૩૬૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ જેમ છે તેમ એની વર્તમાન પર્યાય પોતાવડે હોવાના શક્તિરૂપ સ્વભાવપણા વડે સત્ છે; અર્થાત્ સમયસમયની પર્યાય પોતાના કારણે પોતાના સામર્થ્યથી પ્રગટ થતી સત્ છે. અહીં વજન સ્વકાળ પર છે. પોતાના સ્વકાળે હોવાનો પર્યાયનો જે સ્વભાવ એવા સ્વભાવપણા વડે પર્યાયનું સત્પણું છે. અહા! જો વસ્તુ કાયમ રહીને અવસ્થાપણે પરિણમતી ન હોય તો દુઃખ ટળીને સુખ થવું, મિથ્યાત્વ ટળીને સમકિત થવું, સંસાર ટળીને મોક્ષ થવો ઇત્યાદિ કાંઈ સંભવિત નથી. માટે દરેક વસ્તુ સ્વયં ટકીને પરિણમે છે-રૂપાંતર પામે છે એ વસ્તુગત સ્વભાવ છે.
શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે- ચૈતન્ય હો કે પરમાણુ હો, કોઈપણ પદાર્થને નક્કી કરવો હોય તો તે વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ-ક્ષેત્ર, તેનો ભાવ-ગુણ તથા તેની વર્તમાન દશા શું છે- એમ ચાર પ્રકારથી નક્કી કરી શકાય, તે વિના પદાર્થ સિદ્ધ ન થાય. તેમ અહીં કહે છે- પોતાનું દ્રવ્ય-વસ્તુ જે આત્મા છે તે, એના ભાવ-ગુણ, એનું શરીર પ્રમાણ (છતાં શરીરથી ભિન્ન) અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, અને એની અવસ્થા-કાળ-આમ ચાર ખૂંટથી વસ્તુ સિદ્ધ થાય છે. આમ ન હોય તો એની દશામાં પરિણમવું, એના ક્ષેત્રમાં કાયમ રહેવું, ગુણોનું ત્રિકાળ ટકવું, ને દ્રવ્યપણે કાયમ રહેવું સિદ્ધ નહિ થાય. ભાઈ! સર્વજ્ઞના જ્ઞાનમાં સર્વ પદાર્થ આ રીતે (ચાર ખૂંટથી) જાણવામાં આવ્યા છે. પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પોતાના કારણે સત્ હોવાથી તેનું વર્તમાન પરિણમન-સ્વકાળ બીજી ચીજ હોય તો થાય એમ છે નહિ. એક સમયમાં વિકારી પર્યાય પ્રગટ થાય કે અવિકારી કે વિકારી-અવિકારી (સાધકને ચારિત્રગુણની પર્યાય વિકારી-અવિકારી હોય છે) -તે એનો સ્વકાળ છે. પુણ્યથી ધર્મ થાય ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાભ્રમ, અજ્ઞાન ને રાગ-દ્વેષ અજ્ઞાનીને થાય છે તે તે પર્યાયનો સ્વકાળ છે, તે કાળે નિમિત્ત છે ખરું, મોહનીય કર્મનો ઉદય છે ખરો, પણ કર્મને લઈને તે પર્યાય થાય છે એમ નથી. કર્મના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવ કર્મમાં છે, કર્મના ઉદયને લઈને અહીં વિકારી પર્યાય થાય છે એમ નથી. અહા! જેને આ વાત બેસી જાય તેનું શું કહેવું? તત્કાલ એની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જઈને નિર્મળ પર્યાયનો સ્વકાળ તેને પ્રગટ થાય છે.
અરે! લોકો ધર્મને સાધારણ ચીજ માની બેઠા છે. પણ ધર્મ એ તો કોઈ મહાન અપૂર્વ ચીજ છે ભાઈ! અહા! અનંતકાળમાં અનંતવાર એ હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો છે, પણ એને ધર્મ થયો નહિ. વસ્તુની સ્થિતિ શું? તેની હદ-મર્યાદા શું? એની હદમાં પરનો પ્રવેશ નથી, અને પરની હદમાં એનો પ્રવેશ નથી- આવું યથાર્થ સમજ્યા વિના બધું છોડીને ત્યાગી થાય પણ એથી શું? વસ્તુના સત્યાર્થ જ્ઞાન-શ્રદ્ધાન વિના બધું જ થોથેથોથાં છે. સમજાણું કાંઈ.....!
પ્રશ્નઃ– ધર્મ તો સહેલો હતો, પણ આપે મોંઘો કરી નાખ્યો.