૧૬૪] [હું
સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે જ્યાં ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય...જાણક...જાણક...જાણક્
સ્વભાવી આત્મા છે ત્યાં અનંત ગુણ છે. પરમાં, શરીર, કર્મ કે રાગમાં આત્માનો કોઈ
ગુણ રહેલો નથી. આવું જાણનાર જ્ઞાનીને બહારમાં ક્યાંય સુખ લાગતું નથી.
સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તી છ-ખંડના અધિપતિ હોય, ૯૬૦૦૦ તો જેની રાણી હોય,
વૈભવનો કોઈ પાર ન હોય છતાં તેમાં ક્યાંય તેને સુખબુદ્ધિ નથી. જ્યાં સુખ નથી ત્યાં
સુખ માને એ તો મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. સમ્યગ્દ્રષ્ટિને પોતાના આત્મા સિવાય ક્યાંય
સુખબુદ્ધિ નથી. સમ્યગ્દ્રષ્ટિ ભલે ભોગ ભોગવતાં દેખાય પણ તેની દ્રષ્ટિ પોતાના
સ્વભાવના અતીન્દ્રિય સુખ સિવાય ક્યાંય સુખબુદ્ધિ કરતી નથી. એ દ્રષ્ટિમાં કેટલી
પુરુષાર્થની જાગૃતિ છે! દ્રષ્ટિ કહે છે કે મારા આત્મામાં આનંદ છે, ઈન્દ્રિયસુખને હું સુખ
માનતી જ નથી, એ તો દુઃખ છે, ઝેર છે, ઉપસર્ગ છે.
ધર્મી જીવ લૌકિક જ્ઞાન કે શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન નથી કહેતાં. પોતાના સ્વભાવનાં
અતીન્દ્રિય જ્ઞાનને જ જ્ઞાન કહે છે, અને અતીન્દ્રિય સુખને જ સુખ કહે છે. મનથી પાર,
રાગથી ભિન્ન, ઈન્દ્રિયથી અતીત-ઇન્દ્રિયાતીત જ્ઞાન અને સુખ છે તે જ વાસ્તવિક જ્ઞાન
અને તે જ વાસ્તવિક સુખ છે.
લોકો ધૂળ એવા ધનની પાછળ દોડે છે ને! તેમ ધર્મી પોતાનું ધન અંતરમાં દેખે ને
તેની પાછળ દોડે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય કે આઠ વર્ષની
બાલિકા હોય પણ તે પોતાના અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ધન પાછળ દોડે છે. અરે!
સમ્યગ્દ્રષ્ટિ દેડકું હોય કે હજાર જોજનનો મોટો મચ્છ હોય તે પણ એમ માને છે કે મારી
લક્ષ્મી મારી પાસે છે. પુણ્ય-પાપના ભાવમાં કે તેના ફળમાં મળતાં સંયોગોમાં મારું ધન નથી.
આમ શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની પરભાવના પરમ
ત્યાગી છે-સંન્યાસી છે, અને સહજાત્મસ્વરૂપની યથાર્થ પ્રતીતિ વિના બહારથી
સંયોગોનો ત્યાગ કરે છે તે ખરેખર ત્યાગ જ નથી.
મિથ્યાદ્રષ્ટિ શુભરાગમાં લાભ માને છે અને શરીરની ક્રિયાને ધર્મનું સાધન માને
છે ત્યારે સમ્યગ્દ્રષ્ટિ રાગને રોગ જાણે છે અને એ રોગને ટાળવાનો ઉપાય કરે છે.
અજ્ઞાની શરીરના રોગને પોતાનો રોગ જાણી તેને ટાળવાનો ઉપાય કરે છે ત્યારે
નીરોગ સ્વરૂપ આત્માની દ્રષ્ટિવાળા સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગને રોગરૂપ જાણીને તેને
ત્યાગવાનો ઉપાય કરે છે. શરીરાદિમાં મારાપણાની બુદ્ધિરૂપ સનેપાતનો રોગ આત્માને
લાગુ પડયો છે તેનું અજ્ઞાનીને ભાન નથી. જ્ઞાનીને એ રોગ નથી પણ પુણ્ય-પાપના
ભાવરૂપ ગુમડાં છે તેને ટાળવાનો જ્ઞાની પ્રયત્ન કરે છે.
આત્મા અતીન્દ્રિય આનંદની મોટી ખાણ છે. તેની દ્રષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા
કરતાં અનંત...અનંત...અનંત...અતીન્દ્રિય આનંદ બહાર આવે છે, અનુભવમાં આવે છે.
જેમ આત્મા જ્ઞાનમય છે તેમ અતીન્દ્રિય આનંદમય છે. આત્મા પુણ્ય-પાપ કે રાગમય
ત્રણકાળમાં નથી. ભાઈ! તું શરીરની તપાસ કરાવે છે પણ એકવાર તારા આત્માની
તપાસ કર કે તેમાં શું ભર્યું છે?