પરિશિષ્ટ-૩ ] [ ૬૩૯ તેમનો વ્યવહારનય તો નિશ્ચયનય જ થઈ ગયો, એટલે અજ્ઞાનીને સાચા નય હોતા નથી. એ રીતે સાધક જીવોને જ તેમના શ્રુતજ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પદશા સિવાયના કાળમાં જ્યારે તેમને શ્રુતજ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે ત્યારે, અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય, વ્રત, નિયમાદિ કાર્યોમાં હોય ત્યારે, જે વિકલ્પો ઊઠે છે તે બધા વ્યવહારનયના વિષય છે; પરંતુ તે વખતે પણ તેમના જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી (-અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહિ હોવાથી-) તેમની શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પ દશામાં નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનય ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે હેયપણે છે; એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય-એ બન્ને સાધક જીવોને એકી વખતે હોય છે.
માટે સાધક જીવોને નય હોતા જ નથી એ માન્યા સાચી નથી, પણ સાધક જીવોને જ નિશ્ચય અને વ્યવહાર-બન્ને નયો એકી સાથે હોય છે. નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહારનય હોય જ નહિ. જેને અભિપ્રાયમાં વ્યવહારનયનો આશ્રય હોય તેને તો નિશ્ચયનય રહ્યો જ નહિ; કેમ કે તેને તો, જે વ્યવહારનય છે તે જ નિશ્ચયનય થઈ ગયો.
ચારે અનુયોગોમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે અને કોઈ વખતે નિશ્ચયનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, પણ તે દરેક અનુયોગમાં કથનનો સાર એક જ છે અને તે એ છે કે-નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને જાણવા યોગ્ય છે, પણ શુદ્ધતા માટે આશ્રય કરવા યોગ્ય નિશ્ચયનય એક જ છે અને વ્યવહારનય કદી પણ આશ્રય કરવા યોગ્ય નથી-તે હંમેશા હેય જ છે એમ સમજવું.
વ્યવહારનયના જ્ઞાનનું ફળ તેનો આશ્રય છોડીને નિશ્ચયનયનો આશ્રય કરવો તે છે. જો વ્યવહારનયને ઉપાદેય માનવામાં આવે તો તે વ્યવહારનયના સાચા જ્ઞાનનું ફળ નથી પણ વ્યવહારનયના અજ્ઞાનનું એટલે કે મિથ્યાજ્ઞાનનું ફળ છે.
નિશ્ચયનયનો આશ્રય કરવો તેનો અર્થ એ છે કે, નિશ્ચયનયના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરવો; અને વ્યવહારનયનો આશ્રય છોડવો-તેને હેય સમજવો-તેનો અર્થ એ છે કે, વ્યવહારનયના વિષયરૂપ વિકલ્પ, પરદ્રવ્યો કે સ્વદ્રવ્યની અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો.
અધ્યાત્મમાં મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર-એ ધોરણ હોવાથી તેમાં સદાય મુખ્યતા નિશ્ચયની જ છે, ને વ્યવહાર સદાય ગૌણપણે જ છે. અધ્યાત્મનું અર્થાત્ સાધક જીવનું આ ધોરણ છે. સાધક જીવની દ્રષ્ટિનું સળંગ ધોરણ એ જ રીતે છે.