Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2720 of 4199

 

૨૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પ્રભુ! તું ચિદાનંદઘન પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છો. અહા! એના જ્ઞાન-શ્રદ્ધાન વિના પોતાને વર્તમાન પર્યાય પૂરતો, શુભરાગસ્વરૂપ માનીને ભગવાન! તેં અનંતકાળ સંસારમાં-દુઃખમાં ગાળ્‌યો છે.

અહીં કહે છે-નિશ્ચય સમ્યગ્જ્ઞાન શ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી. અહા! તે પંચમહાવ્રત પાળે, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્ય પાળે, વસ્ત્રનો ધાગોય ન રાખે, પોતાના માટે ચોકો કરી આહાર બનાવ્યો હોય તેવો ઉદ્દેશિક આહાર પ્રાણ જાય તોપણ ન લે ઇત્યાદિ વ્યવહારમાં સાવધાન રહે તોય, કહે છે, તે અચારિત્ર છે, બંધનું કારણ છે. અહા! જેટલો પરના આશ્રયવાળો ભાવ છે તે સર્વ બંધનું કારણ છે.

જુઓ, આ બંધ અધિકાર છે ને? તેથી બંધના પરિણામનું સ્વરૂપ બતાવે છે. એની સામે ત્રિકાળ અબંધસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જે પરિણામ થાય તે અબંધ પરિણામ નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ છે. એ અબંધ પરિણામ વિના એકાંત બંધ પરિણામવાળો જીવ આવું ક્રિયારૂપ વ્યવહારચારિત્ર પાળે તો તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી એમ કહે છે. બહુ ગંભીર શબ્દો ભાઈ! આ ૨૭૨, ૨૭૩, ૨૭૪ ગાથાઓ બહુ સરસ-એકલું માખણ છે.

આ પંચમહાવ્રતના પાળનારા ભાવલિંગી સંત-મુનિવરો કહે છે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન વિના એનું (અભવિનું) સઘળું વ્યવહારરૂપ આચરણ અચારિત્ર છે, મિથ્યાચારિત્ર છે.

‘માટે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.’ લ્યો, ટીકામાં છે તે ત્રણેય બોલ લઈ લીધા. ૧૧મી ગાથાના ભાવાર્થમાં આવે છે કે-“પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.” જુઓ, આમાં ‘હસ્તાવલંબ’ (નિમિત્ત) શબ્દ સાથે ગાથામાં કહેલા ‘જિનવરે કહેલો વ્યવહાર’ -એ શબ્દો સાથે મળે છે. ‘તેનું ફળ સંસાર છે’ -એમ મેળ છે.

હવે પર્યાયમાં પોતાનો ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા પ્રાપ્ત ન થયો હોય અને બાહ્ય વ્યવહારની-શુભની ક્રિયા કર્યા કરે પણ એ બધું અચારિત્ર છે. (વ્યવહારચારિત્રેય નહિ). અરે! આવી ખબર ન મળે અને માની બેસે કે અમે ધર્મ કરીએ છીએ તેને કહીએ છીએ કે-ભાઈ! જીવન જાય છે જીવન; આવો અવસર મળવો મહા મુશ્કેલ છે. ભાઈ! આ મનુષ્યપણું ને આવી જિનવાણી મહા ભાગ્ય હોય તો મળે છે. (માટે અંદરમાં જાગ્રત થઈ સાવધાન થા).

[પ્રવચન નં. ૩૨૯ (શેષ) અને ૩૩૦ * દિનાંક ૨૧-૩-૭૭- અને ૨૨-૩-૭૭]