૨૩૪] [હું
[પ્રવચન નં. ૪પ]
સિદ્ધપદની પ્રાપ્તિનો એક માત્ર ઉપાયઃ
નિજ–પરમાત્મદર્શન
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૭-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. તેમાં અહીં ૧૦૬ ગાથા ચાલે છે. આગળની
ગાથામાં પાંચ પરમેષ્ઠી અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર આદિ લક્ષણોથી પરમાત્માનું
સ્વરૂપ વર્ણવ્યું. હવે યોગીન્દ્રદેવ કહે છે કે એવા જે પરમાત્મા છે તેમાં અને આ દેહવાસી
જીવમાં કાંઈ ફેર નથી.
एव हि लक्खण–लखियउ जो परु णिक्कलु देउ ।
देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६।।
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬.
આત્મામાં કર્મના નિમિત્તનાં સંબંધમાં વિવિધતા-વિચિત્રતા પર્યાયમાં છે છતાં તે
દ્રષ્ટિને-લક્ષને બંધ રાખી, વસ્તુદ્રષ્ટિએ-દ્રવ્યસ્વભાવે અસલી ચૈતન્યબિંબ આત્મા
પરમાત્મા છે એમ સાધક જીવે વસ્તુની નિશ્ચયદ્રષ્ટિ કરવી.
વ્યવહારનયથી જીવની પર્યાયમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં જે અનેક
પ્રકારના ભેદો છે તેને જ્ઞાનમાં જાણવા. એ ભેદો પર્યાયમાં પણ નથી એમ નથી પણ
દ્રવ્યસ્વભાવમાં એ કોઈ ભેદો નથી. દ્રવ્યસ્વભાવે આત્મા પરમાત્મા જ છે એમ નિશ્ચય
કરવો. જે કાંઈ ભેદ દેખાય છે તે વ્યવહારથી છે પણ પરમાર્થ વસ્તુદ્રષ્ટિએ જોતાં વસ્તુમાં
એ કોઈ ભેદો નથી.
વ્યવહારના બધા ભેદોનો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને જેમ
સાધકજીવ પોતાને સ્વભાવે શુદ્ધ પરિપૂર્ણ જુએ છે તેમ દરેક જીવને શુદ્ધ પરિપૂર્ણ
પરમાત્મા તરીકે જોવા. કારણ કે સમભાવ એ જ મોક્ષનો ઉપાય છે. વસ્તુ એક જ્ઞાનઘન
શુદ્ધ જ છે એમ અંતરમાં જોવું, જાણવું અને અનુભવવું તે મોક્ષનો ઉપાય છે.
જે કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી છૂટીને પરભાવમાં આત્મપણાની
કલ્પના કરે છે એટલે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, શુદ્ધ આનંદકંદની દ્રષ્ટિ છોડીને
વર્તમાન અલ્પજ્ઞ-પરિણામ અને પુણ્ય-પાપના પરિણામમાં આત્મબુદ્ધિ કરે છે તે
સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે અને મિથ્યાત્વ, કષાયાદિને ગ્રહણ કરે છે.