રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ][ ૩૪૯
હવે સવિકલ્પદ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએઃ —
તે સમ્યગ્દ્રષ્ટિ કદાચિત્ સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે ત્યાં પ્રથમ સ્વ – પરનું
ભેદવિજ્ઞાન (વિવેક) કરે; નોકર્મ, ભાવકર્મરહિત કેવળ ચૈતન્યચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ જાણે,
પછી પરનો વિચાર પણ છૂટી જાય, અને કેવલ સ્વાત્મવિચાર જ રહે છે; ત્યાં નિજસ્વરૂપમાં
અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું,’ ઇત્યાદિ વિચાર થતાં
સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ (ઉલ્લસિત) થાય છે, ત્યાર પછી એવા વિચારો તો છૂટી
જાય, કેવલ ચિન્માત્રસ્વરૂપ ભાસવા લાગે; ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે
છે. દર્શન
– જ્ઞાનાદિકના વા નય – પ્રમાણાદિકના વિચાર (વિકલ્પ) પણ વિલય થઈ જાય.
સવિકલ્પ વડે જે ચૈતન્યસ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્ય – વ્યાપકરૂપ થઈ એવો
પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા – ધ્યેયપણું દૂર થઈ જાય. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા
નયચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છેઃ —
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण ।
णो आराहणसमये पच्चक्खोअणुहवो जह्मा ।।२६६।।
અર્થઃ — તત્ત્વના અવલોકન (અન્વેષણ) સમયે અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિ અર્થાત્ નય –
પ્રમાણવડે પહેલાં જાણે, પછી આરાધન સમય જે અનુભવકાળ છે તેમાં નય – પ્રમાણ છે નહિ,
કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે.
જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં
આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ જ છે. એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ
અનુભવ થાય છે.
વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી
સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું; કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ
છે તેથી એક કાળમાં એક જ્ઞેયને જ જાણે છે, તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને
જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા
છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. – એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું.
વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું.
એવું વર્ણન સમયસારની ટીકા – આત્મખ્યાતિમાં છે તથા આત્મઅવલોકનાદિમાં છે,
એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇંદ્રિયોનો ધર્મ તો
એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણે, તે અહીં નથી અને મનનો ધર્મ એ છે કે તે અનેક
વિકલ્પ કરે, તે પણ અહીં નથી; તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન
હવે અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ.