ભૂમિકા
આ શાસ્ત્ર શરૂ કરતાં આચાર્ય ભગવાને પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં જણાવ્યું કે, સાચા સુખનો એક જ માર્ગ છે, અને તે માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની એકતા છે. ત્યાર પછી તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું; પછી સાત તત્ત્વો જણાવ્યાં; તે તત્ત્વોમાં પહેલું જીવતત્ત્વ છે તેની સમજણ બીજા ત્રીજા અને ચોથા અધ્યાયોમાં આપી.
બીજું અજીવતત્ત્વ છે, તેનું જ્ઞાન આ પાંચમા અધ્યાયમાં કરાવવામાં આવ્યું છે. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પાંચ ‘અજીવ’ દ્રવ્યો’ છે એમ જણાવ્યા પછી તેને ઓળખવા માટે તેમનાં ખાસ લક્ષણો તથા તેમનાં ક્ષેત્રો બતાવ્યાં છે. જીવ સહિત છ દ્રવ્યો છે એમ જણાવીને દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય, અવસ્થિત તથા અનેકાંત વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે.
ઈશ્વર આ જગતનો કર્તા છે એવી માન્યતા ભ્રમ ભરેલી છે; જગતનાં બધાં દ્રવ્યો પોતાથી સત્ છે, કોઈએ તેમને બનાવ્યાં નથી; આમ બતાવવા માટે ‘सत् द्रव्य लक्षणं’ ‘દ્રવ્યનું લક્ષણ સત્ છે’ એમ ૨૯ મા સૂત્રમાં કહ્યું. જગતના બધા પદાર્થો ટકીને ક્ષણે ક્ષણે પોતામાં જ પોતાની અવસ્થા પોતે પોતાથી બદલ્યા કરે છે; આમ સત્નું સ્વરૂપ બતાવવા માટે ૩૦ મું સૂત્ર કહ્યું. દરેક વસ્તુ દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે; એમ બતાવવા માટે, ‘ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે’ એવું દ્રવ્યનું બીજું લક્ષણ ૩૮ મા સૂત્રમાં કહ્યું છે. દરેક દ્રવ્ય પોતે પોતાથી પરિણમે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; આમ બતાવવા માટે ૪૨ મું સૂત્ર કહ્યું છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, પણ તે એક સાથે કહી શકાતું નથી તેથી કથનમાં મુખ્ય-ગૌણપણું આવે છે; આમ ૩૨ મા સૂત્ર માં બતાવ્યું. આ રીતે ઘણા ઉપયોગી સિદ્ધાંતો આ અધ્યાયમાં લેવામાં આવ્યા છે.
આ અધ્યાય માં सद्द्रव्यलक्षणम्; उत्पादव्ययध्रव्ययुक्तं सत्ः गुणपर्यायवत् द्रव्यंः अर्पितानर्पित सिद्धेः અને तद्भावः परिणामः એ પાંચ (૨૯, ૩૦, ૩૮, ૩૨, અને ૪૨) સૂત્રો વસ્તુસ્વરૂપના પાયારૂપ છે-વિશ્વધર્મના પાયારૂપ છે. આ અધ્યાય સિદ્ધ કરે છે કે, સર્વજ્ઞ સિવાય બીજું કોઈ જીવ અને અજીવનું સત્યસ્વરૂપ કહી શકે નહી. જીવ