૧૨૬
છે, એકલો પરિભ્રમણ કરે છે, એકલો મુક્ત થાય છે. તેને કોઈનો સાથ નથી. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથ ને આશ્રય માને છે. આમ ચૌદ બ્રહ્માંડમાં એકલા ભમતાં જીવે એટલાં મરણ કર્યાં છે કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યાં તેનાથી સમુદ્રો ભરાય. ભવપરિવર્તન કરતાં કરતાં માંડમાંડ તને આ મનુષ્યભવ મળ્યો છે, આવો ઉત્તમ જોગ મળ્યો છે, તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે, વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આ મનુષ્યભવ ને ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પ કાળમાં ચાલ્યા જશે. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો છે, તેમ એકલો જ સુખના પંથે જા, એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે. ૩૫૭.✽
ગુરુદેવ માર્ગ ઘણો જ સ્પષ્ટ બતાવી રહ્યા છે. આચાર્યભગવંતોએ મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે અને ગુરુદેવ તે સ્પષ્ટ કરે છે. પેંથીએ પેંથીએ તેલ નાખે તેમ ઝીણવટથી ચોખ્ખું કરીને બધું સમજાવે છે. ભેદજ્ઞાનનો માર્ગ હથેળીમાં દેખાડે છે. માલ ચોળીને, તૈયાર કરીને આપે છે કે ‘લે, ખાઈ લે’. હવે ખાવાનું તો પોતાને છે. ૩૫૮.