Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 44 of 660
PDF/HTML Page 65 of 681

 

background image
૪૪ પાંચમું પર્વ પદ્મપુરાણ
ત્રીસ યોજન પ્રમાણ લંકા નામની નગરી છે. જે રત્ન અને સુર્વણના મહેલથી અત્યંત
શોભે છે, ત્યાં મનોહર ઉદ્યાનો છે, કમળોથી શોભતાં સરોવરો છે, મોટાં મોટાં ચૈત્યાલયો
છે. તે નગરી ઇન્દ્રપુરી સમાન છે અને દક્ષિણ દિશાની શોભા છે. હે વિદ્યાધર! તું સમસ્ત
બાંધવો સહિત ત્યાં વસીને સુખેથી રહે. આમ કહીને ભીમે-રાક્ષસોના ઇન્દ્રે તેને રત્નમયથી
હાર આપ્યો. તે હાર પોતાનાં કિરણોથી અત્યંત ઉદ્યોત ફેલાવે છે અને રાક્ષસોનો ઇન્દ્ર
મેઘવાહનનો જન્માન્તરમાં પિતા હતો તેથી સ્નેહથી હાર આપ્યો અને રાક્ષસદ્વીપ આપ્યો
તથા ધરતીની વચ્ચે પાતાલ લંકા, જેમાં છ યોજન ઊંડું અને એકસો સાડી એકવીસ
યોજન અને દોઢ કળા પહોળું એવું અલંકારોદય નામનું નગર છે તે પણ આપ્યું. તે
નગરમાં શત્રુઓનું મન પણ પ્રવેશી શકે તેમ નથી, જે સ્વર્ગ સમાન મનોહર છે.
રાક્ષસોના ઇન્દ્રે કહ્યું, “કદાચ તને દુશ્મનોનો ભય લાગતો હોય તો આ પાતાળલંકામાં
સકળ વંશવારસો સાથે સુખેથી રહે. લંકા રાજધાની અને પાતાળલંકા ભયનિવારણનું
સ્થાન છે.” આ પ્રમાણે ભીમ સુભીમે પૂર્ણધનના પુત્ર મેઘવાહનને કહ્યું.
આથી મેઘવાહન અત્યંત હર્ષ પામ્યો. ભગવાનને નમસ્કાર કરીને તે ઊભો થયો
એટલે રાક્ષસોના ઇન્દ્રે તેને રાક્ષસવિદ્યા પાતી તે લઈને આકાશમાર્ગે વિમાનમાં ચડી લંકા
ગયો. જ્યારે સર્વ ભાઈઓએ સાંભળ્‌યું કે મેઘવાહનને રાક્ષસોના ઇન્દ્રે અતિપ્રસન્ન થઈને
લંકા આપી છે એટલે સમસ્ત બંધુવર્ગનાં મન પ્રફુલિત થયાં. જેમ સૂર્યના ઉદયથી સમસ્ત
કમળો પ્રફુલ્લિત થાય છે તેમ બધા જ વિધાધર મેઘવાહન પાસે આવ્યા. તેમનાથી શોભતો
મેઘવાહન ચાલ્યો. કેટલાક રાજા આગળ ચાલતા હતા. કેટલાક પાછળ, કેટલાક જમણી
બાજુએ, કેટલાક ડાબી બાજુએ, કેટલાક હાથી ઉપર ચડીને, કેટલાક ઘોડા ઉપર બેસીને
અને કેટલાક રથમાં બેસીને જતા હતા. કેટલાક પાલખીમાં બેસીને અને કેટલાક પગે
ચાલતા ગયા. જય જયકારના શબ્દો થઈ રહ્યા છે, દંદુભિ વાજાં વાગે છે, રાજા ઉપર છત્ર
રાખ્યું છે, ચમર ઢોળાય છે, અનેક ધ્વજ આગળ ચાલે છે, અનેક વિદ્યાધર મસ્તક નમાવે
છે. આ પ્રમાણે રાજા ચાલતા ચાલતા લવણસમુદ્ર પાસે આવ્યા. તે સમુદ્ર આકાશ સમાન
વિસ્તીર્ણ, પાતાલ સમાન ઊંડો અને તમાલવન સમાન શ્યામ છે, તરંગોના સમૂહથી
ભરેલો છે, અનેક મગરમચ્છ જેમાં કલ્લોલ કરે છે તે સમુદ્ર જોઈને રાજા હર્ષિત થયો.
પર્વતના અધોભાગમાં કોટ, દરવાજા અને ખાઈઓથી સંયુક્ત લંકા નામની મહાપુરી છે
ત્યાં પ્રવેશ કર્યો. લંકાપુરીમાં રત્નોની જ્યોતિથી આકાશ સંધ્યાસમાન લાલ થઈ રહ્યું છે,
મોગરાનાં ફૂલ જેવાં ઉજ્જવળ ઊંચા ભગવાનનાં ચૈત્યાલયોથી ભરેલી નગરી શોભે છે,
ચૈત્યાલયો ઉપર ધજા લહેરાઈ રહી છે. ચૈત્યાલયોની વંદના કરી રાજાએ મહેલમાં પ્રવેશ
કર્યો અને બીજાં પણ ધરોમાં રહેલાં રત્નોની શોભાથી તેનું મન અને નેત્ર પ્રસન્ન થયાં.
ત્યારપછી કિન્નરગીતા નામના નગરમાં રાજા રતિમયૂખ અને રાણી અનુમતીની
સુપ્રભા નામની કન્યા, નેત્ર અને મનને, ચોરનારી, કામનું નિવાસ, લક્ષ્મીરૂપ, કુમુદિનીને
પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમાની ચાંદની સમાન, લાવણ્યરૂપ જળની સરોવરી, આભૂષણોનું
આભૂષણ. ઈન્દ્રિયોને