અને ધન્ય છે આ તપનું બળ! હે ભગવાન! આપ યોગશક્તિથી ત્રણ લોકને અન્યથા
કરવા સમર્થ છો, ઉત્તમ ક્ષમાધર્મના યોગથી સર્વ પ્રત્યે દયાળુ છો, કોઈના ઉપર આપને
ક્રોધ નથી. હે પ્રભો! જેવું તપથી પૂર્ણથી મુનિને વિના પ્રયત્ને સામર્થ્ય પ્રગટે છે તેવું
ઇન્દ્રાદિકને પણ હોતું નથી. ધન્ય છે આપના ગુણ, ધન્ય છે આપનું રૂપ, ધન્ય આપની
કાંતિ, ધન્ય આપનું આશ્ચર્યકારી બળ, અદ્ભુત શીલ, અદ્ભુત તપ, ત્રણ લોકમાં જે
અદ્ભુત પરમાણુ છે તેનાથી સુકૃતનો આધાર આપનું શરીર બન્યું છે. જન્મથી જ
મહાબળવાન, સર્વ સામર્થ્યના ધારક આપે નવયૌવનમાં જ જગતની માયા છોડીને
પરમશાંતસ્વરૂપ અરહંતની દીક્ષા ગ્રહણ કરી છે એવું અદ્ભુત કાર્ય આપના જેવા
સત્પુરુષોથી જ બને છે. મેં પાપીએ આપના જેવા સત્પુરુષોનો અવિનય કર્યો અને
મહાપાપનો બંધ કર્યો છે. ધિક્કાર છે મારા મન, વચન, કાયાને! હું પાપી મુનિદ્રોહમાં
પ્રવર્ત્યો, જિનમંદિરનો અવિનય ર્ક્યો. આપના જેવા પુરુષરત્ન અને મારા જેવા દુર્બુદ્ધિ
વચ્ચે સુમેરુ અને સરસવના દાણા જેટલું અંતર છે, મને મરતાને આજે આપે પ્રાણ આપ્યા
છે, આપ દયાળુ છો, અમારા જેવા દુષ્ટ દુર્જન ઉપર પણ ક્ષમા રાખો છો. આ પ્રમાણે બીજું
ઘણું કહ્યું. હું જિનવાણીનું શ્રવણ કરું છું, જાણું છું, દેખું છું કે આ સંસાર અસાર છે,
અસ્થિર છે, દુઃખસ્વભાવ છે, તો પણ હું પાપી વિષયોથી વિરક્ત થયો નહિ. ધન્ય છે તે
પુણ્યવાન મહાપુરુષો, જે અલ્પ સંસારી છે, મોક્ષના પાત્ર છે, જે તરુણ અવસ્થામાં
વિષયોને છોડી મુનિવ્રતને આચરે છે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી,
નમસ્કાર કરી, પોતાની નિંદા કરી, બહુ જ લજ્જિત થઈ મુનિની સમીપે જે જિનમંદિરો
હતાં તેમાં વંદના અર્થે પ્રવેશ્યો. ચંદ્રહાસ ખડ્ગને નીચે મૂકી પોતાની રાણીઓ સાથે
જિનવરનું પૂજન કરવા લાગ્યો, ભુજામાંથી નસરૂપ તાંતા કાઢીને વીણાની જેમ વગાડવા
લાગ્યો, ભક્તિમાં પૂર્ણ ભાવ રાખીને, સ્તુતિ કરી, જિનેન્દ્રના ગુણાનુવાદ ગાવા લાગ્યોઃ હે
દેવાધિદેવ! લોકાલોકના જોનાર આપને નમસ્કાર હો. આપનું તેજ લોકને ઓળંગી જાય
છે. હે કૃતાર્થ મહાત્મા! નમસ્કાર. ત્રણે લોકે આપની પૂજા કરી છે. જેમણે મોહના વેગનો
નાશ કર્યો છે, આપ વચનથી અગોચર છો, ગુણોના સમૂહના ધારક છો, મહાઐશ્વર્યથી
મંડિત છો, મોક્ષમાર્ગના ઉપદેશક છો, સુખની ઉત્કૃષ્ટતામાં પૂર્ણ છો, સમસ્ત કુમાર્ગથી દૂર
છો, જીવોને મુક્તિનું કારણ છો, મહાકલ્યાણનું મૂળ છો, સર્વ કર્મના સાક્ષી છો, ધ્યાન વડે
આપે પાપની ભસ્મ કરી નાખી છે, જન્મમરણ દૂર કરનાર છો, આપના ગુરુ કોઈ નથી,
આપ સર્વના ગુરુ છો, આપ કોઈને નમતા નથી, સર્વ વડે આપ નમસ્કાર યોગ્ય છો,
આદિઅંતરહિત, સર્વ રાગાદિક ઉપાધિથી શૂન્ય છો, સર્વના ઉપદેશક છો, દ્રવ્યાર્થિકનયથી
સર્વનિત્ય છે અને પર્યાયાર્થિકનયથી સર્વ અનિત્ય છે એવું કથન કરનાર છો, કોઈ એક
નયથી દ્રવ્યગુણ જુદા છે અને કોઈ એક નયથી દ્રવ્યગુણ અભેદ છે. આવું અનેકાન્ત
બતાવનાર જિનેશ્વર છો, સર્વરૂપ, એકરૂપ, ચિદ્રુપ, અરૂપ જીવોને મુક્તિ આપનાર એવા
આપને અમારા વારંવાર નમસ્કાર હો.