Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 69

background image
આનંદની પ્રસાદી આપી...આપના પ્રતાપે અમને પણ અમારી સર્વજ્ઞશક્તિની પ્રતીત થઈ... અમને અમારા
આનંદનું ભાન થયું...આ રીતે, આપ વીતરાગ હોવા છતાં હે નાથ! અમારી પ્રસન્નતાનું કારણ છો...
જુઓ, સાધુ પુરુષો એટલે કે સજ્જનો (સત્–જનો)–સમકીતિ ધર્માત્માઓ કૃતજ્ઞ છે, આત્માના
શ્રેયમાર્ગમાં જેમનો ઉપકાર થયો તેને કદી ભૂલતા નથી. ભગવાનના નિમિત્તે પોતાને રત્નત્રયભાવ પ્રગટ્યો ને
આત્માની પ્રસન્નતા પ્રગટી ત્યાં કહે છે કે અહો! અમારા ઉપર ભગવાનની મહેરબાની થઈ. પોતામાં પ્રસન્નતા
થઈ ત્યાં ભગવાનની પ્રસન્નતાનો પણ આરોપ કર્યો કે ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા.
હે મહાવીર ભગવાન! આપ આજે સિદ્ધ થયા, હે ગૌતમ ભગવાન! આપ આજે કેવળજ્ઞાન પામ્યા, હે
ભગવાન! આપની પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું આત્મબોધ પામ્યો.....હે નાથ! હું પણ તારા પગલે પગલે ચાલ્યો
આવું છું.....
જુઓ, આ દીવાળીનો પ્રસાદ વહેંચાય છે! લોકો લક્ષ્મીની પ્રસન્નતા માંગે છે, અહીં તો કહે છે કે
સર્વજ્ઞભગવાન અમારા ઉપર પ્રસન્ન થયા...આજે અમને ભગવાન સામા મળ્‌યા (–દ્રષ્ટિમાં સન્મુખ થયા),
બહાર નીકળતાં જ આજે ભગવાનનો ભેટો થયો–શક્તિમાં તો ભગવાન હતા, પણ વ્યક્તપર્યાયમાં પ્રતીત કરતાં
જ ભગવાનનો ભેટો થયો...ભગવાનનો સાક્ષાત્કાર થયો...“અહો નાથ! અંતરની શક્તિના અવલંબને આપ
સર્વજ્ઞ થયા ને અમને એ માર્ગ બતાવ્યો, હે નાથ! તારી પ્રસન્નતાથી હું પણ તારા જ માર્ગે ચાલ્યો આવું છું.....”
–જુઓ, આ નિઃશંકતાનો માર્ગ!
મહાવીર ભગવાનના મોક્ષને આજે ૨૪૮૧મું વર્ષ બેઠું. પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને ભગવાનના
ભક્તો કહે છે કે હે ભગવાન! આપ તો આત્માના અતીન્દ્રિય–પરમ આનંદના પૂર્ણ ભોક્તા થઈ ગયા ને અમારા
માટે પણ આપ થોડો પ્રસાદ મૂકતા ગયા છો...હે ભગવાન! આપની પ્રસન્નતાથી અમને પણ આપના અતીન્દ્રિય–
આનંદની પ્રસાદી મળી છે...આમ સમકીતિ ભક્તિપૂર્વક ભગવાનના આનંદનો પ્રસાદ માને છે.
–આ છે ભગવાનનો દીવાળીનો પ્રસાદ!
ભગવાન જેવા પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને, સ્વસન્મુખ થઈને જેણે સમ્યગ્દર્શન અને
અતીન્દ્રિયઆનંદના અંશનું વેદન પ્રગટ કર્યું, તેણે જ ખરેખર ભગવાનની મુક્તિનો મહોત્સવ ઊજવ્યો...તેના
ઉપર ભગવાન પ્રસન્ન થયા, અને તેને જ ભગવાનની પ્રસાદી પ્રાપ્ત થઈ. “એ અતીન્દ્રિય–પ્રસાદના દાતાર અને
લેનાર બંનેનો જય હો–જય હો.”