✾ જીવોની ચેતનાને બ્રÙની ચેતના માનવી ✾
વળી તેઓ કહે છે કે ‘‘માયા હોવાથી લોક ઉત્પન્ન થયો ત્યાં જીવોને જે ચેતના છે
તે તો બ્રહ્મસ્વરૂપ છે અને શરીરાદિક માયા છે; ત્યાં જેમ જળનાં ભરેલાં જુદાં જુદાં ઘણાં
પાત્રો છે તે સર્વમાં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું પડે છે પણ ચંદ્રમા તો એક છે, તેમ જુદાં
જુદાં ઘણાં શરીરોમાં બ્રહ્મનો ચૈતન્યપ્રકાશ જુદો જુદો હોય છે, પણ બ્રહ્મ તો એક છે. તેથી
જીવની ચેતના છે તે બ્રહ્મની જ છે.’’
એમ કહેવું પણ ભ્રમ જ છે. કારણ કે — શરીર જડ છે તેમાં બ્રહ્મના પ્રતિબિંબથી
ચેતના થઈ તો ઘટપટાદિ જડ છે તેમાં બ્રહ્મનું પ્રતિબિંબ કેમ ન પડ્યું? તથા તેમાં ચેતના
કેમ ન થઈ?
ત્યારે તે કહે છે કે — ‘‘શરીરને તો ચેતન કરતું નથી પણ જીવને કરે છે.’’
તેને પૂછીએ છીએ કે – જીવનું સ્વરૂપ ચેતન છે કે અચેતન? જો ચેતન છે તો ચેતનનું
ચેતન શું કરશે? તથા જો અચેતન છે તો શરીર, ઘટપટાદિ અને જીવની એક જાતિ થઈ?
વળી બ્રહ્મની અને જીવોની ચેતના એક છે કે જુદી? જો એક છે તો (બેઉમાં) જ્ઞાનનું વધતા –
ઓછાપણું કેમ દેખાય છે? તથા તે જીવો પરસ્પર એકબીજાની વાતને જાણતા નથી તેનું શું
કારણ? તું કહીશ કે — ‘‘એ ઘટઉપાધિનો ભેદ છે’’ તો ઘટઉપાધિ થતાં તો ચેતના ભિન્નભિન્ન
ઠરી. વળી ઘટઉપાધિ મટતાં તેની ચેતના બ્રહ્મમાં મળશે કે નાશ થઈ જશે? જો નાશ થઈ
જશે તો આ જીવ અચેતન રહી જશે. તથા જો તું કહીશ કે — જીવ જ બ્રહ્મમાં મળી જાય
છે તો ત્યાં બ્રહ્મમાં મળતાં જીવનું અસ્તિવ રહે છે કે નથી રહેતું? જો તેનું અસ્તિત્વ રહે
છે તો એ રહ્યો અને તેની ચેતના તેનામાં રહી, તો બ્રહ્મમાં શું મળ્યું? તથા જો અસ્તિત્વ
નથી રહેતું તો તેનો નાશ થયો પછી બ્રહ્મમાં કોણ મળ્યું? તું કહીશ કે ‘‘બ્રહ્મની અને જીવની
ચેતના જુદી જુદી છે’’ તો બ્રહ્મ અને સર્વ જીવો પોતે જ જુદા જુદા ઠર્યા. એ પ્રમાણે જીવોની
ચેતના છે તે બ્રહ્મની છે એમ પણ બનતું નથી.
✾ શરીરાદિકનું માયારુપ થવું ✾
વળી તું શરીરાદિકને માયાના કહે તો ત્યાં માયા જ હાડમાંસાદિરૂપ થાય છે કે માયાના
નિમિત્તથી અન્ય કોઈ હાડમાંસાદિરૂપ થાય છે? જો માયા જ થાય છે તો માયાને વર્ણ – ગંધાદિક
પહેલાંથી જ હતાં કે નવીન થયાં? જો પહેલાંથી જ હતાં તો પહેલાં તો માયા બ્રહ્મની હતી
અને બ્રહ્મ પોતે અમૂર્તિક છે. ત્યાં વર્ણાદિક કેવી રીતે સંભવે? તથા જો નવીન થયાં કહે તો
અમૂર્તિક મૂર્તિક થયો, એટલે અમૂર્તિક સ્વભાવ શાશ્વત ન ઠર્યો? કદાચિત્ એમ કહીશ કે –
‘‘માયાના નિમિત્તથી અન્ય કોઈ એ રૂપ થાય છે.’’ તો અન્ય પદાર્થ તો તું ઠરાવતો જ નથી
તો એ રૂપ થયું કોણ?
૧૦૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક