Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 480 of 660
PDF/HTML Page 501 of 681

 

background image
૪૮૦ સત્તોતેરમું પર્વ પદ્મપુરાણ
શરણાગતપાલક એવા તમે આવી અવસ્થા કેમ પામ્યા? મેં તમને હિતનાં વચન કહ્યાં તેને
તમે માન્યાં નહિ. આ કેવી દશા થઈ કે હું તમને ચક્રથી ભેદાઈને પૃથ્વી પર પડેલા જોઉં છું?
હે વિદ્યાધરોના મહેશ્વર! લંકેશ્વર! ભોગોના ભોક્તા, પૃથ્વી પર કેમ પોઢયા છો? આપનું
શરીર ભોગોથી લાલિત થયેલું છે, આ શય્યા આપના શયનને યોગ્ય નથી. હે નાથ! ઊઠો,
સુંદર વચન બોલનાર હું તમારો બાળક છું, મને કૃપાવચન કહો, હે ગુણાકર! કૃપાધાર! હું
શોકસમુદ્રમાં ડૂબી રહ્યો છું, તો મને હાથના ટેકાથી કેમ કાઢતા નથી? આ પ્રમાણે વિભીષણ
વિલાપ કરે છે, તેણે પોતાનાં શસ્ત્ર અને બખ્તર જમીન પર ફેંકી દીધાં છે.
જ્યાં રાવણના મૃત્યુના સમાચાર રણવાસમાં પહોંચ્યા ત્યાં બધી રાણીઓ આંસુની
ધારાથી ધરતી ભીંજવવા લાગી, આખુંય અંતઃપુર શોકથી વ્યાકુળ બન્યું, બધી રાણીઓ
પડતી-આખડતી લડાઈના મેદાન પર આવી. તેમના પગ ધ્રૂજે છે, તે સ્ત્રીઓ પતિને
ચેતનારહિત જોઈ તરત જ ધરતી પર પડી ગઈ. મંદોદરી, રંભા, ચંદ્રાનની, ચંદ્રમંડલા,
પ્રર્વરા, ઉર્વશી, મહાદેવી, સુંદરી, કમળાનના, રૂપિણી રૂક્મિણી, શીલા, રત્નમાળા, તનૂદરી,
શ્રીકાંતા, શ્રીમતી, ભદ્રા, કનકપ્રભા, મૃગાવતી, શ્રીમાલા, માનવી, લક્ષ્મી, આનંદા,
અનંગસુંદરી, વસુંધરા, તડિન્માલા, પદ્મા, પદ્માવતી, સુખાદેવી, કાંતિ, પ્રીતિ સંધ્યાવલી,
સુભા, પ્રભાવતી, મનોવેગા, રતિકાંતા, મનોવતી ઇત્યાદિ અઢાર હજાર રાણીઓ
પોતપોતાના પરિવાર સહિત અને સખીઓ સહિત અત્યંત શોકથી રુદન કરવા લાગી.
કેટલીક મોહથી મૂર્ચ્છા પામી. તેમને ચંદનનું જળ છાંટતાં, કરમાઈ ગયેલી કમલિની જેવી
લાગતી હતી. કેટલીક પતિના શરીરને વીંટળાઈ ગઈ, અંજનગિરિને વળગેલી સંધ્યા જેવી
દ્યુતિ ધરવા લાગી. કેટલીક મૂર્ચ્છામાંથી જાગીને પતિની સમીપે છાતી કૂટવા લાગી, જાણે કે
મેઘની પાસે વીજળી જ ચમકે છે, કેટલીક પતિનું મુખ પોતાના શરીરને અડાડતી વિહ્વળ
થઈ મૂર્ચ્છા પામી. કેટલીક વિલાપ કરે છેઃ હે નાથ! હું તમારા વિરહની અત્યંત કાયર છું,
મને છોડીને તમે ક્યાં ગયા? તમારા સ્વજનો દુઃખસાગરમાં ડૂબી રહ્યા છે તે તમે કેમ
જોતા નથી? તમે મહાબળવાન, પરમ જ્યોતિના ધારક, વિભૂતિમાં ઇન્દ્ર સમાન,
ભરતક્ષેત્રના ભૂપતિ, પુરુષોત્તમ, રાજાઓના રાજા, મનોરમ વિદ્યાધરોના મહેશ્વર શા હેતુથી
પૃથ્વી પર પોઢયા છો? ઊઠો હે કાંત! કરુણાનિધે! સ્વજનવત્સલ! અમને એક અમૃત
સમાન વચન સંભળાવો. હે પ્રાણેશ્વર પ્રાણવલ્લભ! અમે અપરાધરહિત તમારા પ્રત્યે
અનુરક્ત ચિત્ત ધરાવીએ છીએ, અમારા ઉપર તમે કેમ કોપ કરો છો કે અમારી સાથે
બોલતા જ નથી? પહેલાં જેમ પરિહાસનાં વચનો કહેતાં, તેમ હવે કેમ કહેતાં નથી?
તમારું મુખચંદ્ર, કાંતિરૂપ ચાંદનીથી મનોહર અને પ્રસન્ન જેમ પહેલાં અમને બતાવતા તેમ
અમને બતાવો અને આ તમારું વક્ષસ્થળ સ્ત્રીઓની ક્રીડાનું સ્થાન છે તેના ઉપર ચક્રની
ધારે કેમ પગ મૂકયો છે? વિદ્રુમ જેવા તમારા લાલ હોઠ હવે ક્રીડારૂપ ઉત્તર દેવા કેમ
સ્ફૂરતા નથી? અત્યારે સુધી ઘણી વાર થઈ, ક્રોધ કદી નથી કર્યો, હવે પ્રસન્ન થાવ, અમે
માન કરતી તો તમે અમને મનાવતા, રાજી કરતા. ઇન્દ્રજિત, મેઘવાહન સ્વર્ગમાંથી ચ્યવીને તમારે