હે દેવ! હું તરત જ રાજ્યસંપદા તજવા ઈચ્છું છું જેને તજીને શૂરવીરો મોક્ષ પામ્યા છે. હે
નરેન્દ્ર! અર્થ તથા કામ અતિ ચંચળ છે, દુઃખનાં કારણ, જીવના શત્રુ, મહાપુરુષો દ્વારા
નિંદ્ય છે, મૂઢજનો તેને સેવે છે. હે હળાયુધ! આ ક્ષણભંગુર ભોગોમાં મારી તૃષ્ણા નથી.
જોકે તમારા પ્રસાદથી આપણા ઘરમાં સ્વર્ગલોક સમાન ભોગ છે તો પણ મને રુચિ નથી,
આ સંસારસાગર અતિ ભયાનક છે, જેમાં મૃત્યુરૂપ પાતાળકુંડ અતિવિષમ છે, જન્મરૂપ
કલ્લોલ ઊઠે છે. રાગદ્વેષરૂપ નાના પ્રકારના ભયંકર જળચરો છે, રતિ અરતિરૂપ ક્ષારજળથી
પૂર્ણ છે, જ્યાં શુભ-અશુભ રૂપ ચોર વિચરે છે, હું મુનિવ્રતરૂપ જહાજમાં બેસી સંસારસમુદ્ર
તરવા ઈચ્છું છું. હે રાજેન્દ્ર! મેં જુદી જુદી યોનિઓમાં અનંતકાળ જન્મમરણ કર્યા, નરક
નિગોદમાં અનંત કષ્ટ સહ્યા, ગર્ભવાસાદિમાં ખેદખિન્ન થયો. ભરતનાં આવાં વચન
સાંભળી મોટા મોટા રાજાઓ આંખમાંથી આંસુ પાડવા લાગ્યા, અતિ આશ્ચર્યથી ગદગદ
વાણીમાં કહેવા લાગ્યા, હે મહારાજ! પિતાનું વચન પાળો, થોડો વખત રાજ્ય કરો. તમે
આ રાજ્યલક્ષ્મીને ચંચળ જાણી ઉદાસ થયા છો તો કેટલાક દિવસ પછી મુનિ થાવ. હમણાં
તો તમારા મોટા ભાઈ આવ્યા છે તેમને શાંતિ આપો. ભરતે જવાબ આપ્યો કે મેં તો
પિતાના વચન પ્રમાણે ઘણા દિવસો સુધી રાજસંપદા ભોગવી, પ્રજાનાં દુઃખ દૂર કર્યાં,
પ્રજાનું પુત્ર પેઠે પાલન કર્યું, દાનપૂજાદિ ગૃહસ્થના ધર્મ આચર્યા, સાધુઓની સેવા કરી.
હવે પિતાએ જે કર્યું તે હું કરવા ઈચ્છું છું. હવે તમે આ વસ્તુની અનુમોદના કેમ નથી
કરતા, પ્રશંસાયોગ્ય બાબતમાં વિવાદ કેવો? હે શ્રી રામ! હે લક્ષ્મણ! તમે મહા ભયંકર
યુદ્ધમાં શત્રુઓને જીતી આગળના બળભદ્ર-વાસુદેવની જેમ લક્ષ્મી મેળવી છે તે તમારી
લક્ષ્મી બીજા મનુષ્યોની લક્ષ્મી જેવી નથી તો પણ મને રાજ્યલક્ષ્મી રુચતી નથી, તૃપ્તિ
આપતી નથી, જેમ ગંગા વગેરે નદીઓ સમુદ્રને તૃપ્ત કરતી નથી. તેથી હું તત્ત્વજ્ઞાનના
માર્ગે પ્રવર્તીશ. આમ કહી અત્યંત વિરક્ત થઈ રામ-લક્ષ્મણને પૂછયા વિના જ વૈરાગ્ય
ગ્રહણ માટે ઊભા થયા, જેમ પહેલાં ભરત ચક્રવર્તી ઊભા થયા હતા. મનોહર ચાલના
ચાલનારા એ મુનિરાજની પાસે જવા તૈયાર થયા. લક્ષ્મણે તેમને અત્યંત સ્નેહથી રોક્યા,
ભરતના હાથ પકડયા. તે જ સમયે આંસુ સારતાં માતા કૈકેયી આવ્યાં અને રામની
આજ્ઞાથી બન્ને ભાઈઓની બધી રાણીઓ આવી. લક્ષ્મી સમાન જેમનું રૂપ છે અને
પવનથી હાલતાં કમળ જેવા નેત્ર છે તે આવીને ભરતને રોકવા લાગી. તેમનાં નામ-
સીતા, ઉવર્શી, ભાનુમતી, વિશલ્યા, સુંદરી, ઐન્દ્રી, રત્નવતી, લક્ષ્મી, ગુણમતી બંધુમતી,
સુભદ્રા, કુબેરા, નળકુંવરા, કલ્યાણમાલા, ચંદિણી, મદમાનસોત્સવા, મનોરમા, પ્રિયનંદા,
ચંદ્રકાંતા, કલાવતી, રત્નસ્થળી, સરસ્વતી, શ્રીકાંતા, ગુણસાગરી, પદ્માવતી ઈત્યાદિ બધી
આવી, જેમનાં રૂપગુણનું વર્ણન કરવું અવશ્ય છે, જેમની આકૃતિ મનને હરી લે છે, દિવ્ય
વસ્ત્રાભૂષણ પહેરેલી, ઊંચા કુળમાં જન્મેલી, સત્ય બોલનારી, શીલાવંતી, પુણ્યની ભૂમિકા,
સમસ્ત કાર્યમાં નિપુણ ભરતની ચારે બાજુ ઘેરી વળી, જાણે કે ચારે તરફ કમળોનું વન જ
ખીલી ઊઠયું છે. ભરતનું ચિત્ત રાજ્યસંપદામાં જોડવા ઉદ્યમી એવી તે બધી અતિ આદરથી
ભરતને મનોહર વચનો