કે ‘મારી સ્વરૂપસ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો માટે ઉપસર્ગ મારો મિત્ર છે’. અંતરંગ મુનિદશા અદ્ભુત છે; દેહમાં પણ ઉપશમરસના ઢાળા ઢળી ગયા હોય છે. ૩૮૮.
દ્રવ્યદ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે, તેને દ્રષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક જ — ચૈતન્ય જ ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. દિવસે જાગતાં તો જ્ઞાયક નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. નિરાળો તો છે જ પણ પ્રગટ નિરાળો થઈ જાય છે.
તેને ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે પણ ગમે તે સંયોગમાં તેની જ્ઞાન-વૈરાગ્યશક્તિ કોઈ જુદી જ રહે છે. હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું, નિઃશંક જ્ઞાયક છું; વિભાવ ને હું કદી એક નથી થયા; જ્ઞાયક છૂટો જ છે, આખું બ્રહ્માંડ ફરે તોપણ છૂટો જ છે. — આવો અચળ નિર્ણય હોય છે. સ્વરૂપ-અનુભવમાં અત્યંત નિઃશંકતા વર્તે છે. જ્ઞાયક ઊંચે ચડીને — ઊર્ધ્વપણે બિરાજે છે, બીજું બધું નીચે રહી ગયું હોય છે. ૩૮૯.