સત્પુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો
જીવ સત્દ્રષ્ટિવાન હોય તો સત્શ્રુતના ઘણા કાળના સેવનથી થતો
લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે
છે. કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન્ નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન
અને વૃત્તિક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય
એવો વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્શ્રુતનો
પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે,
શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત
જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે.