કહ્યું, પણ તે સાંભળવામાત્રથી જ સમ્યગ્દર્શન થાય છે એમ નથી. ૧૧ મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થના આશ્રયે એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે, સાંભળવાથી નહીં, નિમિત્તથી નહીં. અરેરે! ક્ષણે ક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનાકુળસ્વભાવી આત્માનો આનંદ લૂંટાઈ જાય છે!
મોક્ષમાર્ગપ્રકાશકના આઠમા અધિકારમાં આવે છે કે -‘હવે મિથ્યાદ્રષ્ટિ જીવોનેે મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે શ્રી તીર્થંકરગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ.’ એક બાજુ એમ કહે કે કોઈ, કોઈ અન્યનો ઉપકાર કરી શકતું નથી અને અહીં મોક્ષમાર્ગનો ઉપદેશ આપી ઉપકાર કરવાનું કહ્યું છે તે કેવી રીતે છે? અરે ભાઈ! આ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે. જ્યારે યથાયોગ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યારે આવા કથનો આવે છે. જેમ હરણની નાભિમાં કસ્તુરી છે એની એને કિંમત નથી. એમ ભગવાન આત્મા આનંદનું દળ છે. પોતાના અનંત સામર્થ્યની અજ્ઞાનીને કિંમત નથી. એની શક્તિઓ એટલે ગુણો-જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગેરે છે. આ શક્તિઓનું માપ નથી. જે સ્વભાવ હોય એનું માપ શું? અમાપ જ્ઞાન, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઈશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે. એમાં જાને! એમાં પ્રવેશી ઊંડો ઊતરી જાને! સમ્યગ્દર્શન પામતા પહેલાં આવો એનો વ્યવહાર (ભાવ) હોય છે. નિશ્ચય પ્રગટે તેને એ વ્યવહાર કહેવાય છે, અન્યથા નહીં. ત્રિકાળી, ધ્રુવ દ્રવ્યના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે એવાં જિનવચન તે સાંભળે છે. સાંભળવાથી સમકિત થાય એમ નહીં પણ સમકિતસન્મુખ જીવને આવા જ જિનવચનના ઉપદેશનું નિમિત્ત હોય છે. અહા! જીવ પોતે મિથ્યાશ્રદ્ધાન વડે અનંત અનંત જન્મ મરણ કરી અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી કહ્યો છે. કષાયની મંદતાથી ધર્મ થાય, નિમિત્ત સારું હોય તો પોતાનું કાર્ય થાય, જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ હોય તો આત્મદર્શન થાય વગેરે અનેક શલ્યો સંસાર વધવાના કારણ છે. એ સઘળા મિથ્યાશ્રદ્ધાનને દૂર કરી જન્મ-મરણનો અંત કરાવનારાં જિનવચનો તે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે તેમની પાસે બરાબર સાંભળે છે.
આગળ કળશ ૪ માં આવે છે કે -‘जिनवचसि रमन्ते,’ આવો અર્થ કળશ ટીકાકારે કર્યો છે કે- ભાઈ! વાણી તો જડ પુદ્ગલ છે. તે જડમાં રમવું તે શું? તો જિનવચનમાં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તેને