જો, ક્યાં આ વન અને ક્યાં સીતા સાથે શ્રી રામનું અહીં આવવું ને ક્યાં અમારો
વનચર્યાનો અભિગ્રહ કે વનમાં શ્રાવકનો આહાર મળશે તો લેશું અને ક્યાં તારું અમને
જોઈને પ્રતિબુદ્ધ થવું? કર્મોની ગતિ વિચિત્ર છે, કર્મોની વિચિત્રતાથી જગતની વિચિત્રતા
છે. અમે જે અનુભવ્યું છે, સાંભળ્યું છે અને દેખ્યું છે તે કહીએ છીએ. પક્ષીને પ્રતિબોધ
પમાડવાનો રામનો અભિપ્રાય જાણીને સુગુપ્તિમુનિ પોતાના અને બીજા ગુપ્તિમુનિના
વૈરાગ્યનું કારણ કહેવા લાગ્યા. એક વારાણસી નગરી હતી. ત્યાં અચલ નામનો વિખ્યાત
રાજા હતો, તેની રાણી ગિરદેવી ગુણરૂપ રત્નોથી શોભતી હતી. તેને ત્યાં એક દિવસ
ત્રિગુપ્તિ નામના મુનિ, શુભ ચેષ્ટાના ધારક આહારાર્થે પધાર્યા. રાણીએ પરમશ્રદ્ધાથી
તેમને વિધિપૂર્વક આહાર આપ્યો. જ્યારે નિરંતરાય આહાર પૂરો થયો ત્યારે રાણીએ
મુનિને પૂછયું હે નાથ! આ મારો ગૃહવાસ સફળ થશે કે નહિ, અર્થાત્ મને પુત્ર થશે કે
નહિ? ત્યારે મુનિએ આ સંદેહ ટાળવા માટે આજ્ઞા કરી કે તારે બે વિવેકી પુત્રો થશે, તેને
આ પ્રમાણે ત્રિગુપ્તિ મુનિની આજ્ઞા થયા પછી અમે બે પુત્રો થયા. તેથી માતાપિતાએ
અમારાં નામ સુગુપ્તિ અને ગુપ્તિ રાખ્યા. અમે બન્ને રાજકુમાર લક્ષ્મીથી મંડિત, સર્વ
કળાના પારગામી, લોકોના પ્યારા, નાના પ્રકારની ક્રીડા કરતાં ઘરમાં રહ્યા હતા.
વિવાહ થયા ત્યારે તેમને ચિંતા થઈ કે કોઈ વાર આ સ્ત્રીના યોગથી અમારા બન્ને
ભાઈઓમાં જુદાપણું ન થાય. પછી શુભ કર્મના યોગથી સુકેતુ પ્રતિબુદ્ધ થઈ. અનંતવીર્ય
સ્વામીની સમીપે મુનિ થયો અને નાનો ભાઈ અગ્નિકેતુ ભાઈના વિયોગથી અત્યંત દુઃખી
થઈ વારાણસીમાં ઉગ્ર તાપસ થયો. પછી મોટો ભાઈ સુકેતુ, જે મુનિ થયો હતો તે નાના
ભાઈને તાપસ થયેલો જાણીને સંબોધન કરવાના હેતુથી આવવા તૈયાર થયો અને ગુરુની
આજ્ઞા માગી. ત્યારે ગુરુએ કહ્યું કે તું ભાઈને સંબોધવા ઇચ્છે છે તો આ વૃત્તાંત સાંભળ.
ત્યારે તેણે પૂછયું કે હે નાથ! ક્યો વૃત્તાંત? ગુરુએ કહ્યું કે તે તારી સાથે મતપક્ષનો
વિવાદ કરશે અને તમારો વાદ ચાલતો હશે ત્યારે ત્રણ સ્ત્રીઓ સાથે એક કન્યા ગંગાને
તીરે આવશે. તેનો વર્ણ ગોરો હશે, જાતજાતનાં વસ્ત્ર પહેરીને દિવસના પાછલા પહોરે તે
આવશે. ત્યારે તું આ ચિહ્નોથી જાણીને ભાઈને કહેજે કે આ કન્યાનું કેવું શુભ-અશુભ
હોનહાર છે, તે કહે. ત્યારે તે નિરાશ થઈને તને કહેશે કે હું તો જાણતો નથી, તમે
જાણતા હો તો કહો. ત્યારે તું કહેજે કે આ નગરમાં એક પ્રવર નામનો ધનવાન શ્રેષ્ઠી છે,
આ તેની રુચિરા નામની પુત્રી છે. તે આજથી ત્રીજા દિવસે મરીને કંબર ગ્રામમાં વિલાસ
નામના કન્યાના પિતાના મામાને ત્યાં બકરી થશે. તેને નાર મારી નાખશે, તે મરીને
ગાડર થશે. પછી ભેંસ અને ભેંસ મરીને તે જ વિલાસની વિધુરા નામની પુત્રી થશે.
ગુરુએ કહેલી આ વાત સાંભળીને અને ગુરુને પ્રણામ કરીને સુકેતુ તાપસીઓના
આશ્રમમાં આવ્યો. ગુરુએ