પરમાત્મા] [૬૯
ઇન્દ્રોમાં એ વાત પ્રસિદ્ધ છે કે આત્મા જ પૂજ્ય છે. વ્યવહાર તરીકે વ્યવહાર છે, વ્યવહાર
નથી એમ નથી. પરંતુ વ્યવહારને નિશ્ચયથી પૂજ્યપણે સ્વીકારી લે તો એ વાત ખોટી
છે. ભગવાનને વંદન, નામ-સ્મરણ, પૂજા-ભક્તિનો શુભ રાગ હોય છે, વ્યવહાર હોય
છે પણ એ જાણવાલાયક છે, પૂજવાલાયક તો ખરેખર આત્મા છે.
ભક્તિવંત પ્રાણીના શુભભાવ એ કાળે એવા હોય છે પણ એ જાણવાલાયક છે.
વ્યવહારે તે આદરવાલાયક કહેવાય, નિશ્ચયથી તે આદરવાલાયક નથી. ત્રણ લોકના નાથ
સર્વજ્ઞદેવ વ્યવહારે પૂજ્ય છે, જાણવાલાયક છે, તેને કાઢી નાખે તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય!
ત્રણ લોકના નાથ પોતાને પૂજ્ય છે. સમવસરણમાં ઇન્દ્રો પણ સર્વજ્ઞદેવને પૂજે
છે ને? ભાઈ! વ્યવહારના લખણ જ એવા છે! વ્યવહારમાં પર પદાર્થનું લક્ષ હોય.
પરંતુ એ કાંઈ ખરેખર આત્મા નથી ને એ કાંઈ ખરેખર પૂજ્ય નથી. ભાઈ! એવા
વિકલ્પો હોય છે એ બંધનું કારણ છે, તોપણ એ આવ્યા વિના રહેતા નથી. કેમ?-કે
અબંધસ્વભાવી આત્મા પૂરણ અબંધપરિણામને ન પામે ત્યાં સુધી એવા ભાવ હોય.
તેથી વ્યવહાર છે ખરો, વ્યવહાર ન માને તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે અને જો વ્યવહારે
પૂજ્ય માની લ્યે તોપણ મિથ્યાદ્રષ્ટિ છે.
ત્રણ લોકના પ્રાણી જેમને ધ્યાવે છે, પૂજે છે, વંદે છે, તે જ પરમાત્મા પરમાર્થે
આત્મા છે. હું જ ત્રિલોક પૂજ્ય પરમાત્મા જિનેન્દ્ર છું એમ ભ્રાંતિ રહિતપણે જાણવું
જોઈએ. અરે ભાઈ સા’બ! હું કાંઈ ભગવાન હોઉં! પણ બાપુ! એવું જ વસ્તુસ્વરૂપ
છે. આવો શુદ્ધ ભગવાન આત્મા ત્રણલોકમાં પૂજ્યપુરુષોને પણ પૂજ્ય છે. ગણધરો
આદિ પૂજ્ય સંતો છે તેને પણ પૂજ્ય આત્મા છે. નમન કરવાલાયક જે મુનિઓ તેમને
પણ નમન કરવાલાયક આત્મા છે.
ત્રણ લોકમાં જેની સાથે કોઈ જોડ-સરખામણી કરી શકાય નહિ એવું
આદરવાલાયક અદ્વૈતતત્ત્વ પોતાનો ભગવાન જ પૂજ્ય છે, વંદનીય છે, માનવાલાયક છે,
આદરવાલાયક છે. આવા આત્માના બહુમાન ને શ્રદ્ધા-જ્ઞાન વિના જેટલા વ્રત-નિયમ-
તપસ્યા-પૂજા-ભક્તિ-દાન કરે, જાત્રાઓ કરે એ બધુંય ધર્મ માટે નથી, મોક્ષમાર્ગ માટે
નથી. સમ્મેદશિખરની એકવાર યાત્રા કરે એટલે બસ! અહીં તો કહે છે કે લાખ વાર
સમ્મેદશિખરની વંદના કરે તોપણ એકેય ભવ ઘટે નહિ અરે! સાક્ષાત્ ત્રણલોકના નાથ
અરિહંત પરમાત્માને કરોડવાર વંદન કરે તોપણ એકેય ભવ ઘટે નહિ! કેમ કે તે
પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના લક્ષે તો રાગ જ ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ?
જેને આત્મદ્રષ્ટિ નથી ને જેણે શુભ વિકલ્પમાં લાભ માન્યો છે, જેને ક્રિયાઓમાં
લાભ માન્યો છે, બીજાને ઉપદેશ દેવાથી લાભ માન્યો છે, અરે! ભગવાન અખંડાનંદનો
નાથ પ્રભુ પોતે તેના આશ્રય વિના જે કોઈ પણ વિકલ્પ ઊઠે તે મોક્ષના માર્ગની
કળામાં પ્રવેશ પામી શકતો નથી.