Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧૭ઃ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
-ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
[વીર સં. ૨૪૮૨, જેઠ સુદ ૧૪ (૧); સમાધિશતક ગા. ૨પ]

આત્માને સમાધિ કેમ થાય-વીતરાગી શાંતિ કેમ થાય તેનું આ વર્ણન છે. મારો આત્મા દેહથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ છે-એમ પરથી ભિન્ન આત્માને જાણ્યા વગર સમાધિ થાય નહિ. જે પોતાને પરથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ જાણે છે તેને પરમાં ‘આ મારો મિત્ર કે આ મારો શત્રુ’ એવી બુદ્ધિ રહેતી નથી. એટલે બોધસ્વરૂપ
આત્માના લક્ષે તેને એવો વીતરાગભાવ થઈ જાય છે કે કોઈ મારો શત્રુ કે કોઈ મારો મિત્ર એમ તે માનતો નથી.
તે વાત હવેની ગાથામાં કહે છે-
क्षीयन्तेऽत्रव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः।
बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः।।२५।।
મારા જ્ઞાનસ્વરૂપ આત્માના અવલોકનથી અહીં જ રાગદ્વેષાદિ દોષો ક્ષય પામી જાય છે, તેથી મારે કોઈ
મિત્ર નથી કે કોઈ શત્રુ નથી. જુઓ, આ વીતરાગી સમાધિની રીત! હું તો જ્ઞાનસ્વરૂપ જ છું, એમ નક્કી કરીને
જ્યાં જ્ઞાનસ્વરૂપની ભાવનામાં રહ્યો ત્યાં બહારમાં કોઈ મને મારા શત્રુ કે મિત્ર ભાસતા નથી, કેમકે જ્ઞાનસ્વરૂપની
ભાવનાથી રાગદ્વેષનો નાશ થઈ ગયો છે. જેના ઉપર રાગ હોય તેને પોતાનો મિત્ર માને ને જેના ઉપર દ્વેષ હોય
તેને શત્રુ માને, પણ હું તો બોધસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું-એવી ભાવનામાં રાગ-દ્વેષનો ક્ષય થતાં કોઈ મિત્ર-શત્રુપણે
ભાસતાં નથી. પહેલાં આવો વીતરાગી અભિપ્રાય થયા વગર કદી રાગ-દ્વેષનો નાશ થાય નહિ ને વીતરાગી
સમાધિ પ્રગટે નહિ. હું જ્ઞાનસ્વરૂપ છું, રાગદ્વેષ મારા જ્ઞાનસ્વરૂપમાં છે જ નહિ ને બહારના કોઈ મારા શત્રુ કે
મિત્ર નથી-આવા વીતરાગી અભિપ્રાયપૂર્વક ચૈતન્યની ભાવનાથી વીતરાગી સમાધિ થાય છે. પણ પરને પોતાનું
ઇષ્ટ-અનિષ્ટ માને, પરને મિત્ર કે શત્રુ માને તેને રાગ-દ્વેષ કદી છૂટે નહિ. માટે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેની
ભાવના કરવી તે જ રાગાદિના નાશનો ને સમાધિનો ઉપાય છે.
આ શરીરની સેવા કરનાર મારા મિત્ર નથી કેમકે શરીર હું નથી, શરીરનો ઘાત કરનાર મારા શત્રુ નથી
કેમકે શરીર હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું. મારા જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન કરીને તેની ભાવનાથી રાગાદિનો ક્ષય
થતાં મને કોઈ મિત્ર કે શત્રુપણે ભાસતા નથી. સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્મા કોઈ રાજા હોય ને લડાઈનો પણ પ્રસંગ
આવી જાય, છતાં તે પ્રસંગેય તેને ભાન છે કે હું તો જ્ઞાનસ્વરૂપ છું, મારા જ્ઞાનસ્વરૂપને આ જગતમાં કોઈ મિત્ર કે
વેરી નથી.-આવો વીતરાગી અભિપ્રાય ધર્મીને કોઈ ક્ષણે છૂટતો નથી. અને આવા અભિપ્રાયને લીધે
જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના કરતાં રાગાદિનો ક્ષય થાય છે. ચોથા ગુણસ્થાને હજી અમુક રાગ-દ્વેષ થાય છે તેટલો
દોષ છે પણ કોઈ પરને શત્રુ કે મિત્ર માનીને તે રાગદ્વેષ થતા નથી, તેમજ જ્ઞાનસ્વરૂપમાં તે રાગદ્વેષ કર્તવ્યપણે