હતા કે પ્રથમ આપણે કૈલાસ જઈ શ્રી ઋષભદેવના નિર્વાણક્ષેત્રની વંદના કરીશું, પછી
બીજાં નિર્વાણક્ષેત્રની વંદના કરી અયોધ્યામાં ઋષભાદિ તિર્થંકરોના જન્મકલ્યાણક થયા છે
તેથી અયોધ્યાની યાત્રા કરીશું. ભગવાનનાં જેટલાં ચૈત્યાલયો છે તેમનાં દર્શન કરીશું,
કંપિલ્યા નગરીમાં વિમળનાથનાં દર્શન કરીશું, રત્નપુરમાં ધર્મનાથના દર્શન કરીશું, તે
જીવોને ધર્મનું યથાર્થ સ્વરૂપ ઉપદેશે છે. પછી શ્રાવસ્તી નગરીમાં સંભવનાથના દર્શન
કરીશું, ચંપાપુરમાં વાસુપૂજ્યના, કંદીપુરમાં પુષ્પદંતના, ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભના,
કૌશાંબીપુરીમાં પદ્મપ્રભના, ભદ્રલપુરમાં શીતળનાથના, મિથિલાપુરીમાં મલ્લિનાથ
સ્વામીના, બનારસમાં સુપાર્શ્વનાથના, સિંહપુરીમાં શ્રેયાંસનાથના અને હસ્તિનાપુરમાં
શાંતિનાથ-કુંથુનાથ-અરનાથના દર્શન કરશું. હે દેવી! કુશાગ્રનગરમાં શ્રી મુનિસુવ્રતનાથના
દર્શન કરશું. તેમનું શાસન અત્યારે પ્રવર્તે છે અને બીજા પણ જે ભગવાનના અતિશય
સ્થાનક અતિપવિત્ર છે, પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, ત્યાં, પૂજા કરીશું. ભગવાનના ચૈત્યાલય સુર-
અસુર-ગંધર્વોથી સ્તુતિ કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય છે. વળી, પુષ્પક વિમાનમાં
બેસી સુમેરુના શિખર ઉપર જે ચૈત્યાલયો છે તેમનાં દર્શન કરી ભદ્રશાલ વન, નંદનવન
અને સૌમનસ વનના જિનેન્દ્રોની પૂજા કરી અઢીદ્વીપમાં કૃત્રિમ-અકૃત્રિમ જેટલાં ચૈત્યાલયો
છે તેમની વંદના કરી આપણે અયોધ્યા પાછાં આવશું. હે પ્રિયે! જો શ્રી અરહંતદેવને
ભાવસહિત એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તો અનેક જન્મનાં પાપોથી છુટાય છે.
હે કાંતે! ધન્ય છે તારા ભાગ્યને કે ગર્ભની ઉત્પત્તિ સમયે તને જિનવંદનાની ઈચ્છા થઈ.
મારા મનમાં પણ એ જ ઈચ્છા છે કે તારી સાથે મહાપવિત્ર જિનમંદિરોનાં દર્શન કરું. હે
પ્રિયે! પહેલાં ભોગભૂમિમાં ધર્મની પ્રવૃત્તિ નહોતી, લોકો સમજતા નહિ તેથી ભગવાન
ઋષભદેવે ભવ્યોને મોક્ષમાર્ગનો ઉપદેશ કર્યો. જેમને સંસારભ્રમણનો ભય હોય તેમને ભવ્ય
કહે છે. પ્રજાપતિ, જગતમાં શ્રેષ્ઠ, ત્રૈલોકવંદ્ય, નાના પ્રકારના અતિશયોથી સંયુક્ત, સુરનર-
અસુરોને આશ્ચર્યકારી ભગવાન ભવ્યોને જીવાદિ તત્ત્વોનો ઉપદેશ આપી અનેકને તારી
નિર્વાણ પધાર્યા, સમ્યક્ત્વાદિ અષ્ટગુણથી મંડિત સિદ્ધ થયા, જેમનાં રત્નમયી ચૈત્યાલયો
ભરત ચક્રવર્તીએ કૈલાસ પર્વત પર બનાવરાવ્યાં છે અને મંદિરમાં પાંચસો ધનુષ્ય ઊંચી
રત્નમયી પ્રતિમા પધરાવી છે, જેની આજે પણ દેવ, વિદ્યાધર, ગાંધર્વ, કિન્નર, નાગ, દૈત્ય
પૂજા કરે છે, જ્યાં અપ્સરા નૃત્ય કરે છે. જે સ્વયંભૂ પ્રભુ, જે અનંતકાળ જ્ઞાનરૂપ
બિરાજમાન સિદ્ધ પરમાત્મા છે તેમની પૂજા, સ્તુતિ આપણે કૈલાસ પર્વત પર જઈને કરશું,
એ દિવસ ક્યારે આવશે? આ પ્રમાણે મારા પર કૃપા કરીને મને કહેતા હતા. તે જ વખતે
નગરના લોકો ભેગા મળીને આવ્યા અને રામને લોકાપવાદની દુસ્સહ વાત કહી. રામ
મહાન, વિચારશીલ એટલે મનમાં વિચાર્યું કે આ લોકો સ્વભાવથી જ વક્ર છે તેથી બીજી
રીતે અપવાદ મટશે નહિ. આવો લોકાપવાદ સાંભળવા કરતાં પ્રિયજનનો ત્યાગ સારો
અથવા મરવું પણ સારું. લોકાપવાદથી યશનો નાશ થાય, કલ્પાંતકાળ સુધી અપયશ
જગતમાં રહે તે સારું નહિ. આમ વિચારીને પ્રવીણ પુરુષે (મારા પતિએ) લોકાપવાદના
ભયથી મને નિર્જન વનમાં તજી દીધી.