રસ છૂટી જાય તો આત્મા — જ્ઞાયકદેવ પ્રગટ થાય છે. જેને ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય, તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન? ૨૬૪.
આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે. જાગૃતસ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ. ૨૬૫.
જો તારે જન્મ-મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્યભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ કર; તારાં જન્મ-મરણનો નાશ થઈ જશે. આચાર્યદેવ
Page 90 of 186
PDF/HTML Page 107 of 203
single page version
૯૦
કરુણાથી કહે છેઃ તું મુક્તસ્વરૂપ આત્મામાં નિઃસ્પૃહપણે ઊભો રહે. મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા. તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ. બહાર ફાંફાં મારવાથી સુખ નહિ મળે. ૨૬૬.
જ્ઞાની દ્રવ્યના આલંબનના બળે, જ્ઞાનમાં નિશ્ચય- વ્યવહારની મૈત્રીપૂર્વક, આગળ વધતો જાય છે અને ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે. ૨૬૭.
બહારના રોગ આત્માની સાધક દશાને રોકી શકતા નથી, આત્માની જ્ઞાતાધારાને તોડી શકતા નથી. પુદ્ગલપરિણતિરૂપ ઉપસર્ગ કંઈ આત્મપરિણતિને ફેરવી શકે નહિ. ૨૬૮.
અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય?
Page 91 of 186
PDF/HTML Page 108 of 203
single page version
ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે.
પરમ-ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે, ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો. ૨૬૯.
પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે છે. શાસ્ત્રો સાધન છે, પણ માર્ગ તો પોતાથી જ જણાય છે. પોતાની ઊંડી તીવ્ર રુચિ અને સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ જણાય છે. કારણ આપવું જોઈએ. ૨૭૦.
જેનો જેને તન્મયપણે રસ હોય તેને તે ભૂલે નહીં. ‘આ શરીર તે હું’ તે ભૂલતો નથી. ઊંઘમાં પણ શરીરના નામથી બોલાવે તો જવાબ આપે છે, કારણ કે શરીર સાથે તન્મયપણાની માન્યતાનો અનાદિ અભ્યાસ છે. અનભ્યસ્ત જ્ઞાયકની અંદર જવા માટે સૂક્ષ્મ થવું પડે છે, ધીરા થવું પડે છે, ટકવું પડે છે; તે આકરું લાગે છે. બહારનાં કાર્યોનો અભ્યાસ છે એટલે સહેલાં લાગે છે.
Page 92 of 186
PDF/HTML Page 109 of 203
single page version
૯૨
પણ જ્યારે કર ત્યારે તારે જ કરવાનું છે. ૨૭૧.
જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાન્તિવાળું છે તે જ મારે જોઈએ છે — એવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. ૨૭૨.
ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઊઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે, વારંવાર ચેતન તરફ — જ્ઞાયક તરફ વલણ થાય છે. જેમ ભક્તને ભગવાન માંડમાંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે, તેમ ‘હે ચેતન’, ‘હે જ્ઞાયક’ એમ વારંવાર અંદર થયા કરે, તે તરફ જ રુચિ રહ્યા કરે; ‘હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે’ એવું વર્ત્યા કરે. ૨૭૩.
અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો,
Page 93 of 186
PDF/HTML Page 110 of 203
single page version
વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, માટે માર્ગ મળ્યો નહિ. ૨૭૪.
પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી. ૨૭૫.
‘શુભાશુભ ભાવથી જુદો, હું જ્ઞાયક છું’ તે દરેક પ્રસંગમાં યાદ રાખવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મનુષ્યજીવનની સાર્થકતા છે. ૨૭૬.
પરથી વિરક્તતા નથી, વિભાવની તુચ્છતા લાગતી નથી, અંદર એટલી તાલાવેલી નથી; કાર્ય ક્યાંથી થાય? અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના રહે જ નહિ. પોતે આળસુડો થઈ ગયો છે. ‘કરીશ, કરીશ’ કહે પણ કરતો નથી. કોઈ એવા આળસુ હોય કે જે સૂતા હોય તો બેઠા થાય નહિ, અને બેઠા હોય તો ઊભા થવાની આળસ કરે, તેમ તાલાવેલી વિનાના આળસુ જીવો ‘કાલ કરીશ, કાલ કરીશ’ એમ મંદપણે વર્તે છે; ત્યાં કાલની આજ થાય નહિ ને જીવન પૂરું થઈ જાય. ૨૭૭.
Page 94 of 186
PDF/HTML Page 111 of 203
single page version
૯૪
જેમ કોઈને ગ્રીષ્મૠતુમાં પર્વતની ટોચ પર બરાબર તાપ લાગ્યો હોય અને તીવ્ર તૃષા લાગી હોય, તે વખતે પાણીના એક બિંદુ તરફ પણ તેનું લક્ષ જાય છે અને તે તેને લેવા માટે દોડે છે, તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય અને સત્ની તીવ્ર પિપાસા જાગી હોય, તે સત્ની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે. તે આત્માર્થી જીવ ‘જ્ઞાન’લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની પ્રતીતિ કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે, તો તેને જ્ઞાયક તત્ત્વ પ્રગટ થાય. ૨૭૮.
વિચાર, મંથન બધું વિકલ્પરૂપ જ છે. તેનાથી જુદું વિકલ્પાતીત એક ટકતું જ્ઞાયક તત્ત્વ તે આત્મા છે. તેમાં ‘આ વિકલ્પ તોડું, આ વિકલ્પ તોડું’ તે પણ વિકલ્પ જ છે; તેનાથી પેલે પાર જુદો જ ચૈતન્યપદાર્થ છે. તેનું અસ્તિપણું ખ્યાલમાં આવે, ‘હું જુદો, હું આ જ્ઞાયક જુદો’ એવું નિરંતર ઘૂંટણ રહે, તે પણ સારું છે. પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાડ હોય તો માર્ગ નીકળે જ. પહેલાં વિકલ્પ તૂટતો નથી પરંતુ પહેલાં પાકો નિર્ણય આવે છે. ૨૭૯.
ખરેખર જેને સ્વભાવ રુચે, અંદરની જાગૃતિ હોય,
Page 95 of 186
PDF/HTML Page 112 of 203
single page version
તેને બહાર આવવું ગમતું જ નથી. સ્વભાવ શાન્તિ અને નિવૃત્તિરૂપ છે, શુભાશુભ વિભાવભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે; તે બન્નેને મેળ ન જ ખાય. ૨૮૦.
બહારનાં બધાં કાર્યમાં સીમા — મર્યાદા હોય. અમર્યાદિત તો અન્તર્જ્ઞાન અને આનંદ છે. ત્યાં સીમા — મર્યાદા નથી. અંદરમાં — સ્વભાવમાં મર્યાદા હોય નહિ. જીવને અનાદિ કાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મસ્વભાવ જ છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. ૨૮૧.
આ જે બહારનો લોક છે તેનાથી ચૈતન્યલોક જુદો જ છે. બહારમાં માણસો દેખે કે ‘આણે આમ કર્યું, આમ કર્યું,’ પણ અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે, શું કરે છે, તે જ્ઞાની પોતે જ જાણે છે. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય, પણ અંદરમાં તો તેઓ ક્યાંય ઊંડે ચૈતન્યલોકમાં વિચરતા હોય છે. ૨૮૨.
Page 96 of 186
PDF/HTML Page 113 of 203
single page version
૯૬
દ્રવ્ય તો અનંત શક્તિનો ધણી છે, મહાન છે, પ્રભુ છે. તેની પાસે સાધકની પર્યાય પોતાની પામરતા સ્વીકારે છે. સાધકને દ્રવ્ય-પર્યાયમાં પ્રભુતા અને પામરતાનો આવો વિવેક વર્તે છે. ૨૮૩.
સાધકદશા તો અધૂરી છે. સાધકને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય, અને ચૈતન્ય આનંદધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય, ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. કેવળજ્ઞાન થતાં એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાનપર્યાય ત્રણ કાળ અને ત્રણ લોકને પહોંચી વળે છે. ૨૮૪.
પોતે પરથી ને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો. એકતાબુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે અભ્યાસ કરવો. ૨૮૫.
આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે. અઘરું કામ તો છે, પણ જાતે જ કરવાનું છે. બહારની હૂંફ શા કામની? હૂંફ તો પોતાના આત્મતત્ત્વની લેવાની છે. ૨૮૬.
Page 97 of 186
PDF/HTML Page 114 of 203
single page version
દ્રવ્ય સદા નિર્લેપ છે. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે. ક્યાંય ખેદાવું નહિ, ખેંચાવું નહિ — ક્યાંય ઝાઝો રાગ કરવો નહિ. ૨૮૭.
વસ્તુ સૂક્ષ્મ છે, ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. ૨૮૮.
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાશ્વત પદાર્થ છે ને? ઉપલક વિચારોમાં નહિ પણ અંદરમાં ઘોલન કરીને તત્ત્વવિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે.
જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ૨૮૯.
આત્મા જ્ઞાનપ્રધાન અનંત ગુણનો પિંડ છે. તેની સાથે અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે. વસ્તુસ્વરૂપ
Page 98 of 186
PDF/HTML Page 115 of 203
single page version
૯૮
સમજીને ‘હું તો જ્ઞાયક છું’ એવી લગની લગાડે તો જ્ઞાયકની સાથે તદાકારતા થાય. ૨૯૦.
જિનેન્દ્રમંદિર, જિનેન્દ્રપ્રતિમા મંગળસ્વરૂપ છે; તો પછી સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ જિનેન્દ્ર- ભગવાનના મહિમાની અને મંગળપણાની તો શી વાત! સુરેન્દ્રો પણ ભગવાનના ગુણોનો મહિમા વર્ણવી શકતા નથી, તો બીજા તો શું વર્ણવી શકે? ૨૯૧.
જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય તે જ વખતે તેને જ્ઞાયક જુદો વર્તે છે. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, તેના ઘરે જતો આવતો હોય, પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, તેમ જ્ઞાનીને વિભાવમાં કદી એકત્વપરિણમન થતું નથી. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, વિભાવથી ભિન્નપણે ઉપર તરતા તરતા રહે છે. ૨૯૨.
જ્ઞાનીને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઊપડે તો અત્યારે જ મુનિ થઈ કેવળ પામીએ. બહાર આવવું પડે તે પોતાની નબળાઈને લીધે છે. ૨૯૩.
Page 99 of 186
PDF/HTML Page 116 of 203
single page version
જ્ઞાનીને ‘હું જ્ઞાયક છું’ એવી ધારાવાહી પરિણતિ અખંડિત રહે છે. તે બહારના ભક્તિ-શાસ્ત્ર-સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે પણ તેમની જ્ઞાયકધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. ૨૯૪.
જોકે દ્રષ્ટિ-અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી તોપણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. રાગાંશરૂપ બહિર્મુખતા તેને દુઃખરૂપે વેદાય છે અને વીતરાગતા-અંશરૂપ અંતર્મુખતા સુખરૂપે વેદાય છે. જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્યપરિણતિમાં વિભાવ ન સમાય. જો સાધકને બહારમાં — પ્રશસ્ત
અંદરમાં — વીતરાગતામાં — સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? ક્યાંક રાગ વિષે ‘રાગ આગ દહે’ એમ કહ્યું હોય, ક્યાંક પ્રશસ્ત રાગને ‘વિષકુંભ’ કહ્યો હોય, ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે કે — વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. ભલે ઊંચામાં ઊંચા શુભભાવરૂપ કે અતિસૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તોપણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુળતા છે અને જેટલો નિવૃત્ત થઈ સ્વરૂપમાં લીન
Page 100 of 186
PDF/HTML Page 117 of 203
single page version
૧૦૦
થયો તેટલી શાન્તિ અને સ્વરૂપાનંદ છે. ૨૯૫.
દ્રવ્ય તો સૂક્ષ્મ છે, તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. પાતાળકૂવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઊતરી જા તો અંદરથી વિભૂતિ પ્રગટે. દ્રવ્ય આશ્ચર્યકારી છે. ૨૯૬.
તારું કાર્ય તો તત્ત્વાનુસારી પરિણમન કરવું તે છે. જડનાં કાર્યો તારાં નથી. ચેતનનાં કાર્યો ચેતન હોય. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારાં નથી. જીવનમાં એવું જ ઘુંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે, તે હું નથી. ૨૯૭.
જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે તોપણ પોતે ફરે નહિ; વિભાવના ગમે તેટલા ઉદય આવે તોપણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે; શ્રદ્ધામાં ફેર ન પડે. પછી ક્રમે ચારિત્ર વધતું જાય. ૨૯૮.
વસ્તુ સ્વતઃસિદ્ધ છે. તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય. સ્વતઃસિદ્ધ આત્મવસ્તુનો દર્શન-
Page 101 of 186
PDF/HTML Page 118 of 203
single page version
જ્ઞાનરૂપ સ્વભાવ તેને અનુકૂળ છે, રાગ-દ્વેષરૂપ વિભાવ પ્રતિકૂળ છે. ૨૯૯.
પરિભ્રમણ કરતાં અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે ‘આત્માનું કરવું છે’ એવી ભાવના તો કરી પણ તત્ત્વરુચિ અને તત્ત્વમંથન કર્યું નહિ. પોસાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ૩૦૦.
જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. ‘હું જ્ઞાયક છું’ એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. ‘જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે’ એમ તેમાં આવી ગયું. ૩૦૧.
જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી; તે સંસારથી ભયભીત છે. તે મોક્ષના માર્ગે ચાલે છે, સંસારને પીઠ દીધી છે. સ્વભાવમાં સુભટ છે, અંદરથી નિર્ભય છે, કોઈથી ડરતા નથી. કોઈ ઉપસર્ગનો ભય નથી. મારામાં કોઈનો પ્રવેશ નથી — એમ નિર્ભય છે. વિભાવને તો કાળા નાગની જેમ છોડી દીધો છે. ૩૦૨.
Page 102 of 186
PDF/HTML Page 119 of 203
single page version
૧૦૨
સમ્યગ્દ્રષ્ટિને અખંડ તત્ત્વનો આશ્રય છે, અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે. દ્રષ્ટિ તો અંદર છે. ચારિત્રમાં અપૂર્ણતા છે. તે બહાર ઊભેલો દેખાય પણ દ્રષ્ટિ તો સ્વમાં જ છે. ૩૦૩.
ભગવાનનાં પ્રતિમા જોતાં એમ થાય કે અહો! ભગવાન કેવા ઠરી ગયા છે! કેવા સમાઈ ગયા છે! ચૈતન્યનું પ્રતિબિંબ છે! તું આવો જ છો. જેવા ભગવાન પવિત્ર છે, તેવો જ તું પવિત્ર છો, નિષ્ક્રિય છો, નિર્વિકલ્પ છો. ચૈતન્યની પાસે બધુંય પાણી ભરે છે. ૩૦૪.
તું તને જો; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ અને સૂક્ષ્મ ઉપયોગ કર. ૩૦૫.
રુચિનું પોષણ અને તત્ત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. અનાદિના અભ્યાસથી વિભાવમાં જ પ્રેમ લાગ્યો છે તે છોડ. જેને આત્મા પોષાય છે તેને બીજું પોષાતું નથી અને તેનાથી આત્મા
Page 103 of 186
PDF/HTML Page 120 of 203
single page version
ગુપ્ત — અપ્રાપ્ય રહેતો નથી. જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ. ૩૦૬.
તત્ત્વનો ઉપદેશ અસિધારા જેવો છે; તદનુસાર પરિણમતાં મોહ ઊભો રહેતો નથી. ૩૦૭.
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. ‘દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાયે પરિણમે છે’, ‘પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે’ — આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતાં મોહ ક્યાં ઊભો રહે? ૩૦૮.
બકરાંના ટોળામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરીનું બચ્ચું માની લે પણ સિંહને જોતાં અને તેની ગર્જના સાંભળતાં ‘હું તો આના જેવો સિંહ છું’ એમ સમજી જાય અને સિંહપણે પરાક્રમ ફોરવે, તેમ પર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે પોતાને પર અને વિભાવરૂપ માની લીધો છે પણ જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતાં તે જાગી ઊઠે છે — ‘હું તો જ્ઞાયક છું’ એમ સમજી જાય છે અને