પાછો ગયો. ત્યારે સુગ્રીવે વિચાર્યું કે ક્યો ઉપાય કરું તો ચિત્તની પ્રસન્નતા થાય. જેમ
નવો ચંદ્ર જોવાથી હર્ષ થાય છે. જો રાવણને શરણે જાઉં તો રાવણ મારું અને શત્રુનું
એકસરખું રૂપ જોઈને કદાચ મને જ મારી નાખે અથવા બન્નેને મારી સ્ત્રીને હરી જાય તે
કામાંધ છે, કામાંધનો વિશ્વાસ ન થાય. ગુપ્ત વાત, દોષ, અપમાન, દાનપુણ્ય, વિત્ત,
શૂરવીરતા, કુશીલ, મનનો સંતાપ; આ બધું કુમિત્રને ન કહેવાય, જો કહેવામાં આવે તો
ખતા ખાવી પડે. માટે સંગ્રામમાં જેણે ખરદૂષણને માર્યો છે તેના જ શરણે જાઉં. તે મારું
દુઃખ હરશે, કારણે કે જેના ઉપર દુઃખ પડયું હોય તે દુઃખીનાં દુઃખને જાણે. જેમને અવસ્થા
સમાન હોય તેમની જ વચ્ચે સ્નેહ થાય છે. સીતાના વિયોગનું સીતાના પતિને જ દુઃખ
ઉપજ્યું છે. આમ વિચારીને વિરાધિતની પાસે અત્યંત પ્રેમથી પોતાનો દૂત મોકલ્યો. તે દૂતે
જઈને સુગ્રીવના આગમનનો વૃત્તાંત વિરાધિતને કહ્યો. વિરાધિત તે સાંભળીને મનમાં
આનંદ પામ્યો અને વિચાર્યું કે મોટી નવાઈની વાત છે કે સુગ્રીવ જેવા મહારાજા મારી
સાથે પ્રેમ કરવાની ઇચ્છા કરે છે. મોટાના આશ્રયથી શું કામ ન થાય? મેં શ્રી રામ-
લક્ષ્મણનો આશ્રય કર્યો તેથી સુગ્રીવ જેવો પુરુષ મારી સાથે સ્નેહ રાખવા ચાહે છે. સુગ્રીવ
આવ્યો, મેઘની ગર્જના જેવા વાજિંત્રોના શબ્દો સંભળાવા લાગ્યા તે સાંભળીને
પાતાળલંકાના લોકો વ્યાકુળ બન્યા. ત્યારે લક્ષ્મણે વિરાધિતને પૂછયું કે વાજિંત્રોનો અવાજ
કોનો સંભળાય છે? ત્યારે અનુરાધાનો પુત્ર વિરાધિત કહેવા લાગ્યો કે હે નાથ! આ
વાનરવંશીઓનો અધિપતિ પ્રેમથી ભરેલો તમારી પાસે આવ્યો છે. કિહકંધાપુરના રાજા
સૂર્યરજનો પુત્ર, પૃથ્વી પર પ્રસિદ્ધ મોટો વાલી અને નાનો સુગ્રીવ છે. વાલીએ તો
રાવણને શિર ન નમાવ્યું અને બધો પરિગ્રહ છોડી, સુગ્રીવને રાજ્ય આપી મુનિ થયા.
સુગ્રીવ નિષ્કંટક રાજ્ય કરે છે. તેની સુતારા નામની સ્ત્રી સાથે ઇન્દ્ર શચિની સાથે રમે
તેમ સુગ્રીવ રમે છે. તેને ગુણરત્નોથી શોભાયમાન અંગ અને અંગત નામના પુત્રો છે,
જેમની કીર્તિ પૃથ્વી પર ફેલાઇ રહી છે; વિરાધિત આ વાત કરી રહ્યો છે ત્યાં સુગ્રીવ
આવી ગયો. રામ અને સુગ્રીવ મળ્યા. રામને જોઈને જેના નેત્રકમળ ખીલી ઊઠયાં છે
એવો સુગ્રીવ સુવર્ણના આંગણામાં બેઠા બેઠા અમૃત સમાન વાણીથી યોગ્ય વાતચીત
કરવા લાગ્યા. સુગ્રીવની સાથે જે વૃદ્ધ વિદ્યાધર છે તે રામને કહેવા લાગ્યો કે હે દેવ! આ
રાજા સુગ્રીવ કિહકંધાપુરનો ધણી, મહાબળવાન, ગુણવાન પુરુષોને પ્રિય છે. કોઈ એક દુષ્ટ
વિદ્યાધરે માયાથી એનું રૂપ ધારણ કરી એની સ્ત્રી સુતારા અને એનું રાજ્ય પડાવી
લેવાનો પ્રયત્ન કર્યો છે. આ વચન સાંભળી રામ મનમાં વિચારવા લાગ્યા કે આ કોઈ
મારા કરતાં પણ વધારે દુઃખી છે. એ બેઠો હોવા છતાં બીજો પુરુષ એના ઘરમાં આવીને
ઘૂસી ગયો છે. એની પાસે રાજવૈભવ છે, પરંતુ તે કોઈ શત્રુને રોકવામાં સમર્થ નથી.
લક્ષ્મણે સુગ્રીવના મંત્રી જામવંતને બધાં કારણ પૂછયાં. જામવંત સુગ્રીવના મન સમાન છે.
તે મુખ્ય મંત્રી અત્યંત વિનયથી કહેવા લાગ્યો કે હે નાથ! કામની ફાંસીથી ઘેરાયેલો તે
પાપી સુતારાના રૂપ પર મોહિત થયો,