૧૪૮
સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહ્લાદમય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનઘન પરમપદાર્થ — પરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યક્પણે દેખાતો — શ્રદ્ધાતો જ નથી, તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનની — ધર્મની શરૂઆત જ થતી નથી.
આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્ત્વજ્ઞાનનો — દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો — અભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર — મુગટમણિ જે શુદ્ધદ્રવ્યસામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય — જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છે — તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે