ધરતી પર જ્યાં જશું ત્યાં મળશે, પરંતુ માતાપિતા અને ભાઈ ન મળે. હે સુગ્રીવ! તેં
તારી મૈત્રી મને ઘણી બતાવી, હવે તું તારા સ્થાનકે જા અને હે ભામંડળ! તમે પણ જાવ,
હવે મેં સીતાની પણ આશા છોડી છે અને જીવવાની આશા પણ છોડી છે, હવે હું ભાઈ
સાથે નિઃસંદેહપણે અગ્નિમાં પ્રવેશીશ. હે વિભીષણ! મને સીતાનો પણ શોક નથી અને
ભાઈનો પણ શોક નથી, પણ તારો ઉપકાર મારાથી કાંઈ ન થઈ શક્યો, એનો મારા
મનમાં ખટકો છે. જે ઉત્તમ પુરુષો છે તે પહેલાં જ ઉપકાર કરે, જે મધ્યમ પુરુષ છે તે
ઉપકાર પછી ઉપકાર કરે અને જે પાછળથી પણ ઉપકાર ન કરે તે અધમ પુરુષ છે. તેથી
તું તો ઉત્તમ પુરુષ છો, અમારા ઉપર ઉપકાર કર્યો, આવા ભાઈ સાથે વિરોધ કરીને
અમારી પાસે આવ્યો અને મારાથી તારો કાંઈ ઉપકાર થઈ શક્યો નહિ તેથી મને ઘણું
દુઃખ થાય છે. હે ભામંડળ, સુગ્રીવ! ચિતા રચો, હું ભાઈની સાથે અગ્નિમાં પ્રવેશ કરીશ,
તમે જે યોગ્ય લાગે તે કરો. આમ કહીને રામ લક્ષ્મણને સ્પર્શવા લાગ્યા. ત્યારે
મહાબુદ્ધિમાન જાંબુનદે તેમને રોકયા, હે દેવ! આ તમારા ભાઈ દિવ્યાસ્ત્રથી મૂર્ચ્છિત થયા
છે તેથી તેને અડો નહિ. એ સારા થઈ જશે, આમ બને છે. તમે ધીરજ રાખો, કાયરતા
છોડો, આપદા વખતે ઉપાય કરવો તે જ કાર્યકારી છે. આ વિલાપ ઉપાય નથી, તમે સુભટ
છો, તમારે વિલાપ કરવો યોગ્ય નથી, આ વિલાપ કરવો તે ક્ષુદ્ર લોકોનું કામ છે માટે
તમારા ચિત્તમાં ધૈર્ય ધારણ કરો, કોઈક ઉપાય હમણાં જ બનશે. આ તમારા ભાઈ
નારાયણ છે તે અવશ્ય જીવશે. અત્યારે એનું મૃત્યુ નથી, આમ કહીને બધા વિદ્યાધર
વિષાદરૂપ થયા અને લક્ષ્મણના અંગમાંથી શક્તિ નીકળે તેવો ઉપાય પોતાના મનમાં
વિચારવા લાગ્યા. આ દિવ્ય શક્તિ છે, એને કોઈ ઔષધથી દૂર કરવાને સમર્થ નથી અને
કદાચ સૂર્ય ઉગે તો લક્ષ્મણનું જીવવું કઠણ છે. આમ વારંવાર વિચારતા જેમને ચિંતા
ઉત્પન્ન થઈ છે એવા આ વિદ્યાધરો કમરબંધ આદિ બધું દૂર કરી અડધી ઘડીમાં ધરતી
શુદ્ધ કરી કપડાં અને પડાવ ઊભાં કર્યાં. સેનાની સાત ચોકી મૂકી. મોટા મોટા યોદ્ધા
બખ્તર પહેરી, ધનુષબાણ ધારણ કરી બહુ જ સાવધાનીથી ચોકી કરવા બેઠા. પ્રથમ
ચોકીમાં નીલ, બીજીમાં નલ હાથમાં ગદા લઈને, ત્રીજીમાં ત્રિશૂળ લઈને વિભીષણ, ચોથી
ચોકીમાં તીર બાંધીને મહાસાહસિક કુમુદ, પાંચમી ચોકીમાં બરછી લઈને સુષેણ બેઠા,
છઠ્ઠીમાં મહાદ્રઢભુજ સુગ્રીવ ઇન્દ્ર સરખા શોભાયમાન ભીંડપાલ લઈને બેઠા, સાતમી
ચોકીમાં તલવાર લઈને ભામંડળ બેઠા, પૂર્વના દ્વારે અષ્ટાપદી ધ્વજા જાણે મહાબલી
અષ્ટાપદ જ હોય તેવી શોભતી હતી, પશ્ચિમ દ્વારે જાંબુકુમાર વિરાજતા હતા, ઉત્તરના દ્વારે
મંત્રીઓના સમૂહ સહિત વાલીનો પુત્ર મહાબળવાન ચંદ્રમરીચ બેઠો. આ પ્રમાણે વિદ્યાધરો
રક્ષા કરવા બેઠા તે આકાશમાં નક્ષત્રમંડળની જેમ શોભતા હતા. વાનરવંશી મહાભટો
બધા દક્ષિણ દિશા તરફ રક્ષક તરીકે બેઠા. આ પ્રમાણે ચોકીનો પ્રયત્ન કરીને વિદ્યાધરો
રહ્યા, જેમને લક્ષ્મણના જીવનનો સંદેહ છે, જેમને પ્રબળ શોક છે, જીવોને કર્મરૂપ સૂર્યના
ઉદયથી ફળનો પ્રકાશ થાય