Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૮૭ :
જીવને સંસાર–પરિભ્રમણ કેમ થયું?
અને
હવે તે પરિભ્રમણ કેમ ટળે?
ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય શું?
દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે.
અંતરની ચૈતન્યશક્તિના અવલંબને જ સંસારનો નાશ
થઈને મોક્ષદશા પ્રગટે છે. ચૈતન્યશક્તિના અવિશ્વાસને
લીધે જ જીવને અત્યાર સુધી સંસાર–પરિભ્રમણ થયું
છે. અંતરના ચૈતન્યસ્વભાવની ઓળખાણ–પ્રતીત અને
વિશ્વાસ કરવો તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ
કર્તવ્ય છે.
આ આત્માના ધર્મની વાત ચાલે છે. આત્મ–ધર્મ એટલે શું? આત્મા અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપ
વસ્તુ છે, દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને કોઈએ બનાવ્યો નથી ને તેનો કદી નાશ થતો નથી;
આવા આત્માને જાણ્યા વિના કદી ધર્મ થાય નહિ. અહીં શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધ ચિદ્રૂપ નિર્દોષ આત્મા છે
તેની ઓળખાણ કરવી તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય છે. પૂર્વે કદી આવા આત્મસ્વરૂપને ન
જાણ્યું તેથી જ જીવને સંસારપરિભ્રમણ થયું છે. એકવાર પણ આત્માના યથાર્થસ્વરૂપને ઓળખે તો જીવની
મુક્તિ થયા વિના રહે નહિ.
આ દેહ દેવળમાં રહેલો દરેક આત્મા શક્તિ સ્વભાવે તો શુદ્ધ નિર્મળાનંદ છે, પણ વર્તમાન હાલતમાં
અનાદિથી તે પોતાના સ્વરૂપને ભૂલેલો છે, તે ભૂલના ફળમાં આ સંસારભ્રમણ છે. “ચૈતન્યસ્વભાવ હું છું”
એમ ન ઓળખતાં, ‘શરીર અને શરીરની ક્રિયા તે જ હું’ એમ માનીને ભ્રમણાથી ચારે ગતિમાં અનંત
અનંત અવતાર કરતો આવ્યો છે. દેહથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ શું છે તેનું જ્ઞાન અનંતકાળમાં જીવે કદી
કર્યું નથી; અને ‘મારે પર ચીજ વગર ન ચાલે’ એમ માને છે, તેનો અર્થ એ થયો કે આત્મા પરાધીન છે;
પોતામાં સ્વાધીન સુખ છે તેને ન માનતાં પરને લીધે સુખ માન્યું. તેણે આત્માને પરાધીન માન્યો છે, એ
પરાધીનપણાની માન્યતાને લીધે જ તે સંસારમાં રખડી રહ્યો છે. “પરાધીનતામાં સ્વપ્નેય સુખ નથી”
એમ લોકો બોલે છે પણ તેનો વાસ્તવિક અર્થ શું છે તે સમજતા નથી. આત્માને પોતાના સુખને માટે
પરચીજની જરૂર પડે એ માન્યતા જ મોટી પરાધીનતા છે. ભાઈ! તારું સુખ પરમાં એમ તેં ક્યાંથી
માન્યું? તારું સુખ તારામાં હોય કે પરમાં હોય? પર ચીજ તો તારાથી જુદી છે, તો તારાથી જુદી ચીજમાં
તારું સુખ કેમ હોય? અંતરના ચૈતન્યસ્વભાવમાં જ સુખ છે તેને ભૂલીને પરમાં સુખ માની રહ્યો છે તે
માન્યતા દોષરૂપ છે. સુખ તો આત્માનો સ્વભાવ છે. જેમ ચણાને સેકતાં તેમાં જે મીઠાશ આવે છે તે
ક્યાંથી આવી? શું કડાયામાંથી કે રેતીમાંથી આવી? ના; તે ચણામાં જ મીઠાશનો સ્વભાવ ભર્યો છે તે જ
પ્રગટ થયો છે. તેમ આત્માના સ્વભાવમાં જ સુખ ભર્યું છે, પણ તેને ભૂલીને પરમાં સુખ માને તેથી તેને
પોતાના સુખનો વ્યક્ત અનુભવ થયો નથી. આત્માના