Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 514 of 660
PDF/HTML Page 535 of 681

 

background image
પ૧૪ પંચાસીમું પર્વ પદ્મપુરાણ
ચારે વેદ અને વેદોના અંગ ભણ્યો. પછી તે રાજગૃહી નગરીમાં આવ્યો, તેને ભાઈનાં
દર્શનની અભિલાષા હતી. નગરની બહાર સૂર્યાસ્ત થઈ ગયો, આકાશમાં મેઘપટલના
કારણે ગાઢ અંધકાર થઈ ગયો તેથી તે જીર્ણ ઉદ્યાનની વચ્ચે એક યક્ષનું મંદિર હતું તેમાં
બેઠો. તેના ભાઈ વિનોદની સમિધા નામની સ્ત્રી અતિ કુશીલ હતી તે અશોકદત્ત નામના
પુરુષમાં આસક્ત હતી. તેણીએ તેને યક્ષના મંદિરમાં આવવાનો સંકેત કર્યો હતો તેથી
અશોકદત્ત ત્યાં જવા નીકળ્‌યો તેને માર્ગમાં કોટવાળના સેવકે પકડયો. વિનોદને ખબર
પડતાં તે હાથમાં ખડ્ગ લઈ અશોકદત્તને મારવા યક્ષના મંદિરમાં આવ્યો અને ત્યાં બેઠેલા
રમણને પોતાની પત્નીનો જાર સમજીને ખડ્ગથી મારી નાખ્યો, અંધારામાં કાંઈ દેખાયું
નહિ તેથી રમણ માર્યો, વિનોદ ઘેર ગયો. પછી વિનોદ પણ મર્યો અને બન્નેએ અનેક
ભવ કર્યા.
પછી વિનોદનો જીવ સાલવનમાં જંગલી પાડો થયો અને રમણનો જીવ આંધળો
રીંછ થયો. તે બન્ને દાવાનળમાં બળી મર્યાં. મરીને વનમાં ભીલ થયા, પછી મરીને હરણ
થયા તેમને ભીલે જીવતા પકડયા. બન્ને અતિ સુંદર હતા. તે વખતે ત્રીજા નારાયણ
સ્વયંભૂતિ શ્રી વિમળનાથજીના દર્શન કરીને પાછા ફરતા હતા તેમણે બન્ને હરણ લીધા
અને જિનમંદિર પાસે રાખ્યા. તેમને રાજ્યના રસોડામાંથી મનવાંછિત આહાર મળતો. તે
મુનિઓના દર્શન કરતાં અને જિનવાણીનું શ્રવણ કરતા. કેટલાક દિવસ પછી રમણનો જીવ
જે મૃગ હતો તે સમાધિમરણ કરીને સ્વર્ગે ગયો અને વિનોદનો જીવ જે મૃગ હતો તે
આર્તધ્યાનથી તિર્યંચ ગતિમાં ભટક્યો. પછી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કંપિલ્યાનગરમાં એક
ધનદત્ત નામનો વણિક કોટિ દીનારનો સ્વામી હતો. ચાર ટાંક સુવર્ણની એક દીનાર થાય.
રમણનો જીવ જે મૃગપર્યાયમાંથી દેવ થયો હતો તે ધનદત્તની પત્ની વારુણીની કૂખે
જન્મ્યો. તેનું નામ ભૂષણ પાડયું હતું. કોઈ નિમિત્તજ્ઞાનીએ તેના પિતાને કહેલું કે આ
જિનદીક્ષા લેશે. એ સાંભળી પિતાને ચિંતા થઈ. પિતાનો પુત્ર પ્રત્યે ઘણો સ્નેહ હતો તેથી
તેને ઘરમાં જ રાખતા, બહાર નીકળવા દેતા નહિ. તેના ઘરમાં બધી સામગ્રી મોજૂદ હતી.
આ ભૂષણ, સુંદર સ્ત્રીઓનું સેવન કરતો, વસ્ત્ર, આહાર, સુગંધાદિ વિલેપન કરી ઘરમાં
સુખપૂર્વક રહેતો. એને સૂર્ય ક્યારે ઉગે છે ને આથમે છે તેની પણ ખબર પડતી નહિ.
તેના પિતાએ સેંકડો મનોરથો બાદ આ પુત્ર મેળવ્યો હતો. વળી એક જ પુત્ર હતો અને
પૂર્વજન્મના સ્નેહથી પિતાને પ્રાણથી પણ પ્યારો હતો. પિતા વિનોદનો જીવ હતો અને પુત્ર
રમણનો જીવ હતો. પહેલાં બન્ને ભાઈ હતા અને આ જન્મમાં પિતાપુત્ર થયા. સંસારની
ગતિ વિચિત્ર છે-આ પ્રાણી નટની પેઠે નાચે છે. સંસારનું ચરિત્ર સ્વપ્નના રાજ્યસમાન
અસાર છે. એક સમયે આ ધનદત્તનો પુત્ર ભૂષણ પ્રભાતના વખતે દુંદુભિ શબ્દ અને
આકાશમાં દેવોનું આગમન જોઈને પ્રતિબદ્ધ થયો. એ સ્વભાવથી જ કોમળ ચિત્તવાળો
અને ધર્મના આચારમાં તત્પર હતો. તે અત્યંત હર્ષથી બન્ને હાથ જોડી નમસ્કાર કરતો
શ્રીધર કેવળીની વંદના કરવા ઉતાવળથી જતો હતો ત્યાં પગથિયાં પરથી ઉતરતાં સર્પ
કરડયો. દેહ તજીને તે મહેન્દ્ર નામના