૩૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અનુભવ મારગ મોખનો, અનુભવ મોખસ્વરૂપ.
પ્રવચનસારમાં પણ મોક્ષના માર્ગને મોક્ષતત્ત્વ કહ્યું છે. મોક્ષનું કારણ છે તે મોક્ષસ્વરૂપ છે, અને વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે સંસાર છે, જગપંથ છે. ભાઈ! આ તારા સુખના પંથની રીત કહી છે. ભાઈ! તારા જ્ઞાનમાં નિશ્ચય તો કર કે વસ્તુ આવી છે, મારગ આવો છે. અહીં કહે છે -
ચેતયિતા, પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
અહાહા...! જેમ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે તે જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન પોતે છે તેના આશ્રયે થઈ છે, વ્યવહારરત્નત્રયથી નહિ; તેમ ચેતયિતાના પરિણામ જેને નિમિત્ત છે એવો જે રાગ તે પોતાના (-રાગના, વિભાવના પૌદ્ગલિક) સ્વભાવથી ઉત્પન્ન થાય છે, આત્માથી નહિ. વ્યવહારરત્નત્રયનો રાગ પુદ્ગલથી (પુદ્ગલના આશ્રયે) ઉત્પન્ન થયો છે. રાગ કે જે પુદ્ગલસ્વભાવ છે તેને, અહીં કહે છે, પોતાના જ્ઞાનસ્વભાવથી ચેતયિતા જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. ચેતયિતા પોતાની જ્ઞાન-પર્યાયથી રાગાદિ પરદ્રવ્યને જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે એમ કહે છે. અહાહા....! પુદ્ગલસ્વભાવ એવા રાગને કરે છે એ વાત તો છે નહિ, આત્મા પોતાના જ્ઞાનસ્વભાવના પરિણમનથી રાગને જાણે છે એમ કહીએ એય વ્યવહાર છે. બારમી ગાથામાં આવી ગયું ને કે તે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એ વાત અહીં સિદ્ધ કરી છે. જાણવાના સ્વભાવથી પરિણમેલા ભગવાન આત્માના જ્ઞાનપરિણામને રાગ કરે નહિ, રાગને જ્ઞાન કરે નહિ; પરંતુ આત્મા રાગને-પુદ્ગલદ્રવ્યને જાણે છે એમ કહેવામાં આવે છે તે વ્યવહાર છે. લ્યો, આવી વાત છે. સમજાણું કાંઈ....?
‘વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ-
જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (- ભીંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના (- ખડીના) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે;’ .......