૧૨૮
તું જ્ઞાયકસ્વરૂપ છો. બીજું બધું તારાથી છૂટું પડ્યું છે, માત્ર તેં તેની સાથે એકત્વબુદ્ધિ કરી છે.
‘શરીર, વાણી આદિ હું નહિ, વિભાવભાવ મારું સ્વરૂપ નહિ, જેવું સિદ્ધભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે’ એવી યથાર્થ શ્રદ્ધા કર.
શુભ ભાવ આવશે ખરા. પણ ‘શુભ ભાવથી ક્રમે મુક્તિ થશે, શુભ ભાવ ચાલ્યા જાય તો બધું ચાલ્યું જશે અને હું શૂન્ય થઈ જઈશ’ — એવી શ્રદ્ધા છોડ.
તું અગાધ અનંત સ્વાભાવિક શક્તિઓથી ભરેલો એક અખંડ પદાર્થ છો. તેની શ્રદ્ધા કર અને આગળ જા. અનંત તીર્થંકરો વગેરે એ જ માર્ગે મુક્તિને પામ્યા છે. ૩૬૧.
જેમ અજ્ઞાનીને ‘શરીર તે જ હું, આ શરીર મારું’ એમ સહજ રહ્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી, તેમ જ્ઞાનીને ‘જ્ઞાયક તે જ હું, અન્ય કંઈ મારું નહિ’ એવી સહજ પરિણતિ વર્ત્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી. સહજ પુરુષાર્થ વર્ત્યા કરે છે. ૩૬૨.