Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 362 of 660
PDF/HTML Page 383 of 681

 

background image
૩૬૨ ચુમાળીસમું પર્વ પદ્મપુરાણ
આત્મજ્ઞાન વડે વિષયવાસનાને રોકે તેમ રોકવા લાગ્યા. લક્ષ્મણનાં શસ્ત્રોથી વિદ્યાધરોનાં
શિર રત્નોનાં આભૂષણોથી મંડિત અને કુંડળથી શોભિત આકાશમાંથી ધરતી પર પડયાં,
જાણે કે આકાશરૂપ સરોવરનાં કમળ જ હોય! યોદ્ધા સાથે પર્વત સમાન હાથી પડયા અને
અશ્વો સાથે સામંત પડયા. ભયંકર અવાજ કરતા, હોઠ કરડતા, ઊર્ધ્વગામી બાણોથી
વાસુદેવ વાહનસહિત યોદ્ધાઓને પીડવા લાગ્યા. તે જ સમયે પુષ્પક વિમાનમાં બેસીને
રાવણ આવ્યો. શંબૂકને મારનાર પુરુષો પર તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો છે. તેણે
માર્ગમાં રામની સમીપે મહાસતી સીતાને રહેલી જોઈ અને તેને જોઈને અત્યંત મોહ
પામ્યો. સીતા તો જાણે સાક્ષાત્ લક્ષ્મી જ છે, તેને જોતાં રતિનું રૂપ પણ તેના જેવું ન
લાગે. ચંદ્ર સમાન સુંદર મુખ, બિંબફળ જેવા લાલ અધર, કેસરીની કટિ સમાન કટિ,
ચમકતાં ચંચળ કમળપત્ર સમાન લોચન અને ગજરાજના કુંભસ્થળનાં શિખર સમાન
સ્તન, નવયુવાન, સર્વ ગુણોથી પૂર્ણ, કાંતિના સમૂહથી યુક્ત જેનું શરીર છે, જાણે કામના
ધનુષની પણછ જ છે અને જેનાં નેત્ર કામનાં બાણ જ છે. જાણે કે નામકર્મરૂપ ચિત્રકારે
પોતાની ચપળતા નિભાવવા માટે સ્થિરતાપૂર્વક સુખેથી જેવી જોઈએ તેવી બનાવી છે,
જેને જોતાં રાવણની બુદ્ધિ હરાઈ ગઈ મહારૂપના અતિશયને ધરતી સીતાના અવલોકનથી
શંબૂકના હત્યારા પ્રત્યે જે ક્રોધ થયો હતો તે જતો રહ્યો અને સીતા પર રાગભાવ ઉત્પન્ન
થયો. ચિત્તની ગતિ વિચિત્ર છે. તે મનમાં ચિંતવવા લાગ્યો કે એના વિના મારું જીવન
કેવું? અને મારા ઘરમાં જે વૈભવ છે તેનો શો લાભ? આ અદ્ભુત રૂપ, અનુપમ
નવયૌવન! મને ખરદૂષણની સેનામાં આવેલો કોઈ ઓળખે તે પહેલાં આનું હરણ કરીને
લઈ જઉં. મારી કીર્તિ આખા લોકમાં ચંદ્રમા જેવી નિર્મળ ફેલાઈ ગઈ છે તેથી છુપી રીતે
લઈ જવાથી મલિન નહિ થાય. હે શ્રેણિક! અર્થી દોષને ગણતો નથી તેથી તેણે ગુપ્ત રીતે
લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ લોકમાં લોભ સમાન કોઈ બીજો અનર્થ નથી અને લોભમાં
પરસ્ત્રીના લોભ જેવો મહાઅનર્થ નથી. રાવણે અવલોકની વિદ્યાને વૃત્તાંત પૂછયો. તેના
કહેવાથી રાવણે એનું નામ, કુળ બધું જાણી લીધું. એકલા લક્ષ્મણ અનેક દુશ્મનો સાથે
લડવા યુદ્ધમાં ગયા છે, આ રામ છે અને આ એમની પત્ની સીતા છે. જ્યારે લક્ષ્મણ
ગયા ત્યારે રામને એમ કહીને ગયા હતા કે જો મને ભીડ પડશે તો હું સિંહનાદ કરીશ
ત્યારે તમે મારી મદદે આવજો. રાવણે વિચાર્યું કે હું તે સિંહનાદ કરું તો આ રામ
ધનુષબાણ લઈને ભાઈ પાસે જશે અને હું સીતાને જેમ પક્ષી માંસનો ટુકડો લઈ જાય
તેમ ઉપાડી જઈશ. વળી, આમણે ખરદૂષણના પુત્રને તો માર્યો જ હતો એન તેની સ્ત્રીનું
અપમાન કર્યું હતું તેથી તે શક્તિ આદિ શસ્ત્રોથી બેય ભાઈને મારશે જ, જેમ મહાપ્રબળ
નદીનો પ્રવાહ બેય કિનારાને તોડી પાડે છે. નદીના પ્રવાહની શક્તિ છૂપી નથી તેમ
ખરદૂષણની શક્તિ કોઈથી છૂપી નથી. બધા જ જાણે છે. આમ વિચાર કરીને મૂઢગતિ,
કામપીડિત રાવણ મરણ માટે સીતાના હરણનો વિચાર કરવા લાગ્યો, જેમ દુર્બદ્ધિ બાળક
વિષ લેવાનો ઉપાય કરે છે.
પેલી તરફ લક્ષ્મણ અને સેના સહિત ખરદૂષણ બેય વચ્ચે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે,