Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 249

 

background image
(૬)
દેવ-ગુરુના પરમ ભક્ત, કુમારબ્રહ્મચારી, સમયસાર આદિ અનેક ગહન
અધ્યાત્મશાસ્ત્રોના પારગામી, ચતુરનુયોગ-રહસ્યવેત્તા, સ્વાનુભવસ્યંદી ભાવશ્રુતલબ્ધિના
ધણી, સતતજ્ઞાનોપયોગી, વૈરાગ્યમૂર્તિ, નયાધિરાજ શુદ્ધનયની પ્રમુખતા સહ સમ્યક્
અનેકાન્તરૂપ અધ્યાત્મતત્ત્વના અસાધારણ ઉત્તમ વ્યાખ્યાનકાર અને આશ્ચર્યકારી
પ્રભાવના-ઉદયના ધારક અધ્યાત્મયુગસ્રષ્ટા મહાપુરુષ છે. તેમનાં આ પ્રવચનોનું
અવગાહન કરતાં જ અધ્યેતાને તેમનો ગાઢ અધ્યાત્મપ્રેમ, શુદ્ધાત્મ-અનુભવ, સ્વરૂપ
તરફ ઢળી રહેલી પરિણતિ, વીતરાગ-ભક્તિના રંગે રંગાયેલું ચિત્ત, જ્ઞાયકદેવના તળને
સ્પર્શનારું અગાધ શ્રુતજ્ઞાન અને સાતિશય પરમ કલ્યાણકારી અદ્ભુત વચનયોગનો
ખ્યાલ આવી જાય છે.
પૂજ્ય ગુરુદેવે અધ્યાત્મનવનીત સમા આ ‘યોગસાર’ ના પ્રત્યેક દોહરાને સર્વ
તરફથી છણીને એ સંક્ષિપ્ત દુહાસૂત્રના વિરાટ અર્થોને આ પ્રવચનોમાં ખોલ્યા છે. સૌને
અનુભવમાં આવ્યા હોય એવા ઘરગથ્થુ પ્રસંગોના અનેક ઉદાહરણો વડે, અતિશય સચોટ
છતાં સુગમ એવા અનેક ન્યાયો વડે અને પ્રકૃત-વિષયસંગત અનેક યથોચિત દ્રષ્ટાન્તો
વડે પૂજ્ય ગુરુદેવે ‘યોગસાર’ ના અર્થગંભીર સૂક્ષ્મ ભાવોને અતિશય સ્પષ્ટ અને
સરળ બનાવ્યા છે. જીવને કેવા ભાવ સહજ રહે ત્યારે જીવ-પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન
સમજાયું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયું ગણાય, ભૂતાર્થ
જ્ઞાયક નિજ ધ્રુવ તત્ત્વનો (અનેકાન્ત-સુસંગત) કેવો આશ્રય હોય તો દ્રવ્યદ્રષ્ટિ યથાર્થ
પરિણમી મનાય, કેવા કેવા ભાવ રહે ત્યારે સ્વાવલંબી પુરુષાર્થનો આદર, સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યાદિકની પ્રાપ્તિ થઈ કહેવાય-વગેરે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત
બાબતો, મનુષ્યજીવનમાં બનતા અનેક પ્રસંગોના સચોટ દાખલા આપીને, એવી સ્પષ્ટ
કરવામાં આવી છે કે આત્માર્થીને તે ને વિષયનું સ્પષ્ટ ભાવભાસન થઈ અપૂર્વ ગંભીર
અર્થો દ્રષ્ટિગોચર થાય અને તે, શુભભાવરૂપ બંધમાર્ગને વિષે મોક્ષમાર્ગની મિથ્યા
કલ્પના છોડી, શુદ્ધભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને સમજી, સમ્યક્ પુરુષાર્થમાં જોડાય. આ
રીતે ‘યોગસાર’ ના સ્વાનુભૂતિદાયક ઊંડા ભાવોને, સોંસરા ઊતરી જાય એવી
અસરકારક ભાષામાં અને અતિશય મધુર, નિત્ય-નવીન, વૈવિધ્યપૂર્ણ શૈલીથી અત્યંત
સ્પષ્ટપણે સમજાવી ગુરુદેવે આત્માર્થી જગત પર અનહદ ઉપકાર કર્યો છે. ‘યોગસાર’
ના અપભૃંશ-દોહરામાં છુપાયેલાં અણમૂલ તત્ત્વરત્નોનાં મૂલ્ય સ્વાનુભવવિભૂષિત
કહાનગુરુદેવે જગતવિદિત કર્યાં છે.
આ પરમ પુનિત પ્રવચનો સ્વાનુભૂતિના પંથને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશિત કરે
છે એટલું જ નહિ, પણ સાથે સાથે મુમુક્ષુજીવોના હૃદયમાં સ્વાનુભવની રુચિ અને
પુરુષાર્થ જાગ્રત કરી, કંઈક અંશે સત્પુરુષના પ્રત્યક્ષ ઉપદેશ જેવું ચમત્કારિક કાર્ય કરે છે.
આવી અપૂર્વ ચમત્કારિક શક્તિ પુસ્તકારૂઢ પ્રવચનવાણીમાં જવલ્લે જ જોવામાં આવે છે.
આ રીતે ‘યોગસાર’ શાસ્ત્રમાં નિહિત અધ્યાત્મતત્ત્વવિજ્ઞાનનાં ગહન રહસ્યો
અમૃતઝરતી વાણીમાં સમજાવી, સાથે સાથે શુદ્ધાત્મરુચિને જાગ્રત કરી, પુરુષાર્થને પ્રેરી,
પ્રત્યક્ષ સત્સમાગમની ઝાંખી