૧૭૪ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– ભાવના વખતે પારિણામિકભાવ ધ્યાન કરવા યોગ્ય છે અર્થાત્ ધ્યેય છે. ધ્યેયભૂત દ્રવ્યરૂપ જે શુદ્ધપારિણામિકભાવ છે તે ત્રિકાળ રહે છે તેથી તે ધ્યાન કરવા યોગ્ય છે.
ર. પ્રશ્નઃ– પારિણામિકભાવના આશ્રયે જે ધ્યાન થાય છે તે ધ્યાન ભાવના સમયે ધ્યેય કેમ નથી?
ઉત્તરઃ– તે ધ્યાન પોતે પર્યાય છે તેથી વિનશ્વર છે, પર્યાયના લક્ષે શુદ્ધ અવસ્થા પ્રગટે નહિ, માટે તે ધ્યેય નથી.
૩. પ્રશ્નઃ– શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિકભાવ બે પ્રકારના નથી પણ પારિણામિકભાવ શુદ્ધ જ છે એમ કહેવું તે બરાબર છે?
ઉત્તરઃ– ના, તે બરાબર નથી, જો કે સામાન્યરૂપે (-દ્રવ્યાર્થિકનયે અગર ઉત્સર્ગ કથનથી) પારિણામિકભાવ શુદ્ધ છે તોપણ વિશેષરૂપે (પર્યાયાર્થિકનયે અગર અપવાદ કથનથી) અશુદ્ધપારિણામિકભાવ પણ છે. આ કારણે जीवभव्याभव्यत्वानि च એવા આ અધ્યાયના સાતમા સૂત્રથી પારિણામિકભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા ત્રણ પ્રકારનો કહ્યો છે, તેમાંથી શુદ્ધ ચૈતન્યરૂપ જે જીવત્વ છે તે અવિનાશી શુદ્ધ દ્રવ્યાશ્રિત છે, તેથી તેને શુદ્ધદ્રવ્યાશ્રિત નામનો શુદ્ધપારિણામિકભાવ જાણવો; અને (દશ પ્રકારના દ્રવ્યપ્રાણોથી ઓળખાતું જે જીવત્વસ્વરૂપ છે તે) જીવત્વ, ભવ્યત્વ તથા અભવ્યત્વ એ ત્રણ પ્રકારો પર્યાયાશ્રિત છે તે કારણે તેને પર્યાયાર્થિક નામના અશુદ્ધ પારિણામિકભાવો જાણવા.
૪. પ્રશ્નઃ– એ ત્રણ ભાવોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે? ઉત્તરઃ– એ અશુદ્ધપારિણામિકભાવ વ્યવહારથી સાંસારિક જીવોમાં છે તોપણ ‘सव्वे सुद्धा हु सुद्धणया’ અર્થાત્ સર્વે જીવો શુદ્ધનયે શુદ્ધ છે, તેથી એ ત્રણ ભાવો શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ કોઈ જીવને નથી (મુક્ત જીવોને તો તે સર્વથા જ નથી). સંસારી જીવોમાં પર્યાયઅપેક્ષાએ અશુદ્ધત્વ છે.
પ. પ્રશ્નઃ– આ શુદ્ધ અને અશુદ્ધ પારિણામિકભાવોમાંથી ક્યો ભાવ ધ્યાન સમયે ધ્યેયરૂપ છે?
ઉત્તરઃ– જે દ્રવ્યરૂપ શુદ્ધ પારિણામિકભાવ છે તે અવિનાશી છે તેથી તે ધ્યેયરૂપ છે, અર્થાત્ તે ત્રિકાળી શુદ્ધપારિણામિકભાવના લક્ષે શુદ્ધ અવસ્થા પ્રગટે છે.