Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 820 of 4199

 

૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ એમ નથી, ભાઈ! પુણ્ય-પાપભાવની રુચિથી ખસી ગયો એને અહીં નિવર્ત્યો કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એક્તા હતી તે તૂટી ગઈ તેને નિવૃત્ત થયો કહે છે અને તે ભેદજ્ઞાન છે. અભિપ્રાયમાં જે આસ્રવોથી નિવર્તતો નથી તેને ભેદજ્ઞાન જ નથી.

બીલકુલ રાગભાવ ન હોય તો ભેદજ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની રુચિથી ખસીને ચૈતન્યસ્વભાવની રુચિમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્યભાવ આદિ હોય, પણ ધર્મીને એની રુચિ છૂટી ગઈ હોય છે. દ્રષ્ટિની અપેક્ષાથી અહીં વાત છે.

વળી કોઈ એમ કહે કે પહેલાં ક્રોધાદિથી નિવર્તે અને પછી ભેદજ્ઞાન થાય; તો એ વાત પણ યથાર્થ નથી. જે કાળે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટે તે જ કાળે ક્રોધાદિની નિવૃત્તિ થાય છે. બન્નેનો સમકાળ છે, પહેલાં-પછી છે જ નહિ. ભાઈ! અંતર્દ્રષ્ટિ થયા વિના ભેદજ્ઞાનના અભાવમાં અનંતકાળમાં જીવે ઘણું બધું કર્યું; વ્રત કર્યાં, તપ કર્યાં અરે! હજારો રાણીઓને છોડીને વનવાસી દિગંબર મુનિ પણ થયો. મહાવ્રત પાળ્‌યાં અને આકરાં તપ કર્યાં. પરંતુ એકડા વિનાના મીંડાની જેમ બધું નિરર્થક ગયું. રાગનાં નિમિત્ત મટાડયાં, પણ રાગની રુચિ ન મટી એટલે સંસાર મટયો નહિ, લેશમાત્ર પણ સુખ ન થયું. છહઢાલામાં આવે છે ને કે-

‘મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’

ભાઈ! અંતર્મુખદ્રષ્ટિ થયા વિના રાગની રુચિ છૂટતી નથી અને જ્યાં રાગની રુચિ હોય છે ત્યાં અંતર્દ્રષ્ટિ-ભેદજ્ઞાન હોતું નથી. માટે ભેદજ્ઞાન અને આસ્રવોથી નિવર્તન-એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું. (કળશટીકામાં કળશ ૨૯ માં પણ આ વાત લીધી છે.)

‘માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.’ ક્રોધ કહેતાં અંદર પૂર્ણાનંદનો નાથ જે જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે તેથી વિમુખ થઈને રાગની રુચિ કરે તેને જ્ઞાયક રુચતો નથી માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કહ્યું છે ને કે ‘દ્વેષ અરોચક ભાવ’. નિજ સ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. આ ક્રોધ આદિ ઉપરથી જેને દ્રષ્ટિ ખસી નહિ અને સ્વભાવની દ્રષ્ટિ કરી નહિ તે આસ્રવોથી નિવર્ત્યો નથી. પરંતુ જ્યાં આસ્રવોથી દ્રષ્ટિ ખસેડી નિજ ચૈતન્યસ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતર્જ્ઞાન થયું, સમ્યગ્જ્ઞાન થયું. આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન તે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે. પહેલાં જે એકત્વ- વિભક્તની વાત કરી હતી એ શૈલીથી અહીં વાત છે. અહાહા! સ્વભાવમાં એકત્વ અને રાગથી વિભક્ત થાય તે ભેદજ્ઞાન છે. અને તેનાથી બંધનો નિરોધ થાય છે, બંધન અટકી જાય છે.