Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 489 of 660
PDF/HTML Page 510 of 681

 

background image
પદ્મપુરાણ ઓગણએંસીમું પર્વ ૪૮૯
દુઃખથી તપ્ત ભામંડળની બહેન ક્યાં રહે છે? રત્નના ચૂડાની જ્યોતિથી જેની ભુજા
પ્રકાશમાન છે એવી તે સ્ત્રીએ આંગળીની સમસ્યાથી તે સ્થાન બતાવ્યું અને કહ્યુંઃ હે દેવ!
પુષ્પપ્રકીર્ણ નામના પર્વતનાં ઝરણાઓના જળથી જાણે કે હસી રહ્યું છે એવા નંદનવન
સમાન મનોહર વનમાં રાજા જનકની પુત્રી, જેનો પરિવાર કીર્તિ અને શીલ છે, તે રહે છે.
ચામર ઢાળનારી સ્ત્રીએ રામને આમ કહ્યું અને સીતાની સમીપે જે ઊર્મિકા
નામની સખી હતી તેણે આંગળી ચીંધીને સીતાને કહ્યું, હે દેવી! ચંદ્રમા સમાન છત્રવાળા,
ચંદ્ર-સૂર્ય સમાન કુંડળવાળા અને શરદનાં ઝરણાં સમાન હારવાળા પુરુષોત્તમ, તમારા
વલ્લભ શ્રી રામચંદ્ર આ આવ્યા. તમારા વિયોગથી જેમના મુખ પર અત્યંત ખેદ છે
એવા, હે કમળનેત્રી! દિગ્ગજની પેઠે તે આવી રહ્યા છે. પ્રથમ તો સીતાને આ વાત સ્વપ્ન
જેવી લાગી. પછી શ્રી રામ અતિઆનંદ ધારણ કરી જેમ મેઘપટલમાંથી ચંદ્ર નીકળે તેમ
હાથી પરથી ઊતરીને રોહિણીની નિકટ ચંદ્રમા આવે તેમ આવ્યા. ત્યારે સીતા નાથને
નિકટ આવેલા જોઈને અતિહર્ષભરી ઊભી થઈને સન્મુખ આવી. સીતાનું અંગ ધૂળથી
મલિન છે, વાળ વિખરાયેલા છે, હોઠ શ્યામ પડી ગયા છે, સ્વભાવથી જ કૃશ હતી અને
પતિના વિયોગથી અત્યંત કૃશ થઈ ગઈ છે. હવે પતિના દર્શનથી જેને હર્ષ ઉપજ્યો છે,
પ્રાણની આશા બંધાણી છે તે જાણે સ્નેહભરી શરીરની કાંતિથી પતિને મળે છે અને જાણે
નેત્રોની જ્યોતિરૂપ જળથી પતિને સ્નાન કરાવે છે. ક્ષણમાત્રમાં જેના શરીરનું લાવણ્ય
વધી ગયું છે તે હર્ષભર્યા નિશ્વાસથી જાણે અનુરાગનાં બીજ વાવે છે. તે રામનાં નેત્રોને
વિશ્રામની ભૂમિ છે, તેના પલ્લવ સમાન હસ્ત લક્ષ્મીના કરકમળને પણ જીતે છે,
સૌભાગ્યરૂપ રત્નોની ખાણ છે, સંપૂર્ણ ચંદ્ર સમાન જેનું વદન છે, ચંદ્ર કલંકવાળો છે અને
આ નિષ્કલંક છે, વીજળી સમાન કાંતિવાળી તે વીજળી જેવી ચંચળ નથી, નિશ્ચળ છે, તે
મુખરૂપ ચંદ્રિકાથી અતિ શોભા પામી. એ અદ્ભુત વાત છે કે કમળ તો ચંદ્રની જ્યોતિથી
ખીલે છે અને આનાં નેત્રકમળ મુખચંદ્રની જ્યોતિથી પ્રકાશે છે, તેનાં કલુષતારહિત ઉન્નત
સ્તન જાણે કામના કળશ છે એવી વિદેહની પુત્રીને નિકટ આવતી જોઈને કૌશલ્યાના પુત્ર
કથનમાં ન આવે એવો હર્ષ પામ્યા અને આ રતિ સમાન રમણી રમણને આવતા જોઈ
વિનયથી હાથ જોડી, જેનાં નેત્ર આંસુથી ભર્યાં છે એવી જેમ શચિ ઇન્દ્ર પાસે આવે, રતિ
કામની પાસે આવે, દયા જિનધર્મની નિકટ આવે, સુભદ્રા ભરતની નિકટ આવે તેમ સતી
સીતા રામની સમીપે આવી. ઘણા દિવસોના વિયોગથી રામે સેંકડો મનોરથ પછી નવીન
સંયોગ મેળવ્યો હોવાથી તેમનાં નેત્ર સજળ થઈ ગયાં ભુજબંધનથી શોભિત ભુજા વડે તે
પ્રાણપ્રિયાને મળ્‌યા, તેને હૃદય સાથે ચાંપીને સુખસાગરમાં મગ્ન થયા, હૃદયથી જુદી ન કરી
શક્યા, જાણે કે વિરહથી ડરે છે. તે નિર્મળ ચિત્તવાળી સીતા પ્રીતમના કંઠમાં પોતાની
ભુજફાંસી નાખી કલ્પવૃક્ષને વળગેલી કલ્પવેલી જેવી શોભતી હતી, બન્નેનાં અંગમાં
રોમાંચ થયાં, પરસ્પર મેળાપથી બન્નેય અત્યંત શોભતા હતા. દેવોના યુગલ સમાન
શોભતા સીતા અને રામનો સમાગમ જોઈ દેવ પ્રસન્ન થયા, આકાશમાંથી બન્ને પર