એક અવાજ સંભળાયો, જાણે કે વર્ષાકાળનો મેઘ જ ગર્જ્યો. તેનાથી આખી સેના
ભયભીત થઈ ગઈ અને સેનાના હાથી જે વૃક્ષો સાથે બાંધ્યા હતા તે બંધન તોડાવવા
લાગ્યા, કાન ઊંચા કરીને અશ્વો હણહણવા લાગ્યા. ત્યારે રાવણે કહ્યું કે આ શું છે? આ
મરવા માટે આપણા ઉપર કોણ ચડી આવ્યું? આ વૈશ્રવણ આવ્યો અથવા ઇન્દ્રનો
પ્રેરાઈનો સોમ આવ્યો અથવા આપણને નિશ્ચળ રહેલા જોઈને કોઈ બીજો શત્રુ આવ્યો?
પછી રાવણની આજ્ઞા મેળવીને સેનાપતિ પ્રહસ્ત તે તરફ જોવા ગયો. તેણે પર્વતના
આકાર જેવો મદોન્મત્ત, અનેક લીલા કરતો એક હાથી જોયો.
પોતાની પ્રશંસા પોતે કરવી યોગ્ય નથી, હું આ હાથીને ક્ષણમાત્રમાં વશ કરીશ. એમ
કહીને તેણે પુષ્પક વિમાનમાં બેસીને હાથીને જોયો. તે સારાં સારાં લક્ષણોવાળો,
ઇન્દ્રનીલમણિ સમાન અતિસુંદર હતો. તેનું શરીર શ્યામ, તેનું તાળવું કમળ સમાન લાલ,
તેનાં નેત્ર મનોહર, ઉજ્જવળ અને ગોળ હતા, દાંત સાત હાથ ઊંચા, નવ હાથ પહોળા,
કાંઈક પીળાશ પડતા હતા. પીઠ સુંદર, આગલું અંગ ઊંચું, પૂંછડું લાંબું, સૂંઢ મોટી, નખ
અત્યંત સ્નિગ્ધ, કુંભસ્થળ ગોળ અને કઠોર, ચરણ પ્રબળ અને મદઝરતો, જેના મદની
સુગંધથી જેની ઉપર ભમરા ગુંજારવ કરતા હતા, દુંદુભિ-વાજાના ધ્વનિ જેવી ગર્જના
કરતો, તાડવૃક્ષના પત્ર સમાન કાન હલાવતો; મન અને નેત્રોને હરતી સુંદર લીલા કરતા
હાથીને રાવણે જોયો. તેને જોઈને રાવણ ખૂબ પ્રસન્ન થયો. હર્ષથી રોમાંચ ખડાં થઈ
ગયાં. પછી તે પુષ્પક વિમાનમાંથી ઊતરીને, કમર મજબૂત બાંધી તેની આવળ જઈ શંખ
ફૂંકવા લાગ્યો. તેના શબ્દથી દશે દિશા અવાજથી ભરાઈ ગઈ. શંખનો ધ્વનિ સાંભળી
ચિત્તમાં ક્ષોભ પામી હાથી ગરજ્યો અને રાવણની સામે આવ્યો. રાવણે પોતાના
ઉત્તરાસનનો દડો બનાવીને શીઘ્ર જ હાથી તરફ ફેંક્યો. રાવણ ગજકેલિમાં પ્રવીણ હતો.
હાથી પેલા દડાને સૂંધવા લાગ્યો એટલે રાવણ આકાશમાં ઊછળીને હાથીના કુંભસ્થળ
ઉપર પડયો અને હાથની થપાટ મારી. હાથીએ તેને સૂંઢથી પકડવાનો પ્રયત્ન કર્યો એટલે
રાવણ અત્યંત ઝડપથી બેય દાંતની વચ્ચેથી નીચે સરકી ગયો, અનેક ક્રીડા કરીને દશમુખ
હાથીની પીઠ ઉપર ચડી ગયો. હવે હાથી વિનયી શિષ્યની જેમ ઊભો રહી ગયો. તે વખતે
આકાશમાં રાવણ ઉપર ફૂલોની વર્ષા થઈ અને દેવોએ જયજયકાર કર્યો. રાવણની સેના
ખૂબ હર્ષિત થઈ અને રાવણે હાથીનું નામ ‘ત્રૈલોક્યમંડન’ રાખ્યું. રાવણે હાથીની
પ્રાપ્તિનો મોટો ઉત્સવ કર્યો અને સમ્મેદશિખર પર્વત પર જઈ યાત્રા કરી. વિદ્યાધરોએ
નૃત્યુ ર્ક્યું. તે રાત્રે ત્યાં જ રહ્યા. પ્રભાત થયું, સૂર્ય ઊગ્યો તે જાણે દિવસે રાવણને મંગળ
કલશ દેખાડયો. પછી રાવણ પોતાના પડાવમાં આવ્યો, સિંહાસન ઉપર બેઠો અને સભામાં
હાથીની કથા કહેવા લાગ્યો.