હવે તને ઘરમાં રાખવી એ મારા માટે શું ઉચિત છે? ત્યારે જાનકી બોલી તમારું ચિત્ત
અતિનિર્દય છે, મહાપંડિત હોવા છતાં પણ તમે મૂઢ લોકોની જેમ મારો તિરસ્કાર કર્યો તે
શું ઉચિત છે? ગર્ભવતી મને જિનદર્શનની અભિલાષા થઈ હતી અને તમે કુટિલતાથી
યાત્રાનું નામ લઈને મને વિષમ વનમાં ફેંકી દીધી, એ શું ઉચિત હતું? મારું કુમરણ થયું
હોત, હું કુગતિમાં ગઈ હોત, તો તેથી તમને કઈ સિદ્ધિ મળત? જો તમારા મનમાં તજી
દેવાનો ભાવ હોત તો તમારે મને આર્યિકાઓની સમીપ મૂકી દેવી હતી. અનાથ, દીન,
દરિદ્રી, કુટુંબરહિત, મહાદુઃખીનાં દુઃખ દૂર કરવાનો ઉપાય જિનશાસનનું શરણ છે, એના
જેવું બીજું કાંઈ ઉત્તમ નથી. હે પદ્મનાભ! તમે કરવામાં તો કાંઈ કચાશ રાખી નથી, હવે
પ્રસન્ન થાવ, આજ્ઞા કરો તે પ્રમાણે કરું. આમ કહીને દુઃખથી ભરેલી તે રોવા લાગી.
ત્યારે રામ બોલ્યા-હું જાણું છું કે તમારું શીલ નિર્દોષ છે અને તમે નિષ્પાપ અણુવ્રતની
ધારક, મારી આજ્ઞાકારિણી છો, તમારા ભાવોની શુદ્ધતા હું સારી રીતે જાણું છું, પરંતુ આ
જગતના લોકો કુટિલ સ્વભાવવાળા હોય છે. તેમણે નિરર્થક તારો અપવાદ કર્યો છે તેથી
એમનો સંદેહ મટે અને એમને યથાવત્ પ્રતીતિ આવે તેમ કર. ત્યારે સીતાએ કહ્યું-આપ
આજ્ઞા કરો તે મને માન્ય છે. જગતમાં જેટલા પ્રકારના દિવ્ય શપથ છે તે બધા લઈને
પૃથ્વીનો સંદેહ દૂર કરું. હે નાથ! વિષમાં મહાવિષ કાળકૂટ છે જેને, સૂંઘતાં આવિષ સર્પ
પણ ભસ્મ થઈ જાય છે તે હું પીઉં, અગ્નિની વિષમ જ્વાળામાં હું પ્રવેશ કરું, આપ જે
આજ્ઞા કરો તે પ્રમાણે હું કરું, એકાદ ક્ષણ વિચારીને રામ બોલ્યા-અગ્નિકુંડમાં પ્રવેશ કરો.
સીતાએ અત્યંત હર્ષથી કહ્યું કે એ મને પ્રમાણ (માન્ય) છે. ત્યારે નારદ મનમાં વિચારવા
લાગ્યા કે આ તો મહાસતી છે, પરંતુ અગ્નિનો શો ભરોસો? એણે મૃત્યું જ સ્વીકાર્યું છે.
ભામંડળ, હનુમાનાદિક અત્યંત કોપથી પીડિત થયા અને લવણ-અંકુશ માતાનો અગ્નિમાં
પ્રવેશ કરવાનો નિશ્ચય જાણી અતિવ્યાકુળ થયા. સિધ્ધાર્થે બન્ને હાથ ઊંચા કરીને કહ્યું, હે
રામ! દેવોથી પણ સીતાના શીલનો મહિમા કહી ન શકાય તો મનુષ્ય તો શું કહે? કદાચ
સુમેરુ પાતાળમાં પ્રવેશ કરે અને બધા જ સમુદ્રો સુકાઈ જાય તો પણ સીતાનું શીલવ્રત
ચલાયમાન ન થાય. કદાચ ચંદ્રકિરણ ઉષ્ણ થાય અને સૂર્યકિરણ શીતળ થાય તો પણ
સીતાને દોષ ન લાગે. મેં વિદ્યાના બળે પાંચ સુમેરુ પર તથા જે શાશ્વત-અશાશ્વત કૃત્રિમ
અને અકૃત્રિમ ચૈત્યાલયો છે ત્યાં બધે જિનવંદના કરી છે. હે પદ્મનાભ! સીતાના વ્રતનો
મહિમા મેં ઠેકઠેકાણે મુનિઓના મુખે સાંભળ્યો છે. તેથી તમે મહાવિચક્ષણ છો. આ
મહાસતીને અગ્નિપ્રવેશની આજ્ઞા ન કરો. આકાશમાં વિદ્યાધરો, પૃથ્વી પર ભૂમિગોચરી,
બધા એક જ વાત કહેતા હતા હે દેવ! પ્રસન્ન થઈ સૌમ્યતા ધારણ કરો. હે નાથ! અગ્નિ
સમાન કઠોર ચિત્ત ન કરો. સીતા સતી છે, સીતા અન્યથા નથી, જે મહાપુરુષોની રાણી
હોય તે કદી પણ વિકારરૂપ ન થાય. પ્રજાના બધા જ માણસો પણ એ જ વાત કહેવા
લાગ્યા અને વ્યાકુળ થયા. આંખમાંથી આંસુના મોટાં મોટાં ટીપાં પડવા લાગ્યા.