ચંદ્રમાને પ્રભારહિત કરી સૂર્યનો ઉદય થયો. કમળો ખીલ્યાં, પક્ષીઓ ઊડવા લાગ્યાં,
પ્રભાત થયું, ત્યારે પ્રાતઃક્રિયા વિભીષણાદિ રાવણના ભાઈ ખરદૂષણના શોકથી રાવણ
પાસે આવ્યા અને નીચું મુખ કરીને, આંસુ સારતાં જમીન પર બેઠા. ત્યારે પટની અંદર
શોકથી ભરેલી સીતાના રુદનનો અવાજ વિભીષણે સાંભળ્યો અને સાંભળીને કહેવા લાગ્યો
કે આ કોણ સ્ત્રી રુદન કરે છે? પોતાના સ્વામીથી વિખૂટી પડી છે, એના શોકસંયુક્ત
શબ્દો પ્રગટ દુઃખ દેખાડે છે. વિભીષણના આ શબ્દો સાંભળી સીતા અધિક રોવા લાગી,
સજ્જનને જોઈને શોક વધે જ છે. વિભીષણે પૂછયું કે બહેન! તું કોણ છે? સીતાએ
જવાબ આપ્યો કે હું રાજા જનકની પુત્રી, ભામંડળની બહેન, રામની રાણી, છું. દશરથ
મારા સસરા અને લક્ષ્મણ મારા દિયર છે તે ખરદૂષણ સાથે લડવા ગયા તેની પાછળ
મારા સ્વામી ભાઈને મદદ કરવા ગયા. હું વનમાં એકલી હતી તે વખતે લાગ જોઈને આ
દુષ્ટ ચિત્તવાળાએ મારું હરણ કર્યું. મારા પતિ મારા વિના પ્રાણત્યાગ કરશે. તેથી હે
ભાઈ! મને મારા પતિ પાસે તરત જ મોકલી દો. સીતાનાં આ વચન સાંભળી વિભીષણ
રાવણને વિનયથી કહેવા લાગ્યોઃ હે દેવ! આ પરનારી અગ્નિની જ્વાળા છે, આશીવિષ
સર્પની ફેણ સમાન ભયંકર છે. આપ શા માટે લાવ્યા, હવે તરત જ મોકલી દો. હે
સ્વામી! હું બાળબુદ્ધિ છું, પરંતુ મારી વિનંતી સાંભળો. આપે મને આજ્ઞા કરી હતી કે તું
યોગ્ય વાત અમને કહેતો રહે, તેથી આપની આજ્ઞાથી હું કહું છું. તારી કીર્તિરૂપ વેલીઓથી
બધી દિશા વ્યાપ્ત થયેલી છે, એવું ન બને કે અપયશરૂપ અગ્નિથી આ કીર્તિલતા ભસ્મ
થઈ જાય. આ પરદારાની અભિલાષા અયુક્ત, અતિભયંકર, મહાનિંદ્ય, બન્ને લોકનો નાશ
કરનારી છે, જેનાથી જગતમાં લજ્જા ઉત્પન્ન થાય અને ઉત્તમજનોથી ધિક્કર મળે છે. જે
ઉત્તમજન છે તેમના હૃદયને અપ્રિય એવું અનીતિ કાર્ય કદી પણ કર્તવ્ય નથી. આપ બધી
વાત જાણો છો, બધી મર્યાદા આપનાથી જ રહે છે, આપ વિદ્યાધરોના મહેશ્વર, આ બળતો
અંગારો શા માટે હૃદયમાં ચાંપો છો? જે પાપબુદ્ધિવાળો પરદારાને સેવે છે તે નરકમાં
પ્રવેશ કરે છે, જેમ લોઢાનો તપેલો ગોળો જળમાં પ્રવેશ કરે તેમ પાપી નરકમાં પડે છે.
વિભીષણના આ વચન સાંભળીને રાવણ બોલ્યો કે હે ભાઈ! પૃથ્વી પર જે સુંદર વસ્તુ
છે તેનો હું સ્વામી છું, બધી મારી જ વસ્તુ છે, પરવસ્તુ ક્યાંથી આવી? આમ કહીને
બીજી વાત કરવા લાગ્યો. પછી મહાનીતિનો જાણકાર મારિચ નામનો મંત્રી ક્ષણવાર પછી
કહેવા લાગ્યો કે જુઓ આ મોહકર્મની ચેષ્ટા, રાવણ જેવા વિવેકી સર્વ રીત જાણે છે અને
આવું કામ કરે? જે સર્વથા સુબુદ્ધિમાન પુરુષ છે તેમણે પ્રભાતમાં ઊઠતાં જ પોતાનું હિત-
અહિત વિચારવું જોઈએ, વિવેક ન ચૂકવો જોઈએ, આ પ્રમાણે નિરપેક્ષ થયેલો
મહાબુદ્ધિમાન મારિચ કહેવા લાગ્યો. ત્યારે રાવણે પાછો કાંઈ જવાબ ન આપ્યો, ઊઠીને
ઊભો થઈ ગયો, ત્રૈલોક્યમંડન હાથી પર બેસી સર્વ સામંતો સાથે ઉપવનમાંથી નગરમાં
ગયો. બરછી, તોમર, ચમર, છત્ર, ધ્વજા આદિ અનેક વસ્તુ જેમના હાથમાં છે એવા
પુરુષો આગળ ચાલ્યા જાય