Padmapuran (Gujarati). Parva 79 - Ram-Sitano melap.

< Previous Page   Next Page >


Page 488 of 660
PDF/HTML Page 509 of 681

 

background image
૪૮૮ ઓગણએંસીમું પર્વ પદ્મપુરાણ
મંદોદરી આર્યિકા થઈ તે દિવસે અડતાળીસ હજાર આર્યિકા થઈ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ અને
મંદોદરી આદિ રાણીઓના વૈરાગ્યનું વર્ણન કરનાર અઠ્ઠોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
ઓગણએંસીમું પર્વ
(રામ–સીતાનો મેળાપ)
ત્યારપછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! હવે શ્રી રામ-
લક્ષ્મણનો લંકામાં પ્રવેશ થયો તે વાત સાંભળ. વિમાનોના સમૂહ, હાથીઓની ઘટા, શ્રેષ્ઠ
તુરંગોનો સમૂહ, મકાન જેવા રથ, વિદ્યાધરો અને હજારો દેવ સાથે બન્ને ભાઈએ લંકામાં
પ્રવેશ કર્યો. તેમને જોઈ લોકો ખૂબ આનંદ પામ્યા. જન્માંતરના ધર્મનું ફળ પ્રત્યક્ષ જોવા
લાગ્યા. રાજમાર્ગ પર ચાલતા શ્રી રામ-લક્ષ્મણને નગરનાં નરનારીઓ અપૂર્વ આનંદથી
દેખે છે, સ્ત્રીઓ ઝરૂખાઓમાં બેસી જાળીમાંથી જુએ છે અને કૌતૂકથી પરસ્પર વાતો કરે
છેઃ હે સખી! જો આ રાજા રામ, દશરથના પુત્ર, ગુણરત્નની રાશિ, પૂર્ણિમાના ચંદ્ર સમાન
જેમનું મુખ છે, કમળ સમાન જેમનાં નેત્ર છે, પ્રશંસનીય જેમનો આકાર છે, અદ્ભુત
પુણ્યથી આ પદ મેળવ્યું છે, ધન્ય છે તે કન્યાને જેમણે આવા વર મેળવ્યા છે. જેણે આવો
વર મેળવ્યો તેણે લોકમાં કીર્તિનો સ્તંભ સ્થાપ્યો છે, જન્માંતરમાં જેમણે ધર્મનું આચરણ
કર્યું હોય તે જ આવો નાથ પામે. રાજા જનકની પુત્રી મહાકલ્યાણરૂપિણીએ જન્માંતરમાં
મહાન પુણ્ય ઉપાર્જ્યું છે તેથી તેને આવા પતિ મળ્‌યા, જેમ ઇન્દ્રને શચિ તેમ રામની
સીતા. અને આ વાસુદેવ લક્ષ્મણ ચક્રપાણિ શોભે છે, જેણે અસુરેન્દ્ર સમાન રાવણને
રણમાં હણ્યો. નીલકમળ સમાન કાંતિવાળા લક્ષ્મણ અને ગૌર કાંતિવાળા બળદેવ શ્રી
રામચંદ્ર પ્રયાગમાં ગંગા-યુમનાના પ્રવાહનો મેળાપ શોભે તેવા શોભે છે. આ રાજા
ચંદ્રોદયનો પુત્ર વિરાધિત છે, જેણે લક્ષ્મણ સાથે પ્રથમ મૈત્રી કરીને વિસ્તીર્ણ વિભૂતિ
મેળવી. આ રાજા સુગ્રીવ કિહકંધાપુરના સ્વામી મહાપરાક્રમી, જેમણે શ્રી રામદેવ સાથે
પરમ પ્રીતિ બતાવી અને આ સીતાનો ભાઈ ભામંડળ રાજા જનકનો પુત્ર, ચંદ્રગતિ
વિદ્યાધરનો પાલિત વિદ્યાધરોને ઇન્દ્ર છે. આ અંગદકુમાર રાજા સુગ્રીવનો પુત્ર. જેણે
રાવણને બહુરૂપિણી વિદ્યા સાધતી વખતે વિઘ્ન કર્યું હતું. અને હે સખી! આ હનુમાન
મહાસુંદર, ઉત્તુંગ હાથીના રથ પર ચડી પવનથી ચાલે છે, જેના રથ પર વાનરના
ચિહ્નની ધજા છે, જેને જોતાં રણભૂમિ પર શત્રુઓ નાસી જતા તે રાજા પવનનો
અંજનીના ઉદરથી ઉત્પન્ન થયેલો પુત્ર છે. તેણે લંકાના કોટ-દરવાજા તોડી પાડયા હતા.
સ્ત્રીઓ પરસ્પર આવી વાતો કરે છે. તેમનાં વચનોરૂપી પુષ્પોની માળાથી પૂજિત રામ
રાજમાર્ગે થઈને આગળ આવ્યા અને એક ચામર ઢાળનારી સ્ત્રીને પૂછયુંઃ અમારા વિરહના