ભયમૂલક હોતી નથી પણ અંતરંગ આત્મિક વેદનથી થતી પરમ પરિતૃપ્તિને લીધે સહજાનંદમય હોય છે — કે જે સહજાનંદ પાસે સંસારીઓનાં કનકકામિનીજનિત કલ્પિત સુખો કેવળ ઉપહાસપાત્ર અને ઘોર દુઃખમય ભાસે છે. ખરેખર મૂર્તિમંત મુનિપરિણતિ સમી આ ટીકા મોક્ષમાર્ગે વિહરતા મુનિવરોની સહજાનંદમય પરિણતિનો તાદ્દશ ચિતાર આપે છે. આ કાળે આવી યથાર્થ આનંદનિર્ભર મોક્ષમાર્ગની પ્રકાશક ટીકા મુમુક્ષુઓને સમર્પિત કરીને ટીકાકાર મુનિવરે મહા ઉપકાર કર્યો છે.
શ્રી નિયમસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૧૮૭ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી પદ્મપ્રભમલધારિદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. બ્રહ્મચારી શ્રી શીતલપ્રસાદજીએ મૂળ ગાથાઓનો તથા ટીકાનો હિંદી અનુવાદ કર્યો છે. વિ. સં. ૧૯૭૨માં શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય તરફથી પ્રકાશિત હિંદી નિયમસારમાં મૂળ ગાથાઓ, સંસ્કૃત ટીકા અને બ્ર૦ શીતલપ્રસાદજીકૃત હિંદી અનુવાદ પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી નિયમસારમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત ટીકા અને તે ગાથા- ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય દ્વારા પ્રકાશિત નિયમસારમાં છપાયેલી સંસ્કૃત ટીકામાં જે અશુદ્ધિઓ હતી તેમાંથી ઘણી અશુદ્ધિઓ હસ્તલિખિત પ્રતોના આધારે આમાં સુધારી લેવામાં આવી છે. હજુ પણ આમાં કોઈ કોઈ સ્થળોએ અશુદ્ધ પાઠ હોય એમ લાગે છે પરંતુ અમને મળેલી ત્રણ હસ્તલિખિત પ્રતોમાંથી શુદ્ધ પાઠ નહિ મળવાને લીધે તે અશુદ્ધિઓ સુધારી શકાઈ નથી. અશુદ્ધ પાઠોનો અનુવાદ કરવામાં ખાસ કાળજી રાખવામાં આવી છે અને પૂર્વાપર કથન તેમ જ ન્યાય સાથે વધારેમાં વધારે બંધબેસતો લાગે એવો તે પાઠોનો અનુવાદ કર્યો છે.
આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. પરમોપકારી સદ્ગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા ક્યાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા ક્યાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ- ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ — તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જ – યથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું હતું અને જેમની