Padmapuran (Gujarati). Parva 30 - Bhamandalno melap.

< Previous Page   Next Page >


Page 272 of 660
PDF/HTML Page 293 of 681

 

background image
૨૭૨ ત્રીસમું પર્વ પદ્મપુરાણ
વ્યાખ્યાન, છ કાળનું કથન, કુલકરોની ઉત્પત્તિ, અનેક પ્રકારના ક્ષત્રિયાદિના વંશો અને
સાત તત્ત્વ, નવ પદાર્થ, પાંચ અસ્તિકાયનું વર્ણન આચાર્યના મુખે સાંભળીને, સર્વ
મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ધર્મના અનુરાગથી પૂર્ણ નગરમાં આવ્યા,
જિનધર્મના ગુણોની કથા નિકટવર્તી રાજાઓને અને મંત્રીઓને કરી, સર્વને વિદાય કરી
મહેલમાં પ્રવેશ્યા. પછી લક્ષ્મીતુલ્ય, કાંતિથી સંપૂર્ણ ચંદ્રમા સમાન, સુંદર મુખવાળી, નેત્ર
અને મનને હરનારી, હાવભાવ વિલાસ વિભ્રમથી મંડિત, નિપુણ, પરમ વિનયવાળી
રાણીઓરૂપી કમળોની પંક્તિને રાજાએ સૂર્યની પેઠે પ્રફુલ્લિત કરી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં અષ્ટાહ્નિકાનું આગમન અને રાજા
દશરથના ધર્મશ્રવણનું વર્ણન કરનાર ઓગણત્રીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્રીસમું પર્વ
(ભામંડળનો મેળાપ)
મેઘના આડંબરયુક્ત વર્ષાકાળ વીતી ગયો, આકાશ ખડ્ગની પ્રભા સમાન નિર્મળ
થયું. પદ્મ, મહોત્પલ, ઈન્દિવરાદિ અનેક જાતનાં કમળો ખીલ્યાં, જે વિષયી જીવોને
ઉન્માદનાં કારણ છે, નદી-સરોવરાદિનાં જળ નિર્મળ થયાં, જેમ મુનિનું ચિત્ત નિર્મળ થાય
તેમ. ઇન્દ્રધનુષ અદ્રશ્ય થયાં. પૃથ્વી કાદવ વિનાની બની, શરદઋતુ જાણે કે કુમુદો
પ્રફુલ્લિત થવાથી હસતી હોય તેમ પ્રગટ થઈ. વીજળીના ચમકારાની સંભાવના મટી ગઈ.
સૂર્ય તુલા રાશિ ઉપર આવ્યો. શરદનાં શ્વેત વાદળાં ક્યાંક ક્યાંક નજરે પડતાં અને
ક્ષણમાત્રમાં વિલય પામતાં. નિશારૂપ નવોઢા સ્ત્રી સંધ્યાના પ્રકાશરૂપ મહાસુંદર લાલ
અધર ધરી, ચાંદનીરૂપ નિર્મળ વસ્ત્રો પહેરી, ચંદ્રમારૂપ ચૂડામણિ સાથે અત્યંત શોભતી
હતી. વાવ નિર્મળ જળથી ભરેલી હતી તે મનુષ્યોનાં મનને પ્રમોદ ઉત્પન્ન કરતી. ચકવા-
ચકવીનાં યુગલ ત્યાં કેલિ કરતાં હતા. મદોન્મત્ત સારસ અવાજ કરતા, કમળોના વનમાં
ભમતા રાજહંસ અત્યંત શોભતા હતા. સીતાનું ચિંતવન કરનાર ભામંડળને આ ઋતુ
સુહાવની લાગતી નહિ, પણ આખું જગત અગ્નિ સમાન ભાસતું. એક દિવસ આ
ભામંડળે લજ્જા છોડીને પિતાની આગળ વસંતધ્વજ નામના પોતાના પરમ મિત્રને કહ્યું કે
હે મિત્ર! તું દીર્ઘદર્શી છો અને બીજાના કાર્યમાં તત્પર છો. આટલા દિવસ થઈ ગયા તો
પણ તને મારી ચિંતા નથી. ભામંડળનાં અંગેઅંગ અરતિથી પીડિત છે. તેણે આગળ કહ્યું
કે હું વ્યાકુળતારૂપ થતો આશારૂપ સમુદ્રમાં ડૂબેલો છું. શું તમે મને મદદ નહિ કરો?
ભામંડળનાં આવાં આર્તધ્યાનયુક્ત વચનો સાંભળીને રાજસભામાં બધા લોકો પ્રભાવરહિત
વિષાદસંયુક્ત થઈ ગયા. તેમને મહાશોકમાં સંતાપિત થયેલા જોઈને ભામંડળે લજ્જાથી
મુખ નીચું નમાવી