Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 660
PDF/HTML Page 161 of 681

 

background image
૧૪૦ બારમું પર્વ પદ્મપુરાણ
જેમ જેમ વધે છે તેમ તેમ તેની બુદ્ધિ ઘટતી જાય છે. તમે આ યોગ્ય વાત નથી કરી.
કહો, હું કોનાથી ઉતરતો છું? મારામાં કઈ વસ્તુની ખામી છે કે તમે આવાં કાયર વચનો
મને કહ્યાં? જે સુમેરુના પગમાં ચંદ્ર અને સૂર્ય પડતા હોય તે ઉત્તુંગ સુમેરુ બીજાઓને કેવી
રીતે નમે? જો તે રાવણ પુરુષાર્થમાં અધિક છે તો હું પણ તેનાથી અત્યંત અધિક છું,
અને દૈવ તેને અનુકૂળ છે એ વાત નિશ્ચયથી તમે ક્યાંથી જાણી? જો તમે એમ કહો કે
એણે ઘણા શત્રુઓને જીતી લીધા છે તો અનેક મૃગોને હણનારા સિંહને શું અષ્ટાપદ નથી
હણતો? હે પિતા! શસ્ત્રોના અથડાવાથી જ્યાં અગ્નિ ઉત્પન્ન થયો છે તેવા સંગ્રામમાં પ્રાણ
ત્યાગવા સારા, પરંતુ કોઈને સામે નમવું તે મહાપુરુષોને યોગ્ય નથી. પૃથ્વી ઉપર મારી
મશ્કરી થાય કે આ ઇન્દ્ર રાવણને નમ્યો, પોતાની પુત્રી આપીને મળ્‌યો, એ વાત તો તમે
વિચારી જ નથી. વિદ્યાધરપણામાં તે અને હું સરખા છીએ, પરંતુ બુદ્ધિ-પરાક્રમમાં તે મારી
બરાબર નથી. જેમ સિંહ અને શિયાળ બન્ને વનના નિવાસી છે, પરંતુ પરાક્રમમાં
શિયાળ-સિંહ બરાબર નથી. આમ તેણે પિતાને ગર્વભરેલાં વચનો કહ્યાં. પિતાની વાત
માની નહિ. પિતા પાસે વિદાય થઈને આયુધશાળામાં ગયો. ક્ષત્રિયોને હથિયાર અને
બખ્તર વહેંચવામાં આવ્યા, સિંધૂ રાગ ગવાવા લાગ્યો, અનેક પ્રકારના વાજિંત્રો વાગવા
લાગ્યાં, સેનામાં આવા અવાજો આવવા લાગ્યા કે હાથીને સજાવો, ઘોડા ઉપર પલાણ
નાખો, રથોને ઘોડા જોડો, તલવાર બાંધો, બખ્તર પહેરો, ધનુષ્યબાણ લ્યો, શિર પર ટોપ
પહેરી લ્યો, ઇત્યાદિ શબ્દો દેવ જાતિના વિદ્યાધરો બોલવા લાગ્યા. પછી યોદ્ધાઓ ગુસ્સામાં
આવી ગયા, ઢોલ વગાડવા લાગ્યા, હાથી ગર્જના કરવા લાગ્યા. ઘોડા હણહણવા લાગ્યા.
ધનુષ્યના ટંકાર થવા લાગ્યા. ચારણો બિરુદાવલી ગાવા લાગ્યાં. જગત શબ્દમય બની
ગયું, સર્વ દિશાઓ તલવાર અને તોમર, ધ્વજ, અને વાવટા, શસ્ત્રો અને ધનુષ્યથી
આચ્છાદિત થઈ ગઈ, સૂર્ય પણ આચ્છાદિત થઈ ગયો. રાજા ઇન્દ્રની સેનાના જે વિદ્યાધર
દેવ કહેવાતા તે બધા રથનૂપુરમાંથી બહાર નીકળ્‌યા. સર્વ સામગ્રી લઈને યુદ્ધના અનુરાગી
દરવાજે આવીને ભેગા થયા. પરસ્પર કહેવા લાગ્યા, રથ આગળ લે, મસ્ત હાથી આવ્યો
છે, હે મહાવત! હાથીને આ ઠેકાણેથી આઘે લઈ જા. હે ઘોડેસવાર! ઊભો કેમ રહ્યો છે,
ઘોડાને આગળ લે. આ પ્રમાણે વચનાલાપ કરતાં દેવો શીઘ્ર બહાર નીકળી ગયા.
રાક્ષસોની સામે આવી ગયા. રાવણ અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. દેવોએ રાક્ષસોની
સેનાને થોડી હઠાવી એટલે રાવણના યોદ્ધા વજ્રવેગ, હસ્ત, પ્રહસ્ત, મારિચ, ઉદ્ભવ,
વજ્રવક્ર, શુક્ર, ઘોર, સારન, ગગનોજ્જવલ, મહાજઠર, મધ્યાભ્રક્રૂર ઈત્યાદિ અનેક વિદ્યાધર
રાક્ષસવંશી યોદ્ધાઓ વિવિધ પ્રકારનાં વાહનો પર બેસીને દેવો સાથે લડવા લાગ્યા. તેમના
પ્રભાવથી ક્ષણમાત્રમાં દેવોની સેના પાછી હઠી. તે વખતે ઇન્દ્રના મેઘમાલી, તડિત્પિંગ,
જ્વલિતાક્ષ, અરિ-સંજવર, પાવકસ્યંદન ઇત્યાદિ મોટા મોટા દેવ યોદ્ધાઓએ શસ્ત્રો
ચલાવીને રાક્ષસોને દબાવ્યા. તે કંઈક શિથિલ થઈ ગયા ત્યાં મોટાં રાક્ષસોએ તેમને
ધીરજ આપી. રાક્ષસવંશી મહાસામંતોએ પ્રાણ ત્યજ્યા પણ શસ્ત્ર ન છોડયાં. રાક્ષસોના
મહાન મિત્ર વાનરવંશી