Padmapuran (Gujarati). Parva 111 - Bhamandalnu Vidhyutpatthi maran.

< Previous Page   Next Page >


Page 621 of 660
PDF/HTML Page 642 of 681

 

background image
પદ્મપુરાણ એકસો અગિયારમું પર્વ ૬૨૧
એકસો અગિયારમું પર્વ
(ભામંડળનું વિદ્યુત્પાતથી મરણ)
ત્યારપછી ગૌતમ સ્વામીએ શ્રેણિકને ભામંડળનું ચરિત્ર કહ્યું હે શ્રેણિક!
વિદ્યાધરોનું ઐશ્વર્ય એ જ કુટિલ સ્ત્રી અને તેનું વિષયવાસનારૂપ મિથ્યા સુખ તે પુષ્પ,
તેના અનુરાગરૂપ મકરંદમાં ભામંડળરૂપ ભ્રમર આસક્ત થઈ ગયો હતો. તે મનમાં
વિચારતો કે હું જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ તો મારી સ્ત્રીઓના સૌભાગ્યરૂપ કમળોનું
વન સુકાઈ જશે, એમનું ચિત્ત મારામાં આસક્ત છે અને એમના વિરહથી મારા પ્રાણોનો
વિયોગ થશે. મેં આ પ્રાણ સુખથી પાળ્‌યા છે તેથી થોડોક વખત રાજ્યનું સુખ ભોગવી
કલ્યાણનું કારણ એવું તપ કરીશ. આ કામભોગ દુર્નિવાર છે અને એનાથી પાપ થશે તે હું
ધ્યાનરૂપ અગ્નિથી ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. થોડા દિવસ હું રાજ્ય કરીશ, મોટી
સેના રાખીને મારા શત્રુઓને હું રાજ્યરહિત કરીશ, તે ખડ્ગના ધારક સામંતોના
અભિમાનનો હું ભંગ કરીશ. દક્ષિણ શ્રેણી અને ઉત્તર શ્રેણીમાં હું મારી આજ્ઞા મનાવીશ,
સુમેરુ પર્વત આદિ પર્વતોમાં મરકત મણિ વગેરે જુદી જુદી જાતિનાં રત્નોની નિર્મળ શિલા
ઉપર સ્ત્રી સાથે ક્રીડા કરીશ ઇત્યાદિ મનના મનોરથ કરતો ભામંડળ સેંકડો વર્ષ એક
મુહૂર્તની જેમ વ્યતીત કરી ચૂક્યો હતો. આ કર્યું, આ કરીશ, એમ ચિંતવન કરતાં
આયુષ્યનો અંત જાણ્યો નહિ. એક દિવસ સાત માળના મહેલની ઉપર સુંદર શય્યામાં
પોઢયો હતો અને વીજળી પડી, તે તત્કાળ મૃત્યુ પામ્યો.
દીર્ઘસૂત્રી મનુષ્ય અનેક વિકલ્પ કરે છે, પરંતુ આત્માના ઉદ્ધારનો ઉપાય કરતો
નથી. તૃષ્ણાથી હણાયેલો ક્ષણમાત્ર પણ શાતા પામતો નથી, મૃત્યુ માથા ઉપર ચકરાવો લે
છે તેની ખબર પડતી નથી, ક્ષણભંગુર સુખના નિમિત્તે દુર્બુદ્ધિ આત્મહિત કરતો નથી,
વિષયવાસનામાં લુબ્ધ થઈ અનેક પ્રકારના વિકલ્પો કર્યા કરે છે, જે કર્મબંધનું કારણ થાય
છે. ધન, યૌવન, જીવન બધું અસ્થિર છે, એને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી
આત્મકલ્યાણ કરે તે ભવસાગરમાં ડૂબે નહિ. વિષયાભિલાષી જીવો ભવમાં કષ્ટ સહે,
હજારો શાસ્ત્રો ભણે અને શાંતિ ન ઉપજી તો શું કર્યું? અને એક જ પદ ભણીને જો શાંતિ
થઈ તો પ્રશંસાયોગ્ય છે. ધર્મ કરવાની ઇચ્છા તો સદા કર્યા કરે પણ ધર્મ કરે નહિ તો
કલ્યાણ ન પામે. જેમ કપાયેલી પાંખવાળો કાગડો ઊડીને આકાશમાં પહોંચવા ઇચ્છે પણ
જઈ શકે નહિ તેમ જે નિર્વાણના ઉદ્યમરહિત છે તે નિર્વાણ પામે નહિ. જો નિરુદ્યમી
સિદ્ધપદ પામતા હોય તો કોઈ મુનિવ્રત શા માટે લે? જે ગુરુનાં ઉત્તમ વચનો હૃદયમાં
ધારણ કરી ધર્મનો ઉદ્યમ કરે તે કદી ખેદખિન્ન થાય નહિ. જે ગૃહસ્થ આંગણે આવેલા
સાધુની ભક્તિ ન કરે. આહાર ન આપે તે અવિવેકી છે અને ગુરુનાં વચન સાંભળી ધર્મ
ન કરે તે ભવભ્રમણથી છૂટે નહિ. જે ઘણા પ્રમાદી છે અને જાતજાતના અશુભ ભાવ
કરીને વ્યાકુળ થાય છે તેમનું આયુષ્ય નિરર્થક વીતે છે જેમ હથેળીમાં આવેલું રત્ન ચાલ્યું
જાય છે. આમ જાણી સમસ્ત લૌકિક કાર્ય નિરર્થક માની દુઃખરૂપ ઇન્દ્રિયોનાં સુખને